Showing posts with label વિજ્ઞાન. Show all posts
Showing posts with label વિજ્ઞાન. Show all posts

13.5.24

ક્રોમોઝોમ ર - પ્રજાતિ


તમારી મમ્મીનો હાથ પકડો, તે તેમની મમ્મીનો હાથ પકડે અને એમ આગળ વધતાં જઈએ તો અમદાવાદથી માઉન્ટ આબુ (લગભગ ૨૨૬માઈલ) જેટલા અંતરે આપણે જેનો હાથ પકડ્યો હશે તે માણસ‌ અને ચિમ્પાન્ઝીને જોડતી કડીરૂપ હશે. 

આપણે ૯૮% ચિમ્પાન્ઝી છીએ અને ચિમ્પાન્ઝી ૯૭% ગોરિલા છે. 

તો, આ બે ટકાનો ફેર કેટલો? 
૧) શરીર પરથી વાળનો જથ્થો ઘટવો.
૨) ખુબ પરસેવો થવો.
૩) બે પગે ઊભા રહી ચાલવાની શારીરિક વ્યવસ્થામાં સુધાર 

આવું કેમ થયું? 

જેનો હાથ આબુમાં પકડેલો એ દાદી તેની બહેનથી છૂટી પડી ને એવા ભૌગોલિક સ્થળે તેણે રહેવાનું થયું જ્યાં 
૧) મેદાન પ્રદેશ હતો -- બે પગે ચાલવાની સરળતા 
૨) જ્યાં જંગલો ઓછાં ગાઢ હતાં - તાપથી બચવા પરસેવો 

ચિમ્પાન્ઝી વેજીટેરિયન હતા, નવા ભૌગોલિક સ્થાને ફળફળાદી પર ટકી જવું કદાચ મુશ્કેલ હતું. 
એટલે રચાઈ નીચે જેવી કારણ-કાર્યની શરીર પરિવર્તન અને વર્તન વિકાસની હારમાળા : 

• મીટ + નટ્સ (વીણેલાં બીજ) <----> પ્રોટીન યુક્ત ખોરાક, ભૂખમરાથી મુક્તિ <----> ખોરાક શોધ અને વહેંચણીમાં પોતાના ભાગ માટે ગણતરી <----> મોટું મગજ  

• કામની વહેંચણી <----> નરમાદાના કામની વહેંચણી , વહેંચીને ખાવા સામાજિક જૂથ બનવું <----> મોનોગોમી, કુટુંબ, સમાજ <----> પ્રાથમિક જરૂરિયાત સામાજિક ધોરણે સચવાઈ જતાં આગવી આવડત/તકનિક વિકસાવવાની તક/જરૂરીયાત.

આ બધો ઈતિહાસ બે રીતે ઉકેલી શકાયો:
• જીવાશ્મિ- ફોસીલ પરથી
• જીન પરથી 

૧૯૫૫ સુધી સમાજ અને જૈવશાશ્ત્રીઓ માનતા હતા કે માણસમાં ૨૪ જોડ ક્રોમોઝોમ છે. 
કારણકે ૧૯૨૧માં થીઓફેલસ પેઈન્ટરે 'આત્મવિશ્વાસ' સાથે પોતાના અવલોકનના પરિણામ તરીકે એમ કહ્યું/લખ્યું હતું. 
૨૪ ક્રોમોઝોમની આ વાત એટલી તો સ્વિકારાઈ ગયેલી કે જેમને જુદા જુદા સંશોધનોમાં ૨૩ જોડ ક્રોમોઝોમ દેખાયા એમણે પોતાને ખોટામાની સંશોધન આગળ ના ધપાવ્યાં.
માણસના પૂર્વજ એપ- બધા પ્રકારનામાં ક્રોમોઝોમની ૨૪ જોડ છે. 

છેક ૧૯૫૬માં- જો તીજો અને આલ્બર્ટ લેવાંએ , લગભગ ૩૦ વર્ષ પછી તે સમયની વધારે સારી સવલતો સાથે એ જોયું કે ક્રોમોઝોમની જોડ તો ૨૩ છે. 
ખરાઈ કરવા એમણે જૂનાં પુસ્તકોમાં ફોટા જોયા- ફોટામાં ૨૩ ક્રોમોઝોમ હતા પણ નીચે લખાણમાં ૨૪ લખેલા. 

પણ, આપણી દાદી તેની જે બહેનથી છૂટી પડી તેણે નાના સમૂહમાં રહેવાનું થયું અને એ નાના જૂથે જીવન ટકાવી રાખવા, આગળ વધારવા જે અનુકુલન - ઉપર શરૂઆતમાં નોંધ્યા છે તેવાં- કરવાનાં થયાં, તેના કારણે બે ક્રોમોઝોમે જોડાવું પડ્યું. 

આ બધું આપણા જનીનોમાં 'લખેલું' છે.
તે જોડાયેલો ક્રોમોઝોમ તેને સગવડ પૂરતો આપણે કહીએ છીએ ક્રોમોઝોમ ૨. 



ભાગ ૧: https://interact-6aya.blogspot.com/2024/05/blog-post.html


તા.ક. : ચાલતાંચાલતાં ઓડિયો બુક વંચાય ત્યારે અટકીને પેન્સિલથી નોંધ કરવાની, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર કરવાની તકનિકી સગવડ હજી ઉપલબ્ધ નથી થઈ ત્યારે થયું કે જે વાંચ્યું/સાંભળ્યું તેમાંથી જેટલું પલ્લે પડે એટલું લખી લઈએ. આ ચોપડી બે વાર વાંચેલી, એકવાર સાંભળીને હવે ચોથી વખત વાંચું છું - રિડલીના અર્થસભર કટાક્ષ ને શબ્દજૂથ મને ડાર્ક ચોકલેટનો સવાદ આપે છે. તથ્યો મરડાય નહીં એનું ધ્યાન રાખીને લખું છું છતાં, આ, ચોપડી આંખ સામે રાખીને કરેલો અનુવાદ નથી.


12.5.24

ક્રોમોઝોમ ૧ - જીવન

ક્રોમોઝોમ ૧ 

જીવન

બાઈબલના ગોસ્પેલ ઓફ જોનમાં છે: શરૂઆતમાં શબ્દ હતો. અને તે ઈશ્વર સાથે હતો. અને તે શબ્દ ઈશ્વર હતો. 


એથેઈસ્ટ મેટ રિડલી આ કોઠાસૂઝને પોતાના 'શબ્દો'માં આગળ વધારે છે: શરૂઆતમાં શબ્દ હતો. તેણે તેના સંદેશાથી દરિયાનું ધર્માંતરણ કરી નાખ્યું, થાક્યા વગર, અનંતકાળ સુધી પોતાની નકલો બનાવતાં રહીને. શબ્દે શોધી કાઢ્યું કે રસાયણોને કેમ કામમાં લેવાં જેથી અવ્યવસ્થાના વહેણમાં નાનકડા તંતુને તે જીવાડી શકે. શબ્દે જ આ ભૂમિને ધૂળિયા નરકમાંથી લીલુંછમ સ્વર્ગ બનાવી. શબ્દ ખીલ્યો અને છેવટે એવો તો બુદ્ધિશાળી બન્યો કે તેણે ગાઢી રાબ કહેતાં માનવ મગજ બનાવ્યું; એ ગાઢી રાબે શબ્દ શોધ્યો અને તેના હોવા અંગે સભાન બની.--- જ્યારે જ્યારે હું આ વાત વિચારું છું ત્યારે ત્યારે મારી ગાઢી રાબ બઘવાઈ જાય છે. 

(તા.ક. રિડલી જેવા લેખકો સંદર્ભ ખચિત લખતા હોય. તે જ્યારે ધર્માંતરણ કે રાબ જેવા શબ્દ વાપરે ત્યારે એના સંદર્ભ વિજ્ઞાનથી માંડી થિઓલોજીમાં ઝૂલતા હોય. રિડલી ધર્મના ખૂબ મોટા ક્રિટીક - વિરોધી રહ્યા છે. )

જીવન વૃક્ષ કહેતાં ટ્રી ઓફ લાઈફ કે માનવ વંશાવળીનું રેખાચિત્ર આપણે મોટાભાગે ખોટું જોયું છે - એક થડમાંથી નીકળતી શાખાઓ વાળું. આપણે હકિકતમાં ઘણાબધા પૂર્વજોના અનુભવો પછી 'ઊભા' થયા છીએ.

જીવન એકમાંથી અનેક થયું છે એ વાત એક રીતે સાચી હોવા છતાં આપણે જાતભાતનાં જીવોના વારસો છીએ તે પણ એટલું જ સાચું છે. 

આપણે બધા સાથે એક એવા તંતુથી જોડાયેલા છીએ જેનું કામ છે લગભગ પોતાના જેવો જ જીવ પેદા કરી જવો અને પોતાના જીવનમાં વ્યવસ્થા કેળવવી. 

શ્રોડિન્જરના શબ્દોમાં - જીવન એટલે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પીનાર. 

જેમના 'વ્હોટ ઈઝ લાઈફ' પ્રવચનોથી પ્રેરણા મેળવનારામાંથી નોંધપાત્ર સંખ્યામાં નોબેલ જીતનારા બહાર પડ્યા તે શ્રોડિન્જર જીવનને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ સમજવાની ભૂલ કરી બેઠા.  

એવી જ રીતે કેનેડિયન કેમિસ્ટ એવરી જીવનના તંતુને માત્ર રસાયણ ધારી બેઠા. 

બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો તોડ શોધવામાં ગણિતજ્ઞ કાર્યરત એલન ટુરીંગે કહ્યું - અંકની મદદથી અંકની ગણતરી કરી શકાય. 

અને અમેરિકામાં ક્લાઉડ શેનને કહ્યું કે માહિતી (ઇન્ફોર્મેશન) અને અવ્યવસ્થા(એન્ટ્રોપી) એક સિક્કાની બે બાજુ છે- ઊર્જા સંદર્ભે. એક મશીનમાં ઓછી એન્ટ્રોપી મતલબ તેમાં માહિતી વધારે છે અને એટલે તે ઊર્જા વાપરી શકે, ઊર્જાનું રૂપાંતર કરી શકે છે. 

ટુરિગ અને શેનનના અભ્યાસ કે વિચારના દાયરામાં 'જીવન' કહેતાં બાયોલોજી નહોતું પણ એમની સૂઝ પેલા તંતુને સમજવાની નજીક હતી. 

વિશ્વભરની સંસ્કૃતિઓમાં ઈંડામાં મરઘી, બીજમાં વૃક્ષ જોવાના સંદર્ભો જોવા મળે છે. પણ, એના બંધારણની શોધ વોટસન, ક્રિક, વિલ્કિન્સન અને ફ્રેંકલિને કરી. 

ડી.એન.એ. 
જીવનની માહિતી.

શબ્દ બ્રહ્મ.

જીવનને ટકાવવા, આગળ વધારવા જરૂરી પ્રક્રિયાઓ કરવી (મેટાબોલિઝ્મ) અને જીવન વિષયક માહિતી સાચવવી (રેપ્લિકેશન).

ત્રણ અખ્ખરની ગૂંથણીથી બનેલી કુંતલાકાર, દાદર જેવી રચના. 

જીવનનું રહસ્ય એટલી સરળ ભાષામાં લખાયેલું છે -- a, c, g, t એમ ચાર જ અક્ષર વડે -- કે બહું ઓછાં લોકો તેનું અનુમાન કરી શક્યા.‌  

જેમાંના એક તે એરસમસ ડાર્વિન 

દાદુ ચાર્લ્સ ડાર્વિનના દાદા.
કવિ, ફિલોસોફર ને દાક્તર. 
છેક ત્યારે પ્રશ્ન કરી ગયેલા -- દરિયાના પેટાળથી માંડીને ભૂખંડે વિસ્તરેલા જૈવ વિસ્તારમાં એકસમાન તંતુ છે!

આપણા ર૩ ક્રોમોઝોમને મોટેથી નાના એમ ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટો છે-જેને સગવડ પૂરતું ક્રોમોઝોમ ૧ નામ આપીએ- તેના મોટા હાથમાં ૧૨૦ શબ્દોનો એક સમૂહ છે જે બીજા નકામા શબ્દો વચ્ચે પૂનરાવર્તિત થયા કરે છે. આ 'શબ્દ' , આ નાનકડો પણ લગભગ સૌથી વધારે સક્રિય જીન સતત આરએનએમાં પરિવર્તન પામે છે અને કેટલીક પ્રક્રિયાઓ પછી રાઈબોઝોમમા પહોંચે છે -તે 5SrNA રાઈબોઝોમના બંધારણને ટકાવી પ્રોટિન બનાવવાની પ્રક્રિયા માટે મહત્વના છે. 

જીનનું કામ છે પ્રોટિન બનાવવાનું અને પ્રોટિનનું કામ છે ડીએનએની નકલ કરવાનું. રસોયા અને રેસિપી જેવું.

તો પહેલાં શું આવ્યું - પ્રોટિન કે ડીએનએ?
પેલો પહેલો શબ્દ શું - પ્રોટિન કે ડીએનએ?

આપણા જીવન તંતુનો પહેલો શબ્દ ડીએનએ નહીં, આરએનએ છે -- કેમકે પોતાની અદ્લ નકલ કરવાનું કામ એ કરતું આવ્યું છે. પણ, આરએનએની મર્યાદા છે કે તે ટૂંકા જ રહી શકે, મોટા થવા જતા એની ભાષા ગરબડાઈ જાય છે અને એવી બીજી કેટલીક સાબિતીઓ છે જેના પરથી ખાતરી પૂર્વક કહી શકાય કે આપણા બધાંના જીવનને જોડતો એક તંતુ તે આરએનએ છે.


28.10.22

ગ્લો દા વિન્સી

ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. તેના પર પડતાં સૂર્યના પ્રકાશને કારણે આપણે તેને જોઈ શકીએ છીએ. જે રીતે વાત કરતી વખતે જો સામેની વ્યક્તિના ચહેરા પર પ્રકાશ પડતો હોય તો તે પ્રકાશ તેના ચહેરા પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે અને આપણને તે ચહેરો દેખાય. 

આ થઈ પુનમ. 
પુનમે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એવા ત્રિકોણીય આકારે ગોઠવાય છે કે સૂર્ય વડે ચંદ્રનો જેટલો ભાગ પ્રકાશિત થાય છે, તેટલો ભાગ આપણને દેખાય છે.
જેમ પૃથ્વી પર દિવસ રાત છે તેમ ચંદ્રના અડધા ભાગ પર જ સૂર્ય પ્રકાશ હોય, બાકીના ભાગ પર રાત હોય.

પણ, ધારો કે, સામેની વ્યક્તિ કરતાં અનેકગણા તેજસ્વી વ્યક્તિથી આપણી આંખ અંજાયેલી છે તો? પેલા મહાતેજ સૂર્યની હાજરીમાં બીજા તારા નથી દેખાતા, બેશક તે અનેકગણા વધારે દૂર છે તે પણ ખરું, તો પછી જેનો પ્રકાશ ઉછીનો છે તે ક્યાંથી દેખાય?

આ થઈ અમાસ.
અમાસ વખતે પણ ચંદ્રનો એટલો જ ભાગ પ્રકાશિત હોય છે જેટલો પૂનમે હોય, અડધો. પણ ત્યારે પૃથ્વી માટે સૂર્ય અને ચંદ્ર એક દિશામાં હોવાથી ચંદ્ર દેખાતો નથી. 

બપોર પછીના સમયે ચંદ્ર જોયાનો અનુભવ તમને હશે જ. મોટાભાગે અમાસ પછીના દિવસોમાં આમ થાય છે. ચંદ્ર જાણે પશ્ચિમથી પૂર્વ તરફ ખસતો હોય એમ પ્રકટે છે. 

કારણકે, અમાસ પછી ક્રમશઃ સૂર્ય અને ચંદ્રના અવકાશમાં હોવાના સમયમાં અંતર વધતું જાય છે. 
અમાસે સૂર્ય, ચંદ્ર લગભગ એકસાથે.
પૂનમે સૂર્ય ચંદ્ર લગભગ સામસામે છેડે- પશ્ચિમ, પૂર્વ.
આઠમે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લગભગ ૯૦°નો ખૂણો.
અને આ દરેક વખતે ચંદ્રનો અડધો ભાગ સૂર્યથી પ્રકાશિત છે, અદ્લ પૃથ્વીની જેમ. બસ, આપણા ત્રણનું સ્થાન એકબીજાની સાપેક્ષે બદલાય છે અને ચંદ્ર કળા કરે છે.

પૂનમે હોય તેટલો દરરોજ પ્રકાશિત હોવા છતાં એકમથી ચૌદસના ચંદ્રની ફાડમાં કેમ રોજ બદલાવ આવે છે? 

ચંદ્ર જો પૃથ્વીના ઓછાયામાં આવવાને કારણે એમ થતું હોય તો ચંદ્ર ગ્રહણ થયું કહેવાય. 

વળી, એકમથી🌒 માંડીને ચૌદશ🌔 સુધી ચંદ્રના પરિઘનો ચાપ ક્રમશઃ વધતો જાય તે સાથે તેનો કેન્દ્ર તરફનો પ્રકાશિત ભાગ આપણા દ્રશ્ય પટમાં ઉમેરાતો પણ જાય છે. પુનમથી અમાસ દરમિયાન તેથી ઉલટું 🌕, 🌔, 🌓, 🌑 .   

પિત્ઝાના ટૂકડા કરીએ તો કેન્દ્ર તરફ લંબાતા ત્રિકોણીય ભાગ જેવો દેખાવાને બદલે ચંદ્રનો ભાગ અંદરથી પણ ચાપ માર્યો હોય તેવો - અજવાળીયા વખતે પરિકરની અણી પરિઘ પર મૂકીને અંદરની તરફ અને અંધારિયા વખતે કેન્દ્રથી બહારની ધાર તરફ ચંદ્ર ગોળાઈમાં કેમ દેખાય છે?

કારણકે ચંદ્ર (વર્તુળ નથી) લગભગ ગોળ છે, સૂર્ય, પૃથ્વી અને અવકાશના મોટાભાગના પદાર્થોની જેમ. 

અને ગોળ પદાર્થ આવી જ રીતે કળા કરે.

ફરીથી : ચંદ્ર દરેક સમયે પુનમે હોય એટલો પ્રકાશિત હોય છે. પૃથ્વીની જેમ, અડધો.
ફરીથી, અમાસથી શરૂ કરીએ.
અમાસે ચંદ્ર અને સૂર્ય લગભગ સાથે ઉગે. તેથી સૂર્યના તેજમાં ચંદ્ર દેખાય નહીં.
અમાસ‌ પછીની એકમે ચંદ્ર 🌙 આવો દેખાય. નારંગીની એક ફાડથીય પાતળો. પણ, નારંગીની ફાડની અંદરની તરફનો સીધો રેખાખંડ કેમ નથી દેખાતો અને અહીં અને તેના બદલે બે બહિર્ગોળ ચાપ કેમ દેખાય છે?

પૃથ્વીના ગોળાની આકૃતિ પર અક્ષાંશ રેખાંશ કઈ રીતે દોરવામાં આવે છે? 
(|) 
રેખાંશ વડે સમજીએ. શૂન્ય રેખાંશને ઊભા રેખાખંડ તરીકે લઈએ તો ૧૦° પૂર્વ રેખાંશ બહિર્ગોળ ચાપ મળે. આ ચાપ અંદરની તરફ શૂન્ય રેખાંશના સીધા રેખાખંડ સાથે બંને ધૃવ પાસે જોડાયેલો છે, અદ્લ નારંગીની ફાડ. પણ, નારંગીની ફાડ છૂટી પાડી હાથમાં લઈએ તેમ કાંઈ ચંદ્રના ટૂકડા કે પૃથ્વીના દસ રેખાંશ જેટલા ગચ્ચાને છૂટો પાડી શકાતો નથી. તેથી, આપણે જ્યારે પણ ચંદ્ર જોઈએ છીએ, આપણે તેની ગોળાકાર સપાટી જ જોઈએ છીએ. તે સપાટી ગોળાકાર હોવાથી તેની લંબાઈ અને પહોળાઈ સીધી રેખા તરીકે નહીં પણ બહિર્ગોળ ચાપ તરીકે જ મળે, દેખાય; નારંગીની તમારા હાથમાંની ફાડની બહારની સપાટી પરની ડાબી અને જમણી બાજુ જાણે. અથવા પૃથ્વીના ગોળા પર ૨૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ. (એમ તો ૦° થી ૧૦° પૂ.રેખાંશ પણ આમ બે બહિર્ગોળ ચાપ જેવા જ મળે. પણ શૂન્ય રેખાંશ આકૃતિમાં સીધી લીટી તરીકે દેખાતો હોવાથી અહીં તેને ટાળ્યો છે.)

બીજના ચંદ્ર તરીકે નારંગીની બે ફાડ એકસાથે લો (અને તેમની બહારની ગોળાકાર સપાટી ધારો) અથવા પૃથ્વીના ગોળાની આકૃતિ પર ૩૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ લો.
આ રીતે ક્રમશઃ ફાડ અને રેખાંશ વધારતાં જતાં આઠમે એટલે કે અડધી નારંગીએ કે ૧૮૦° પૂર્વ રેખાંશે પહોંચીશું ત્યારે (નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો) આપણને ચંદ્ર, નારંગી અને પૃથ્વીનો ચોથો ભાગ દેખાય.

અડધો કેમ નહીં?
પૃથ્વીના ગોળાની આકૃતિ એટલે ગોળાનો આપણી આંખ સામેનો ભાગ, એ તો ગોળાનું અડધિયું છે. બાકીનું અડધિયું તેની પાછળ છે. 

તેથી ઉલટું, નારંગીની ચોથા ભાગની ચીરીઓ સપાટી પર ગોઠવીએ તો અડધી નારંગીનો ભાસ આપે.
નારંગીની ફાડનો ઢગલો પણ સપાટીને સમાંતર ના ગોઠવતાં આગળ કહ્યું તેમ નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો અડધી નારંગી ગોઠવ્યા પછી પણ નજર સામે તો ચોથો ભાગ જ આવશે. 

આઠમે ચંદ્ર રોજની જેમ અડધો પ્રકાશિત હોવાનો, પણ આપણી આંખ સામે તેના અડધા પ્રકાશિત ભાગનોય અડધો ભાગ આવે છે. તે સમયે અપ્રકાશિત ભાગનોય (તે જ રીતે) ચોથો ભાગ આપણી આંખ સામે હોય છે, પણ તે અપ્રકાશિત હોવાથી દેખાતો નથી. હા, સારી નજરવાળાને કે ફોટો પાડીએ તો તેની આભા કળાય છે ખરી.

હવે નોમ, દસમના ચંદ્રની કળા જોઈએ. 
શૂન્ય રેખાંશથી ૧૮૦° પૂર્વ રેખાંશ પહોંચ્યા પછી પૂર્વ/જમણી તરફ વર્તુળને આગળ વધારવાની સીમા પુરી થઈ જાય છે. તે વર્તુળ પુરું કરવા હવે પશ્ચિમ/ ડાબી તરફ જ ચાપ મારવાનો થાય. તો, પૂર્વ/ જમણી તરફ ૧૮૦° રેખાંશનો ચાપ અને પશ્ચિમ/ ડાબી બાજુએ ૧૦°નો ચાપ હોય તેવી આકૃતિ ધારો. તે થયો લગભગ લગભગ નોમનો ચંદ્ર. 
આવું જ ઉમેરણ નારંગીમાં થશે.
આઠમ પછી ચંદ્રની કળામાં જે ઉમેરણ થશે તે - એકમથી સાતમ સુધી અંદરની તરફના ચાપ અને આઠમની લગભગ સીધી રેખાનું સામેની બાજુએ બહિર્ગોળ ચાપ આકારે થશે.

આમ, બીજી તરફ બહિર્ગોળ રીતે વધતાં જઈ વર્તુળ પુરું થશે.

આઠ કાળા, આઠ સફેદ કાગળ લઈ દરેકમાંથી એકસરખી ત્રિજ્યાવાળા વર્તુળ કાપી લો. અહીં સફેદ કાગળ તે ચંદ્રની સૂર્ય પ્રકાશ મેળવતી સપાટી એટલે કે દિવસ, કાળો ભાગ તે ચંદ્રની રાત. એક સફેદ કાગળ પર કાળો કાગળ એ રીતે ચોંટાડો જેથી એકમના ચંદ્ર જેટલો સફેદ કાગળ દેખાય. આમ કરતાં કાળા કાગળનો કેટલોક (એકમ જેટલો) ભાગ સફેદ કાગળની બહાર જશે. તે વધારાના ભાગને કાળજીપૂર્વક ફાડી લો. એકમના ચંદ્ર જેટલા તે કાળા ટુકડાને નીચેના સફેદ કાગળની પાછલી સપાટી પર બંધ બેસે તેમ ચોંટાડી દો. તમે જોશો કે તે સપાટી લગભગ ચૌદસના ચંદ્ર જેવી દેખાશે.

આ રીતે બીજથી આઠમ સુધીના ચંદ્ર બનાવતા જશો તો પાછળના ભાગે બીજ સામે તેરશ, પાંચમ સામે દશમ અને આઠમ સામે આઠમ મળશે. સફેદ કાગળ પર કાળો કાગળ ચપોચપ ચોંટાડી દેતાં એક તરફ પુનમ- ચંદ્ર દિવસ અને બીજી તરફ અમાસ-ચંદ્ર રાત જોવા મળશે.

આ પ્રવૃત્તિ એમ જોવામાં પણ ઉપયોગી બનશે કે દરેક સમયે ચંદ્રની અડધી સપાટી સૂર્ય પ્રકાશથી પ્રકાશિત હોય છે. આપણને દેખાય છે એટલી જેટલી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની કોણીય ગોઠવણ હોય.

આ પ્રવૃત્તિમાં તો આપણે ચંદ્રના અપ્રકાશિત ભાગને કાળા કાગળ તરીકે જોઈ શકીએ છીએ પણ નરી આંખે ચંદ્ર જોઈએ ત્યારે તે અંધારો, કાળો ભાગ દેખાતો નથી.

પણ, તમે જો ધ્યાનથી જોયું હોય તો, અમાસ પછીની ચોથ, પાંચમની આસપાસ પ્રવૃત્તિમાંનો કાળા કાગળવાળો ભાગ કળાય છે, ચંદ્ર 'આખો' દેખાય છે; ફોટો લઈએ ત્યારે તો ખાસ. અહીં આખો એટલે પૂનમે દેખાય તેવો નહીં, પણ સામાન્ય નજરે પ્રકાશિત દેખાતા ભાગની સાથે સાથે જે ભાગ પર સૂર્ય પ્રકાશ પહોંચ્યો નથી તે ભાગ પણ ઝાંખો પાંખો દેખાય છે, ખાસ તો તેની ગોળાકાર ધાર, પરિઘનો બાકીનો ભાગ. ફોટો લઈએ તેમાં તો આખી ગોળ થાળી જ આવે જેનો થોડો ભાગ પ્રકાશિત, મોટાભાગનો ઝાંખો દેખાય. 🌒

સૂર્ય પ્રકાશ જ્યાં પહોંચતો નથી, ચંદ્રનો તે ભાગ કઈ રીતે દેખાય? (લેખની શરૂઆતમાં આપેલું ચહેરો જોઈ શકવાનું ઉદાહરણ યાદ કરો.)

ચંદ્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી શકતો હોય તો પૃથ્વી કેમ નહીં?
અને એમ તો આપણે બધા ગ્રહ અને ઉપગ્રહ જોઈ શકીએ છીએ તે પણ પ્રકાશના પરાવર્તનના કારણે જ સ્તો! જે રીતે કાગળ પરનું લખાણ આપણને દેખાય છે તે જ રીતે.

આ ઘટનાનું નામ છે Earthshine અને Planetshine.

અમાસ પછી સૂર્યપ્રકાશિત ચંદ્રની ગોદમાં પૃથ્વીપ્રકાશિત ચંદ્ર ગોઠવાયો હોય તેવું લાગે છે તેને, lo and behold, દા વિન્સી ગ્લો પણ કહે છે. કારણકે, દાદુ દા વિન્સીએ પહેલીવહેલીવાર તે ઘટના 'સમજાવી' હતી. તેમની તે કોશિશમાં કેટલીક વૈજ્ઞાનિક ક્ષતિ હતી છતાં, એકંદરે પ્રકાશના પરાવર્તન બાબતે તેમની સમજ ઠીક ઠીક સાચી હતી.

ભેગાં ભેગાં વધુ એક વિગત જાણી લઈએ. અવકાશિય પદાર્થની પ્રકાશ પરાવર્તન કરવાની ક્ષમતાને અલબેડો કહે છે. ચંદ્રનો સામાન્ય અલબેડો ૦.૧૨ છે, જ્યારે પૃથ્વીનો ૦.૩. મતલબ કે ચંદ્ર પોતાને મળતા પ્રકાશના ૧૨%નું પરાવર્તન કરે છે જ્યારે પૃથ્વી ૩૦%. જો ચંદ્ર પર જઈ પૃથ્વીને જોઈએ તો પૂનમે દેખાતા ચંદ્ર કરતાં તે ૧૦૦ ઘણી વધારે પ્રકાશિત દેખાય. અલબેડો‌નું પ્રમાણ શૂન્યથી એક વચ્ચે નોંધાય છે. અવકાશીય પદાર્થનો અલબેડો ૧ કહેવાય જો તે સોએ સો ટકા સૂર્ય પ્રકાશનું પરાવર્તન કરતો હોય.

મે-૨૦૨૧ની ૧૧ અને ૧૨ તારીખે ચંદ્રનો ફોટો લેવા પ્રયત્ન કરજો. 'પૃથ્વીની' (ચાંદ-ની હોય તો આ પણ હોય ને!) પકડાશે. 

અને ચૂકી જાઓ તો તે પછીના શુક્લ પક્ષની ત્રીજ-ચોથ-પાંચમે અથવા તે પછીના...






આજે આણંદના આકાશમાં 

વિન્સીની સ્કેચબુક