Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

13.5.24

ક્રોમોઝોમ ર - પ્રજાતિ


તમારી મમ્મીનો હાથ પકડો, તે તેમની મમ્મીનો હાથ પકડે અને એમ આગળ વધતાં જઈએ તો અમદાવાદથી માઉન્ટ આબુ (લગભગ ૨૨૬માઈલ) જેટલા અંતરે આપણે જેનો હાથ પકડ્યો હશે તે માણસ‌ અને ચિમ્પાન્ઝીને જોડતી કડીરૂપ હશે. 

આપણે ૯૮% ચિમ્પાન્ઝી છીએ અને ચિમ્પાન્ઝી ૯૭% ગોરિલા છે. 

તો, આ બે ટકાનો ફેર કેટલો? 
૧) શરીર પરથી વાળનો જથ્થો ઘટવો.
૨) ખુબ પરસેવો થવો.
૩) બે પગે ઊભા રહી ચાલવાની શારીરિક વ્યવસ્થામાં સુધાર 

આવું કેમ થયું? 

જેનો હાથ આબુમાં પકડેલો એ દાદી તેની બહેનથી છૂટી પડી ને એવા ભૌગોલિક સ્થળે તેણે રહેવાનું થયું જ્યાં 
૧) મેદાન પ્રદેશ હતો -- બે પગે ચાલવાની સરળતા 
૨) જ્યાં જંગલો ઓછાં ગાઢ હતાં - તાપથી બચવા પરસેવો 

ચિમ્પાન્ઝી વેજીટેરિયન હતા, નવા ભૌગોલિક સ્થાને ફળફળાદી પર ટકી જવું કદાચ મુશ્કેલ હતું. 
એટલે રચાઈ નીચે જેવી કારણ-કાર્યની શરીર પરિવર્તન અને વર્તન વિકાસની હારમાળા : 

• મીટ + નટ્સ (વીણેલાં બીજ) <----> પ્રોટીન યુક્ત ખોરાક, ભૂખમરાથી મુક્તિ <----> ખોરાક શોધ અને વહેંચણીમાં પોતાના ભાગ માટે ગણતરી <----> મોટું મગજ  

• કામની વહેંચણી <----> નરમાદાના કામની વહેંચણી , વહેંચીને ખાવા સામાજિક જૂથ બનવું <----> મોનોગોમી, કુટુંબ, સમાજ <----> પ્રાથમિક જરૂરિયાત સામાજિક ધોરણે સચવાઈ જતાં આગવી આવડત/તકનિક વિકસાવવાની તક/જરૂરીયાત.

આ બધો ઈતિહાસ બે રીતે ઉકેલી શકાયો:
• જીવાશ્મિ- ફોસીલ પરથી
• જીન પરથી 

૧૯૫૫ સુધી સમાજ અને જૈવશાશ્ત્રીઓ માનતા હતા કે માણસમાં ૨૪ જોડ ક્રોમોઝોમ છે. 
કારણકે ૧૯૨૧માં થીઓફેલસ પેઈન્ટરે 'આત્મવિશ્વાસ' સાથે પોતાના અવલોકનના પરિણામ તરીકે એમ કહ્યું/લખ્યું હતું. 
૨૪ ક્રોમોઝોમની આ વાત એટલી તો સ્વિકારાઈ ગયેલી કે જેમને જુદા જુદા સંશોધનોમાં ૨૩ જોડ ક્રોમોઝોમ દેખાયા એમણે પોતાને ખોટામાની સંશોધન આગળ ના ધપાવ્યાં.
માણસના પૂર્વજ એપ- બધા પ્રકારનામાં ક્રોમોઝોમની ૨૪ જોડ છે. 

છેક ૧૯૫૬માં- જો તીજો અને આલ્બર્ટ લેવાંએ , લગભગ ૩૦ વર્ષ પછી તે સમયની વધારે સારી સવલતો સાથે એ જોયું કે ક્રોમોઝોમની જોડ તો ૨૩ છે. 
ખરાઈ કરવા એમણે જૂનાં પુસ્તકોમાં ફોટા જોયા- ફોટામાં ૨૩ ક્રોમોઝોમ હતા પણ નીચે લખાણમાં ૨૪ લખેલા. 

પણ, આપણી દાદી તેની જે બહેનથી છૂટી પડી તેણે નાના સમૂહમાં રહેવાનું થયું અને એ નાના જૂથે જીવન ટકાવી રાખવા, આગળ વધારવા જે અનુકુલન - ઉપર શરૂઆતમાં નોંધ્યા છે તેવાં- કરવાનાં થયાં, તેના કારણે બે ક્રોમોઝોમે જોડાવું પડ્યું. 

આ બધું આપણા જનીનોમાં 'લખેલું' છે.
તે જોડાયેલો ક્રોમોઝોમ તેને સગવડ પૂરતો આપણે કહીએ છીએ ક્રોમોઝોમ ૨. 



ભાગ ૧: https://interact-6aya.blogspot.com/2024/05/blog-post.html


તા.ક. : ચાલતાંચાલતાં ઓડિયો બુક વંચાય ત્યારે અટકીને પેન્સિલથી નોંધ કરવાની, પ્રશ્નાર્થ કે ઉદ્ગાર કરવાની તકનિકી સગવડ હજી ઉપલબ્ધ નથી થઈ ત્યારે થયું કે જે વાંચ્યું/સાંભળ્યું તેમાંથી જેટલું પલ્લે પડે એટલું લખી લઈએ. આ ચોપડી બે વાર વાંચેલી, એકવાર સાંભળીને હવે ચોથી વખત વાંચું છું - રિડલીના અર્થસભર કટાક્ષ ને શબ્દજૂથ મને ડાર્ક ચોકલેટનો સવાદ આપે છે. તથ્યો મરડાય નહીં એનું ધ્યાન રાખીને લખું છું છતાં, આ, ચોપડી આંખ સામે રાખીને કરેલો અનુવાદ નથી.


12.5.24

ક્રોમોઝોમ ૧ - જીવન

ક્રોમોઝોમ ૧ 

જીવન

બાઈબલના ગોસ્પેલ ઓફ જોનમાં છે: શરૂઆતમાં શબ્દ હતો. અને તે ઈશ્વર સાથે હતો. અને તે શબ્દ ઈશ્વર હતો. 


એથેઈસ્ટ મેટ રિડલી આ કોઠાસૂઝને પોતાના 'શબ્દો'માં આગળ વધારે છે: શરૂઆતમાં શબ્દ હતો. તેણે તેના સંદેશાથી દરિયાનું ધર્માંતરણ કરી નાખ્યું, થાક્યા વગર, અનંતકાળ સુધી પોતાની નકલો બનાવતાં રહીને. શબ્દે શોધી કાઢ્યું કે રસાયણોને કેમ કામમાં લેવાં જેથી અવ્યવસ્થાના વહેણમાં નાનકડા તંતુને તે જીવાડી શકે. શબ્દે જ આ ભૂમિને ધૂળિયા નરકમાંથી લીલુંછમ સ્વર્ગ બનાવી. શબ્દ ખીલ્યો અને છેવટે એવો તો બુદ્ધિશાળી બન્યો કે તેણે ગાઢી રાબ કહેતાં માનવ મગજ બનાવ્યું; એ ગાઢી રાબે શબ્દ શોધ્યો અને તેના હોવા અંગે સભાન બની.--- જ્યારે જ્યારે હું આ વાત વિચારું છું ત્યારે ત્યારે મારી ગાઢી રાબ બઘવાઈ જાય છે. 

(તા.ક. રિડલી જેવા લેખકો સંદર્ભ ખચિત લખતા હોય. તે જ્યારે ધર્માંતરણ કે રાબ જેવા શબ્દ વાપરે ત્યારે એના સંદર્ભ વિજ્ઞાનથી માંડી થિઓલોજીમાં ઝૂલતા હોય. રિડલી ધર્મના ખૂબ મોટા ક્રિટીક - વિરોધી રહ્યા છે. )

જીવન વૃક્ષ કહેતાં ટ્રી ઓફ લાઈફ કે માનવ વંશાવળીનું રેખાચિત્ર આપણે મોટાભાગે ખોટું જોયું છે - એક થડમાંથી નીકળતી શાખાઓ વાળું. આપણે હકિકતમાં ઘણાબધા પૂર્વજોના અનુભવો પછી 'ઊભા' થયા છીએ.

જીવન એકમાંથી અનેક થયું છે એ વાત એક રીતે સાચી હોવા છતાં આપણે જાતભાતનાં જીવોના વારસો છીએ તે પણ એટલું જ સાચું છે. 

આપણે બધા સાથે એક એવા તંતુથી જોડાયેલા છીએ જેનું કામ છે લગભગ પોતાના જેવો જ જીવ પેદા કરી જવો અને પોતાના જીવનમાં વ્યવસ્થા કેળવવી. 

શ્રોડિન્જરના શબ્દોમાં - જીવન એટલે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા પીનાર. 

જેમના 'વ્હોટ ઈઝ લાઈફ' પ્રવચનોથી પ્રેરણા મેળવનારામાંથી નોંધપાત્ર સંખ્યામાં નોબેલ જીતનારા બહાર પડ્યા તે શ્રોડિન્જર જીવનને માત્ર ક્વોન્ટમ ફિઝિક્સ સમજવાની ભૂલ કરી બેઠા.  

એવી જ રીતે કેનેડિયન કેમિસ્ટ એવરી જીવનના તંતુને માત્ર રસાયણ ધારી બેઠા. 

બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મનીનો તોડ શોધવામાં ગણિતજ્ઞ કાર્યરત એલન ટુરીંગે કહ્યું - અંકની મદદથી અંકની ગણતરી કરી શકાય. 

અને અમેરિકામાં ક્લાઉડ શેનને કહ્યું કે માહિતી (ઇન્ફોર્મેશન) અને અવ્યવસ્થા(એન્ટ્રોપી) એક સિક્કાની બે બાજુ છે- ઊર્જા સંદર્ભે. એક મશીનમાં ઓછી એન્ટ્રોપી મતલબ તેમાં માહિતી વધારે છે અને એટલે તે ઊર્જા વાપરી શકે, ઊર્જાનું રૂપાંતર કરી શકે છે. 

ટુરિગ અને શેનનના અભ્યાસ કે વિચારના દાયરામાં 'જીવન' કહેતાં બાયોલોજી નહોતું પણ એમની સૂઝ પેલા તંતુને સમજવાની નજીક હતી. 

વિશ્વભરની સંસ્કૃતિઓમાં ઈંડામાં મરઘી, બીજમાં વૃક્ષ જોવાના સંદર્ભો જોવા મળે છે. પણ, એના બંધારણની શોધ વોટસન, ક્રિક, વિલ્કિન્સન અને ફ્રેંકલિને કરી. 

ડી.એન.એ. 
જીવનની માહિતી.

શબ્દ બ્રહ્મ.

જીવનને ટકાવવા, આગળ વધારવા જરૂરી પ્રક્રિયાઓ કરવી (મેટાબોલિઝ્મ) અને જીવન વિષયક માહિતી સાચવવી (રેપ્લિકેશન).

ત્રણ અખ્ખરની ગૂંથણીથી બનેલી કુંતલાકાર, દાદર જેવી રચના. 

જીવનનું રહસ્ય એટલી સરળ ભાષામાં લખાયેલું છે -- a, c, g, t એમ ચાર જ અક્ષર વડે -- કે બહું ઓછાં લોકો તેનું અનુમાન કરી શક્યા.‌  

જેમાંના એક તે એરસમસ ડાર્વિન 

દાદુ ચાર્લ્સ ડાર્વિનના દાદા.
કવિ, ફિલોસોફર ને દાક્તર. 
છેક ત્યારે પ્રશ્ન કરી ગયેલા -- દરિયાના પેટાળથી માંડીને ભૂખંડે વિસ્તરેલા જૈવ વિસ્તારમાં એકસમાન તંતુ છે!

આપણા ર૩ ક્રોમોઝોમને મોટેથી નાના એમ ક્રમમાં ગોઠવીએ તો જે સૌથી મોટો છે-જેને સગવડ પૂરતું ક્રોમોઝોમ ૧ નામ આપીએ- તેના મોટા હાથમાં ૧૨૦ શબ્દોનો એક સમૂહ છે જે બીજા નકામા શબ્દો વચ્ચે પૂનરાવર્તિત થયા કરે છે. આ 'શબ્દ' , આ નાનકડો પણ લગભગ સૌથી વધારે સક્રિય જીન સતત આરએનએમાં પરિવર્તન પામે છે અને કેટલીક પ્રક્રિયાઓ પછી રાઈબોઝોમમા પહોંચે છે -તે 5SrNA રાઈબોઝોમના બંધારણને ટકાવી પ્રોટિન બનાવવાની પ્રક્રિયા માટે મહત્વના છે. 

જીનનું કામ છે પ્રોટિન બનાવવાનું અને પ્રોટિનનું કામ છે ડીએનએની નકલ કરવાનું. રસોયા અને રેસિપી જેવું.

તો પહેલાં શું આવ્યું - પ્રોટિન કે ડીએનએ?
પેલો પહેલો શબ્દ શું - પ્રોટિન કે ડીએનએ?

આપણા જીવન તંતુનો પહેલો શબ્દ ડીએનએ નહીં, આરએનએ છે -- કેમકે પોતાની અદ્લ નકલ કરવાનું કામ એ કરતું આવ્યું છે. પણ, આરએનએની મર્યાદા છે કે તે ટૂંકા જ રહી શકે, મોટા થવા જતા એની ભાષા ગરબડાઈ જાય છે અને એવી બીજી કેટલીક સાબિતીઓ છે જેના પરથી ખાતરી પૂર્વક કહી શકાય કે આપણા બધાંના જીવનને જોડતો એક તંતુ તે આરએનએ છે.


28.10.22

ગ્લો દા વિન્સી

ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. તેના પર પડતાં સૂર્યના પ્રકાશને કારણે આપણે તેને જોઈ શકીએ છીએ. જે રીતે વાત કરતી વખતે જો સામેની વ્યક્તિના ચહેરા પર પ્રકાશ પડતો હોય તો તે પ્રકાશ તેના ચહેરા પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે અને આપણને તે ચહેરો દેખાય. 

આ થઈ પુનમ. 
પુનમે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એવા ત્રિકોણીય આકારે ગોઠવાય છે કે સૂર્ય વડે ચંદ્રનો જેટલો ભાગ પ્રકાશિત થાય છે, તેટલો ભાગ આપણને દેખાય છે.
જેમ પૃથ્વી પર દિવસ રાત છે તેમ ચંદ્રના અડધા ભાગ પર જ સૂર્ય પ્રકાશ હોય, બાકીના ભાગ પર રાત હોય.

પણ, ધારો કે, સામેની વ્યક્તિ કરતાં અનેકગણા તેજસ્વી વ્યક્તિથી આપણી આંખ અંજાયેલી છે તો? પેલા મહાતેજ સૂર્યની હાજરીમાં બીજા તારા નથી દેખાતા, બેશક તે અનેકગણા વધારે દૂર છે તે પણ ખરું, તો પછી જેનો પ્રકાશ ઉછીનો છે તે ક્યાંથી દેખાય?

આ થઈ અમાસ.
અમાસ વખતે પણ ચંદ્રનો એટલો જ ભાગ પ્રકાશિત હોય છે જેટલો પૂનમે હોય, અડધો. પણ ત્યારે પૃથ્વી માટે સૂર્ય અને ચંદ્ર એક દિશામાં હોવાથી ચંદ્ર દેખાતો નથી. 

બપોર પછીના સમયે ચંદ્ર જોયાનો અનુભવ તમને હશે જ. મોટાભાગે અમાસ પછીના દિવસોમાં આમ થાય છે. ચંદ્ર જાણે પશ્ચિમથી પૂર્વ તરફ ખસતો હોય એમ પ્રકટે છે. 

કારણકે, અમાસ પછી ક્રમશઃ સૂર્ય અને ચંદ્રના અવકાશમાં હોવાના સમયમાં અંતર વધતું જાય છે. 
અમાસે સૂર્ય, ચંદ્ર લગભગ એકસાથે.
પૂનમે સૂર્ય ચંદ્ર લગભગ સામસામે છેડે- પશ્ચિમ, પૂર્વ.
આઠમે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લગભગ ૯૦°નો ખૂણો.
અને આ દરેક વખતે ચંદ્રનો અડધો ભાગ સૂર્યથી પ્રકાશિત છે, અદ્લ પૃથ્વીની જેમ. બસ, આપણા ત્રણનું સ્થાન એકબીજાની સાપેક્ષે બદલાય છે અને ચંદ્ર કળા કરે છે.

પૂનમે હોય તેટલો દરરોજ પ્રકાશિત હોવા છતાં એકમથી ચૌદસના ચંદ્રની ફાડમાં કેમ રોજ બદલાવ આવે છે? 

ચંદ્ર જો પૃથ્વીના ઓછાયામાં આવવાને કારણે એમ થતું હોય તો ચંદ્ર ગ્રહણ થયું કહેવાય. 

વળી, એકમથી🌒 માંડીને ચૌદશ🌔 સુધી ચંદ્રના પરિઘનો ચાપ ક્રમશઃ વધતો જાય તે સાથે તેનો કેન્દ્ર તરફનો પ્રકાશિત ભાગ આપણા દ્રશ્ય પટમાં ઉમેરાતો પણ જાય છે. પુનમથી અમાસ દરમિયાન તેથી ઉલટું 🌕, 🌔, 🌓, 🌑 .   

પિત્ઝાના ટૂકડા કરીએ તો કેન્દ્ર તરફ લંબાતા ત્રિકોણીય ભાગ જેવો દેખાવાને બદલે ચંદ્રનો ભાગ અંદરથી પણ ચાપ માર્યો હોય તેવો - અજવાળીયા વખતે પરિકરની અણી પરિઘ પર મૂકીને અંદરની તરફ અને અંધારિયા વખતે કેન્દ્રથી બહારની ધાર તરફ ચંદ્ર ગોળાઈમાં કેમ દેખાય છે?

કારણકે ચંદ્ર (વર્તુળ નથી) લગભગ ગોળ છે, સૂર્ય, પૃથ્વી અને અવકાશના મોટાભાગના પદાર્થોની જેમ. 

અને ગોળ પદાર્થ આવી જ રીતે કળા કરે.

ફરીથી : ચંદ્ર દરેક સમયે પુનમે હોય એટલો પ્રકાશિત હોય છે. પૃથ્વીની જેમ, અડધો.
ફરીથી, અમાસથી શરૂ કરીએ.
અમાસે ચંદ્ર અને સૂર્ય લગભગ સાથે ઉગે. તેથી સૂર્યના તેજમાં ચંદ્ર દેખાય નહીં.
અમાસ‌ પછીની એકમે ચંદ્ર 🌙 આવો દેખાય. નારંગીની એક ફાડથીય પાતળો. પણ, નારંગીની ફાડની અંદરની તરફનો સીધો રેખાખંડ કેમ નથી દેખાતો અને અહીં અને તેના બદલે બે બહિર્ગોળ ચાપ કેમ દેખાય છે?

પૃથ્વીના ગોળાની આકૃતિ પર અક્ષાંશ રેખાંશ કઈ રીતે દોરવામાં આવે છે? 
(|) 
રેખાંશ વડે સમજીએ. શૂન્ય રેખાંશને ઊભા રેખાખંડ તરીકે લઈએ તો ૧૦° પૂર્વ રેખાંશ બહિર્ગોળ ચાપ મળે. આ ચાપ અંદરની તરફ શૂન્ય રેખાંશના સીધા રેખાખંડ સાથે બંને ધૃવ પાસે જોડાયેલો છે, અદ્લ નારંગીની ફાડ. પણ, નારંગીની ફાડ છૂટી પાડી હાથમાં લઈએ તેમ કાંઈ ચંદ્રના ટૂકડા કે પૃથ્વીના દસ રેખાંશ જેટલા ગચ્ચાને છૂટો પાડી શકાતો નથી. તેથી, આપણે જ્યારે પણ ચંદ્ર જોઈએ છીએ, આપણે તેની ગોળાકાર સપાટી જ જોઈએ છીએ. તે સપાટી ગોળાકાર હોવાથી તેની લંબાઈ અને પહોળાઈ સીધી રેખા તરીકે નહીં પણ બહિર્ગોળ ચાપ તરીકે જ મળે, દેખાય; નારંગીની તમારા હાથમાંની ફાડની બહારની સપાટી પરની ડાબી અને જમણી બાજુ જાણે. અથવા પૃથ્વીના ગોળા પર ૨૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ. (એમ તો ૦° થી ૧૦° પૂ.રેખાંશ પણ આમ બે બહિર્ગોળ ચાપ જેવા જ મળે. પણ શૂન્ય રેખાંશ આકૃતિમાં સીધી લીટી તરીકે દેખાતો હોવાથી અહીં તેને ટાળ્યો છે.)

બીજના ચંદ્ર તરીકે નારંગીની બે ફાડ એકસાથે લો (અને તેમની બહારની ગોળાકાર સપાટી ધારો) અથવા પૃથ્વીના ગોળાની આકૃતિ પર ૩૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ લો.
આ રીતે ક્રમશઃ ફાડ અને રેખાંશ વધારતાં જતાં આઠમે એટલે કે અડધી નારંગીએ કે ૧૮૦° પૂર્વ રેખાંશે પહોંચીશું ત્યારે (નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો) આપણને ચંદ્ર, નારંગી અને પૃથ્વીનો ચોથો ભાગ દેખાય.

અડધો કેમ નહીં?
પૃથ્વીના ગોળાની આકૃતિ એટલે ગોળાનો આપણી આંખ સામેનો ભાગ, એ તો ગોળાનું અડધિયું છે. બાકીનું અડધિયું તેની પાછળ છે. 

તેથી ઉલટું, નારંગીની ચોથા ભાગની ચીરીઓ સપાટી પર ગોઠવીએ તો અડધી નારંગીનો ભાસ આપે.
નારંગીની ફાડનો ઢગલો પણ સપાટીને સમાંતર ના ગોઠવતાં આગળ કહ્યું તેમ નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો અડધી નારંગી ગોઠવ્યા પછી પણ નજર સામે તો ચોથો ભાગ જ આવશે. 

આઠમે ચંદ્ર રોજની જેમ અડધો પ્રકાશિત હોવાનો, પણ આપણી આંખ સામે તેના અડધા પ્રકાશિત ભાગનોય અડધો ભાગ આવે છે. તે સમયે અપ્રકાશિત ભાગનોય (તે જ રીતે) ચોથો ભાગ આપણી આંખ સામે હોય છે, પણ તે અપ્રકાશિત હોવાથી દેખાતો નથી. હા, સારી નજરવાળાને કે ફોટો પાડીએ તો તેની આભા કળાય છે ખરી.

હવે નોમ, દસમના ચંદ્રની કળા જોઈએ. 
શૂન્ય રેખાંશથી ૧૮૦° પૂર્વ રેખાંશ પહોંચ્યા પછી પૂર્વ/જમણી તરફ વર્તુળને આગળ વધારવાની સીમા પુરી થઈ જાય છે. તે વર્તુળ પુરું કરવા હવે પશ્ચિમ/ ડાબી તરફ જ ચાપ મારવાનો થાય. તો, પૂર્વ/ જમણી તરફ ૧૮૦° રેખાંશનો ચાપ અને પશ્ચિમ/ ડાબી બાજુએ ૧૦°નો ચાપ હોય તેવી આકૃતિ ધારો. તે થયો લગભગ લગભગ નોમનો ચંદ્ર. 
આવું જ ઉમેરણ નારંગીમાં થશે.
આઠમ પછી ચંદ્રની કળામાં જે ઉમેરણ થશે તે - એકમથી સાતમ સુધી અંદરની તરફના ચાપ અને આઠમની લગભગ સીધી રેખાનું સામેની બાજુએ બહિર્ગોળ ચાપ આકારે થશે.

આમ, બીજી તરફ બહિર્ગોળ રીતે વધતાં જઈ વર્તુળ પુરું થશે.

આઠ કાળા, આઠ સફેદ કાગળ લઈ દરેકમાંથી એકસરખી ત્રિજ્યાવાળા વર્તુળ કાપી લો. અહીં સફેદ કાગળ તે ચંદ્રની સૂર્ય પ્રકાશ મેળવતી સપાટી એટલે કે દિવસ, કાળો ભાગ તે ચંદ્રની રાત. એક સફેદ કાગળ પર કાળો કાગળ એ રીતે ચોંટાડો જેથી એકમના ચંદ્ર જેટલો સફેદ કાગળ દેખાય. આમ કરતાં કાળા કાગળનો કેટલોક (એકમ જેટલો) ભાગ સફેદ કાગળની બહાર જશે. તે વધારાના ભાગને કાળજીપૂર્વક ફાડી લો. એકમના ચંદ્ર જેટલા તે કાળા ટુકડાને નીચેના સફેદ કાગળની પાછલી સપાટી પર બંધ બેસે તેમ ચોંટાડી દો. તમે જોશો કે તે સપાટી લગભગ ચૌદસના ચંદ્ર જેવી દેખાશે.

આ રીતે બીજથી આઠમ સુધીના ચંદ્ર બનાવતા જશો તો પાછળના ભાગે બીજ સામે તેરશ, પાંચમ સામે દશમ અને આઠમ સામે આઠમ મળશે. સફેદ કાગળ પર કાળો કાગળ ચપોચપ ચોંટાડી દેતાં એક તરફ પુનમ- ચંદ્ર દિવસ અને બીજી તરફ અમાસ-ચંદ્ર રાત જોવા મળશે.

આ પ્રવૃત્તિ એમ જોવામાં પણ ઉપયોગી બનશે કે દરેક સમયે ચંદ્રની અડધી સપાટી સૂર્ય પ્રકાશથી પ્રકાશિત હોય છે. આપણને દેખાય છે એટલી જેટલી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની કોણીય ગોઠવણ હોય.

આ પ્રવૃત્તિમાં તો આપણે ચંદ્રના અપ્રકાશિત ભાગને કાળા કાગળ તરીકે જોઈ શકીએ છીએ પણ નરી આંખે ચંદ્ર જોઈએ ત્યારે તે અંધારો, કાળો ભાગ દેખાતો નથી.

પણ, તમે જો ધ્યાનથી જોયું હોય તો, અમાસ પછીની ચોથ, પાંચમની આસપાસ પ્રવૃત્તિમાંનો કાળા કાગળવાળો ભાગ કળાય છે, ચંદ્ર 'આખો' દેખાય છે; ફોટો લઈએ ત્યારે તો ખાસ. અહીં આખો એટલે પૂનમે દેખાય તેવો નહીં, પણ સામાન્ય નજરે પ્રકાશિત દેખાતા ભાગની સાથે સાથે જે ભાગ પર સૂર્ય પ્રકાશ પહોંચ્યો નથી તે ભાગ પણ ઝાંખો પાંખો દેખાય છે, ખાસ તો તેની ગોળાકાર ધાર, પરિઘનો બાકીનો ભાગ. ફોટો લઈએ તેમાં તો આખી ગોળ થાળી જ આવે જેનો થોડો ભાગ પ્રકાશિત, મોટાભાગનો ઝાંખો દેખાય. 🌒

સૂર્ય પ્રકાશ જ્યાં પહોંચતો નથી, ચંદ્રનો તે ભાગ કઈ રીતે દેખાય? (લેખની શરૂઆતમાં આપેલું ચહેરો જોઈ શકવાનું ઉદાહરણ યાદ કરો.)

ચંદ્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી શકતો હોય તો પૃથ્વી કેમ નહીં?
અને એમ તો આપણે બધા ગ્રહ અને ઉપગ્રહ જોઈ શકીએ છીએ તે પણ પ્રકાશના પરાવર્તનના કારણે જ સ્તો! જે રીતે કાગળ પરનું લખાણ આપણને દેખાય છે તે જ રીતે.

આ ઘટનાનું નામ છે Earthshine અને Planetshine.

અમાસ પછી સૂર્યપ્રકાશિત ચંદ્રની ગોદમાં પૃથ્વીપ્રકાશિત ચંદ્ર ગોઠવાયો હોય તેવું લાગે છે તેને, lo and behold, દા વિન્સી ગ્લો પણ કહે છે. કારણકે, દાદુ દા વિન્સીએ પહેલીવહેલીવાર તે ઘટના 'સમજાવી' હતી. તેમની તે કોશિશમાં કેટલીક વૈજ્ઞાનિક ક્ષતિ હતી છતાં, એકંદરે પ્રકાશના પરાવર્તન બાબતે તેમની સમજ ઠીક ઠીક સાચી હતી.

ભેગાં ભેગાં વધુ એક વિગત જાણી લઈએ. અવકાશિય પદાર્થની પ્રકાશ પરાવર્તન કરવાની ક્ષમતાને અલબેડો કહે છે. ચંદ્રનો સામાન્ય અલબેડો ૦.૧૨ છે, જ્યારે પૃથ્વીનો ૦.૩. મતલબ કે ચંદ્ર પોતાને મળતા પ્રકાશના ૧૨%નું પરાવર્તન કરે છે જ્યારે પૃથ્વી ૩૦%. જો ચંદ્ર પર જઈ પૃથ્વીને જોઈએ તો પૂનમે દેખાતા ચંદ્ર કરતાં તે ૧૦૦ ઘણી વધારે પ્રકાશિત દેખાય. અલબેડો‌નું પ્રમાણ શૂન્યથી એક વચ્ચે નોંધાય છે. અવકાશીય પદાર્થનો અલબેડો ૧ કહેવાય જો તે સોએ સો ટકા સૂર્ય પ્રકાશનું પરાવર્તન કરતો હોય.

મે-૨૦૨૧ની ૧૧ અને ૧૨ તારીખે ચંદ્રનો ફોટો લેવા પ્રયત્ન કરજો. 'પૃથ્વીની' (ચાંદ-ની હોય તો આ પણ હોય ને!) પકડાશે. 

અને ચૂકી જાઓ તો તે પછીના શુક્લ પક્ષની ત્રીજ-ચોથ-પાંચમે અથવા તે પછીના...






આજે આણંદના આકાશમાં 

વિન્સીની સ્કેચબુક 









28.3.21

પ.૩ (૨૦) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મગજની ભાષા જનીન પર છપાતી નથી કારણકે જીવનનું શબ્દ ભંડોળ પાંખું છે.
મગજને એવી ભાષા જોઈએ જેના શબ્દ ભંડોળમાં ૧૦,૦૦૦ ઘણા શબ્દો હોય.
માનવ મગજની માહિતીને બીટ્સમાં ગણીએ તો ન્યુરોન્સના તમામ જોડાણ સાથે તેની સરખામણી થઈ શકે...લગભગ હજાર લાખ કરોડ બીટ્સ. 
માનવ મગજની બધી વિગતોને જો લખાણ સ્વરૂપે મૂકવામાં આવે તો વિશ્વના સૌથી મોટા પુસ્તકાલયોમાંના પુસ્તકો કરતાંય વધારે સંખ્યા થાય. તમારા મગજમાં ૪૦૦ કરોડ પુસ્તકો છે.

મગજ ખુબ નાની જગ્યામાં સંકોરાયેલો વિશાળ મહાલય છે.
પેલી દરિયાઈ માઈક્રોબીઅલ્સ સાદડીએ જેની શરૂઆત કરી તેવા ન્યુરોન્સમાં તે લખાયું છે.
એક મિલીમિટરના હજારમાં ભાગ જેવડા ન્યુરોન્સ ઈલેક્ટ્રોકૅમિકલ કળ/ચાવી છે. આપણા દરેકમાં 8600 કરોડ ન્યુરોન્સ છે, આપણી આકાશગંગામાં આવેલા તારાની સંખ્યા જેટલા લગભગ.
ન્યુરોન્સ અને તેના ભાગ, ઍક્સોન્સ, સિનેપ્સીસ અનેે તેમને સમાવતા  કોષ મળીને મગજમાં એક નેટવર્ક રચે છે. ઘણા ન્યુરોન્સને તેમના પાડોશી સાથે હજારો સંપર્ક સૂત્ર હોય છે. ડૅન્ડરાઈટ્સ, બીજા ન્યુરોન્સ સાથે જોડાવા ન્યુરોન્સે રચેલા પરિપથ, આ નર્વ કોષને સીનેપ્સીસ સુધી લંબાવે છે અને એમ કરતાં સભાનતાની વિશાળ ગૂંથણી રચાય છે.

મગજની ન્યુરોકૅમેસ્ટ્રી આશ્ચર્યજનક હદે વ્યસ્ત રહેતી હોય છે, માણસે બનાવેલા કોઈ પણ મશીન કરતાં ઘણું ઘણું વધારે. પેલા ૧૦,૦૦૦ લાખ ન્યુરોન જોડાણને કારણે મગજ કાર્યરત છે અને જેના કારણે તમે તમે છો. પ્રેમ અને અહોભાવ જેવી તમારી ઊંડી લાગણીઓ, જ્યારે તમને કુદરતના વૈભવની અને સભાનતાના બંધારણની બારીકાઈની ઝાંખી થાય છે...તે બધું પેલા જોડાણને કારણે છે.

પ્રાકટ્યનો અર્ક આ છે : પદાર્થના સૂક્ષ્મતમ કણ સામુહિક કામ કરીને પોતે જે છે તેના કરતાં અનેકગણી મહાન અભિવ્યક્તિ પામે છે, બ્રહ્માંડ પોતાને જાણી શકે તે માટે.
પ્રાકટ્ય અંગે એક દર્શન પણ છે, જે આથી પણ ઉચ્ચ છે.
શું આપણે બ્રહ્માંડને જાણીએ શકીશું?
અને શું તે આપણને જાણી શકશે?
આ બધી આકાશ ગંગાઓ, સૂર્ય મંડળો, અસંખ્ય ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, વ્યક્તિઓ અને તેમના અરમાન...જે કાંઈ હતું, છે કે હોવાનું છે તે?
શું આપણે બ્રહ્માંડને જાણી શકીશું?

મને શંકા છે કે આપણે મીઠાના એક કણને પણ જાણીએ છીએ કે કેમ.
રસોડામાં વપરાતા મીઠાનો એક માઈક્રોગ્રામ, સારામાં સારી દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ માઈક્રોસ્કોપ વગર જોઈ ના શકે... તે એક કણમાં સોડિયમ અને ક્લોરિનના દસની સોળ ઘાત જેટલા અણુ હોય છે.
તેનો અર્થ શું થયો?
તેનો અર્થ એમ થાય કે મીઠાના પ્રત્યેક કણમાં એક હજાર લાખ કરોડ અણુ છે. મીઠાના કણને બરાબર સમજવો હોય તો ઓછામાં ઓછું તે દરેક અણુનું ત્રિપરિમાણીય સ્થાન સમજવું પડે.
હકીકતમાં, બીજું ઘણું જાણવા જેવું છે... દાખલા તરીકે,અણુઓ વચ્ચેના બળોના ગુણધર્મ.
પણ, તે ફરી ક્યારેક.

મગજ કેટલું જાણી શકે?
ગણતરી કરીએ તો, બદધે બધા ન્યુરોન્સ, તેમના ડેન્ડ્રાઈટ્સ, ઍક્સોન્સ, સીનેપ્સીસ સાથે... આપણે સો લાખ કરોડ બાબતો જાણી શકીએ.
પણ, તે તો મીઠાના કણમાંના પરમાણુઓનો એક ટકા થયું!
એટલે કે, બ્રહ્માંડ પ્રચંડ છે, જ્ઞાન પ્રાપ્તિના માનવ ઉપક્રમ માટે અનેક અનેકગણું ગહન. આ તબક્કે તો આપણે મીઠાના એક કણને બરાબર જાણતા નથી, બ્રહ્માંડ તો દૂરની વાત છે.

પણ, ચાલો આપણા મીઠાના એક માઈક્રોગ્રામ કણને વધુ નજીકથી જોઈએ.
મીઠું એક સ્ફટિક છે. તેની જાળીદાર રચનામાંની કેટલીક ખામીઓ અવગણીએ તો, સોડિયમ અને ક્લોરિનના પ્રત્યેક પરમાણુનું સ્થાન પૂર્વ નિર્ધારિત છે. આપણે જો વામન બની તે સ્ફટિકમય દુનિયામાં ઉતરીએ તો આપણને જાળીદાર રચનાઓના પડ પર પડ જોવા મળશે... સોડિયમ, ક્લોરિન, સોડિયમ...
મીઠાના એક કણના પ્રત્યેક પરમાણુનું સ્થાન દસ બીટ્સ જેટલી માહિતી છે. આટલી માહિતી મગજ માટે ભારરૂપ નથી. મગજ પાસે હજી ઘણી જગ્યા વધે છે.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જે એવા પ્રાકૃતિક નિયમોની નિયમિતતાથી સંચાલિત છે જે રીતે મીઠાનો પેલો કણ અસ્તિત્વમાં છે. તો...
બ્રહ્માંડ જાણી શકાય છે.
ભલે તેના નિયમ અતિ સંકુલ હોય, આપણી પાસે તે જાણવાની તક છે ખરી.
બ્રહ્માંડની વાસ્તવિકતા આપણા મગજની માહિતી ક્ષમતા કરતાં વધારે હોય તો પણ.
આપણે શરીરની માયા છોડી વધારાની માહિતી સાચવવા કમ્પ્યુટર બનાવી શક્યા છીએ.
અને એમ, અમુક હદે આપણે બ્રહ્માંડને જાણી શક્યા છીએ.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જેને કોઈ નિયમ નથી અને જે સંપૂર્ણ પણે આપણી ધારણા બહાર વર્તે છે. તેવા બ્રહ્માંડમાં લગભગ દસથી માંડીને એંસી સુધીના મૂળભૂત તત્ત્વ હોઈ શકે. આવા બ્રહ્માંડના રહેવાસીની દિનચર્યા કોઈ નિયમિતતા વગરની અણધારી ઘટનાઓનો શંભુમેળો- ગોટાળો હશે. અને જો આવા રહેવાસીઓ હશે તો તેઓ ભારે જોખમમાં હોવાના. 

આપણે નસીબદાર છીએ કે આપણને એવું બ્રહ્માંડ મળ્યું છે જેના અગત્યના હિસ્સા જાણી શકાય તેવા છે.
બ્રહ્માંડ એ લોકોનું છે જેઓ છેવટે કંઈક અંશે તેને ઓળખી શક્યા છે.
કુદરતમાં એવા કેટલાક નિયમ, વ્યવસ્થા તારવી શકાયા છે- ફક્ત ગુણાત્મક નહીં, સંખ્યાત્મક રીતે પણ, તે જાણવું રોમાંચક છે.
પણ, આપણી અંદરના બ્રહ્માંડનું શું?
તે અજાણ એકલવાયા દરિયાનું?

તમારા દિમાગમાં, સેરેબલ કૉર્ટેક્સમાં સો લાખ કરોડ- ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦- જોડાણ છે. દ્રશ્ય બ્રહ્માંડની આકાશગંગાઓના સો ગણા. હજી તો આપણે તેમાં યાત્રા શરૂ કરી છે.

જેમ જીવ વિજ્ઞાનીઓ માનવ જનીનનો નકશો બનાવી શક્યા તેમ ન્યુરોસાયન્ટિસ્ટ્સ આપણા દરેક માટે આગવો, ખાસ નકશો બનાવવામાં લાગેલા છે.
તેને કનેક્ટોમ કહે છે.

આપણે જો સાચે જ બીજી વ્યક્તિના કનેક્ટોમને- તેની તમામ સ્મૃતિ, વિચાર, ડર, ખ્વાબ... ના એકતારીય ચિત્રને- જાણીએ તો...

આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીશું?
શું આપણે કોઈ જીઓવાન્નીના દિમાગને તેની અગણિત તકલીફોમાંથી મુક્ત કરી શકીશું?
શું આપણે આપણા એક કનેક્ટોમને આ઼તરતારકિય ખોજ માટે ભવિષ્યમાં મોકલીશું, કે પછી તેવા કનેક્ટોમનું સ્વાગત કરીશું?

શું તે જ અંતિમ પ્રાકટ્ય હશે- વિચાર અને સપનાંથી સંકળાયેલું બ્રહ્માંડ?

અંક ૧૯: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_21.html

21.3.21

પ.૩ (૧૯) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મોસેનુ઼ં કામ આગળ લઈ જઈ હાન્સ બેર્જર બતાવવા માંગતો હતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે.
તેની શરૂઆત એક વિચિત્ર અકસ્માતથી થઈ.
હાન્સ બેર્જરનું સપનું હતું ખગોળ વિજ્ઞાની બનવાનું. પણ, તે ઘણું અઘરું હતું. તેથી ૧૯૮૨માં તે જર્મન સેનામાં ભરતી થઈ ગયો. એક વખત મોતના મોંમાંથી બચી જતાં બેર્જર હચમચી ગયો. પણ તેથીય ભારે ખળભળાટ તો રાત્રે થયો...તેના પિતા- જેમનું વલણ ટાઢુંબોળ રહેતું અને જેમણે અગાઉ ક્યારેય તેને સંદેશો નહોંતો મોકલાવ્યો- તરફથી ટેલીગ્રામ આવ્યો હતો. બેર્જરની મોટી બહેન એવી આશંકાથી છળી મરી રહેલી કે તેના નાનકા ભાઈ સાથે કશુંક ભયાવહ થયું છે.
'એ શું શક્ય છે...' બેર્જરને નવાઈ લાગી 'કે જે ક્ષણે પોતે મોતના મુખમાં હતો, પરિવારમાં પોતે જેની સૌથી નજીક હતો તેવી બહેનને પોતાના મગજે  કોઈ ટૅલીપથીક સંદેશો મોકલ્યો હોય?'

બેર્જર દાક્તર બન્યો અને જેના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર પણ.
દિવસ દરમિયાન તે વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે કામ કરતો- જેમને લાગતું કે બેર્જર વધારે પડતો ફોર્મલ અને વૈજ્ઞાનિક સાહસ વિનાનો છે. પણ રાત્રે તે એક ખાનગી પ્રયોગશાળામાં જતો જ્યાં તે મગજની પ્રવૃત્તિઓ બાબતે પ્રયોગો કરતો.
બેર્જર માનતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે તેમ સાબિત કરવાની આ શ્રેષ્ઠ તક છે. તેને ડર હતો કે તેના સંશોધનનો સાચો હેતુ જાહેર થશે તો લોકો તેના પર હસશે.
તેણે વીસ વર્ષ સુધી આ વાત સંતાડી રાખી. 

બેર્જરે બનાવેલા ઈલેક્ટ્રોઍન્સેફલોગ્રાફ વડે મગજના સંદેશાના તરંગ પકડી શકાય છે અને ઘણા માનસિક રોગ- ખેંચ સહિત-નું નિદાન કરી શકાય છે.
માનસિક શક્તિ અથવા ટૅલીપથીક સંવાદની કોઈ સાબિતી તેને ક્યારેય મળી નહીં.
બેર્જર ઘેરી હતાશામાં સરી પડ્યો અને ૧૯૪૧માં તેણે પોતાની ખાનગી પ્રયોગશાળામાં ગળેફાંસો ખાઈ લીધો.
EEG આજેય વપરાય છે, જો કે, બેર્જરના સાધન કરતાં અનેક ઘણી વધારે ચોકસાઈથી મગજની પ્રવૃત્તિઓ જોવાના, નોંધવાના વિકલ્પો હવે આપણી પાસે છે. આપણે હવે વિચારોની ઈલેક્ટ્રોકેમિકલ ભાષા ઉકેલી શકીએ છીએ.

ઍન્જેલો મોસોએ જીઓવાન્નીના સપનાના ઇલેક્ટ્રિક તરંગ નોંધ્યા તેના બરાબર સો વર્ષ પછી, નવીસવી પ્રેમમાં પડેલી સ્ત્રીના મગજના તરંગ વોયેજર નામક આંતર તારકિય યાન સાથે મોકલવાના સંદેશાઓમાં શામેલ કરવામાં આવ્યા, આકાશગંગામાં અબજો વર્ષની યાત્રાએ.

ઘોડાગાડીથી આંતર તારકિય યાન સુધીની યાત્રા- માત્ર સો વર્ષમાં.

ટેલિગ્રામથી શરું કરીને પ્રકાશની ઝડપે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા, આપણી ઊંડી લાગણીઓ ભવિષ્યમાં પહોંચાડવી...
આપણે આવો હનુમાન કુદકો કંઈ રીતે લગાવી શક્યા?
અને શા માટે આપણે જ- પૃથ્વી પર ધબકેલા, ધબકતા અગણિત જીવોમાંથી?
આફ્રિકાના સવાનામાંથી નીકળેલા પ્રાઈમેટ્સના વંશજોએ મંગળ ગ્રહના લાલ રણમાં રોબોટિક જાસૂસો મોકલ્યા છે, પૃથ્વી ફરતે કુત્રિમ ઉપગ્રહોની હારમાળા રચી દીધી છે. આપણું એક યાન, વૉયેજર વન, સૂર્યના ગુરુત્વાકર્ષણથી છટકીને આંતર તારકિય અવકાશના ઊંડાણમાં જઈ રહ્યું છે.

અને, આ બધી જ શોધયાત્રાઓની શરુઆત થઈ છે મગજમાં.
આપણી રહસ્યમયી પ્રાપ્તિઓ જેના થકી શક્ય બની છે તે જ આપણને કેમ સમજાતું નથી?
માન્યામાં ના આવે પણ આપણું મગજ એ જ તત્વોનું બનેલું છે જેનાથી આપણું પેટ કે પગ બનેલા છે.

સભાનતા પ્રકૃતિ પારની જણાય છે.
ઓળખ, આશ્ચર્ય, શંકા, કલ્પના, પ્રેમ...

આવર્ત કોષ્ટક પરથી આપણે શ્રેષ્ઠતાનું સંકલન કઈ રીતે થાય?

ચીલી અને પેરુના દરિયાઈ પટ્ટીમાં એક સાગરને તળીયે જઈ જોઈએ. અહીં પૃથ્વી પરનું કદાચ સૌથી મોટું જૈવિક તંત્ર છે. તે છે માઈક્રોબ્સની વસાહત, ગ્રીસ જેટલા વિસ્તારમાં. પણ, તેના કદ કરતાંય બીજી એક જબરજસ્ત બાબત છે તેમાં : આ વસાહતના પૂર્વજો દર્શાવે છે મગજના ઘડતરનો પ્રાથમિક તબક્કો.
આ વસાહતના કેન્દ્રમાં રહેતા માઈક્રોબ્સ ભૂખ્યા થાય ત્યારે તેઓ વસાહતની સરહદો પર રહેતા નાગરિક-માઈક્રોબ્સને ઈલેક્ટ્રોકૅમિકલ સંદેશા મોકલે છે. આ સંદેશા આયોન ચૅનલ નામે ઓળખાતા રસ્તે જાય છે. જાણે કે સ્પાર્ટાથી મોકલાયેલો સંદેશો પોટેશિયમના કેસરીયા તરંગ તરીકે ઍથેન્સ પહોંચે : બધું ઝાપટી ના જશો!

જવાબમાં વસાહતના સીમાડાના માઈક્રોબ્સ પોષક તત્ત્વોની પોતાની ખપત ઘટાડે.

શક્ય છે કે આ માઈક્રોબ્સના પૂર્વજોએ આ વિશીષ્ટ પ્રકારના સંદેશાવ્યવહાર માટે ન્યુરોન/ ચેતા કોષ ઉત્ક્રાંત કર્યા હોય.

પ્રાણી સૃષ્ટિના લગભગ તમામ જીવોમાં  ન્યુરોન/ ચેતા કોષ ચેતાતંત્રનો પ્રાથમિક એકમ છે. એક પ્રજાતિથી બીજી પ્રજાતિના ચેતા કોષોમાં લગભગ નહીંવત્ તફાવત જોવા મળે છે. પણ, તેમની સંખ્યામાં તે ફેરફાર નોંધપાત્ર રીતે મોટો છે.
હાલ એવું મનાય છે કે એક સમયે દૈવી રોગ ગણાયેલ ખેંચ એ આયોન માર્ગોની મગજમાં ખોટી રીતની દોટ છે.

જરા વિચારો : એક માઈક્રોબીઅલ ચાદર અને આઈઝેક ન્યુટન લાખો, કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ વડે જુદા પડે છે. છતાં, બંનેનું મૂળભૂત વૈચારિક પરિબળ એક જ છે. ૪૦૦ કરોડ વર્ષ પહેલાં માઈક્રોબ્સે વિકસાવેલ સંદેશાવ્યવહાર વ્યવસ્થા હજી પણ આપણી ભીતર છે. ત્રણસો કરોડ વર્ષ પહેલાં તે માઈક્રોબ્સને જોનાર કોઈએ પણ ભવિષ્ય નહીં ભાખ્યું હોય કે એક કોષી જૈવિક વ્યવસ્થામાંથી વિકસીને માણસ બનશે.

જૈવિક તંત્રો અને પર્યાવરણ વચ્ચે સદીઓ સુધી આદાન પ્રદાન થાય ત્યારે આવું થાય. જીવનના, જીવન જીવવાના અને સભાન થવાના નવા વિકલ્પો ઉઘડે.

જુદા-જુદા ભાગના સરવાળા કરતાં આખું માળખું મોટું થઈ જાય તેને કહે છે પ્રાકટ્ય.

ઘણા ઘણા વર્ષો, લગભગ ૬૦૦૦ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવને કાંઈક જુદું જ ઉત્ક્રાંત કર્યું, એક કમાન્ડ સેન્ટર જે તેના પર્યાવરણને ઓળખે અને તેની સાથે પ્રત્યાયન કરે - મગજ.

એવી ધારણા છે કે મગજ સૌ પહેલાં ફ્લૅટ વૉર્મ/ પટ્ટી કીડામાં બન્યું.
તે વખતે મગજ એટલે એક શિકારીને જરૂર પડે તેવું અંગ- શિકાર શોધવા અને આક્રમણના આયોજન માટેનું. બાયનોક્યુલર જેવી દ્રષ્ટિ મળતાં પટ્ટી કીડાને આસપાસની ચીજો તથા ઊંડાઈના પરિમાણ અંગે સ્પષ્ટતા સાંપડી- શિકાર ઝડપવાની વધુ તક.
પટ્ટી કીડાના મગજમાં ચેતાકોષોનાં બે સઘન જાળાં હતાં - ગેન્ગલીઆ.
તેમાંથી નીકળતા દોરડાં/તાર સૂચનાઓ અને સંવેદનાઓને શરીરના બીજા ભાગોમાં પહોંચાડતા- ૮૦૦૦ ન્યુરોન/ ચેતાકોષની મદદથી. પાછળથી ઉત્ક્રાંત થયેલા જીવોની સરખામણીમાં નગણ્ય, પણ એક નોંધપાત્ર શરૂઆત.
માયાના જે ભાગે કાનનહોવા જોઈએ તેવી જગ્યાએ પટ્ટી કીડામાં ઑરીસીઈસ છે- એક પ્રકારનું નાક. દેખાવમાં તે આપણી સાથે કોઈ મેળ ખાતું નથી પણ તેની અને આપણી વચ્ચે ઘણી સામ્યતા છે.  આપણા બેઉંમાં એક સરખા રસાયણો છે- ન્યુરોટ્રાન્સમિટર નામે ઓળખાતા. આપણે એક સરખા વ્યસનના બંધાણી છીએ : પટ્ટી કીડા શીખી શકે છે. પોતાના પર્યાવરણની માહિતી પર પ્રક્રિયા કરી તેઓ અનુકુલન તરફી વર્તન કરે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેઓ એવું પહેલું પ્રાણી છે જેનું શરીર આગળ, પાછળના ભાગમાં વહેંચાયેલું હોય, જેને માથું હોય - શરીર રચનાનું એવું આદર્શ માળખું છે ૬૦૦૦ કરોડ વર્ષ પછી પણ સાંપ્રત હોય.

અને તેઓ ખરા અર્થમાં કેડી કંડારનારા હતા. 
તેમની પહેલાંના જીવો કરતાં અલગ, જે જોઈતું હોય તે શોધવા અજાણ જગ્યાઓએ રખડવાની ટેવ તેમણે કેળવી હતી.

પટ્ટી કીડા રસપ્રદ છે. પણ, તેમના અને આપણા મગજમાં મોટો તફાવત છે.
ત્યાંથી અહીં સુધી આપણે કઈ રીતે પહોંચ્યા?
ચોક્કસ ખબર નથી.
કારણકે મગજ પોચું, ભેજવાળું હોય છે.
જીવાશ્મિઓમાં તેમની છાપ સચવાઈ નથી.
પણ, મગજ પોતે પોતાના ભૂતકાળને સાચવીને બેઠું છે.
કેમ?
કારણકે મગજ એક મહાનગર જેવું છે.
દુનિયાના મોટાભાગના મહાનગરો આડેધડ, ટુકડે ટુકડે વિકસ્યાં છે- જે તે સમયની જરૂરિયાતને પહોંચી વળવા. ભાગ્યે જ કોઈ શહેર ભવિષ્યના આયોજન સાથે બનાવાયું છે.
જેમકે, ન્યુયોર્ક શહેરની કેટલીક ગલીઓ સત્તરમી સદીની છે, સ્ટોક એક્સચેન્જ ૧૮મી સદીનું, વૉટર વર્કસ અને ઈલેક્ટ્રિક વ્યવસ્થા ૧૯મી સદીનાં અને સંદેશાવ્યવહાર ૨૦મી સદીનો. 

મહાનગર એક મગજ જેવું છે : તે એક નાનકડા કેન્દ્ર તરીકે શરું થાય છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે, બદલાતું જાય છે, ઘણા જૂના પૂર્જા જેમના તેમ કાર્યરત રાખીને.

અદ્યતન વ્યવસ્થા અમલી બનાવવા શહેરની પાણી કે વિજળીની ગોઠવણ રોકી ના શકાય. ફેરફાર ટુકડે ટુકડે જ થાય છે.
મગજ બાબતે પણ એમ જ છે.
મગજના જૂના રાચરચીલાનું ઘડતર અધકચરું હોવાથી તેને ફેંકી દેવું ઉત્ક્રાંતિને પોસાય નહીં.
મહાનગર અને મગજ બંનેએ રિનોવેશન દરમિયાન પણ કામ કરતાં રહેવું પડે.
તેથી જ આપણી લીમ્બિક સીસ્ટમ સેરેબ્રલ કોર્ટેક્સથી વિંટળાયેલી છે.
જૂનો ભાગ બધી અગત્યની વ્યવસ્થાઓ સંભાળે છે તેથી તેને એકદમ બદલી ના શકાય.
તેથી, ઘણી વાર તે કાંઈક ઉલટું જ કરે છે.
પણ, તે તો ઉત્ક્રાંતિની આડ પેદાશ છે.
મહાનગર એ સેરેબ્રલ કોર્ટેક્સની ભેંટ છે.


લેખ ૧૮: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_14.html

14.3.21

૫. ર (૧૮) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

૧૯મી સદી

બ્રોકા માનવતાવાદી હતો. તે એવા તારણ પર પહોંચ્યો હતો કે મગજના બંધારણ બાબતે આપણો આપણા પ્રાણીજ પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. તેણે પોતાની યુવાનીમાં મુક્ત વિચારસરણીવાળા વ્યક્તિઓનું સંગઠન બનાવેલું. સંશોધન બાબતે કોઈ રોકટોક ના હોવી જોઈએ તેમ તે દ્રઢપણે માનતો હતો. પોતાના તે ઉદે્શ માટે તેણે જીવનભર કામ કર્યું.

છતાં, બ્રોકા સુદ્ધાં તે સમયના સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી અંજાયેલો હતો. તે માનતો હતો કે  સ્ત્રી કરતાં પુરુષો અને બીજા તમામ વર્ણના લોકો કરતાં ગોરા લોકોની બૌદ્ધિક ક્ષમતા વધારે છે. બ્રોકાનું ઉદાહરણ એ વાતની સાબિતી છે કે તેના જેવા માનવતાવાદી, મુક્ત સંશોધનના હિમાયતી પણ પ્રાદેશિક મતાગ્રહથી ગ્રસ્ત થઈ શકે છે.

સમાજ તેના શ્રેષ્ઠ ફરજંદને બગાડે છે.
નવીનતમ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ સહમત ના થાય તે સ્વિકારી શકાય. પણ, સમાજનો મોટો વર્ગ જૂનવાણી માન્યતાઓને વળગી રહે તે દુઃખદ છે. દુઝતી અનિશ્ચિતતા વચ્ચે પ્રશ્ન ઊઠે કે  આપણા સમયની કઈ અવધારણાને પછીની પેઢી માફી યોગ્ય પણ નહીં ગણે?

બ્રોકાએ પહેલીવાર પ્રસ્થાપિત કર્યું કે શરીર રચના અને તેના કાર્ય વચ્ચે સંબંધ છે. પણ, જેને ભાન, બુદ્ધિ કે ચેતના કહીએ છીએ તેનું મૂળ ક્યાં?
સ્વપ્ન કયા પદાર્થનાં બનેલાં છે? તેમને તો બરણીમાં ભરી શકાતાં નથી!


પ્રાચીન ઇજિપ્તવાસીઓએ અંધારી રાતે આકાશમાં જોયું અને તેમને તેમાં આકાશગંગાની દેવી નુટ-ના શરીરનો ભાગ દેખાયો. તેઓ માનતા હતા કે સ્વપ્ન જોતી વખતે વ્યક્તિ આ જીવન પછીના જીવનમાં પ્રવેશે છે. તેથી, સ્વપ્ન જોવાને તેમણે એક વિધિનુ‍ં સ્વરૂપ આપ્યું, ભવિષ્યમાં શું છુપાયેલું છે તે જાણવાનો રસ્તો અથવા દેવતાઓને સંદેશો પહોંચાડવાનો માર્ગ. શ્રધ્ધાળુ તો સ્વપ્ન મંદિરની જાત્રા કરતા. સ્વપ્ન માર્ગ માટે પોતાને તૈયાર કરવા તેઓ એકાંતમાં રહેતા, શરીર અને મનને શુદ્ધ કરવા ઉપવાસ કરતા. ચોક્કસ દેવતાને સંબોધીને પ્રાર્થના લખી, બાળી નાખતા. તેનો ધુમાડો પ્રાર્થનાને દેવતા સુધી પહોંચાડશે એમ માનીને. કાશ આપણે ઈજિપ્તના ડૅન્ડેરા મંદિરમાં જોવાયેલાં સ્વપ્ન ઉકેલી શકતા!

તમને કાલે રાત્રે શું સ્વપ્ન આવ્યું હતું?

આપણી ઊંઘ અને જાગૃતિને છૂટી પાડતી પળ બાબતે પુરાણા ઈજિપ્શીયનો રોમાંચિત હતા.  તેઓ માનતા કે સ્વપ્નમાં આપણે સાચે જ કોઈ બીજા પ્રદેશમાં પહોંચીએ છીએ અને સ્વપ્નો વાસ્તવિક, હકીકત છે.
ઝાંખા પાંખા સપનાની ઝીણી ઝીણી વિગતો બીજી કઈ રીતે સમજવી?

ડૅન્ડોરા મંદિરમાં સ્વપ્ન જોનારાઓના ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમય પછી એક એવો વૈજ્ઞાનિક આવ્યો છે એમ માનતો હતો કે સભાન અને અનભિજ્ઞ વિચારોમાં કશીક તો વાસ્તવિકતા છે, કે સ્વપ્ન એટલી વાસ્તવિક બાબત છે જેને રેકોર્ડ કરી શકાય. તેણે એમ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. બગડેલાં મગજ અને વેરવિખેર સ્વપ્નો જ્યાં હોય તેવી જગ્યાએ- ઈટાલીના તુર્કીમાં આવેલ મૅનીકોમીઓ દૅ કોલેગ્નો. ૧૭મી સદીમાં મૉનેસ્ટ્રી તરીકે બંધાયેલ તે જગ્યા ૧૮૫૦માં માનસિક ઉપચાર માટેની હૉસ્પિટલમાં તબદીલ થઈ હતી. પાછલા કેટલાક દશકથી તે બંધ છે.

તે સ્થળે ઍન્જેલો મોસોએ સ્વપ્ન અને વિચારોને લગતા પ્રયોગો કર્યા.
મજૂર વર્ગમાં જન્મેલા ઍન્જેલોએ વૈજ્ઞાનિક બનવા સખત મહેનત કરેલી. તેના શરૂઆતનાં સંશોધન દવા બનાવવા અને શરીર રચનાને લગતાં હતાં. અને તે તમામનો હેતુ મજૂરો, ગરીબોના જીવનને બહેતર બનાવવાનો હતો. વિજ્ઞાન થકી કામ કરવાની સ્થિતિમાં સગવડો અને સુધારા લાવી શકાય છે તેમ તે માનતો.
એવા સમયે, જ્યારે કોઈ સગવડ કે સંરક્ષણ વગર માણસો મોતના મોમાં જઈ કામ કરતા, મોસોએ ઈર્ગોગ્રાફ વિશે વિચાર્યું અને તે સાધન બનાવ્યું.  લોકોનો થાક માપતું તે સાધન તેણે એટલા માટે બનાવ્યું જેથી અતિશય શારીરિક શ્રમને કારણે ઊભી થતી તાણ માણસના શરીર અને મન પર શું અસર કરે છે તે પ્રયોગાત્મક રીતે દર્શાવી શકાય.

મોસોના મત પ્રમાણે 'નીચોવાઈ જવું'  તે શારીરિક તેમજ માનસિક સ્થિતિ છે, માણસના ચારિત્ર્યની ખોટ કે નબળાઈ નથી; શરીરનું કહેણ છે- પોતાને ઈજા પહોંચે તે પહેલાં જે કામ કરી રહ્યા છો તે કામ અટકાવી દેવાનું.

મોસોએ તર્ક લગાવ્યો કે ડરની જેમ  થાકનો પણ કોઈ ઉત્ક્રાંતિમૂલક ફાયદો છે. આ વાતનું નિદર્શન કરવા મોસો એવું કોઈ સાધન બનાવવા માંગતા હતા જે શરીરમાં લોહીના પ્રવાહને નોંધી શકે.

એક સંતુલિત ટેબલ પર વ્યક્તિને સુવડાવવાનો, ટેબલ સાથે નળાકાર સાધન એ રીતએ ગોઠવેલું કે જેના સરકવાથી તેની સાથે જોડાયેલ કિત્તો લોહીના પ્રવાહની નોંધ કરે. મૅડીકલ ઈમેજિંગનો પાયો નાખનારું સાધન. 

હૃદયની ગતિની તો નોંધ કરી શકાઈ પણ મગજની ગતિનું શું? ખોપડીમાં રહેલા મગજના સૂક્ષ્મ ગણગણાટને કેવી રીતે નોંધવો?

તે માટે કોઈ વ્યક્તિની ખોપડી ખોલવી પડે!
ગ્લોવાન્ની થ્રોન બે વર્ષનો હતો ત્યારે ખુબ ઊંચેથી પડતાં તેનું માથું એવું ભાંગ્યું હતું કે તેની ખોપડીનો અમુક ભાગ દૂર કરવો પડેલો. તે છોકરાને પાછળથી અવારનવાર, ભારે તીવ્ર ખેંચ આવતી. દિકરાનો રોગ ચેપી છે એમ માનીને તેના માબાપે પાંચ વર્ષની ઉંમરે તુરીનની મૅનીકોમીઓ દૅ કૉલેગ્નો હૉસ્પિટલમાં ભરતી કરી દીધો. ત્યાં તેની સ્થિતિ બદતર થતી ચાલી. તેને થયેલી ખતરનાક ઈજાના પરિણામે તેના મગજ સુધી પહોંચવાની બારી ખુલ્લી હતી. 

મોસોએ એટલું સંવેદનશીલ સાધન બનાવ્યું જે મગજમાં વહેતા લોહીના પ્રવાહને નોંધી શકે.

પણ, ગ્લોવાન્નીની સ્થિતિ એવી હતી કે તે ઊંઘતો હોય ત્યારે જ મોસો તેનો અભ્યાસ કરી શકે.
"રાતના અંધકારમય સન્નાટામાં, ગાઢ નિદ્રામાં સરેલા મગજની અંદર શું ચાલી રહ્યું છે તે જોવું, એક જબરદસ્ત અનુભવ હતો. દસથી વીસ મિનિટ સુધી મગજનો ધબકાર એકદમ ધીમો અને એકધારો રહ્યો. અને પછી, કોઈ બાહ્ય કારણ વગર, અચાનક મગજમાં સોજો જણાયો અને ધબકારાની ઝડપ ખુબ વધી ગઈ.

તે દુઃખી છોકરો આરામમાં હોય ત્યારે શું સ્વપ્ન તેને ચપટી સુખ આપવા આવતાં હતાં? કે તેની માતાનો ચહેરો કે બાળપણની સુખદ યાદ તેની સ્મૃતિમાં ચમકતી હતી- તેના બૌદ્ધિક અંધારાને રોશન કરીને તેના મગજને આવેગથી ધબકાવી નાખનારી યાદ? કે પછી તેનું દિમાગ પોતાને સંકોરી રહેલું?"

બરફવર્ષાવાળી તે રાતે ઍન્જેલો મોસોએ મગજને પેન પકડાવી, પોતાના વિશે લખવા માટે.
તેણે ન્યુરો ઈમેજિંગની શરૂઆત કરી અને બતાવ્યું કે ઊંઘમાં પણ મગજ ધબકે છે, જીવનની રસમના તેજ તણખા ઊંઘમાં પણ ઝબકે છે, સ્વપ્ન તરીકે, યાદ તરીકે, કોઈ ગોઠવણ તરીકે. આપણા વિચાર, કલ્પના, સ્વપ્ન...તે બધાના મૂળ કોઈ વાસ્તવિકતામાં છે.

તે ઘટનાના ત્રણ મહિના પછી રક્તદોષને કારણે ગ્લોવાન્ની કાયમ માટે ઊંઘી ગયો. હજી તે પુરા બાર વર્ષનો નહોંતો.

ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઍન્જેલો મોસોના કામથી પ્રેરાઈને બીજી એક વ્યક્તિએ તે કામને મોટા પાયે આગળ લઈ જવાનું નક્કી કર્યું.


લેખ ૧૭: https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_7.html

7.3.21

પ.૧ (૧૭) : બ્રહ્માંડિય દિમાગના જોડાણો

આપણે બ્રહ્માંડને જાણી- સમજી શકીએ?

આપણું મગજ બ્રહ્માંડને તેની તમામ સંકુલતા ‌અને ભવ્યતા સહિત સમજી શકવા સક્ષમ છે?
તેનો જવાબ ખબર નથી.
કારણકે આપણું મગજ પણ બ્રહ્માંડની જેમ જ એક રહસ્ય છે.
આપણા મગજના પ્રોસેસિંગ યુનિટ્સ (પ્રકિયક એકમો) -ની સંખ્યા લગભગ લગભગ ૧,૦૦૦ આકાશગંગાના કુલ તારાઓ જેટલી છે. લગભગ  ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ પાછળ પંદર શૂન્ય) જેટલાં.
અને શક્ય છે કે પ્રોસેસિંગ યુનિટ્સનો સાચો આંકડો તેના કરતાં દસ ગણો વધારો હોય.

આપણા મગજની અંદર ઝાંકીએ.
જાણે છે રસાયણો અને વિધૃત બળોના કૅટેગરી- પ પ્રકારના વાવાઝોડાની વચ્ચે. આ તોફાન કોઈ ચેતવણી વગર આવે છે, ધમાલ મચાવી દે છે અને માથાનો અસહ્ય દુઃખાવો લાવે છે. પણ, તેમાં જ આ નાનકડા બ્રહ્માંડની કળ રહેલી છે.

અજીયન દરિયાના ટાપુ કોસ પર રપ૦૦ વર્ષ પહેલાંના સમયે જઈને જોઈએ. આ વાર્તા વિચારના ઈતિહાસમાં હનુમાન કુદકો છે. માનવ મન પર છવાયેલા રહેનારા સૌથી શક્તિશાળી ભ્રમ સૌથી પહેલાં આ સ્થળે તોડવામાં આવેલો.

ધારોકે, તમે એવા મા-બાપ છો જેમને એક જ સંતાન હોય. તે તમારા જીગરનો ટુકડો છે. તેના બુદ્ધિના ચમકારા તમારા મિત્રોનેય નવાઈ પમાડે છે, અભિભૂત કરે છે.
પણ, કશીક ગરબડ છે.
તેના મગજમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે...
પેલીયસ! બેટા પેલીયસ!
રપ૦૦ વર્ષ પહેલાંના ગ્રીસમાં દવા હતી - કોઈ એક દેવતાને વિધિ કરીને શાંત કરવાથી વાઈ(ખેંચ)ના હુમલા મટાડી શકાય છે તેવી તિલસ્મી માન્યતા.
જ્યારે ગ્રીક કે બીજી સંસ્કૃતિના લોકો આવી વિધિ કરતા ત્યારે કેટલાક દર્દી સાજા થઈ જતા- ખેંચ અમુક સમય પુરતી આવતી હોવાના કારણે અથવા જે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કારણે. પણ, દર્દીઓ અને તેમનાં સગાં વહાલાં માટે તો જાણે વિધિ સ્વિકારીને દેવતા શાંત થયા હતા.
અને દર્દી મૃત્યુ પામે ત્યારે?
દેવતા એટલા ગુસ્સે, નારાજ છે કે કંઈ જ કરી શકાય એમ નથી.

વિચારવાની આ રીત માનવજાતની મહાન આવડત અને નબળાઈ, ભાત- પૅટર્ન ઓળખવી -ની ઉપર નિપજ હતી. આ કિસ્સામાં ખોટી ભાત ઓળખવી.

વાઈ એ દેવતાઓના ગુસ્સાનું પરિણામ છે તેવી માન્યતા કારણોના આંતર સંબંધો અંગેની મૂંઝવણ અને માણસ જ્યારે સ્થિતિનો ઉકેલ લાવી શકવા અસમર્થતા અનુભવતો હોય ત્યારે વાસ્તવિકતાને અવગણીને ઉઠતી ઉકેલ માટેની ઈચ્છામાંથી ઊભી થયેલી હતી.

અહીં કહેવાનો અર્થ એમ નથી કે તે સમયના ગ્રીકો પાસે વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનાવેલી દવાઓ નહોંતી.
પણ, વાઈ- ખેંચ જેવા રહસ્યમય રોગ માટે તેઓ ફક્ત ધૂપ અને પ્રાર્થના કરતા.
તેમને તો એવો ખ્યાલ પણ નહોતો કે તે રોગનો મગજ સાથે કોઈ સંબંધ છે.

અને આવ્યો હિપોક્રેટસ.
બિમારી અને ઘાનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો છે તે ધારણા તેણે ફગાવી દીધી.
તેણે લખ્યું : તબીબે દર્દીના આખા શરીર, તેના ભોજન અને વાતાવરણને તપાસવું.  શ્રેષ્ઠ તબીબી તે છે જે બિમારીને થતી અટકાવે. કુદરતી કારણ વગર કશું થતું નથી.

ફક્ત આટલા માટે પણ તેને આરોગ્ય ક્ષેત્રનો પિતામહ કહી શકાય.
તબીબો માટે આચારસંહિતા ઘડી કાઢવાનો યશ પણ તેને અપાયો છે.
આજે પણ તબીબો  ઈસ પૂર્વે ત્રીજી સદીમાં તેણે રચેલું મનાતું સોગંદનામું લઈને જ કાર્ય ક્ષેત્રમાં ડગ માંડે છે.

ભાન, ચેતના એ મગજમાં રહેલી છે એમ પહેલાં વહેલાં સમજી, જાહેર કરનારાઓમાંનો હિપોક્રેટસ એક હતો.

અત્યારે માનવામાં ના આવે પણ તે સંકલ્પના તે સમયે ક્રાંતિકારી હતી. તે સમયે પ્રચલિત સમજ એમ હતી કે આપણે હૃદયથી વિચારીએ છીએ. (આજે પણ કહેવતોમાં, ચબરાકિયા સુવિચારોમાં તે છાપ સચવાયેલી છે.)
અને તે તબક્કે હિપોક્રિટસે વિજ્ઞાનના ઈતિહાસમાં સૌથી મહાન ભવિષ્ય વાણી કરી.
હિપોક્રિટસે સારવ્યું કે તે અને તેના સમયના લોકોને વાઈનું શારીરિક કારણ ખબર નથી એટલે તેઓ તેને 'દૈવી રોગ' કહે છે.

તેણે લખ્યું : જ્યારે આપણને રોગનું કારણ ખબર પડી જશે, આપણે તેને દૈવી માનવાનું છોડી દઈશું.

પેલો બાળક શાપિત નહોતો, તેના મગજના વાયરિંગમા઼ કોઈ ગરબડ હતી. આપણે જ્યાં સુધી તેનો ઈલાજ દેવતાઓની મુનસફીમાં શોધતાં રહ્યા, તે બાળકને કે પોતાને આપણે કોઈ મદદ કરી શકવાના નહોંતા.

આ વાતને હજારો વર્ષ થયાં છતાં મગજ હજી પણ રહસ્ય જ રહ્યું છે.

ઈસા પૂર્વે ૪૨૦ વર્ષ અને ૧૯મી સદી વચ્ચેના સમયગાળામાં બ્રહ્માંડ વિશેની આપણી સમજ કૂદકને ભૂસકે વધી. આપણે પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને આપણે જાણ્યું કે આપણો સૂર્ય અનેક સૂર્યો ધરાવતી આકાશગંગાનો એક ભાગ છે. અને છતાં, હિપોક્રિટસના ર૩૦૦ વર્ષ પછી પણ આપણે શરીરના તે ભાગ વિશે લગભગ કશું જ જાણતા નથી જે ભાગના કારણે આપણે બ્રહ્માંડને જાણીએ, સમજીએ છીએ.

કહીં શકાય કે મગજ વિશે હકિકતમાં આપણે કશું જ જાણતા નથી.

મગજનો અભ્યાસ  'ફ્રિનેલૉજી' નામના છદ્મ વિજ્ઞાન તરીકે ખોટકાઈ પડ્યો, જેમાં માણસની ખોપરીના આકાર પરથી તેની બુદ્ધિમત્તા અને વિશ્વસનીયતાની ધારણા કરવામાં આવે છે. તેની પાછળ પાછળ ખોપડી માપવા- મપાવવાનું ગાંડપણ આવ્યું.
ભાષા ક્ષમતા દાઢના હાડકાની ઉપર અને વૈવાહિક વફાદારી કાનની પાછળ- આવા તૂત ચાલ્યાં.
અને
અનાશ્ચર્યજનક રીતે યુરોપના ફ્રિનેલૉજીસ્ટસે 'શોધ્યું' કે યુરોપિયનોની ખોપરીઓ વૈશ્વિક ખોપરી કદના શ્રેષ્ઠતમ સ્તરની છે.

મગજ અને મનના જોડાણને લગતી પહેલી વહેલી સાચી સમજ ૧૮૬૧માં ફ્રાન્સમાં ઊભી થઈ. તે સમયે પૅરિસની બિસથ(Bicêtre- અર્થ: અસ્પતાલ) સાઈકિઆટ્રી અસ્પતાલ આધુનિક સગવડોવાળી હતી. ગાંડા અને માનસિક વિકલાંગોના ઈલાજમાં માનવીય હસ્તક્ષેપ કરનારી સત્તરમી સદીની તે પહેલી અસ્પતાલ હતી. ત્યાંના દાક્તરોમાં સર્જન પૉલ બ્રોકા તેમની કોઠાસૂઝ પ્રેરિત ઈલાજ માટે વખાણાતા હતા.

ટૅન...
તે દર્દીનું નામ હતું લુઈસ લેબોર્ગન. પણ, બધા તેને 'ટૅન' કહેતા કારણકે તે ત્રીસનો થયો પછીથી આ એક જ શબ્દ તે બોલ્યો હતો. તે વખતે તેને એકાવન વર્ષ થયેલા. 
ટૅનને વાઈના હૂમલા બાળપણથી આવતા. પણ, તેણે જ્યારે 'ટૅન' બોલવા સિવાયની બધી ભાષાકીય ક્ષમતા ગુમાવી દીધી ત્યારે તેને બિસથમાં દાખલ કરવામાં આવ્યો. અને હવે, બિચારો ટૅન મરણપથારીએ હતો. તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું અને શરીરમાં ગૅન્ગ્રિને પગપેસારો કરી દીધેલો.

ટૅનનો મામલો ગંભીર બન્યો તે પહેલાં બ્રોકા મગજના ચોક્કસ ભાગ વિશે ધારણાઓ કસી રહેલા જે ભાગ સ્મૃતિ અને બોલવાની ક્ષમતા બાબતે કદાચ જવાબદાર હોઈ શકતો હતો. મરણાસન્ન દર્દી વિશે બ્રોકા શક્ય બધું જ જાણવા માંગતો હતો, જેવી રીતે કોઈ પોસ્ટ મોર્ટમ પરથી જાણવા મળતું હોય છે.
આપણને ખબર નથી કે ખેંચને કારણે ટૅનના મગજના કોઈ ભાગને નુકસાન પહોંચ્યું હતું કે બાળપણમાં થયેલી કોઈ અજાણ ઈજાના કારણે, જેના લીધે પાછળથી તેની બોલવાની શક્તિ પર અસર પડી. 
પણ...
ટૅનના બદનસીબને કારણે પહેલીવાર બ્રોકા તારવી શક્યા - મગજનો તે ભાગ -આ કિસ્સામાં નુકસાન પામેલો મગજનો વિસ્તાર- અને તેનું વિશિષ્ટ કાર્ય- ભાષા ઉપયોજનની ક્ષમતા.

તેનું ઈનામ? આપણા મગજનો તે ભાગ ત્યારથી 'બ્રોકાસ એરિયા' તરીકે ઓળખાય છે.

બ્રોકા જેના નિયામક હતા તે નૃવંશશાસ્ત્ર સંગ્રહાલયના એક ઓરડામાં, એક બરણીમાં બ્રોકાનું મગજ આજેય સચવાયેલું છે; જ્યાં કબાટોની છાજલીઓ ઉપર છાજલીઓમાં ગુનેગારો અને જઘન્ય ખૂન કરનારાઓનાં મગજની સાથે સાથે  ઓગણીસમી સદીમાં પ્રજાને મંત્ર મુગ્ધ કરનારા અસામાન્ય બૌદ્ધિક દિમાગ પણ સચવાયેલાં છે.


1.3.21

૪.૪ (૧૬) વાવીલોવ

"સોવિયેત સંઘ સાથે કોઈપણ પ્રકારની દગાબાજી કર્યાનો હું ઈન્કાર કરું છું. મારો ગુનો, કદાચ, વૈજ્ઞાનિક મંતવ્ય ભેદ છે."

જડસુ આદર્શવાદીઓને કેમ તોડવા તે વાવીલોવના વિરોધીઓ જાણતા હતા. દિવસ-રાત, ૪૦૦ વખત તેની 'પુછતાછ' કરાઈ, કુલ ૧૭૦૦ કલાક. વાવીલોવ તૂટી ગયો ત્યાં સુધી. અટકાયતના એક વર્ષ પછી તેને ગોળી મારી દેવાની સજા થઈ. મૃત્યુ દંડ આપવાના સ્થળે તેને મહિનાઓ સુધી રાખવામાં આવ્યો.

અંધારું જ્યારે અત્યંત ઘેરું હતું ત્યારે વધું ઘેરું અંધારું ઉતરી આવ્યું.

હિટલરે સ્તાલિન સાથેની સંધી તોડી અને ભારે સંખ્યામાં જર્મન સૈનિકો અને ટેંકો રશિયાને જીતવા ઉતર્યા.

પણ, લેનિન ગાર્ડ (હાલનું સેન્ટ પિટ્સબર્ગ) પરનો હૂમલો અત્યંત ક્રુર હતો. 

તે આખી દુનિયાના જનીન વારસાને એકત્ર કરી સાચવી રાખનાર જગ્યા હતી. ખેતીની શરૂઆત થઈ, છેક તે સમયનાં બીજ.

સ્તાલિનને સમજાયું નહોતું, પણ હિટલરને સમજ હતી કે તે બેશકિમતી ખજાનો છે.

સાથીદારોને ખબર નહોતી કે વાવીલોવ જીવીત છે કે કેમ. તેમણે નક્કી કર્યું, "આ સંજોગોમાં વાવીલોવ જે કરતો, તે આપણે કરીશું."

જો શહેર પર જર્મનીનો ઘેરો લાંબો ચાલે તો રશિયનો ભૂખે મરવાના. તે મકાનમાં કેટલાક ટન બીજ હતાં, ખાદ્ય પદાર્થ. યુદ્ધનું ગાંડપણ શમે ત્યાં સુધી તે બીજને સાચવી રાખવાનું વાવીલોવના સાથીદારોએ આયોજન કર્યું.

ઈતિહાસમાં કોઈ વૈજ્ઞાનિક જૂથે આવી ક્રૂર કસોટીમાંથી પસાર થવાનું નથી થયું. માણસ ભાંગી પડે તે હદે સુધી તેઓ ધકેલાયા તેમ છતાં તેઓ ભાંગી પડ્યા નહીં.

૧૯૪૧ની ક્રિસમસના દિવસે જ તે શહેરમાં ચાર હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામેલા. તે પછી પણ હજાર દિવસ સુધી લેનિન ગાર્ડ હિટલરના સૈન્યના ઘેરાવા હેઠળ રહ્યું. તાપમાન ઋણ ચાલીસ ડિગ્રી હતું અને શહેરનું સમગ્ર વ્યવસ્થા તંત્ર પડી ભાંગેલું. હિટલરને લાગતું હતું કે 'માત્ર થોડોક વધુ સમય અને તે શહેર ઘૂંટણીયા ટેકવી દેશે. કોઈ શહેર આવી દુઃખદ સ્થિતિમાં લાંબુ ટકી શકે નહીં.'

સ્તાલિનને હર્મિટેજ સંગ્રહાલયના કળા વારસાની ચિંતા હતી. પણ, હિટલર પૅરિસના લુવ્ર સંગ્રહાલયનો કબજો કરી ચૂક્યો હતો.

વાવીલોવનો ખજાનો સ્તાલિનની ચિંતાનો મુદ્દો જ નહોંતો. પણ, હિટલરને તેનું મૂલ્ય ખબર હતી.

હિટલરે એક ખાસ જાસૂસી જૂથને વાવીલોવનો ખજાનો શોધી, હસ્તગત કરવાનું કામ સોંપ્યું હતું, જેથી હિટલરના મહાત્વાકાંક્ષી થર્ડ રેઈચ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.

શહેરના બોટોનિસ્ટને દિવસની બે બ્રેડના રાશન પર ટકવાનું હતું. અને છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.

બીજી તરફ, વાવીલોવને બીજા સ્થળે ખસેડાયેલો. "ચોપ્પન વર્ષ થયાં મને, છોડ ઉછેરનો મને ઘણો ઘણો અનુભવ અને જ્ઞાન છે. તે હું દેશ સેવા માટે વાપરવા માગું છું. તમને હાથ જોડું છું, ભીખ માગું છું, મને જે કામ આવડે છે તે કરવા દો, ભલે નિમ્નતમ સ્તરે." વાવીલોવ કરગરતો રહ્યો પણ કોઈ જવાબ ના આવ્યો.

તેના દેશે તેને મારી નાખવાને બદલે વધારે ક્રૂર સજા કરવાનું નક્કી કરેલું- જે વ્યક્તિ દેશમાંથી ભૂખમરાને દૂર કરવા મથતો હતો તેને ધીમે ધીમે ભૂખથી મારવાનું.

લેનિન ગાર્ડમાં બીજા ૮,૦૦,૦૦૦ લોકો ભૂખથી મરણ પામેલા.

સપ્ટેમ્બર ૧૯૪૧થી જાન્યુઆરી ૧૯૪૪ સુધીના જર્મન ઘેરાવા વચ્ચે લેનિન ગાર્ડ ટકી રહેલું.

દિવસની બે બ્રેડ પણ મળવી બંધ થયે ખાસો સમય થયેલો અને વાવીલોવના બીજ ખજાનાના સંરક્ષકોએ ભૂખે મરીનેય તે સાચવવાનું ઠેરવેલું.

બૉટોનિસ્ટ ઍલેકઝાન્ડર સ્ત્ચૂકીન, સીંગ દાણાનો નિષ્ણાત.

લીલીયા રોડિના, ઓટ્સ નિષ્ણાત.

દિમિત્રી ઈવાનોવ, ચોખાનો નિષ્ણાત.

બૉટોનિસ્ટ ભૂખે મર્યા પણ તેમણે બીજ ખજાનાને હાથ લગાડ્યો નહીં.

અને પ્રોટિન લીસેન્કોનું શું થયું? તે પછી પણ બે દસકા સુધી તેણે સોવિયેત ખેતી અને જીવ વિજ્ઞાન પર પકડ જાળવી રાખી. છેવટે, રશિયાના સુખ્યાત એવા ત્રણ વૈજ્ઞાનિકોએ તેના સ્યુડો સાયન્સની જાહેરમાં ટીકા કરી.

અને વાવીલોવનો ભાઈ, સર્ગેઈ, ભૌતિક વિજ્ઞાની? સ્તાલિને તેને સોવિયેત ઍકેડેમી ઑફ સાયન્સીઝનો ચૅરમેન બનાવેલો.

સ્તાલીનના મૃત્યુ પછી સ્તાલિન અને લીસેન્કોની જોડીએ રશિયાને કરેલા નુકસાનની વાતો થવા લાગી અને ત્યારે નીકોલાઈ વાવીલોવ વિશે ફરી એકવાર જાહેરમાં ચર્ચા શરૂ થઈ.

તેણે સ્થાપેલ બીજ સંગ્રહાલયને તેનું નામ અપાયું, જે આજે પણ છે.

તેના જ કારણે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડી વૉલ્ટ પૃથ્વીની ટોપી જેવા ભાગમાં જમીનમાં ઊંડે સચવાયેલો છે. તેમાં પીસ્તાળીશ લાખ પ્રકારનાં બીજ સાચવવાની સગવડ છે.

તો...વાવીલોવના સાથીદારોએ તે બીજ સંગ્રહમાંથી એક દાણો પણ કેમ ન આરોગ્યો? બે વર્ષ સુધી રોજે રોજ ભૂખે મરતા દેશવાસીઓને તેમણે તેલીબિયાં, બટાકા અને બીજાં બીજ કેમ ના આપ્યાં?

તમે આજે જમ્યા?

જો 'હા' તો તમે કદાચ વાવીલોવના ખજાનાને સાચવતાં ખપી ગયેલા બૉટોનિસ્ટોએ સાચવેલા બીજનું જ કોઈ આનુવંશિક ફળ આરોગ્યું હશે.

કાશ, આપણું ભવિષ્ય તે લોકોને મન હતું તેટલું કિંમતી આપણા માટે  પણ હોત!

 

અંક ૧૫: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_21.html

21.2.21

૪. ૩ (૧૫) : વાવીલોવ (૨૦૨૦)

 રશિયન શિયાળામાં તાજા લીલા વટાણા? સાચે જ?

"ઉઘાડા પગે રખડતા ટ્રોફીમ લીસેન્કો જો કહે તો સાચું હોય."

ના કોઈ વિશ્વ વિદ્યાલય કે પ્રયોગ શાળા, ના શતાવરી જેવા પ્રાચીન ખાદ્ય પદાર્થની શોધમાં વિદેશ યાત્રાઓ. ટ્રોફીમ સંશોધન કરતો રશિયન ખેતરોમાં, ખેડૂતની જેમ. અને તેના કારણે જાન્યુઆરીમાં રશિયનોને લીલા વટાણા મળવાના હતા.

એક તરફ જૉસેફ સ્તાલિન પોતાના રાજકીય વિરોધીઓની પદ્ધતિસર કતલ કરી રહેલો, બીજી તરફ તે રશિયન ખેતીને ભારે ફટકા મારી રહેલો, આધુનિક બનાવવા; જેનું પરિણામ ભયાવહ આવ્યું. વધારે સમૃદ્ધ ખેડૂતો કે જેઓ કુલાક નામે ઓળખાતા, સ્તાલિને તેમને એક વર્ગમાં ઢાળી દીધા. લગભગ પચાસથી સો લાખ લોકો ભૂખભરાનો ભોગ બન્યા.

ટ્રોફીમ લીસેન્કોએ તે દુઃખદ ઘટનાને એક તક બનાવી. વાવીલોવના જ્ઞાન અને પ્રસિદ્ધિ લીસેન્કોને અકળાવતાં અને કોઈ સાપની જેમ તે તાકી રહેલો. છેવટે, તેની ઈર્ષ્યાનું ઝેર સંહારનું કારણ બનવાનું હતું.

મધ્ય એશિયા પહોંચેલો વાવીલોવ ગાર્ડન ઑફ ઈડન શોધતો હતો, કારણકે પહેલાં વહેલાં સફરજન ત્યાં થયેલાં. દરેક બીજ જ્યાં પહેલાં વહેલાં પાંગર્યું તે સ્થળની શોધમાં વાવીલોવ આખી દુનિયામાં રખડતો હતો. દરેક બીજના નમૂના એકઠાં કરી તેમને સંભાળપૂર્વક સાચવી લેવા. વર્ષો પછી તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે રશિયા બદલાઈ ગયેલું. તે ભયંકર દુષ્કાળમાં સપડાયેલું હતું. ક્રાંતિ પ્રેરિત આશાવાદ હતાશા અને નિરાશામાં પલટાઈ ગયેલો.

ત્યારના લેનીનગાર્ડ શહેરમાં વાવીલોવે સ્થાપેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી પાસે જનીનીક માહિતીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો હતો. તેના સાથીદારો પ્રત્યેક બીજને તારવીને તેનું વર્ગીકરણ કરી રહેલા. પ્રત્યેક ભૂખ્યો રશિયન તેમની જવાબદારી હોય એવી ખંતથી તેઓ કામ કરી રહેલાં.

લીસેન્કો સ્તાલિન પાસે પહોંચ્યો. " કૉમેરેડ, દેશની સુરક્ષા બારામાં અગત્યની વાત મારે તમને કહેવી છે. વૈજ્ઞાનિકો જૂઠ ફેલાવી રહ્યા છે. ડાર્વિન, મૅન્ડેલ, વાવીલોવ, બધા. તેઓ કહે છે કે જિરાફની ડોક એટલા માટે લાંબી નથી કે તે ઊંચા વૃક્ષના પાંદડા ખાઈ શકે. તેમનું કહેવું છે કે કોઈ કાલ્પનિક, અદ્રશ્ય તત્ત્વ જેને તેમણે જનીન નામ આપ્યું છે, તેમાં તેવા જ અજાણ્યા કારણોથી એવા ફેરફાર આવે છે કે જે જિરાફને પોતાની ડોક લાંબી કરવા પ્રેરે છે."

"કાલ્પનિક બાબતોમાં હું માનતો નથી." સ્તાલિને કહ્યું.

"વાવીલોવ જ્યારે સુવેનિયર શોધવા દુનિયામાં ફરી રહેલો ત્યારે રશિયા માને જેની જરૂર છે તેવો રસ્તો શોધી કાઢ્યો છે. આકરા શિયાળામાં પાકે તેવાં ઘઉંની જાત.  પણ, તેને અમલમાં મૂકવા મને છૂટો હાથ મળવો જોઈએ, કોઈ જૂનવાણી જિનેટીક્સની દખલ વગર."

સ્તાલિન તેની વાતમાં કેમ આવી ગયો? કેમકે, તે તેવી વાત માની લેવાની ઉતાવળમાં હતો.

લીસેન્કો એક નકામી ઠેરવી દેવાયેલ- ૧૯મી સદીના નેચરાલીસ્ટ જીન-બાપ્ટિસ્ટ લેમાર્કની સંકલ્પના પર દાવ માંડીને બેઠેલો. તે માનતો કે સજીવે મેળવેલા લક્ષણો, જેમકે જિરાફની ડોક, તે પછીની પેઢીને વારસામાં મળે જ છે.

તે એ સમજવામાં થાપ ખાઈ ગયો કે કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને જરાક લાંબી થયેલી ડોકવાળા જિરાફની પેઢીના સાતત્યપૂર્ણ ઊંચા જન્મ દરને પરિણામે વર્તમાનના જિરાફને જે છે તેવી ડોક મળી છે.

જનીનોના આકસ્મિક સંકરણ કે ફેરબદલને કારણે જિરાફમાં લાંબી ડોકની સંભાવના ઊભી થઈ, જેણે તેવા જિરાફને જીવનદોડમાં સફળતા આપી; નહીં કે ડોક ખેંચવાની મનોશારીરિક કસરતોએ. આ બાબત ચાર્લ્સ ડાર્વિનની ક્રાંતિકારી કોઠાસૂઝ હતી. : કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ

લીસેન્કોએ સ્તાલિનના કાન ભર્યા કે ભૂખમરા મૂક્તિના સદી જૂના રશિયન ખ્વાબને તે સાચું પાડશે. તે વખતે વળી સ્તાલિનની પકડ તે કારણથી જ ઢીલી પડી રહેલી.

લીસેન્કો ઘઉંના બીજને ટાઢા હિમ પાણીમાં પલાળી રાખતો- વર્નલાઈઝેશન, એમ માનીને કે તે બીજમાંથી ઉગનારા છોડ બરફ સામે ઝીંક ઝીલી લેશે. તેણે એવો ખોટો દાવો પણ કર્યો - નવા છોડ રશિયન શિયાળા સામે ટકી જશે. તે માટે સંકરણની સમય ખાનારી માથાકૂટ જરૂરી નથી.

લીસેન્કોના તરંગ અને પ્રયોગ વચ્ચે એક જ અડચણ હતી- વાવીલોવ અને જિનેટીક્સ પ્રત્યેનો તેનો જડસુ લગાવ.

દુઃખદ વાત તો એ હતી કે જ્યારે લીસેન્કો સ્તાલિનને ઊઠાં ભણાવતો હતો ત્યારે વાવીલોવ અને તેના સાથીદારો ઊંચાઈ પર થનારા ઘઉંની પ્રજાતિનું સંકરણ કરી રહેલા, જેમનામાં રશિયન ખેત પેદાશ વધારવાની શક્યતા હતી.

વાવીલોવને એંધાણ વર્તાઈ ગયેલાં. સ્તાલિનના ગુસ્સાનો ભોગ બનનાર લાંબુ જીવતો નહીં. વાવીલોવે તેના સાથીદારોને કહ્યું, " ત્રણ દિવસ પહેલાં સિક્રેટ પોલીસ યેવગ્ને અને લીઓનીડ વિશે પુછતી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. લીસેન્કો બધા આરોપ આપણા માથે મારવા તૈયાર બેઠો છે. ગમે તે થાય, તમારું કામ ચાલુ રાખો અને તે બને એટલી ઝડપથી કરો. આપણે માઈકલ ફેરાડે જેવા મહેનતું અને બધા તારણોની બરાબર નોંધ રાખનારા બનવું પડશે. હું ગાયબ થઈ જાઉં તો બીજા કોઈકે મારી જગ્યાએ આવી જવાનું. એક જ બાબત મહત્વની છે- વિજ્ઞાન યોગ્ય રીતે ખપમાં લેવું. દુકાળ દૂર કરવાનો તે એક માત્ર રસ્તો છે. કૉમરેડ, તેઓ મારી, તમારી, બધાની ધરપકડ કરશે. માટે બને એટલી ત્વરાથી કામ કરીએ."

યુક્રેન પર સ્તાલિને લાદેલી સામૂહિક ખેતી માનવ ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે.

તે દુકાળ એટલો ભયંકર અને વ્યાપક હતો કે તેને વર્ષ કે જગ્યાના નામને બદલે ખાસ નામ મળ્યું - હોલોડોમોર, ભૂખમરાથી થયેલ સામૂહિક નિકંદન.

કૂલક ખેડૂતોને ખેતરોમાંથી તગેડી ફૅક્ટરીઓમાં કામે લગાડી દેવાનો સ્તાલિનનો ઉત્સાહ નરસંહારની રસમ બની ગયો.

વાવીલોવ અને તેનું જીનેટિક્સ આ બધાના વિરોધમાં હતું.

વૈશ્વિક વૈજ્ઞાનિક સંસ્થાનો વાવીલોવ અને તેના વિચારોના પ્રસંશકો હતા. સ્તાલિને વાવીલોવ માટે દેશ બહાર જવા પર પ્રતિબંધ કરે તો તેઓ આંતરરાષ્ટ્રીય જિનેટીક્સ કૉન્ગ્રેસ મોસ્કોમાં કરવા તૈયાર હતા. સ્તાલિન જાણતો હતો કે વાવીલોવથી છૂટકારો સરળ નથી.

તો, સૌ પહેલાં તેને બેઆબરૂ કરો. પછી તેની સાથે ચાહો તે કરો.

વા: પાલક અને વટાણાના પ્રોટીન પરથી તેમને જુદા પાડનાર તત્ત્વો આપણા બાયોકૅમિસ્ટ શોધી શક્યા નથી.

લી : તે તો કોઈ પણ વ્યક્તિ માત્ર ચાખીને જુદા પાડી આપે.

વા : કૉમરેડ, આપણે તેમને રાસાયણિક રીતે અલગ તારવી શક્યા નથી.

લી : પણ, જે વસ્તુ જીભ વડે પારખી શકાય તેને રાસાયણિક રીતે પારખવાની જરૂર જ શું છે?

લીસેન્કો અને તેના જેવા વિજ્ઞાનના વિરોધીઓ ભવિષ્ય માટે સોવિયેત ખેતી કાયદા નક્કી કરવામાં અગ્રેસર બન્યા.

લી : તો કોમરેડ, બર્ફીલા પાણીમાં પલાળી રાખેલા બીજ આપણા દેશના શિયાળા સામે ટકી જઈને અનાજના કોઠાર ભરી દેશે.

વા : ચકાસી જોયું ખરું? ક્યાં છે પ્રયોગના તારણો?

લી : કાં તો અમારા આયોજનમાં જોડાઓ કાં તો...

વા : વિજ્ઞાન વિષયક જૂઠાણું હું નહીં ચલાવી લઉં, ભલે ગમે તે થાય.

             ---

"કૉમરેડ વાવીલોવ, સોવિયેત સંઘ વિરુદ્ધ વિદેશી જાસૂસ હોવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે."


અંક ૧૪: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_14.html

16.2.21

દુકાન ૧

દુકાન ૧

માર્ચ ૨૦૧૫. હિમાચલના એક ગામડામાં હું અને ઈવા અટવાઈ પડ્યા’તા. ટ્રેકને રસ્તે મળેલ સ્થાનિકના ઘરે રાતવાસો કરવો પડ્યો’તો. ગામથી ત્રણેક કિમી દુર આવેલ બસ પોઈન્ટ પર બસની રાહ જોવાની હતી. બસનો સમય બપોરના અઢી વાગ્યાનો હતો અને અમે ત્યાં એક વાગે પહોંચી ગયા’તા.પૂરી ફૂરસદ હતી.

કોઈ પણ અંતરિયાળ ગામમાં હોય તેવું બસ-સ્ટેશન હતું.પ્રમાણમાં સાફ. દીવાલ ફરતે,અંદરની તરફ સિમેન્ટની બેઠક. પ્રમાણમાં પહોળી. અમે તેમાંથી ચારેક ફૂટ લંબાઈ રોકી હતી. રક્સેક, શુઝ,અને વર્તમાનપત્ર ઉપર ટોવેલ ઉપર પલોઠી જમાવી હું બેઠી’તી. ઈવા તો હમેશની જેમ આજુબાજુ ઉડાઉડ કરતી હતી.

આ સ્થળે ‘ગામ’ નહોતું. માત્ર કેટલીક દુકાનો અને બસ સ્ટેશન. ત્રણ રસ્તાના પાંખીયાઓએ આગળ વધીએ, ટેકરી ચઢીએ એટલે ગામ આવતા જાય. રસ્તા પરથી તો ખ્યાલ પણ ના આવે કે આ ટેકરી પર દસ-બાર પરિવારો વસી ગયા હશે,ખેતી કરતાં હશે,શાળા હશે. આવા જ એક ગામેથી આવીને અમે ત્રિભેટે આવેલા બસ સ્ટેન્ડમાં બેઠાં હતા. બસ સ્ટેન્ડથી દક્ષિણ તરફને રસ્તે જતાં, અમે રોકાયા તે ગામ આવતું અને તે રસ્તાનો નીચે જતો ફાંટો બંધ/ડેમની સાઈટ તરફ જતો.

આ ત્રિભેટ એટલે આસપાસના ગામનું બઝાર. કરીયાણાની દુકાનો એની શાખ પૂરતી હતી. એક-બે ચા-નાશ્તાની દુકાનો. કેમકે આગળ પ્રવાસીઓને યોગ્ય ટ્રેક હતો અને ટ્રેક પહેલાનું આ છેલ્લું બઝાર. જો કે, ટ્રેક માટેના સામાનની કોઈ દુકાન નહોતી. હા, સોફ્ટ ડ્રીન્કસ,વેફર્સના પડીકાં, બિસ્કીટ્સ,ચોકલેટ્સ વગેરે મળતાં હતાં. બસ, ત્રણ-ચાર કરીયાણા, નાસ્તાની દુકાનો અને એક દુકાન શાકભાજીની. પાસે જ, નીચેના ભાગે, બિયાસ પર બંધ બંધાઈ રહ્યો હતો. આસપાસના યુવાનો માટે રોજગારીની તક. સવારે જ ગામમાં બે-ત્રણ સ્થાનિકો જોડે તે વિશે વાત થઇ હતી.

બંધ માટે કામ કરતી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોય તેવાં એક સાહેબની ગાડી આવી. ફોલ્ડીગ ખુરશી-ટેબલ પથરાયા અને સાહેબ અમારા તત્કાલીન થાનક-બસ સ્ટેશનની લગભગ સામે, રસ્તાની સામેની તરફ ગોઠવાયા. બસ સ્ટેન્ડના પગથીયા પાસે લોખંડના સળિયા અને બીજો સામાન પડેલો હતો. બે કામદાર આવીને સળિયા કાપવામાં-વાળવામાં લાગ્યા.

સામાન લઇ જતાં નાના વાહનો (છોટા હાથી ટાઈપ)ની પાંખી અવરજવર તો હતી જ. તેવામાં એક બસ આવી અને બસમાંથી વેલ ડ્રેસ્ડ સ્થાનિક ચહેરો ઉતર્યો. તે યુવક હતો આ જ વિસ્તારનો. તેનું પરિધાન નોંધપાત્ર રીતે સ્થાનિક નહોતું. એકદમ સાફ, ઇસ્ત્રીદાર અને અમદાવાદ કે દિલ્હીનો કર્મચારી પહેરે તેવી લાઈનીંગવાળું શર્ટ અને અનુરૂપ પેન્ટ. વાળ પણ આ ઢબછબને મેચ થાય તેવાં. નાક-નકશો અને બોલી સ્થાનિક.

બસમાંથી તે એક મોટા થેલા સાથે ઉતર્યો હતો. તે પછી તેણે એક ખુરસી ઉતારી અને એક બાય દોઢની કોઈક નાજુક ચીજ, જે કાગળમાં વીંટાળેલી,બાંધેલી હતી, કાળજીથી ઉતારી. બસ તો જતી રહી. ધૂળ બેસવાની રાહ જોયા વગર તે યુવાન પેલી નાજુક ચીજ લઇ અમારી તરફ-બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અમારો પથારો તો અંદરની તરફ હતો. યુવાને બસસ્ટેન્ડની ધાર પાસેની બેઠક પર પેલી નાજુક વસ્તુ ટેકવી. બીજે ધક્કે થેલો લઇ આવ્યો અને આગળના થાંભલા પાસે મુક્યો. દરમ્યાન સાહેબની ઠાઠભરી ખુરસી પાસે તેની લાકડાની ઊંચી ખુરશી સરસ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી રહી.

આસપાસના લોકો અને અમારામાં પૂરતું કુતુહલ જન્મી ચૂક્યું હતું. યુવાન પેલી ખુરશી પણ લઇ આવ્યો અને બસ સ્ટેન્ડની અંદર તેને ગોઠવવા લાગ્યો. ગોઠવવું તો શું, ખુરસી માટે તે વધુ અનુકુળ જગ્યા નક્કી કરતો હતો. પગથીયા આગળ બેસી સળિયા કાપી રહેલ બે વ્યક્તિઓ જોડે તેની વાત શરુ થઇ. નામ-ઠામ ઈત્યાદી. ખુરશી ગોઠવાઈ ગઈ. હવે વારો પેલા પડીકામાં સંતાયેલી નાજુક ચીજનો આવ્યો. કાગળના આવરણ ઉતારાડાયા અને પ્રગટ્યો અરિસો ! ઓહ ! આ ભાઈ કેશકર્તનકાર છે! પછી તો થેલામાં સલુકાઈથી ગોઠવાયેલા પડીકાઓમાંથી ચીજો નીકળવા માડી. કાંસકાઓના રેપર તૂટ્યા. નવી નક્કોર સ્પ્રે બોટલ બહાર આવી જેનું પેકિંગ ખોલવામાં આવ્યું અને પાસેના ટેન્કરમાંથી તેમાં પાણી ભરી ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું. ક્રીમની હોય તેવી કેટલીક ડાબલીઓ નીકળીને બસ સ્ટેન્ડની બેઠક પર સ્થાન પામી. કુત્રિમ મહેંક ઉમેરાતાં, હિમાલયના આ ટુકડાએ અચાનક ગણવેશ પહેર્યો હોય તેમ, વાતાવારણ ખુબ પરીચિત અને કુત્રિમ પણ રસપ્રદ બની ગયું.

કેશકર્તનકાર પાકકો વ્યવસાયિક છે તેમ તેના આવેશ કે આનંદ વિનાના ચહેરા પર છપાયેલું વંચાતું’તું. દુકાન ગોઠવવાના કામમાં, માત્ર ચપટી સામાન હોવા છતાં, તે ખુબ મશરૂફ જણાતો હતો. કોઈ પૂછે તો તે જવાબ આપતો,વાત કરતો,પોતાની ગોઠવણ પ્રવૃત્તિ ચાલુ રાખીને. એક ગ્રામીણ કારીગર એક-બે વાર આ રસ્તેથી આવ-જા કરી ગયો હતો.આખરે ત્રીજી વેળા તે કેશકર્તનકાર પાસે આવી જ ગયો અને વાળ કપાવવા બેઠો. તેનું કહેવું હતું : કિસીકો તો શુરુઆત કરાની થી તો હમસે સહી. તે પ્રથમ ગ્રાહકના ચહેરા પર પુણ્ય કર્યાનો ભાવ હતો. જો કે, કેશકર્તનકાર આ ભાવને ઝીલી શકવા જેટલો માયાળું માનવી ના લાગ્યો. પાતળી પણ તિક્ષ્ણ ધારવાળી કાતરોની કચકચથી વાતાવરણમા નવા સૂર ઉમેરાયા, જે હવે અહીં વેરાતા રહેવાના હતા.
પ્રથમ ગ્રાહકે રકમ ચૂકવી જેને કેશકર્તનકારે અદબથી સ્વીકારી. એની અદબમાં કૃતજ્ઞતા નહોતી. શક્ય છે, દુકાન જામવા-ના જામવા અંગેની શંકાઓ તળે એની કુમાશ દબાઈ ગઈ હોય. 

બીજો ગ્રાહક ઊભો જ હતો, જે દાઢી માટે બેઠો. તે બીજો ગ્રાહક અમારો પરીચિત યુવાન હતો. તેણે આજે સવારે જ ઇવાને કેટલાંક લીલા સફરજન આપ્યાં હતા. ઋતુ વિના લીલા સફરજન અંગે મેં તેને પૂછ્યું તો કહે : પિછલી મૌસમ કે હૈ. ક્યાં સાચવ્યા’તા?કેવી રીતે? કોલ્ડ સ્ટોરેજ બહેનજી! સ્ટોર કરનેકી જગા ચાહીએ બસ, કોલ્ડ તો યહાં હૈ હિ. આ યુવાન નવી હવાને અડી ચુકેલો. તેનામાં પહેલા ગ્રાહક જેવી કૂણી પુણ્યભાવના નહોતી. બસ,નવું અજમાવી જોવાની પેશનફેશન હતી.

બીજા ગ્રાહક સાથે લાગતું’તું કે આ દુકાન જામી જશે. આજે બસ સ્ટેશન પર. વર્ષે દહાડે લાકડાની કોઈ નાની ખોલીમાં અને જો આ વિસ્તારનો ‘વિકાસ’ વધ્યો તો તેને અનુરૂપ સલુન તરીકે. તેનાથી પ્રેરાઈ ‘કેવલ મહિલાઓ કે લીયે’ બ્યુટી પાર્લર ખુલશે.

આ વિસ્તારમાં આ કાર્ય આજ સુધી કદાચ વ્યવસાય નહોતું. કદાચ દરેક ગામમાં એક કર્તનકાર કુટુંબ હશે જે ગામના પુરુષોને રાજા રવિ વર્મા ટાઈપ હિંદુ દેવ જેવા ‘સાફ’ રાખતો હશે. મારા માતૃક ગામમાં એવી વ્યવસ્થા હતી. તે કુટુંબો ધાર્મિક-સામાજીક વિધિઓમાં પણ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા નિયુક્ત થયેલાં રહેતાં. મારા ગામમા તો એ પરંપરાને લુણો લાગ્યે એટલો સમય થયો કે મારા કુટુંબના બાળકોને આવી કોઈ પરંપરા હોય તે પણ ખબર નથી. તેવો લુણો હિમાચલની એક ત્રિભેટે લાગવો શરુ થયાની હું સાક્ષી બની. અહીં લુણો શબ્દ એટલે વાપર્યો કે તે વિસ્તારમાં ‘મીઠાં’ માટે ‘લુણ’ (અને મહેમાન કે અતિથિ માટે ‘પરોણો’) શબ્દ ચલણમાં છે.

અમારી બસ આવી ગઈ.
#6@¥4
૮/૪/૧૬ 

14.2.21

૪. ૨ (૧૪) : વાવીલોવ (૨૦૨૦)

ડાર્વિને બધા જીવોના ઐક્યની સાબિતી આપી.

કોઈ ગૂઢ દૈવી આશિર્વાદથી જન્મેલી માણસ જાત બધા સજીવો કરતાં ઉચ્ચ છે એવા આડંબરમાં રાચનારા આપણે આખરે તો જાનવરો અને વનસ્પતિઓના સગાં છીએ. બીજા કોઈ પણ સંજીવ જેટલા પ્રાકૃતિક.

મૅંડેલેએ શોધ્યું કે જીવનના સંદેશ અને તે સંદેશને આગળ મોકલવા માટે ચોક્કસ નિયમો છે.

તે મદદનીશ શિક્ષકે વિજ્ઞાનની એક નવી જ શાખા શોધી કાઢેલી.

પણ, ૩૫ વર્ષ સુધી કોઈએ તેની નોંધ ના લીધી. આ દુનિયાના વિજ્ઞાનના ઈતિહાસમાં પોતે મહાન વ્યક્તિ તરીકે નોંધાવાનો છે તેમ જાણ્યા વગર તે મૃત્યુ પામ્યો. વીસમી સદીની શરૂઆતમાં મૅંડેલેનું કામ જાણીતું થયું. બ્રિટિશ ઝૂઓલૉજીસ્ટ વિલિયમ બૅટ્સન તેના પ્રખર પુરસ્કર્તા રહ્યા. મૅંડેલે સૂચવેલા કારકોના અભ્યાસ માટે બૅટ્સને નવી શાખા ઊભી કરી જેને તેમણે નામ આપ્યું જીનેટીક્સ- જનીન શાશ્ત્ર.

બૅટ્સન અને તેના સાથીદારોએ વનસ્પતિ અને પ્રાણીઓની નવી પ્રજાતિ સર્જવાની દિશામાં કામ કર્યું. બૅટ્સન માનતો કે વિજ્ઞાન અને સ્વાતંત્ર્ય એક સિક્કાની બે બાજુ છે અને તે પોતાની પ્રયોગશાળા એ રીતે જ ચલાવતો.

નીકોલાઈ ઇવાનોવિચ વાવીલોવ નામનો રશિયન બૉટનીસ્ટ, જે બૅટ્સનની પ્રયોગશાળામાં મુલાકાતી સાથીદાર હતો તેણે બૅટ્સનના ધ્યેય મંત્રને ગંભીરતાથી અપનાવી લીધો. વિજ્ઞાનની નવી શાખા જીનેટીક્સની મદદથી તે આખી દુનિયાને બે ટંકનું ભાણું પહોચાડવાનું શીખવા માંગતો હતો. ત્યારે તે હનીમૂન પર હતો પણ તેનો જીવ તો વિજ્ઞાનમાં રમમાણ હતો

બાળક તરીકેય વાવીલોવ ઉતાવળીયો હતો. "કેટલું બધું કરવા જેવું છે અને કેટલો ઓછો સમય છે!" -જીવનભર તેને તે અડચણ રહી.

ભવિષ્યમાં શું થશે તેની તો તેનેય ક્યાંથી ખબર હોય?

'આપણી આખી પૃથ્વી પોતે એક જૈવિક તંત્ર છે, એક જ વિશાળ વ્યવસ્થા.'- તે ધારણા કેટલાક લોકોને ભાવુકતાનો અતિરેક, પોકળતા લાગતી હતી. પણ, તે એક વૈજ્ઞાનિક તથ્ય છે.

૧૯ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૬૦૦ના સાંજના પાંચ વાગ્યે દક્ષિણ પેરુના આંતરિયાળ વિસ્તારમાં એવું કાંઈક બન્યું જેના કારણે -

પીડાદાયી રીતે મોટી સંખ્યામાં નાશ પામેલા સજીવો અને ધરતીના ખજાનાને તે ઘટનાની અસર પૃથ્વીને કેવી રીતે ઘેરી વળી તે વાત ખબર પડવાની ન હતી. હોઈનાપુટીના (Hauynaputina) દક્ષિણ અમેરિકાનો સૌથી મોટા જવાળામુખી વિસ્ફોટ તરીકે ઈતિહાસમાં નોંધાયેલો છે.

સલ્ફ્યુરિક ઍસિડ અને જ્વાળામુખીની રાખના કાતિલ મિશ્રણે સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચવા ના દીધા. 

શિયાળો.

જ્વાળામુખી જન્ય શિયાળો.

રશિયાના લોકો માટે તે છસો વર્ષનો સૌથી ભયંકર શિયાળો હતો. બે વર્ષ સુધી તો ઉનાળાની રાતોનું તાપમાન સબ ઝીરોની નીચે જતું. તેને કારણે પડેલા દુષ્કાળથી રશિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ, વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા. તેના કારણે ત્ઝાર બોરીસ ગોન્ડુનોવનું પતન થયું અને આ બધાનું મૂળ કારણ તો ૧૨૮૭૫ કિલોમીટર દૂર થયેલો જ્વાળામુખી વિસ્ફોટ હતો. 

રશિયાના ઈતિહાસનો તે છેલ્લો દુકાળ ન હતો. તે પછી સતત અનાવૃષ્ટિ અને દુષ્કાળ આવતા રહ્યા. પણ, ત્રણસો વર્ષ પછી, છેક ૧૮૯૧માં તેની ભયાવહ અસર વર્તાઈ. તે વર્ષે શિયાળો વહેલો આવ્યો અને પાક બળી ગયો. ત્ઝાર ઍલેકઝાન્ડર ત્રીજો પગલાં લેવામાં ઢીલો પડ્યો. દેશના લોકો ભૂખે મરતા હતા ત્યારે પણ ધનિક રશિયન વેપારીઓ અનાજની નિકાસ કરતા રહ્યા. ભૂખે ભરતી પ્રજાને આપવા ત્ઝાર પાસે હતી સૂકી બ્રેડ- લીલ, ઘાસ, ઝાડની છાલ અને બીજાં છોતરાંનું કંગાળ મિશ્રણ.

પાંચેક લાખ રશિયન મરણાસન્ન હતા ત્યારે અમીર ઉમરાવો ફ્રાન્સની તાજી સ્ટ્રોબેરી અને ઈન્ગ્લેન્ડની રબડીની મિજબાનીઓ કરતાં હતા.

રશિયન ક્રાંતિને હજી ૩૦ વર્ષની વાર હતી. પણ, ઘણા ઈતિહાસકાર તેનો તણખો આ દુષ્કાળમાં પેટાયાનું નોંધે છે.

આપણી વાર્તાના હીરો નીકોલાઈ વાવીલોવ પર તે ઘટનાની ઘણી ઊંડી અસર પડી. તેના મા-બાપનો જન્મ ગરીબ પરિવારમાં થયેલો પણ મહેનત કરીને તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચી શકેલા. તેમનાં ચારેય સંતાન વૈજ્ઞાનિક બન્યાં. સર્ગેઈ ભૌતિક વિજ્ઞાની અને નિકોલાઈ બૉટનીસ્ટ બન્યો. બાળપણથી નીકોલાઈ હાર માનવા વાળો ન હતો.

૧૯૧૧માં રશિયા અનાજની નિકાસમાં દુનિયામાં પહેલા નંબરે હતું, તેની ખેતીની પદ્ધતિઓ જરીપુરાણી હોવા છતાં. જિનેટીક્સ દ્વારા ખેતીને આધુનિક બનાવવાના સંશોધન માટે રશિયાના વૈજ્ઞાનિકો પાસે  એકમાત્ર પૅટ્રોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ હતું.

છોડ કે રોપાની પસંદગી કરવી તે વિજ્ઞાન છે કે નહીં? ના. ખેડૂતને વધારે ખબર છે. તે હજારો વર્ષોથી વધુને વધુ સારા બીજ ઉછેર્યો અને વધારે ચરબીવાળા પ્રાણીઓ પાળતો આવ્યો છે. તેવા ખેડૂતને વૈજ્ઞાનિક શું શીખવી શકે? સિવાય કે તેમને મૂંઝવી મારે તેવા ફૅન્સી સૂત્રો! ખેડૂત પાસે કોઠાસૂઝ છે જે આદરપાત્ર છે. પણ, તેની પાસે સંભાવનાઓ ધારવાની આવડત નથી, જે વિજ્ઞાન પાસે છે. ખેડૂત આગળથી કહીં ના શકે કે વનસ્પતિનું કયું લક્ષણ હાવી રહેશે અને કયું દબાતું, ઘસાતું જઈ ભૂંસાઈ જશે. ખેડૂત ખેતીમાં જુગાર રમતો આવ્યો હતો અને તે સરેરાશ જુગારી જેટલો જ સફળ હતો.

ગ્રેગર મૅંડેલેએ પહેલીવાર તેના માટે પત્તાં ખોલ્યાં હતાં. જે ઘડીએ મૅંડેલે પોતાના વિચારો ગાણિતીક સ્વરૂપમાં મૂક્યાં, તે ઘડીએ ખેતી વિજ્ઞાન અને માનવજાતને પુરતું ભોજન પુરું પાડવાની એકમાત્ર આશા બની.

૧૯૧૪, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વાવીલોવને વિચાર આવ્યો : ખેતી થાય તેવા બીજ- છોડ આવ્યા ક્યાંથી? તે બીજ- છોડના પૂર્વજ કોણ?

તેણે પ્રેમપત્રમાં લખેલું : મને વિજ્ઞાનમાં ઊંડો વિશ્વાસ છે. તે જ મારું જીવન અને જીવનનો હેતુ છે. વિજ્ઞાનના નાના કામ માટે હું જીવન ધરી દેતાં ખચકાઈશ નહીં.

પહેલા વિશ્વયુદ્ધને અંતે રશિયન સમાજની તિરાડો બહાર દેખાવા માંડી અને ક્રાંતિ તથા ગૃહ યુદ્ધના મંડાણ થયા.

જ્યાં ખેડૂતો, ખેત મજૂરોના બાળકો ભણીને વૈજ્ઞાનિક બની શકે તેવી, પોતાના જીવનકાળમાં સ્થાપેલી ૪૦૦ વિજ્ઞાન સંસ્થામાંની પહેલીની વાવીલોવે શરૂઆત કરી. પૃથ્વી પરથી દુષ્કાળ દૂર કરવાના વાવીલોવના સપનાને પુરું કરવા.

૧૯૨૦માં વાવીલોવે એક સાહસિક, નવા નિયમની દરખાસ્ત મૂકી : કૉમરેડ, વનસ્પતિની પ્રજાતિ જુદી જુદી હોય તો પણ ચોક્કસ જનીન ચોક્કસ ગુણધર્મ પ્રમાણે જ વર્તે છે. કારણકે, તેમનો પૂર્વજ એક છે. ઉત્ક્રાંતિ સમજવા અને ખેત પેદાશોના આપણા કામને વૈજ્ઞાનિક ઢબે  અનુસરવા આપણે જ્યાં ખેતીની શરૂઆત થઈ હોય તેવા દેશોની મુલાકાત લેવી જોઈએ. જેથી આજની ખેત પેદાશોના પૂર્વજોનો પત્તો લગાવી શકાય.

નીકોલાઈ વાવીલોવ જેવા માણસો હોય ત્યાં સુધી રશિયા ખવાઈ જવાનું નથી.

વાવીલોવ વિશ્વ વિખ્યાત બની ગયો. તે કહેતો : હું? ના. મારો ભાઈ સર્ગેઇ, ભૌતિક વિજ્ઞાની, તે વધારે હોશિયાર છે.

વાવીલોવને ખબર હતી કે દરેક બીજ તેની ખાસ પ્રજાતિનો વિશિષ્ટ સંદેશો પોતાનામાં જાળવે છે. તે સંદેશાની વિગતો જુદી હોઈ શકે, પણ તે બધા કોઈ ચોક્કસ રહસ્યમય ભાષામાં લખાયેલા છે. 

એવી ભાષા, જે કેટલાક દસકા સુધી ઉકેલી શકાઈ નહીં.

જીવનના પ્રાચીનતમ લખાણના શબ્દેશબ્દને વાવીલોવ સાચવી લેવા માંગતો હતો, જેથી તેને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય. તે વખતે જૈવ વિવિધતાના મહત્વને સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો તે એક હતો.

તેણે તદ્દન નવો જ વિભાવના રજૂ કરી : એક વૈશ્વિક બીજ બેંક - યુદ્ધો અને કુદરતી પ્રકોપોથી સુરક્ષિત.

આ માનવતાવાદી ઉદ્દેશ પાછળ વૈજ્ઞાનિક સમજ પણ હતી : જો આપણે આરોગેલા પહેલાં દાણાનો નમૂનો મેળવી શકીએ તો તે દાણો કે છોડ સમય સાથે કેટલો બદલાયો તે જાણી શકીએ, તેના પરથી વાક્ય ગોઠવી શકાય અને જીવનના સંદેશાની ભાષા ઉકેલી શકાય. અને ભાષા ઉકેલતાં આવડે તો નવા સંદેશા પણ લખી શકાય- રોગ, ફૂગ, જીવાત અને દુકાળને પહોંચી વળે તેવા બીજા -છોડ ઉછેરી શકાય.

આવી શોધ માટે વાવીલોવ પાંચેય ખંડમાં ફરી વળ્યો, એવી એવી જગ્યાએ જ્યાં તેની અગાઉ કોઈ વૈજ્ઞાનિક ગયો ન હતો. નકશા કે પાકા રસ્તા વગર અફઘાનિસ્તનના પર્વતીય વિસ્તાર ખૂંદનાર વાવીલોવ પહેલો યુરોપીયન (એશીયન) હતો. માણસ જાતે ખેતીની શરૂઆત નદીના મુખ ત્રિકોણમાં કરી હશે તેવી પ્રચલિત ધારણા વાવીલોવને ગળે નહોતી ઉતરતી, કબીલાઈ લડાઈઓ અને બીજા જોખમોને ધ્યાનમાં લેતાં. તેનું માનવું હતું કે પહાડીઓના અંતરિયાળ વિસ્તાર ખેતી માટે વધુ સલામત સ્થળ હતા, અવરજવર કરનારાઓની કનડગતથી દૂર.

જીવના જોખમે બીજ શોધવા નીકળેલા વાવીલોવની સાહસકથાઓ તેની વૈજ્ઞાનિક પ્રતિભાની બરોબરી કરે તેવી છે.

હાલના ઈથિયોપીયા, ત્યારના ઍબેસેનિયામાં, ૧૯૨૭માં વાવીલોવે કૉફીનું માતૃબીજ શોધી કાઢ્યું.

વાવીલોવ અંતરિયાળ જગ્યાએ જવાની મંજૂરીની રાહ જોતો હતો ત્યારે તેને ઈથિયોપીયાના થનારા રાજા- રાસ્ટફરી, જેને દુનિયા હાઈલી સલાસી( ત્રિદેવની સત્તા) તરીકે ઓળખવાની હતી- તરફથી આમંત્રણ મળ્યું. તેણે રશિયા અને રશિયન ક્રાંતિ વિશે વાવીલોવને પુછ્યું. વાવીલોવે કહ્યું કે ક્રાંતિના નેતા લેનીન હવે નથી રહ્યા અને હાલ સ્ટાલિનની સત્તા છે. કે કેવી રીતે સ્તાલિનના બંદૂકધારીઓએ વીસ વર્ષ પહેલાં બેંક લૂંટીને ક્રાંતિ માટે ૩૦ લાખ ડૉલર મેળવેલા આને તેને કારણે સ્તાલિન લોકકથાઓમાં નાયક બની ગયેલો.

એક તરફ વાવીલોવ બીજ અને જ્ઞાનની શોધમાં દુનિયા ખૂંદતો હતો તો બીજી તરફ તેના પ્રતિભાવાન શિષ્યોમાંનો એક આગવું કાઠું કાઢી રહેલો.

અંક ૧૩: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post.html

8.2.21

૪. ૧ (૧૩) : વાવીલોવ (૨૦૨૦)

માણસ હોવું એટલે ભૂખની પીડા જાણવી.

એક વખતે એક માણસ હતો જેણે કલ્પના કરેલી કે વિજ્ઞાન થકી એવી દુનિયા શક્ય બનશે જ્યાં કોઈએ ભૂખનું દુઃખ વેઠવું નહીં પડે.
દુષ્કાળ તો આવશે જ નહીં.
પોતાનું કૉલ નિભાવવા તેણે આપણને ખજાનો ભેંટ કર્યો. પણ, અણીના સમયે તેણે વિકલ્પ પસંદ કરવાનો થયો : વિજ્ઞાન વિશે ખોટું બોલવું અને જીવ બચાવવો અથવા સાચું બોલીને મોત ઓઢવું.


માણસ બન્યાના શરૂઆતના કેટલાક સો હજાર વર્ષ સુધી આપણે તારા મઢ્યા આકાશ નીચે રખડનારા હતા.
આપણે વનસ્પતિના ભાગ વીણતાં, પશુઓનો શિકાર કરતા.
છેક દસથી બાર હજાર વર્ષ પહેલાં સુધી, જ્યારે આપણા વડવાઓએ જીવવાની નવી રીત ઘડી કાઢી.

તે બુદ્ધિશાળીઓ વિશે વિચારી જુઓ, જેમને પહેલી વહેલી વખત ભાન થયું કે જે દાણાં તેઓ ભારે મહેનતથી વીણીને ભેગાં કરે છે, તેમાં જ છોડ ઉગાડવાની ક્ષમતા રહેલી છે.

બીજ.

આ શોધને કારણે આપણી પ્રજાતિએ નસીબના સૌથી મહત્વના ખેલમાં ચાલ પસંદ કરવાનું થયું : નાની ટોળકીમાં શિકારી-વીણનારાનું જીવન ચાલું રાખવું કે ક્યાંક સ્થાયી થઈ પોતાનું અનાજ ઉગાડવું. 

તે માટે જે બલિદાન આપવાનું હતું તેનું ફળ ઘણું મોડું મળવાનું હતું.
પહેલીવાર આપણે ભવિષ્ય વિશે વિચારવું પડેલું.
તે નિર્ણય કાંઈ ઘડીભરમાં નહોતાં લેવાયા.
તે તો એક પછી એક પેઢીઓ સમક્ષ ખુલતા ગયા.

માણસ માટે તે એક ખૂબ ખૂબ લાબો સમય લાગે. જો કે, બ્રહ્માંડીય કૅલેન્ડરના સંદર્ભમાં તો તે ફક્ત અડધી મિનિટ પહેલાંની વાત છે. બ્રહ્માંડિય કૅલેન્ડર એટલે ૧૩૮૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગથી માંડીને અત્યાર લગીના સમયને એક વર્ષના સંદર્ભમાં ગોઠવેલું તારીખીયું. તેમાં ૩૧ ડિસેમ્બરની મધરાત એટલે આ ક્ષણ. મહિનો એટલે ૧૦૦ કરોડ વર્ષ કરતાં થોડો વધારે સમય.‌ દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ. 

અને માણસજાતના તમામ ગૌરવવંતા ઉપક્રમો તે કૅલેન્ડરની છેલ્લી કેટલીક મિનિટોમાં આવી જાય. બ્રહ્માંડ માટે આપણે એટલા નવા છીએ.

બ્રહ્માંડિય કૅલેન્ડરની છેલ્લી ૩૦ સૅકન્ડ દરમ્યાન આપણા પૂર્વજોએ પ્રાણી અને વનસ્પતિ પાળવા શરૂ કર્યું. પહેલીવાર, આપણે ભટકતા લોકો સ્થિર થયા અને એક ઋતુ કરતાં લાંબું ચાલે તેવી વસ્તુઓ બનાવવા લાગ્યા.

તેમણે ભવિષ્યને અડવાની હિંમત કરી.
તેમણે બનાવેલા જેરિકોના ટાવર* હજી ઊભાં છે. તે શું આક્રમણખોરો પર નજર રાખવા માટે હતા કે પછી તારાઓની વધુ નજીક જવા માટે?
તેમને બનાવતાં ૧૧,૦૦૦ દિવસ લાગે. આવું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તે કામ કરનારાઓ માટે પૂરતો અન્ન જથ્થો હોય; જે વળી ખેતી વગર શક્ય નથી.

જેરિકોના ટાવરમાં વિશ્વનો સૌથી જૂનો દાદર છે. ઈજિપ્તના પિરામિડ બન્યાનાય પાંચ હજાર વર્ષ પહેલાંનો, ત્રણસો પેઢી જૂનો.

જે લોકો હજી હમણાં ભટકતું જીવન છોડી સ્થિર થયેલા, તે લોકો આટલું ટકાઉ બાંધકામ બનાવે તે બાબત જબરજસ્ત નથી!
શિકારી-ભટકતું જીવવાવાળાઓનો, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુઓની વિવિધતા વાળો સમૃદ્ધ ખોરાક હવે બદલાઈ ગયેલો. 

શહેરી લોકો તો હવે મોટાભાગે થોડાક કાર્બોહાઈડ્રેટ પાક પર નભે છે. અને જ્યારે જોઈતો વરસાદ ના થાય કે અનાજને ફૂગ લાગી જાય ત્યારે મોટા પ્રમાણમાં ભૂખમરો ફેલાય છે.
દૂષ્કાળ.

બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં આવેલો દુકાળ સો લાખ માણસો ભરખી ગયેલો, છેક ૧૯મી સદીમાં. ચીનમાં આવેલો દૂકાળ એક હજાર લાખ માણસો ખાઈ ગયેલો. બ્રિટિશ સામ્રાજ્યના જ નિયમોને કારણે આયર્લેન્ડમાં દસ લાખ લોકો ભૂખથી મરેલા અને વીસ લાખ જેટલા લોકો ખોરાકની શોધમાં દેશ છોડવા મજબૂર થયેલા.
૧૮૭૭માં બ્રાઝિલમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળેલા. ફક્ત એક વિસ્તારના અડધા લોકોનો સફાયો થઈ ગયેલો. આફ્રિકાના ઈથીયોપીયા, રવાન્ડા અને સેહલમાં દૂકાળથી મરેલાઓની ગણતરી નથી કરી શકાઈ.
પૃથ્વીના એક યા બીજા ભાગે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરતા રહ્યા છે, કેટલાક હજાર વર્ષ પહેલાંના જે દિવસથી પૃથ્વી પર નોંધ રાખવાની શરૂઆત થઈ તે દિવસથી માંડીને.

શું ગુરુત્વાકર્ષણની જેમ ખેતી એક વિજ્ઞાન અને અનુમાન લગાવી શકાય તેવો સિદ્ધાંત બની શકે?દુકાળ અને રોગચાળા સામે સતત ટકી શકે તેવું કશું શું નીપજાવી શકાય?

ખેડૂત અને ગોવાળો પારખી જાણતા હતા- મજબૂત નમૂનાઓ તારવી, પસંદ કરી, તેમનું સંકરણ કરાવી નવા પ્રકારના, સંકર નમૂના બનાવવાના ફાયદા.
આ બાબત કૃત્રિમ પસંદગી તરીકે ઓળખાય છે.
પણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો કઈ રીતે જાય છે તેની યાંત્રિકી એક રહસ્ય હતું.

આવો, ડાઉન હાઉસમાં, ચાર્લ્સ ડાર્વિનનું ઘર, જ્યાં તે પત્ની ઍમા અને દસ બાળકો સાથે રહેતો હતો. ત્યાં તેણે એક બગીચો પણ બનાવેલો. માણસજાતના વૈચારિક ઈતિહાસમાં આ જગ્યાનું અનોખું સ્થાન છે. આજેય એવા માણસો છે, જેઓ ડાર્વિનના વિચારથી ડરે છે.

ચાર્લ્સ ડાર્વિને શોધેલું કે પ્રજાતિઓ, માણસ સહિત, કુદરતી પસંદગીની પ્રક્રિયા દ્વારા સમય સાથે ઉત્ક્રાંત થાય છે. વાતાવરણના ફેરફારો સાથે જે સૌથી સારું અનુકુલન સાધે છે, તે ટકી જાય છે અને તેની જ પેઢી આગળ જાય છે.

જીવનના રહસ્યનું બહારનું આવરણ ડાર્વિને હટાવ્યું. પણ, હજી ઉત્ક્રાંતિનું આંતરિક કારણ સમજી શકાયું નહોતું.

બરાબર તે વખતે, આજના ચૅક રિપબ્લિકની એક મૉનેસ્ટ્રીમાં એક યુવાન પાદરી વિજ્ઞાનનો પ્રૉફેસર બનવા મથી રહેલો. જ્યૉર્જ મૅન્ડેલે પ્રવેશ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયો. છેવટે તેણે મદદનીશ શિક્ષક બનવું સ્વીકાર્યું. તેથી મળતા સમયમાં તેણે વટાણાના છોડનો અભ્યાસ શરૂ કર્યો.
તેણે વટાણાના હજારો છોડ ઉછેર્યા, પાંદડા, બીજ અને ફૂલના રંગ, કદ અને આકારનું ઝીણવટભર્યું અવલોકન નોંધતાં રહીને. 

મૅન્ડેલ નિશ્ચિત ધારણા કરી શકાય તેવો પ્રજનનનો સિદ્ધાંત શોધતો હતો. જેથી, આપણે અગાઉથી ખબર રહે કે જ્યારે કોઈ લાંબા છોડ સાથે ટૂંકાનું, લીલા વટાણા સાથે પીળા વટાણાના છોડનું સંકરણ કરો ત્યારે શું પરિણામ મળે.
મૅન્ડેલે શોધ્યું કે આપણને દર વખતે પીળો વટાણો જ મળશે.
લીલા પર પીળાની આ આણ માટે આપણી પાસે કોઈ શબ્દ નહોતો, મૅન્ડેલે નવો શબ્દ રચ્યો - ચઢીયાતો/ dominant.
અને પોતાના આનંદ વચ્ચે તે નિશ્ચિત ધારણા કરી શક્યો કે નવી પેઢીના વટાણા કેવા હશે.
નવી પેઢીના છોડમાં અપ્રકટ રહેલા ગુણને મંડેલે નામ આપ્યું- સુષુપ્ત/ recessive.
તેણે એક એવી બાબત ચિંધી જેને તે કારક/ factor નામ આપ્યું- છોડમાં રહેલી એવી આંતરિક બાબત છે તેને ચોક્કસ ગુણધર્મ આપતી હતી. અને તે કોઈ સૂત્રમાં ઢાળી શકાય તેવો ચોક્કસ નિયમ અનુસરતી હતી.

ચાર્લ્સ ડાર્વિન અને મૅન્ડેલ એકબીજાથી અજાણ હતા. તે બંને વૈજ્ઞાનિક, સમયના એક ગાળામાં, પોતપોતાની રીતે જીવન રચનારા રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા.


* https://en.m.wikipedia.org/wiki/Tower_of_Jericho


અંક ૧૩ : https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_31.html

6.12.20

૧.૪. સિતારા સુધીની સીડી

કુદરતના કાયદા પુસ્તકમાં બે પુરાતન રાજ્યો વચ્ચે સંધિની અને સંધિ તોડનારાઓની દ્રષ્ટાંત કથા નોધાયેલી છે. 

ઘણા સમય પહેલાંની વાત છે. તે વખતે બે રાજ્ય હતા.
તેમની વચ્ચે એવી સુમજૂતિ થઈ, જે તે બંનેને તેમની કલ્પના બહારની સમૃદ્ધિ આપવાની હતી.
આ સમજૂતિ લગભગ ૧૦૦૦ લાખ વર્ષ સુધી ટકી. અને પછી તેમાંના એક રાજ્યમાં જુદા પ્રકારનો જીવ ઉત્ક્રાંત થયો. તેના સંતાનોએ સમૃદ્ધિ લૂંટી અને સમજૂતિ તોડી.
તેમની ઉદ્ધતાઈમાં તેઓ બીજા રાજ્ય માટે જ નહીં, પોતાના રાજ્ય માટે પણ જીવનું જોખમ બની બેઠા. 

આ નિતીકથા સાચી છે.
પૃથ્વી પરના અડધા ડઝન સમુદાયમાંના બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેની આ વાત છે.
લીલા હોવું સહેલું નથી. તમે એક જગ્યાએ ચોંટેલા હોં ત્યારે પ્રજનન એક પડકાર છે. મિલન શક્ય નથી બનતું. તમે બસ ત્યાં જ બેસી રહો અને તમારા બીજ હવાને સોંપી દો. પવન ફૂંકાવાની રાહ જુઓ. નસીબદાર હો તો તમારી પરાગ રજ બીજી વનસ્પતિના પ્રજનન અંગ સુધી પહોંચે. 
'લાગ્યું તો તીર' પ્રકારનો આ નસીબનો ખેલ વનસ્પતિ સૃષ્ટિ અમુક હજાર લાખ વર્ષ સુધી કરતી રહી; કામદેવ રૂપી જીવજંતુ ઉત્ક્રાંત થયાં ત્યાં સુધી.
જીવનના ઈતિહાસમાં આ અનુકુલન સહ ઉત્ક્રાંત લગ્નોમાં પરિણમ્યું.
કોઈ પુષ્પની પ્રોટીન સભર પરાગ રજનો રસ પીવા કોઈ જંતુ તેની મુલાકાત લે. અજાણતાં જ કેટલીક પરાગરજ તેના શરીર પર ચોંટી જાય. શરીર પર ચોંટેલી પુષ્પની પરાગરજ સહિત‌ તે જંતુ બીજા પુષ્પની મુલાકાત લે. અનુકૂળ હોય તો બીજું પુષ્પ ફળે, તેના પ્ર-જનનની તક ઊભી થાય.
જીવજંતુ અને પુષ્પો તેમ બંને તરફ આ એક લાભકારક ભાગીદારી હતી; જેને કારણે ખુશ કરી દેનાર ઔત્ક્રાંતિક ફેરફારોની હારમાળા રચાઈ.
નવો છોડ સર્જાયો જેણે પરાગ રજની સાથે સાથે ગળ્યો રસ પણ પેદા કરવો શરૂ કર્યો. હવે પેલાં જંતુ ફક્ત પ્રોટીન યુક્ત ખોરાક માટે જ નહીં, મીઠાઈ માટે પણ આવતા થયા. જંતુઓ ભરાવદાર બન્યા, તેમના ગોળ મટોળ શરીર પર સુંવાળી રુવાટી આવી અને તેમના પગમાં નાનકડા ખિસ્સા બન્યા; જેમાં વધારે માત્રામાં પરાગ રજ ભરાતી થઈ.
અને આવી માખીઓ.
તેઓ તો વળી પ્રાણીસૃષ્ટિની એક ખાસ પ્રજાતિ માટે વિશેષ લાભકારક બની.
આપણા માટે.
માખીઓ અને તેમના જેવા પરાગ વાહકોના આપણે ઋણી છીએ, આપણા જીવનના ટકી જવા માટે અત્યંત જરૂરી હોય તેવી બાબતે. આપણો ત્રીજો કોળિયો, પછી ભલે ને આપણે ઉભયાહારી હોઈએ, તેઓના કારણે જ શક્ય છે.
દુનિયાની 35% ખેતી તેમના સહકાર પર આધાર રાખે છે.

વનસ્પતિનો ખોરાક છે તારાનો પ્રકાશ, અને આપણ પ્રાણીઓનો ખોરાક છે વનસ્પતિ. વનસ્પતિ ફક્ત ઉપલબ્ધ ભોજનનો સંખ્યાત્મક વધારો કરે છે એટલું જ નથી; આપણું ભોજન જેના પર આધારિત છે તેવી જૈવ વિવિધતા પણ તેમને કારણે છે.

પણ, આપણે તેમને ખતમ કરવા પર ઉતરી આવ્યા છીએ.
મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે.
ખેતીની શોધનો આશીર્વાદ અને શ્રાપ આપણને લઈ આવ્યા છે લુપ્ત પ્રાણીસંગ્રહાલયના દરવાજે : પૃથ્વીના ઇતિહાસના સામૂહિક નિકંદનોમાં નાશ પામેલા તમામ સજીવની યાદગીરી. 
જીવન વૃક્ષની તૂટેલી ડાળખીઓની પ્રતિમા અહીં છે.

પૃથ્વીના ઈતિહાસમાં પાંચ વાર ભયંકર ભૌગોલિક અને અવકાશીય ઘટનાઓએ જીવનના નિકંદનની સ્થિતિ ઊભી કરેલી.
છઠ્ઠી સ્થિતિ તે બધાથી જુદી છે.
કોસ્મોસની આ અગાઉની સિરીઝમાં લુપ્ત પ્રાણીસંગ્રહાલયના એક ઓરડાને આપણે નામ નહોતું આપ્યું. કારણકે તે વખતે 'આપણે કોઈ સામૂહિક નિકંદનની નજીક છીએ.' એવા તારણ બાબતે વૈજ્ઞાનિક સમુદાય સહમત નહોતો. તે સહમતિ સધાઈ ગઈ છે. પેલા ઓરડાને નામ મળ્યું છે -આપણું નામ.
ધ ઍન્થ્રોપોસીન.
ગ્રીક શબ્દો 'ઍન્થ્રોપો' એટલે 'માણસ' અને 'સીન' એટલે 'તાજેતરનું'.

આપણે ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણી જ પ્રજાતિના અમુક સમુદાયનું નિકંદન કાઢી નાખેલું -જેમાં આપણા પિતરાઈ નિઍન્ડરથીસ પણ સામેલ છે.
એવું તે શું છે આપણી પ્રજાતિમાં કે આપણે જ્યાં જઈએ, મૃત્યુ લઈ આવીએ છીએ?

થોડીક વાત ભવિષ્યની કરીએ.
અમુક દસકા જેટલા દૂરના ભવિષ્યમાં પ્રોજેક્ટ સ્ટારશૉટ હેઠળ 1000 સ્પેસ ક્રાફ્ટ પૃથ્વી પરથી ડિપાર્ટ થશે.

આપણે ઇતિહાસ નોંધવો શરૂ કર્યો ત્યારથી એન્ડિઝ પર્વતમાળાની પશ્ચિમે આવેલા અતકામા રણમાં વરસાદ પડ્યો નથી. તે સૂકું ભઠ્ઠ છે. તેથી, ત્યાંનું આકાશ એકદમ ચોખ્ખું છે.

પાણી છોડી જમીન પર પગ મૂકનાર પહેલા વહેલા  જીવની નોંધ રાખનાર કોઈ નહતું. પહેલા પક્ષીએ આકાશમાં ઉડાન લીધી ત્યારે રિપોર્ટ લખવાવાળુ કોઈ ન હતું. પણ, આ આપણે એક એવી છલાંગ લગાવવાના છીએ, જેની નોંધ શક્ય તમામ રીતે લેવાશે. આખી દુનિયા જોઈ રહી છે.
પ્રકાશથી ચાલનારા આંતર તારકીય જહાજો, જે આપણા સંવેદનોને ત્યાં પહોંચાડશે.

તેમના માળખાનું વજન માંડ એકાદ ગ્રામ છે અને તેમનું કદ વટાણાના દાણા કરતા મોટું નથી. છતાં, નાસાના વૉયેજરમાં હતા તેટલા સરંજામ, અરે, તેથી પણ વધારે સાધનસામગ્રીથી તે સજ્જ છે.
બહુ સ્તરિય લેઝર્સમાંથી પહેલા કિરણનો ધક્કો લાગતાં જ આ સ્પેસ ક્રાફ્ટ શૂન્યથી પ્રકાશની ઝડપના 20% જેટલી ગતિ ફક્ત મિનીટોમાં પકડી લેશે.
આ નેનો સ્પેસ ક્રાફ્ટમાં બીજા તારાઓની દુનિયાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી, ત્યાંની વૈજ્ઞાનિક વિગતો અને દ્રશ્યો પૃથ્વી પર પાછા મોકલવાની બધી જ સગવડ છે.

અવકાશ મોટાભાગે ખાલી છે. પણ તેમાં એવા સૂક્ષ્મ રજકણ છે, જે લગભગ પ્રકાશની ગતિએ જઈ રહેલા નેનો ક્રાફ્ટ સાથે અથડાય તો નેનો ક્રાફ્ટ ભાંગી પડે.
આપણે આટલા બધા સ્પેસ ક્રાફ્ટ સામટા મોકલવાનું એક કારણ તે પણ છે.
વૉયેજર-વન 61155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું છે. પૃથ્વી છોડ્યે તેને ૪૦ વર્ષ કરતાં વધુ સમય થયો. આમ તો તે ઝડપી છે, પણ પ્રકાશની ઝડપનો તો વીસમો ભાગ.

પ્રોક્સિમા સેન્ચ્યુરી ચાર પ્રકાશ વર્ષ દૂર છે. વન-વે યાત્રા કરતાં ૨૦ વર્ષ થાય. પ્રોક્સિમા સેન્ચ્યુરી ફરતે પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જે વસવાટને લાયક વિસ્તારમાં આવે છે અને જ્યાં જીવન હોવાની સંભાવના આપણને લાગે છે.

આપણા રોબોટિક જાસુસો આ દુનિયાઓની માહિતિ મોકલશે. તેમના સંદેશા પ્રકાશની ઝડપે રેડિયો તરંગો મારફતે આપણા સુધી આવશે. તેમને આપણા સુધી પહોંચતા ચાર વર્ષ લાગશે. 20 વર્ષ ત્યાં પહોંચવાના, ૪ વર્ષ પાછા આવવાના. ૨૪ વર્ષની રાઉન્ડ ટ્રીપ.

તમારામાંથી કેટલાક કુદરતના પુસ્તકમાં જોડાનારા નવા પાના ત્યારે વાંચશે, લખશે અને તે પછીના ભવિષ્યની માણસ જાતની યાત્રાઓની રૂપરેખા તૈયાર કરશે.
પૃથ્વી, મહાસાગર કે આકાશની સીમા લાઘીંને.

૩: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_29.html

28.11.20

વાર્તા કહેવાની કળા _કૃષ્ણ કુમાર


બાળકોને વાર્તા કહેવી  સાચે જ એક કળા છે. આવો, તેના પાસાં ઝીણવટથી જોઈએ

ઘણા દુઃખની વાત છે કે આપણી પ્રાથમિક શાળાઓના પહેલા બે ધોરણમાં વાર્તા કહેવા માટે દરરોજ અલગથી ઘંટ વાગતો નથી. આવી વ્યવસ્થા હોત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની સમસ્યા અમુક હદ સુધી તો ઉકલી જાત. ઘણા લોકોને લાગશે કે બાળકોની ગેરહાજરીની સમસ્યા કેટલી ગંભીર છે તે હું સમજતો નથી. મારું ઉક્ત સુચન સાંભળી ઉચ્ચ અધિકારીઓ કટાક્ષ ભર્યુંસ્મિત કરે તેની સંભાવનાય ઘણી વધારે છે. તેમના બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાને તેમના મગજમાંથી એ સમજ ધોઈ નાખી છે, જે મારી સમજ મુજબ તેમની પાસે એક વખતે હશે, તે એ કે વાર્તા સાંભળવાની બાળકો પર જાદુઈ અસર થાય છે.

દુઃખની વાત એ પણ છે કે આપણી શિક્ષક તાલીમ સંસ્થાઓ વાર્તા કહેવાની વાતને ગંભીરતાથી લેતી નથી. જોકે, તેમાંથી કેટલીક પોતાના પાઠ્યક્રમમાં વાર્તા સંભળાવવાના મહત્વનો ઉલ્લેખ જરૂર કરે છે. 

નાના બાળકોને ભણાવવાવાળા દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા રાખવામાં આવે કે તેમના અધિકારમાં ઓછામાં ઓછી ૩૦ પારંપરિક વાર્તાઓ હોય -એવા એક દિવસની કલ્પના મારા મનમાં રમે છે. 'અધિકાર' શબ્દ દ્વારા હું એમ કહેવા માગું છું કે કે વાર્તાઓ શિક્ષકને એટલી સારી રીતે યાદ હોય કે તેઓ પૂરા આત્મવિશ્વાસ અને નિરાંતથી વાર્તાઓ કહી શકે. હજારો વાર્તાઓની પુરાતન પરંપરા ધરાવતા સમાજ માટે આ કઈ બહુ મોટી વાત નથી. 30 વાર્તા, જે શિક્ષક જ્યારે ઈચ્છે ત્યારે કહી શકે, પ્રાથમિક શાળાના પહેલા બે ધોરણનું વાતાવરણ બદલી નાખશે. શરત એટલી કે રોજિંદા પાઠ્યક્રમ-સમયપત્રકમાં વાર્તા કહેવાની વાતને એક સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે. તે એટલા માટે કે વાર્તા કહેવી એ બાબત જ તેની રીતે અત્યંત મહત્વની છે.

વાર્તાઓ લાવવી ક્યાંથી?
પાછલા ફકરામાં મેં એક વિશેષણ વાપર્યુ હતું, આગળ વધતા પહેલાં, તેના વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું. મેં લખ્યું કે હું પરંપરાગત વાર્તાઓના પક્ષમાં છું. યુવાન શિક્ષકોને વાર્તા કહેવાની તાલીમ આપવાનો મારો અનુભવ કહે છે કે તેઓને વાર્તા શોધી લાવવાનું સૂચન કરવામાં આવે ત્યારે તેઓ મોટેભાગે વર્તમાન પત્રોમાં કે બાળ સામયિકોમાં છપાયેલી વાર્તાઓ લઈને આવે છે. કેટલાક વળી કોમિક્સ, લાંબા જોક્સ કે પછી વાસ્તવિક ઘટનાઓના વર્ણનને ગોખી કાઢે છે. એ સાચું કે આ પ્રકારની સામગ્રીને 'વાર્તા' ગણવામાં આવે છે. પરંતુ, આ પ્રકારની વાર્તાઓ પ્રાથમિક શાળામાં ભણતા છ કે સાત વર્ષના બાળકો પર જાદુઈ અસર કરે તેવી આશા આપણે રાખી શકીએ નહીં.

પરંપરાએ આપેલી વાર્તાઓમાં કેટલીક એવી વિશેષતાઓ હોય છે, જે સમકાલીન વાર્તાઓમાં -જે આપણે જુદા જુદા માધ્યમમાં જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ- સકારણ નથી હોતી. તે વિશેષતાઓની આપણે ચર્ચા કરવાના જ છીએ. પણ, તે પહેલાં હું પરંપરાગત વાર્તાઓના કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. સૌથી પહેલાં પંચતંત્ર, જાતક, મહાભારત, સહસ્ત્ર રજની ચરિત્ર, વિક્રમાદિત્યની વાર્તાઓ અને જુદા જુદા પ્રદેશોની લોકકથાઓને સહજ અને સમૃદ્ધ સ્ત્રોત ગણી શકાય. તે પછી કથાસરિતસાગર, ગુલિસ્તાં અને બોસ્તાની વાર્તાઓ અને દુનિયાભરની લોકકથાઓને સ્થાન આપી શકાય. આ સ્ત્રોતો સરળતાથી ઉપલબ્ધ નથી. આથી, જે કોઈ વાર્તા કથનને રોજના પાઠ્યક્રમમાં નિયમિત તાસ બનાવવા ઈચ્છતું હોય, તેણે આ તમામ સ્ત્રોતોમાંથી પસંદ કરેલી વાર્તાઓનું એક સંકલિત પુસ્તક બનાવવું પડે.

કહેવા લાયક વાર્તા :
એક સારી વાર્તામાં કઈ વિશેષતાઓ હોય છે તે જાણવાનો સૌથી સહેલો રસ્તો છે- જેને એક પછી એક ઘણી પેઢીના બાળકોએ આનંદપૂર્વક સાંભળી હોય એક તેવી એક વાર્તાનું વિશ્લેષણ કરવું. પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા આવું જ એક ઉદાહરણ છે. આપણે તેનાથી એટલા બધા પરિચિત છીએ કે આપણને તેનું કથાનક સહેલું લાગે છે. આવો, પહેલાં આપણે તે વાર્તાનો એક વળાંક યાદ કરીએ.

વાર્તામાં એક દિવસ એવો આવે છે જ્યારે નાનકડા સસલાએ ઘરડા સિંહ આગળ હાજર થવાનું થાય છે. સિંહના દરવાજા સુધી પહોંચવામાં સસલો એટલું બધું મોડું કર્યું છે કે ભૂખનો માર્યો સિંહ ભારે અકળાયેલો છે. આ ક્ષણ મહત્વની છે અને તે સમયે સિંહ સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ શક્ય નથી; કેમકે સિંહ ભયંકર ગુસ્સામાં છે. છતાં, આવી તદ્દન અયોગ્ય પળે પણ સસલું પોતાને કેમ મોડું થયું તે વાત મૂકે છે. રસ્તામાં બીજો એક સિંહ મળ્યો તે વાત તદ્દન ખોટી છે. તેમ છતાં, ભૂખ્યા, ચિઢાયેલા સિંહના રાજાશાહી મગજમાં એ વાત બેસી જાય છે. હવે પહેલાં તો તે પોતાના હરીફને ઠેકાણે પાડવા ઈચ્છે છે અને એટલા માટે તે સસલા સાથે કૂવે જવા નીકળી પડે છે. આ બીજી નિર્ણાયક પળ છે. ત્યારે સસલું પોતાના જુઠ અને સિંહના અભિમાન અને ઈર્ષ્યા- કે જે તેણે જ જગાડ્યા છે- પર વિશ્વાસ રાખી આગળ વધે છે. કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોઈ સિંહ ભાન ભૂલે છે અને કૂદીને મરી જાય છે. 

આવો, આ જુની, પરિચિત વાર્તાને વધારે ઝીણવટથી જોઈએ. પહેલી વાત તો એ કે આ વાર્તાના વિષયવસ્તુમાં કોઈ ઉપદેશ નથી. તેને બદલે આ વાર્તા સ્પષ્ટ રીતે કેટલાક ગંભીર પ્રશ્નો સામે ઝઝૂમે છે: જેમકે, કોઈ પાશવી તાકાતની સામે કે મોત સામે હોય તેવી સ્થિતિમાં પોતાને કેવી રીતે બચાવવું. બાળકો સાથે વાત કરતી વખતે, મોટેભાગે આપણે આવા પ્રશ્નોની વાત કરતા નથી. જો કે બાળકોને આવા પ્રશ્નોમાં ઊંડો રસ હોય છે. આપણને સવાલ થાય કે બાળકોના આ રસનું કારણ શું? પણ, તે બાબતે હું પાછળથી વાત કરીશ. દરમ્યાન, હું આ વાર્તાની બીજી એક મોટી વિશેષતા પર ધ્યાન દોરવા માંગું છું - આ વાર્તા એક એવા નાનકડા પ્રાણીની છે, જે એક મોટા, શક્તિશાળી પ્રાણીએ ઊભી કરેલી મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યું છે. તે મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા તે નાનકડું પ્રાણી એક એવી રીત અપનાવે છે, જેને સામાન્ય રીતે આપણે અનૈતિક ગણીએ.

તે રીત આચરી રહેલું સસલું, સારા વ્યક્તિત્વના કેટલાક ઉમદા ગુણોનું ઉદાહરણ રજૂ કરે છે. તે ગુણો છે : સાહસ, મુશ્કેલીની ઘડીએ આત્મવિશ્વાસ, કોઈ ઘટનાની અંતિમ પળ સુધી પોતાનું મગજ ઠંડુ રાખવાની ક્ષમતા અને પોતાનાથી વધારે તાકાત અને ઉંમર વાળી વ્યક્તિ સામે યોગ્ય વર્તન કરવું.

આ વાર્તા કેટલી ઝડપથી આગળ વધે છે તે પણ આપણે નોંધવું જોઈએ. શરૂઆતમાં એક વિચિત્ર નિયમનો અમલ જોવા મળે છે, જેમાં રોજ એક પ્રાણી સ્વેચ્છાએ ઘરડા રાજાનો શિકાર થાય. આ પ્રકારની દૈનિક વ્યવસ્થા ગોઠવાયાના થોડાક જ સમયમાં સસલાનો વારો આવે છે અને વાર્તાનો મુખ્ય ભાગ પ્રગટ થાય છે. તે પછીની ઘટના ખૂબ જ ઝડપથી ઘટે છે, કારણ કે પોતાને બચાવવાની એક ખતરનાક રણનીતિ નક્કી કરી લીધા પછી સસલાને એક પણ ક્ષણ બગાડવી પોસાય નહીં. વાર્તા સાંભળનાર, સંવાદો દ્વારા એક પછી બીજી સ્થિતિમાં ધક્કો ખાતાં ખાતાં આગળ વધે છે. અહીં, સાંભળનાર પાસે આખી ઘટના સસલાની દ્રષ્ટિએ જોવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. 

ટૂંકમાં કરેલું આ વિશ્લેષણ તે કારણોને ઓળખવા માટે પૂરતું છે, જે કારણે આ વાર્તા બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે. સૌથી પહેલી વાત તો એ કે આ વાર્તા તેમને એક એવો નાયક- હીરો આપે છે, જેની સાથે તેઓ તાદાત્મ્ય અનુભવી શકે છે. તે હીરો છે સસલું. વાર્તામાં સસલું એવા પડકાર અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, જેવી બાળકો પોતાના દૈનિક જીવનમાં અવારનવાર અનુભવતા હોય છે. સસલું નાનું અને અશક્ત છે, તેણે એક એવું ભારે કામ કરવાનું છે, જે તે કરવા માગતું નથી. તેને એક એવા પ્રાણીનો શિકાર થવાનો ડર છે, જેની પાસે સંપૂર્ણ સત્તા અને શારીરિક તાકાત પણ છે. સસલાની પરિસ્થિતિના આ પાસાઓ દરેક બાળકની જિંદગીના પાસાઓ સાથે મળતા આવે છે. જોકે, માતા-પિતા કે શિક્ષકની ભૂમિકા ભજવવામાં ખોવાયેલા આપણે આ બધું જોઈ શકતાં નથી. ઉદાહરણ તરીકે, ઘણા ઓછા લોકો જાણે છે કે બાળકોમાં ચિંતા ઉભી કરનારા મુખ્ય કારણોમાંનું એક છે અચાનક થનારા મૃત્યુનો ડર.

શરૂ થતાની સાથે જ આ વાર્તા બાળકોનું ધ્યાન એટલા માટે આકર્ષિત કરે છે, કે બાળકો પોતાને તે વાર્તામાં જોઈ શકે છે. તે પછી વાર્તામાં આવતી ઘટનાઓને કારણે તેનું આકર્ષણ ઘૂંટાતું જાય છે. નાનકડું સસલું એક રણનીતિ ઘડે છે અને તે સફળ પણ નિવડે છે. સસલાની ચતુરાઈ ફક્ત તેના પોતાના માટે જ નહીં, પણ બધાની એક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દે છે. નાના બાળકોને આવા જ ઉકેલ ગમતા હોય છે. સસલાની રણનીતિ પ્રત્યે બાળકોના આકર્ષણનું એક કારણ છે કે બાળકોમાં જોવા મળતી નિર્દોષ, ભોળી ઈચ્છા -બહાનું કાઢવાની ઈચ્છા -તે રણનીતિમાં પડઘાય છે; મોડું પહોંચવા બદલ સસલું બહાનું બનાવી કાઢે છે. બીજું એક આકર્ષણ એ પણ છે કે તેનો હેતું ફક્ત પોતાનો જીવ બચાવવાનો જ નહીં, સિંહને મારવાનો પણ છે. હકીકતમાં, સસલાની દુવિધા એટલા માટે આકરી છે કે એક અન્યાયીને મારી નાખ્યા વગર તે પોતાને બચાવી શકવાનું નથી. આમ, મુશ્કેલીમાંથી પાર ઉતરવાનું જબરજસ્ત નાટયતત્વ રજુ કરવા માટે આ વાર્તા બહાદુરીપૂર્વક કરેલા નાશનો ઉપયોગ કરે છે. આમાં જો કોઈ નૈતિકતા છે, તો તે એ કે આત્મરક્ષા જ નૈતિકતા છે. આ વાત પણ આપણે ત્યારે જ જોઈ શકીએ જ્યારે આ વાર્તા બાળકોની નજરે જોઈએ. આપણે જો વડીલોની નજરે આ વાર્તા જોવાની જીદ રાખીશું, તો એવા તારણ પર પહોંચીશું કે આ એક અનૈતિક વાર્તા છે, જેવી તે ખરેખર છે પણ ખરી.

જરૂર શું છે? :
અત્યાર સુધીમાં તમને એટલું તો સ્પષ્ટ થયું હશે કે, એક સારી વાર્તા સાંભળતી વખતે બાળકોને નૈતિક-અનૈતિક શિક્ષણ સાથે સંબંધ હોતો નથી અથવા સીધો સંબંધ હોતો નથી. વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો સસલુ અને સિંહની વાર્તા એક પ્રેરક વાત પણ છે. આ વાર્તા જણાવે છે કે મુશ્કેલીના સમયે મગજ ઠંડુ રાખવાથી શું ફાયદો થાય. આ વાર્તા એમ પણ દર્શાવે છે કે વિચાર, બુદ્ધિ અને કલ્પનાનો ઉપયોગ કેટલો મહત્વનો છે. પણ, આ વાતો પારંપરિક અર્થમાં નૈતિક શિક્ષણ કહી શકાય નહીં. હકીકતમાં, મહાન પરંપરાગત વાર્તાઓ રૂઢિગત અર્થમાં ભાગ્યે જ નૈતિક શિક્ષણ આપતી હશે. આપણે એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે વાર્તા સંભળાવવાનો હેતુ બાળકોનો નૈતિક વિકાસ કરવો એ નથી. વાર્તા સાંભળવાથી થતા લાભ જરા જુદા પ્રકારના છે અને તે આમ છે :

વાર્તાઓ સારી રીતે સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરે છે : 
સારો શ્રોતા કોણ? તે, જે છેલ્લે સુધી સાંભળે. મોટાભાગના લોકો વિશે આપણે આવું કહી શકીએ એમ નથી. ત્યાં સુધી કે, ઔપચારિક દલીલો દરમ્યાન પણ લોકો એકબીજાને ટોકતા રહે છે. તેનું કારણ એ, કે ટોકનારાને એમ માનવાની ટેવ હોય છે કે સામેવાળી વ્યક્તિ શું બોલશે તે તેમને પહેલેથી ખબર છે. બીજું એક કારણ એ કે તેમનામાં સાંભળવાની ધીરજ હોતી નથી. નવાઈ ના લાગવી જોઈએ, કે સાંભળવું એ હવે કૌશલ જ નહીં, એક વલણ માનવામાં આવે છે; જેને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ સ્તરીય મેનેજરીયલ અને વહીવટને લગતા કોર્ષ શરૂ થઈ ગયા છે. વાર્તા સાંભળતાં જતાં જ્યારે સાંભળવું અને તેને લગતાં વલણ આપણી ટેવ બની જાય, ત્યારે જિંદગીના નિર્ણાયક તબક્કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા વિકસિત થાય છે.

આ વાત થોડી વિચિત્ર છે કે આપણા દેશમાં, જ્યાં સક્ષમ મૌખિક પરંપરા ઘણો લાંબો સમય ચાલી, ચાલતી રહી; સારા શ્રોતા દુર્લભ થતા જાય છે. મારું માનવું છે કે આ પરિસ્થિતિનો સંબંધ બાળપણમાં થયેલી વાર્તાની ઉપેક્ષા સાથે છે. એમ લાગે છે કે આધુનિક ભારત પાસે બાળકોને નિયમિતપણે વાર્તા કહેવાનો સમય નથી. તે ચૂકનું પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાર્તા સાંભળવાથી અનુમાન લગાવવાની કેળવણી મળે છે :
બાળકો પોતાને ગમતી વાર્તા વારંવાર સાંભળવા ઈચ્છે છે. કારણકે, એકવાર વાર્તાનો પરિચય થઈ જાય તે પછી ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવાની પોતાની વધી રહેલી ક્ષમતાની ચકાસણી કરવા બાળકો તે પરિચયનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે આ ચકાસણી અજાણતા થાય છે. વાર્તા બીજી કે ત્રીજી વાર સાંભળતી વખતે આગળ શું થશે તે વિશે પોતે સાચો અંદાજ લગાવી શકે છે તે જોવાથી બાળકોને આનંદ થાય છે. પોતાનો અંદાજ સાચો પડ્યાનો આનંદ જ એ ઈનામ છે, જે વાર્તા સાંભળતી વખતે એક અનુભવી શ્રોતા મેળવે છે. અને તે ફક્ત આનંદ જ નથી, તેનાથી વાર્તા સાંભળનાર બાળકનો પોતાની અંદાજ લગાવવાની ક્ષમતા પર વિશ્વાસ વધે છે. બાળકના સર્વાંગીણ વિકાસમાં આવા વિશ્વાસની ઘણી મોટી ભૂમિકા છે, ખાસ તો વાંચન ક્ષમતાના વિકાસ માટે. વાંચન ક્ષમતા એ શાળાના પહેલા બે ધોરણો માટેનો સૌથી મોટો પડકાર છે. સાક્ષરતા અને વાંચન વિકાસમાં અંદાજ લગાવવાની ક્ષમતાના ફાળાની વિસ્તૃત ચર્ચા મેં મારા પુસ્તક 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' -માં કરેલી છે

અંદાજ લગાવવાની ક્ષમતાનું મહત્વ બીજા વિષયો, ખાસ તો ગણિત અને વિજ્ઞાનમાં પણ છે. નિયમનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ કાઢવાનું ગણિતમાં સૈદ્ધાંતિક મહત્વ છે. વાર્તાઓમાં પણ નિયમ હોય છે, ફેર એટલો જ કે તે નિયમો રૂપકો તરીકે હોય છે ઉદાહરણ તરીકે, નાનું પ્રાણી ચાલાકી કરીને, મોટા પ્રાણીને છેતરીને વિજય પ્રાપ્ત કરે તે નિયમ ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. સસલું અને સિંહની વાર્તામાં પણ એમ જ થાય છે. વાર્તાઓ સાંભળતા સાંભળતા બાળકો તેમાં રહેલા નિયમ પકડી પાડે છે અને આ પકડ જ તેમની અંદાજ લગાવવાની ક્ષમતાની ધાર કાઢે છે.

વાર્તા આપણી દુનિયા વિસ્તારે છે :
હું એ દુનિયાની વાત કરું છું જે આપણે આપણા માથા અથવા દિમાગમાં લઈને ચાલીએ છીએ. વાર્તા તે દુનિયાને એ અર્થમાં વિસ્તાર છે કે તેમના દ્વારા આપણે એવા લોકો અને પરિસ્થિતિઓને ઓળખી શકીએ છીએ, જેમની સાથે આપણે ક્યારેય જોડાવાનું થવાનું નથી. 

પ્રશ્ન એ છે, કે આવા લોકો અને સ્થિતિઓને જાણવાનો ફાયદો શું? ફાયદો એ કે તે જીવનના અંગ છે. તે બધું ભલે આપણે વ્યક્તિગત રૂપે જાણતા ન હોઈએ, પણ તે આપણને માનસિકરૂપે હેરાન કરે જ છે -ખાસ કરીને બાળપણમાં- અને આ હેરાનગતિ એક રીતે જીવનભર ચાલે છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો ખરાબ લોકો વિશે ઘણી ચિંતા કરતા હોય છે. ભલેને તેમની આજુબાજુ કોઈ બહુ ખરાબ વ્યક્તિ ના હોય! આમ, તેઓ અંદરખાને એવી આશા રાખતા હોય છે કે તેમને કોઈ ખૂબ હોશિયાર, સુંદર અને સારા વ્યક્તિને મળવાની તક મળે. કલ્પના અને ભયંકર મુશ્કેલીનો ડર, આ બંને આદર્શ રીતે બાળ મનોવિજ્ઞાનનો હિસ્સો છે. પારંપરિક વાર્તાઓ આ મનોવિજ્ઞાનને જ વ્યક્ત કરે છે અને તેથી જ એવી વાર્તાઓ બાળકોને સરળતાથી આકર્ષે છે. વાર્તા સાંભળવાથી નાનું બાળક, જે હજી સાક્ષર પણ નથી બન્યું, પોતાની વાસ્તવિક દુનિયા કરતાં ઘણી મોટી દુનિયાનો કાલ્પનિક અનુભવ લઈ શકે છે.

વાર્તાના સંદર્ભમાં ઉપર લખેલી ચારેય વાત વાંચનને પણ લાગુ પડે છે. ભાષામાં રહેલા નિયમો અને ભાષાની સંરચનાઓ સાથે બાળકોનો પરિચય વાંચન કરાવે છે. સારું વાંચન એ હોશિયારી પૂર્વક અંદાજ લગાવવાની આદત પર આધારિત છે. ભાષાના નિયમોથી પરિચિત થયા પછી બાળકો અંદાજ લગાવી લે છે કે વાક્ય અથવા સંવાદમાં આગળ શું થશે. આ દ્રષ્ટિએ, વાર્તા સંભળાવવી બાળકોને સાક્ષર બનાવવા માટે ઉપયોગી છે.

વાર્તા કહેવાની આવડત : 
વાર્તા કહેવાની કળા પર અધિકાર મેળવવા ઈચ્છુક વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાની સ્મૃતિને ગંભીરતાથી લે. કહેવાવાળાને જો વાર્તા બરાબર યાદ નહીં હોય, તો તે સારામાં સારી વાર્તાની પણ વાટ લગાડી શકે છે. યાદ રાખી લેવાથી આત્મવિશ્વાસ વધે છે અને વાર્તા કહેવાવાળી વ્યક્તિ નિરાંત અનુભવે છે. શ્રોતાઓ સાથે સંબંધ બનાવવા માટે નિરાંત અથવા શાંતિ ખૂબ જરૂરી છે. બીજી વાત એ કે જ્યારે વાર્તા બરાબર યાદ હોય ત્યારે કહેનાર તેનો ઉપયોગ એક માળખા અથવા નકશા તરીકે કરી શકે છે.

આ માળખાનો ઉપયોગ શ્રોતાઓના મૂડ પ્રમાણે વાર્તામાં રંગ ભરવા થઈ શકે છે. વાર્તાને લાંબી કે ટૂંકી કરવી તે પણ અગત્યનો મુદ્દો છે. કોઈ દિવસ તમે ઈચ્છો કે સસલું સિંહ સામે ઊભું છે તે મુદ્દા પર તમે ખૂબ જ ઝડપથી પહોંચી જાવ. બીજા કોઈ દિવસે તમારી ઈચ્છા હોય કે વાર્તાના પહેલા ભાગને લંબાવો અને ભૂખ્યા સિંહના મનમાં કેવા- કેવા વિચાર આવી રહ્યા હશે, સિંહની ગુફા તરફ જઈ રહેલ સસલું કેવી -કેવી યોજના બનાવી રહ્યું હશે, વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરો. 

વાર્તામાં આવતા સંવાદમાં ઘણા વિકલ્પ રહેલા છે. તમે ઈચ્છો તો નાટકીય રીતે બે પ્રકારના અવાજમાં બોલીને ઈશારા અથવા મુદ્રાઓ દ્વારા સંવાદ રજૂ કરી શકો. સંવાદને જીવંત બનાવવા માટે તમે કઠપુતળીનો ઉપયોગ કરી શકો. વર્ગના એક ખૂણેથી બીજા એક ખૂણે ચાલીને તમે બંને પાત્રોને ભૂમિકા નિભાવી શકો. આ બધી શક્યતાઓ રોમાંચક છે અને તે આપણને પડકાર ફેંકે છે કે આપણે એક જ વાર્તાને દર વર્ષે અથવા એક જ વર્ષમાં ઘણી બધી વાર નવી નવી રીતે કહીને પોતાનું સામર્થ્ય વધારતા જઈએ.

જે શિક્ષકની જિંદગીમાં વાર્તાકથન સામેલ છે, તેનું જીવન ક્યારેય કંટાળાજનક હોઈ ન શકે. વાર્તાને રોજની ઘટના બનાવવા માટે પ્રાથમિક શાળાઓના પાઠ્યક્રમ વિશેની આપણી ધારણાઓને ગંભીરતાપૂર્વક બદલીએ.

_ કૃષ્ણકુમાર : પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને લેખક, શિક્ષણના મુદ્દા ઉપર સતત ચિંતન અને લેખન, 'રાજ, સમાજ ઔર શિક્ષા', 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.

22.11.20

૧.૨. સિતારા સુધીની સીડી

સમયનો વ્યાપ સમજવાનો કોઈ રસ્તો ખરો?
બ્રહ્માંડના જન્મ થી શરૂ કરીને આ ક્ષણ સુધીના સમયગાળાને સંકોરીને આપણે એક વર્ષનું કલેન્ડર બનાવી કાઢ્યું છે.

તેના પ્રમાણ માપ મુજબ દરેક મહિનો એટલે લગભગ સો કરોડ કરતાં થોડાક વધારે વર્ષ.
દરેક દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ.

આપણી વાર્તા આપણી આ નાનકડી દુનિયાના બીજા સજીવો સાથે જ શરૂ થાય છે.
પૃથ્વી પરના પ્રત્યેક સજીવની મા એક છે.
લગભગ ૪૦૦ કરોડ વર્ષ પહેલાં, 15મી સપ્ટેમ્બરે મહાસાગરના ઉંડાણના અંધારામાં તે ઘટના ઘટી.
આજનું નાનકડા એક કોષી જીવતંત્રમાં એક જાતનો રાસાયણિક દાદર હતો, ડબલ હૅલિક્સ, DNA.

તારકરજ.
ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન...

સુદૂર પ્રાચીનતમ તારાઓના ગર્ભમાં તત્વો રંધાયા, બિગ બેંગ વખતના હાઈડ્રોજન સહિત, આપણી આ નાનકડી દુનિયા ધબકાવવા.

આકસ્મિક ફેરફારો અને સંકરિત થતાં જનીનો જેવી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ જીવ સ્વરૂપો નિપજાવવામાં સફળ રહી, જેને આપણે કુદરતની પસંદગી આધારિત ઉત્ક્રાંતિ કહીએ છીએ.

સીડી લંબાતી ગઈ, વધુને વધુ પગથિયાં ઉમેરતી ગઈ.

આજે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ અને વનસ્પતિ જેટલા સંકુલ જીવ સ્વરૂપો ઉત્ક્રાંત કરવામાં જીવનને બીજા 300 કરોડ વર્ષ થયાં.

આપણા કોસ્મિક કેલેન્ડરમાં રજા રાખીએ તો 26મી ડિસેમ્બર તેમાંનો એક દિવસ થાય.
લગભગ 2000 લાખ વર્ષ પહેલાં પહેલો સ્તનધારી ઉત્ક્રાંત થયો.
તેમની સાથે પૃથ્વી પરના જીવનને મળ્યું એક નવું લક્ષણ- નીઓકૉર્ટેક્સ.
ટ્રિઆસીક* સમયગાળા દરમિયાન આ પ્રકારની પ્રજાતિ માટે ટકવાની તકો ઘણી ઓછી હતી. પરંતુ, પાછળથી પૃથ્વીની બીજી પ્રજાતિઓના કાળ એવા ડાયનોસોર લુપ્ત થયા.
નાનકડા, સંતાતા ફરતા સજીવોમાં ઉત્ક્રાંત થયેલા નીઓકૉર્ટેક્સને કારણે જ તેમના વંશજો વાનસ્પતિક જીવન રીત છોડી આગળ વધી શક્યા.

સ્તનધારીઓ બીજુ એક લક્ષણ પણ લાવ્યા જેનાથી આપણે સૌ પરિચિત છીએ.
તેમણે તેમના બાળકોને ધવડાવ્યા.
તેમણે બાળકોને પોષ્યા.
અને પ્રેમ કેળવાયો.
કોસ્મિક કેલેન્ડરનો મધર્સ ડે.

કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ એટલે જે સજીવો વાતાવરણ સાથે સારું અનુકૂલન સાધી શકે તેઓ અને તેમના બાળકોની ટકી જવાની શક્યતા વધારે.
કુદરતની પસંદગીમાં બુદ્ધિ એક મોટો વિશેષાધિકાર બની, ખાસ ફાયદો.

ફક્ત ૧૩ પરમાણુ વડે ઘટેલી એક ઘટનાને કારણે વનસ્પતિનું નસીબ કાયમ માટે પલટાઈ ગયું.
13 પરમાણુ કેટલા નાના હોય?
મીઠાના એક કણના 1,00,00,00,00,00,00,000મા ભાગ જેટલા.

આપણા કોઈ એક જ પૂર્વજના જનીનમાં સંકરણ- મ્યુટેશન થયું.
આપણા આત્મવિશ્વાસનો દરેક સ્ત્રોત, આપણે જે કંઈ શીખ્યા, જે કંઈ રચ્યું તે બધાનું મૂળ અહીં છે.
એક જનીનની સંરચનાત્મક જોડ.
તેના કારણે નીઓકૉર્ટેક્સ વધુને વધુ મોટું થતું જાય અને પોતાનામાં જ વળ ખાતું જાય તેવું પ્રોગ્રામિંગ શક્ય બન્યું.
કદાચ બ્રહ્માંડિય વિકિરણોની એક ચિનગારી અથવા વિભાજન પછી જૂના કોષની નવા કોષને જનીન આપતી વખતે થયેલી સામાન્ય ચૂક.
તે જે હોય તે, તેના કારણે આપણી પ્રજાતિમાં એક એવો ફેરફાર થયો જેની અસર આપણા પર જ નહીં, પૃથ્વી પરના તમામ સજીવો પર થઈ.

આ ઘટના બની આપણા કોસ્મિક કેલેન્ડરના નવા વર્ષની સંધ્યાએ.

સારું કે નરસું, તે બાજુએ રાખીએ તો, મોટા સમૂહો સાથે જોડાવાની અને તેમના પ્રત્યે વફાદાર રહેવાની, ચોક્કસ વિચાર ધારા પ્રત્યે આપણી ઘેલછા, ભવિષ્યની કલ્પના કરવાની આપણી શક્તિ, દુનિયાને બદલી નાખવાની આપણી તાકાત અને આપણી જિજ્ઞાસાના જવાબો શોધવા બ્રહ્માંડમાં ખાંખાખોળા કરવાની આપણી જીદ. . .
અને જેનો લેટિન અર્થ થાય 'સમજુ માણસ' થાય એવું આપણે આપણી પ્રજાતિને આપેલું વૈજ્ઞાનિક નામ -હોમો સેપિયન, તે બધું આપણી ઝીણકડી જનીન સીડીના એક પગથિયા પરથી ઉંચકાયું છે.

કોસ્મિક કૅલેન્ડરના છેલ્લા કલાકની છેલ્લ મિનીટે આપણા પૂર્વજો નાનકડા જૂથમાં રહેતા શિકારી અને વીણનારા હતા.

'માનવી માનવ થાય તોય ઘણું.' એમ લોકો બોલે છે ત્યારે મને જરાક નવાઈ લાગે છે.
સામાન્ય રીતે, તેઓ આપણી લાલસા, ઉપેક્ષા અને હિંસાની વાત કરતા હોય છે.
પણ, આપણને માણસ થયે તો માંડ અમુક સો હજાર વર્ષ થયાં.
વળી, આ સમયગાળા દરમિયાન આપણે એવા ન હતા.
આ વાત કઈ રીતે ખબર પડી?

હજી પણ ટકી ગયેલા શિકારી- ભટકતા જૂથોની જીવનશૈલી વિશે પુરાતત્વવિદો અને સંશોધકોએ એકઠી કરેલી માહિતી પરથી.
બેશક તેમાં અપવાદ છે, ખાસ કરીને આત્યંતિક દુષ્કાળના સંજોગોમાં.
પણ, તે સિવાયની માહિતીનો ખડકલો એક એવા માણસનું ચિત્ર રજૂ કરે છે જે બીજા માણસો સાથે અને પર્યાવરણ સાથે સંવાદિતામાં જીવ્યો હતો.
આપણી પાસે થોડું ઘણું જે કાંઈ હતું તે આપણે અંદરોઅંદર વહેંચ્યું, કારણકે આપણું ટકવું આપણા સામુહિક જોડાણ પર ટકેલું હતું.
આપણી જરૂરિયાતો કરતાં વધારે આપણે ભેગું કરતા ન હતા. કારણકે સતત ભટકતા જીવનમાં તે બોજ બનતું.
પ્રભાવ સ્થાપવા દાદાગીરી કરતા આલ્ફા મેલ- આક્રમક પુરુષની પરંપરાવાળા આપણા ચોપગા પૂર્વજોથી આપણે ખાસ અલગ ન હતા.

અને ઈશ્વર ક્યાં હતો?
બધે જ.

કાંકરા અને નદીઓમાં, વૃક્ષોમાં, પક્ષીઓમાં, બધા સજીવ સ્વરૂપમાં.
આવો હતો માણસનો સ્વભાવ, શરૂઆતના અમુક સો હજાર વર્ષ સુધી.

આફ્રિકાના દક્ષિણ છેડે ઊભો રહી હું વિચારું છું કે, તે સો હજાર વર્ષ દરમ્યાન અહીં બધું કેવું હશે?

ત્યારે પૃથ્વી પરના તમામ હોમોસેપિયન્સનું ઘર હતું આફ્રિકા.
તમામ 10, 000 જણનું.
તે સમયે જો તમે એલીયન તરીકે પૃથ્વીની મુલાકાતે આવો તો તમને લાગે કે માણસ લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે.
થોડાક સમયમાં આપણે સો લાખ થઈ ગયા.

શું થયું?
આપણે કેવી રીતે પૃથ્વીની મજ્જા, અવકાશ યાત્રા કરતી પ્રજાતિ બન્યા?

પૃથ્વીની સૌથી પહેલી પ્રયોગશાળામાં તમારુ સ્વાગત છે.
આપણા પૂર્વજો અહીં લોખંડ અને ગેરુથી સમૃદ્ધ ખનિજ તત્ત્વો સાથે રાસાયણિક પ્રયોગો કરી રહેલા.
તેમણે પોતાની વસ્તુઓ લાલ રંગથી સજાવી. બને કે તેમણે ગેરુના બીજા ઉપયોગો પણ કર્યા હોય. જેમકે, પ્રાણી માંસ સાચવવા, દવા તરીકે, હથિયારોની અણી કાઢવા કે પછી જીવાત ભગાડવા.
તેમણે કેટલાક પ્રતીકો સ્વરૂપે ગેરુ અંકિત કર્યો.

પૃથ્વી પર તદ્દન નવી બાબત આવી- કળા.
ના ખોરાક.
ના રહેઠાણ.
પણ કશુંક સંજ્ઞિત કરનાર.
અથવા એમ જ.
તે ચિત્ર કોઈ સીડી અથવા અંદરો અંદર ગૂંથાયેલી બે સીડી- ડબલ હેલિક્સ જેવું લાગે છે. 
તે જે હોય તે, તે માનવ સભ્યતાની સૌથી જૂની કલાકૃતિ છે.

બ્લોમ્બોસ ગુફામાં આપણે મેળવી એક મહાન શક્તિની સાબિતી પડી છે.લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ વર્ષ પહેલા માણસોએ એક ભવ્ય તાકાત શોધી.
ખોરાક માટે ભટકવાનું છોડી આપણે ખેતી કરવાનું શીખ્યા.
તેને કારણે બધું જ બદલાઈ ગયું.
અગાઉ ક્યારેય ના કર્યું હોય તેવું કશુંક આપણા પૂર્વજોએ કર્યું.
છોડ રોપવા, વાઢવા, જમીનમાંથી ખેંચી કાઢવા આપણા પૂર્વજોએ નવા સાધનો અને તકનીકો શોધ્યાં.
તેઓ સ્થિર અને 'ઘર'વાળા થયા.
તે સાથે કુદરત અને એકબીજા સાથેનો આપણો સંબંધ અગાઉ જેવો નહોતો રહેવાનો.
પ્રાણીઓ અને વનસ્પતિઓને પાળવાં, તે બધી જ ક્રાંતિઓની જનેતા છે, કારણકે બધાં મૂળ અહીં રોપાયા.
તેની અસરો ખૂબ લાંબા સમય સુધી, છેક આપણા સમય સુધી વર્તાવાની હતી.
મોટાભાગની ક્રાંતિઓની જેમ આ ક્રાંતિ પણ ફેરફારો લાવી -ખૂબ મોટા અને ડરામણા.
દુનિયામાં એક નવી સંકલ્પના જન્મી- ઘર.
આ ગ્રહ પરનો જમીનનો એક ચોક્કસ ટુકડો, જેના પર આપણો કોઈ પૂર્વજ અને પછી આપણે જન્મ્યા અને જીવ્યા.
લગભગ 7000 વર્ષ પહેલાં આ વસાહતો ઘણી મોટી થઈ.
ચૅલકોલિથીક* - ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.

###

*2510 લાખથી 1990લાખ વર્ષ પહેલાંનો સમયગાળો. જેના અંત ભાગમાં ડાયનોસોરનું સામુહિક નિકંદન નીકળી ગયું.

*ચૅલકોલિથીક- પથ્થરયુગ અને ધાતુ યુગ વચ્ચેનો સંક્રાંત ગાળો, તેને લગતા પુરાતત્વીય અવશેષો મળી આવેલ છે તે સ્થળ

*ઍન્ટોલિયન પ્રદેશ- હાલના તુર્કનો વિસ્તાર


ભાગ-૧: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post.html