28.10.22

ગ્લો દા વિન્સી

ચંદ્રને પોતાનો પ્રકાશ નથી. તેના પર પડતાં સૂર્યના પ્રકાશને કારણે આપણે તેને જોઈ શકીએ છીએ. જે રીતે વાત કરતી વખતે જો સામેની વ્યક્તિના ચહેરા પર પ્રકાશ પડતો હોય તો તે પ્રકાશ તેના ચહેરા પરથી પરાવર્તન પામી આપણી આંખમાં પ્રવેશે અને આપણને તે ચહેરો દેખાય. 

આ થઈ પુનમ. 
પુનમે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એવા ત્રિકોણીય આકારે ગોઠવાય છે કે સૂર્ય વડે ચંદ્રનો જેટલો ભાગ પ્રકાશિત થાય છે, તેટલો ભાગ આપણને દેખાય છે.
જેમ પૃથ્વી પર દિવસ રાત છે તેમ ચંદ્રના અડધા ભાગ પર જ સૂર્ય પ્રકાશ હોય, બાકીના ભાગ પર રાત હોય.

પણ, ધારો કે, સામેની વ્યક્તિ કરતાં અનેકગણા તેજસ્વી વ્યક્તિથી આપણી આંખ અંજાયેલી છે તો? પેલા મહાતેજ સૂર્યની હાજરીમાં બીજા તારા નથી દેખાતા, બેશક તે અનેકગણા વધારે દૂર છે તે પણ ખરું, તો પછી જેનો પ્રકાશ ઉછીનો છે તે ક્યાંથી દેખાય?

આ થઈ અમાસ.
અમાસ વખતે પણ ચંદ્રનો એટલો જ ભાગ પ્રકાશિત હોય છે જેટલો પૂનમે હોય, અડધો. પણ ત્યારે પૃથ્વી માટે સૂર્ય અને ચંદ્ર એક દિશામાં હોવાથી ચંદ્ર દેખાતો નથી. 

બપોર પછીના સમયે ચંદ્ર જોયાનો અનુભવ તમને હશે જ. મોટાભાગે અમાસ પછીના દિવસોમાં આમ થાય છે. ચંદ્ર જાણે પશ્ચિમથી પૂર્વ તરફ ખસતો હોય એમ પ્રકટે છે. 

કારણકે, અમાસ પછી ક્રમશઃ સૂર્ય અને ચંદ્રના અવકાશમાં હોવાના સમયમાં અંતર વધતું જાય છે. 
અમાસે સૂર્ય, ચંદ્ર લગભગ એકસાથે.
પૂનમે સૂર્ય ચંદ્ર લગભગ સામસામે છેડે- પશ્ચિમ, પૂર્વ.
આઠમે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લગભગ ૯૦°નો ખૂણો.
અને આ દરેક વખતે ચંદ્રનો અડધો ભાગ સૂર્યથી પ્રકાશિત છે, અદ્લ પૃથ્વીની જેમ. બસ, આપણા ત્રણનું સ્થાન એકબીજાની સાપેક્ષે બદલાય છે અને ચંદ્ર કળા કરે છે.

પૂનમે હોય તેટલો દરરોજ પ્રકાશિત હોવા છતાં એકમથી ચૌદસના ચંદ્રની ફાડમાં કેમ રોજ બદલાવ આવે છે? 

ચંદ્ર જો પૃથ્વીના ઓછાયામાં આવવાને કારણે એમ થતું હોય તો ચંદ્ર ગ્રહણ થયું કહેવાય. 

વળી, એકમથી🌒 માંડીને ચૌદશ🌔 સુધી ચંદ્રના પરિઘનો ચાપ ક્રમશઃ વધતો જાય તે સાથે તેનો કેન્દ્ર તરફનો પ્રકાશિત ભાગ આપણા દ્રશ્ય પટમાં ઉમેરાતો પણ જાય છે. પુનમથી અમાસ દરમિયાન તેથી ઉલટું 🌕, 🌔, 🌓, 🌑 .   

પિત્ઝાના ટૂકડા કરીએ તો કેન્દ્ર તરફ લંબાતા ત્રિકોણીય ભાગ જેવો દેખાવાને બદલે ચંદ્રનો ભાગ અંદરથી પણ ચાપ માર્યો હોય તેવો - અજવાળીયા વખતે પરિકરની અણી પરિઘ પર મૂકીને અંદરની તરફ અને અંધારિયા વખતે કેન્દ્રથી બહારની ધાર તરફ ચંદ્ર ગોળાઈમાં કેમ દેખાય છે?

કારણકે ચંદ્ર (વર્તુળ નથી) લગભગ ગોળ છે, સૂર્ય, પૃથ્વી અને અવકાશના મોટાભાગના પદાર્થોની જેમ. 

અને ગોળ પદાર્થ આવી જ રીતે કળા કરે.

ફરીથી : ચંદ્ર દરેક સમયે પુનમે હોય એટલો પ્રકાશિત હોય છે. પૃથ્વીની જેમ, અડધો.
ફરીથી, અમાસથી શરૂ કરીએ.
અમાસે ચંદ્ર અને સૂર્ય લગભગ સાથે ઉગે. તેથી સૂર્યના તેજમાં ચંદ્ર દેખાય નહીં.
અમાસ‌ પછીની એકમે ચંદ્ર 🌙 આવો દેખાય. નારંગીની એક ફાડથીય પાતળો. પણ, નારંગીની ફાડની અંદરની તરફનો સીધો રેખાખંડ કેમ નથી દેખાતો અને અહીં અને તેના બદલે બે બહિર્ગોળ ચાપ કેમ દેખાય છે?

પૃથ્વીના ગોળાની આકૃતિ પર અક્ષાંશ રેખાંશ કઈ રીતે દોરવામાં આવે છે? 
(|) 
રેખાંશ વડે સમજીએ. શૂન્ય રેખાંશને ઊભા રેખાખંડ તરીકે લઈએ તો ૧૦° પૂર્વ રેખાંશ બહિર્ગોળ ચાપ મળે. આ ચાપ અંદરની તરફ શૂન્ય રેખાંશના સીધા રેખાખંડ સાથે બંને ધૃવ પાસે જોડાયેલો છે, અદ્લ નારંગીની ફાડ. પણ, નારંગીની ફાડ છૂટી પાડી હાથમાં લઈએ તેમ કાંઈ ચંદ્રના ટૂકડા કે પૃથ્વીના દસ રેખાંશ જેટલા ગચ્ચાને છૂટો પાડી શકાતો નથી. તેથી, આપણે જ્યારે પણ ચંદ્ર જોઈએ છીએ, આપણે તેની ગોળાકાર સપાટી જ જોઈએ છીએ. તે સપાટી ગોળાકાર હોવાથી તેની લંબાઈ અને પહોળાઈ સીધી રેખા તરીકે નહીં પણ બહિર્ગોળ ચાપ તરીકે જ મળે, દેખાય; નારંગીની તમારા હાથમાંની ફાડની બહારની સપાટી પરની ડાબી અને જમણી બાજુ જાણે. અથવા પૃથ્વીના ગોળા પર ૨૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ. (એમ તો ૦° થી ૧૦° પૂ.રેખાંશ પણ આમ બે બહિર્ગોળ ચાપ જેવા જ મળે. પણ શૂન્ય રેખાંશ આકૃતિમાં સીધી લીટી તરીકે દેખાતો હોવાથી અહીં તેને ટાળ્યો છે.)

બીજના ચંદ્ર તરીકે નારંગીની બે ફાડ એકસાથે લો (અને તેમની બહારની ગોળાકાર સપાટી ધારો) અથવા પૃથ્વીના ગોળાની આકૃતિ પર ૩૦° પૂર્વ રેખાંશથી ૧૦° પૂર્વ રેખાંશ લો.
આ રીતે ક્રમશઃ ફાડ અને રેખાંશ વધારતાં જતાં આઠમે એટલે કે અડધી નારંગીએ કે ૧૮૦° પૂર્વ રેખાંશે પહોંચીશું ત્યારે (નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો) આપણને ચંદ્ર, નારંગી અને પૃથ્વીનો ચોથો ભાગ દેખાય.

અડધો કેમ નહીં?
પૃથ્વીના ગોળાની આકૃતિ એટલે ગોળાનો આપણી આંખ સામેનો ભાગ, એ તો ગોળાનું અડધિયું છે. બાકીનું અડધિયું તેની પાછળ છે. 

તેથી ઉલટું, નારંગીની ચોથા ભાગની ચીરીઓ સપાટી પર ગોઠવીએ તો અડધી નારંગીનો ભાસ આપે.
નારંગીની ફાડનો ઢગલો પણ સપાટીને સમાંતર ના ગોઠવતાં આગળ કહ્યું તેમ નારંગીની અંદર તરફની સીધી ફાડ શૂન્ય રેખાંશની રીતે ગોઠવી હોય તો અડધી નારંગી ગોઠવ્યા પછી પણ નજર સામે તો ચોથો ભાગ જ આવશે. 

આઠમે ચંદ્ર રોજની જેમ અડધો પ્રકાશિત હોવાનો, પણ આપણી આંખ સામે તેના અડધા પ્રકાશિત ભાગનોય અડધો ભાગ આવે છે. તે સમયે અપ્રકાશિત ભાગનોય (તે જ રીતે) ચોથો ભાગ આપણી આંખ સામે હોય છે, પણ તે અપ્રકાશિત હોવાથી દેખાતો નથી. હા, સારી નજરવાળાને કે ફોટો પાડીએ તો તેની આભા કળાય છે ખરી.

હવે નોમ, દસમના ચંદ્રની કળા જોઈએ. 
શૂન્ય રેખાંશથી ૧૮૦° પૂર્વ રેખાંશ પહોંચ્યા પછી પૂર્વ/જમણી તરફ વર્તુળને આગળ વધારવાની સીમા પુરી થઈ જાય છે. તે વર્તુળ પુરું કરવા હવે પશ્ચિમ/ ડાબી તરફ જ ચાપ મારવાનો થાય. તો, પૂર્વ/ જમણી તરફ ૧૮૦° રેખાંશનો ચાપ અને પશ્ચિમ/ ડાબી બાજુએ ૧૦°નો ચાપ હોય તેવી આકૃતિ ધારો. તે થયો લગભગ લગભગ નોમનો ચંદ્ર. 
આવું જ ઉમેરણ નારંગીમાં થશે.
આઠમ પછી ચંદ્રની કળામાં જે ઉમેરણ થશે તે - એકમથી સાતમ સુધી અંદરની તરફના ચાપ અને આઠમની લગભગ સીધી રેખાનું સામેની બાજુએ બહિર્ગોળ ચાપ આકારે થશે.

આમ, બીજી તરફ બહિર્ગોળ રીતે વધતાં જઈ વર્તુળ પુરું થશે.

આઠ કાળા, આઠ સફેદ કાગળ લઈ દરેકમાંથી એકસરખી ત્રિજ્યાવાળા વર્તુળ કાપી લો. અહીં સફેદ કાગળ તે ચંદ્રની સૂર્ય પ્રકાશ મેળવતી સપાટી એટલે કે દિવસ, કાળો ભાગ તે ચંદ્રની રાત. એક સફેદ કાગળ પર કાળો કાગળ એ રીતે ચોંટાડો જેથી એકમના ચંદ્ર જેટલો સફેદ કાગળ દેખાય. આમ કરતાં કાળા કાગળનો કેટલોક (એકમ જેટલો) ભાગ સફેદ કાગળની બહાર જશે. તે વધારાના ભાગને કાળજીપૂર્વક ફાડી લો. એકમના ચંદ્ર જેટલા તે કાળા ટુકડાને નીચેના સફેદ કાગળની પાછલી સપાટી પર બંધ બેસે તેમ ચોંટાડી દો. તમે જોશો કે તે સપાટી લગભગ ચૌદસના ચંદ્ર જેવી દેખાશે.

આ રીતે બીજથી આઠમ સુધીના ચંદ્ર બનાવતા જશો તો પાછળના ભાગે બીજ સામે તેરશ, પાંચમ સામે દશમ અને આઠમ સામે આઠમ મળશે. સફેદ કાગળ પર કાળો કાગળ ચપોચપ ચોંટાડી દેતાં એક તરફ પુનમ- ચંદ્ર દિવસ અને બીજી તરફ અમાસ-ચંદ્ર રાત જોવા મળશે.

આ પ્રવૃત્તિ એમ જોવામાં પણ ઉપયોગી બનશે કે દરેક સમયે ચંદ્રની અડધી સપાટી સૂર્ય પ્રકાશથી પ્રકાશિત હોય છે. આપણને દેખાય છે એટલી જેટલી ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની કોણીય ગોઠવણ હોય.

આ પ્રવૃત્તિમાં તો આપણે ચંદ્રના અપ્રકાશિત ભાગને કાળા કાગળ તરીકે જોઈ શકીએ છીએ પણ નરી આંખે ચંદ્ર જોઈએ ત્યારે તે અંધારો, કાળો ભાગ દેખાતો નથી.

પણ, તમે જો ધ્યાનથી જોયું હોય તો, અમાસ પછીની ચોથ, પાંચમની આસપાસ પ્રવૃત્તિમાંનો કાળા કાગળવાળો ભાગ કળાય છે, ચંદ્ર 'આખો' દેખાય છે; ફોટો લઈએ ત્યારે તો ખાસ. અહીં આખો એટલે પૂનમે દેખાય તેવો નહીં, પણ સામાન્ય નજરે પ્રકાશિત દેખાતા ભાગની સાથે સાથે જે ભાગ પર સૂર્ય પ્રકાશ પહોંચ્યો નથી તે ભાગ પણ ઝાંખો પાંખો દેખાય છે, ખાસ તો તેની ગોળાકાર ધાર, પરિઘનો બાકીનો ભાગ. ફોટો લઈએ તેમાં તો આખી ગોળ થાળી જ આવે જેનો થોડો ભાગ પ્રકાશિત, મોટાભાગનો ઝાંખો દેખાય. 🌒

સૂર્ય પ્રકાશ જ્યાં પહોંચતો નથી, ચંદ્રનો તે ભાગ કઈ રીતે દેખાય? (લેખની શરૂઆતમાં આપેલું ચહેરો જોઈ શકવાનું ઉદાહરણ યાદ કરો.)

ચંદ્ર સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરી શકતો હોય તો પૃથ્વી કેમ નહીં?
અને એમ તો આપણે બધા ગ્રહ અને ઉપગ્રહ જોઈ શકીએ છીએ તે પણ પ્રકાશના પરાવર્તનના કારણે જ સ્તો! જે રીતે કાગળ પરનું લખાણ આપણને દેખાય છે તે જ રીતે.

આ ઘટનાનું નામ છે Earthshine અને Planetshine.

અમાસ પછી સૂર્યપ્રકાશિત ચંદ્રની ગોદમાં પૃથ્વીપ્રકાશિત ચંદ્ર ગોઠવાયો હોય તેવું લાગે છે તેને, lo and behold, દા વિન્સી ગ્લો પણ કહે છે. કારણકે, દાદુ દા વિન્સીએ પહેલીવહેલીવાર તે ઘટના 'સમજાવી' હતી. તેમની તે કોશિશમાં કેટલીક વૈજ્ઞાનિક ક્ષતિ હતી છતાં, એકંદરે પ્રકાશના પરાવર્તન બાબતે તેમની સમજ ઠીક ઠીક સાચી હતી.

ભેગાં ભેગાં વધુ એક વિગત જાણી લઈએ. અવકાશિય પદાર્થની પ્રકાશ પરાવર્તન કરવાની ક્ષમતાને અલબેડો કહે છે. ચંદ્રનો સામાન્ય અલબેડો ૦.૧૨ છે, જ્યારે પૃથ્વીનો ૦.૩. મતલબ કે ચંદ્ર પોતાને મળતા પ્રકાશના ૧૨%નું પરાવર્તન કરે છે જ્યારે પૃથ્વી ૩૦%. જો ચંદ્ર પર જઈ પૃથ્વીને જોઈએ તો પૂનમે દેખાતા ચંદ્ર કરતાં તે ૧૦૦ ઘણી વધારે પ્રકાશિત દેખાય. અલબેડો‌નું પ્રમાણ શૂન્યથી એક વચ્ચે નોંધાય છે. અવકાશીય પદાર્થનો અલબેડો ૧ કહેવાય જો તે સોએ સો ટકા સૂર્ય પ્રકાશનું પરાવર્તન કરતો હોય.

મે-૨૦૨૧ની ૧૧ અને ૧૨ તારીખે ચંદ્રનો ફોટો લેવા પ્રયત્ન કરજો. 'પૃથ્વીની' (ચાંદ-ની હોય તો આ પણ હોય ને!) પકડાશે. 

અને ચૂકી જાઓ તો તે પછીના શુક્લ પક્ષની ત્રીજ-ચોથ-પાંચમે અથવા તે પછીના...






આજે આણંદના આકાશમાં 

વિન્સીની સ્કેચબુક 









28.3.21

પ.૩ (૨૦) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મગજની ભાષા જનીન પર છપાતી નથી કારણકે જીવનનું શબ્દ ભંડોળ પાંખું છે.
મગજને એવી ભાષા જોઈએ જેના શબ્દ ભંડોળમાં ૧૦,૦૦૦ ઘણા શબ્દો હોય.
માનવ મગજની માહિતીને બીટ્સમાં ગણીએ તો ન્યુરોન્સના તમામ જોડાણ સાથે તેની સરખામણી થઈ શકે...લગભગ હજાર લાખ કરોડ બીટ્સ. 
માનવ મગજની બધી વિગતોને જો લખાણ સ્વરૂપે મૂકવામાં આવે તો વિશ્વના સૌથી મોટા પુસ્તકાલયોમાંના પુસ્તકો કરતાંય વધારે સંખ્યા થાય. તમારા મગજમાં ૪૦૦ કરોડ પુસ્તકો છે.

મગજ ખુબ નાની જગ્યામાં સંકોરાયેલો વિશાળ મહાલય છે.
પેલી દરિયાઈ માઈક્રોબીઅલ્સ સાદડીએ જેની શરૂઆત કરી તેવા ન્યુરોન્સમાં તે લખાયું છે.
એક મિલીમિટરના હજારમાં ભાગ જેવડા ન્યુરોન્સ ઈલેક્ટ્રોકૅમિકલ કળ/ચાવી છે. આપણા દરેકમાં 8600 કરોડ ન્યુરોન્સ છે, આપણી આકાશગંગામાં આવેલા તારાની સંખ્યા જેટલા લગભગ.
ન્યુરોન્સ અને તેના ભાગ, ઍક્સોન્સ, સિનેપ્સીસ અનેે તેમને સમાવતા  કોષ મળીને મગજમાં એક નેટવર્ક રચે છે. ઘણા ન્યુરોન્સને તેમના પાડોશી સાથે હજારો સંપર્ક સૂત્ર હોય છે. ડૅન્ડરાઈટ્સ, બીજા ન્યુરોન્સ સાથે જોડાવા ન્યુરોન્સે રચેલા પરિપથ, આ નર્વ કોષને સીનેપ્સીસ સુધી લંબાવે છે અને એમ કરતાં સભાનતાની વિશાળ ગૂંથણી રચાય છે.

મગજની ન્યુરોકૅમેસ્ટ્રી આશ્ચર્યજનક હદે વ્યસ્ત રહેતી હોય છે, માણસે બનાવેલા કોઈ પણ મશીન કરતાં ઘણું ઘણું વધારે. પેલા ૧૦,૦૦૦ લાખ ન્યુરોન જોડાણને કારણે મગજ કાર્યરત છે અને જેના કારણે તમે તમે છો. પ્રેમ અને અહોભાવ જેવી તમારી ઊંડી લાગણીઓ, જ્યારે તમને કુદરતના વૈભવની અને સભાનતાના બંધારણની બારીકાઈની ઝાંખી થાય છે...તે બધું પેલા જોડાણને કારણે છે.

પ્રાકટ્યનો અર્ક આ છે : પદાર્થના સૂક્ષ્મતમ કણ સામુહિક કામ કરીને પોતે જે છે તેના કરતાં અનેકગણી મહાન અભિવ્યક્તિ પામે છે, બ્રહ્માંડ પોતાને જાણી શકે તે માટે.
પ્રાકટ્ય અંગે એક દર્શન પણ છે, જે આથી પણ ઉચ્ચ છે.
શું આપણે બ્રહ્માંડને જાણીએ શકીશું?
અને શું તે આપણને જાણી શકશે?
આ બધી આકાશ ગંગાઓ, સૂર્ય મંડળો, અસંખ્ય ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, વ્યક્તિઓ અને તેમના અરમાન...જે કાંઈ હતું, છે કે હોવાનું છે તે?
શું આપણે બ્રહ્માંડને જાણી શકીશું?

મને શંકા છે કે આપણે મીઠાના એક કણને પણ જાણીએ છીએ કે કેમ.
રસોડામાં વપરાતા મીઠાનો એક માઈક્રોગ્રામ, સારામાં સારી દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ માઈક્રોસ્કોપ વગર જોઈ ના શકે... તે એક કણમાં સોડિયમ અને ક્લોરિનના દસની સોળ ઘાત જેટલા અણુ હોય છે.
તેનો અર્થ શું થયો?
તેનો અર્થ એમ થાય કે મીઠાના પ્રત્યેક કણમાં એક હજાર લાખ કરોડ અણુ છે. મીઠાના કણને બરાબર સમજવો હોય તો ઓછામાં ઓછું તે દરેક અણુનું ત્રિપરિમાણીય સ્થાન સમજવું પડે.
હકીકતમાં, બીજું ઘણું જાણવા જેવું છે... દાખલા તરીકે,અણુઓ વચ્ચેના બળોના ગુણધર્મ.
પણ, તે ફરી ક્યારેક.

મગજ કેટલું જાણી શકે?
ગણતરી કરીએ તો, બદધે બધા ન્યુરોન્સ, તેમના ડેન્ડ્રાઈટ્સ, ઍક્સોન્સ, સીનેપ્સીસ સાથે... આપણે સો લાખ કરોડ બાબતો જાણી શકીએ.
પણ, તે તો મીઠાના કણમાંના પરમાણુઓનો એક ટકા થયું!
એટલે કે, બ્રહ્માંડ પ્રચંડ છે, જ્ઞાન પ્રાપ્તિના માનવ ઉપક્રમ માટે અનેક અનેકગણું ગહન. આ તબક્કે તો આપણે મીઠાના એક કણને બરાબર જાણતા નથી, બ્રહ્માંડ તો દૂરની વાત છે.

પણ, ચાલો આપણા મીઠાના એક માઈક્રોગ્રામ કણને વધુ નજીકથી જોઈએ.
મીઠું એક સ્ફટિક છે. તેની જાળીદાર રચનામાંની કેટલીક ખામીઓ અવગણીએ તો, સોડિયમ અને ક્લોરિનના પ્રત્યેક પરમાણુનું સ્થાન પૂર્વ નિર્ધારિત છે. આપણે જો વામન બની તે સ્ફટિકમય દુનિયામાં ઉતરીએ તો આપણને જાળીદાર રચનાઓના પડ પર પડ જોવા મળશે... સોડિયમ, ક્લોરિન, સોડિયમ...
મીઠાના એક કણના પ્રત્યેક પરમાણુનું સ્થાન દસ બીટ્સ જેટલી માહિતી છે. આટલી માહિતી મગજ માટે ભારરૂપ નથી. મગજ પાસે હજી ઘણી જગ્યા વધે છે.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જે એવા પ્રાકૃતિક નિયમોની નિયમિતતાથી સંચાલિત છે જે રીતે મીઠાનો પેલો કણ અસ્તિત્વમાં છે. તો...
બ્રહ્માંડ જાણી શકાય છે.
ભલે તેના નિયમ અતિ સંકુલ હોય, આપણી પાસે તે જાણવાની તક છે ખરી.
બ્રહ્માંડની વાસ્તવિકતા આપણા મગજની માહિતી ક્ષમતા કરતાં વધારે હોય તો પણ.
આપણે શરીરની માયા છોડી વધારાની માહિતી સાચવવા કમ્પ્યુટર બનાવી શક્યા છીએ.
અને એમ, અમુક હદે આપણે બ્રહ્માંડને જાણી શક્યા છીએ.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જેને કોઈ નિયમ નથી અને જે સંપૂર્ણ પણે આપણી ધારણા બહાર વર્તે છે. તેવા બ્રહ્માંડમાં લગભગ દસથી માંડીને એંસી સુધીના મૂળભૂત તત્ત્વ હોઈ શકે. આવા બ્રહ્માંડના રહેવાસીની દિનચર્યા કોઈ નિયમિતતા વગરની અણધારી ઘટનાઓનો શંભુમેળો- ગોટાળો હશે. અને જો આવા રહેવાસીઓ હશે તો તેઓ ભારે જોખમમાં હોવાના. 

આપણે નસીબદાર છીએ કે આપણને એવું બ્રહ્માંડ મળ્યું છે જેના અગત્યના હિસ્સા જાણી શકાય તેવા છે.
બ્રહ્માંડ એ લોકોનું છે જેઓ છેવટે કંઈક અંશે તેને ઓળખી શક્યા છે.
કુદરતમાં એવા કેટલાક નિયમ, વ્યવસ્થા તારવી શકાયા છે- ફક્ત ગુણાત્મક નહીં, સંખ્યાત્મક રીતે પણ, તે જાણવું રોમાંચક છે.
પણ, આપણી અંદરના બ્રહ્માંડનું શું?
તે અજાણ એકલવાયા દરિયાનું?

તમારા દિમાગમાં, સેરેબલ કૉર્ટેક્સમાં સો લાખ કરોડ- ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦- જોડાણ છે. દ્રશ્ય બ્રહ્માંડની આકાશગંગાઓના સો ગણા. હજી તો આપણે તેમાં યાત્રા શરૂ કરી છે.

જેમ જીવ વિજ્ઞાનીઓ માનવ જનીનનો નકશો બનાવી શક્યા તેમ ન્યુરોસાયન્ટિસ્ટ્સ આપણા દરેક માટે આગવો, ખાસ નકશો બનાવવામાં લાગેલા છે.
તેને કનેક્ટોમ કહે છે.

આપણે જો સાચે જ બીજી વ્યક્તિના કનેક્ટોમને- તેની તમામ સ્મૃતિ, વિચાર, ડર, ખ્વાબ... ના એકતારીય ચિત્રને- જાણીએ તો...

આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીશું?
શું આપણે કોઈ જીઓવાન્નીના દિમાગને તેની અગણિત તકલીફોમાંથી મુક્ત કરી શકીશું?
શું આપણે આપણા એક કનેક્ટોમને આ઼તરતારકિય ખોજ માટે ભવિષ્યમાં મોકલીશું, કે પછી તેવા કનેક્ટોમનું સ્વાગત કરીશું?

શું તે જ અંતિમ પ્રાકટ્ય હશે- વિચાર અને સપનાંથી સંકળાયેલું બ્રહ્માંડ?

અંક ૧૯: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_21.html