Showing posts with label Cosmos. Show all posts
Showing posts with label Cosmos. Show all posts

28.3.21

પ.૩ (૨૦) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મગજની ભાષા જનીન પર છપાતી નથી કારણકે જીવનનું શબ્દ ભંડોળ પાંખું છે.
મગજને એવી ભાષા જોઈએ જેના શબ્દ ભંડોળમાં ૧૦,૦૦૦ ઘણા શબ્દો હોય.
માનવ મગજની માહિતીને બીટ્સમાં ગણીએ તો ન્યુરોન્સના તમામ જોડાણ સાથે તેની સરખામણી થઈ શકે...લગભગ હજાર લાખ કરોડ બીટ્સ. 
માનવ મગજની બધી વિગતોને જો લખાણ સ્વરૂપે મૂકવામાં આવે તો વિશ્વના સૌથી મોટા પુસ્તકાલયોમાંના પુસ્તકો કરતાંય વધારે સંખ્યા થાય. તમારા મગજમાં ૪૦૦ કરોડ પુસ્તકો છે.

મગજ ખુબ નાની જગ્યામાં સંકોરાયેલો વિશાળ મહાલય છે.
પેલી દરિયાઈ માઈક્રોબીઅલ્સ સાદડીએ જેની શરૂઆત કરી તેવા ન્યુરોન્સમાં તે લખાયું છે.
એક મિલીમિટરના હજારમાં ભાગ જેવડા ન્યુરોન્સ ઈલેક્ટ્રોકૅમિકલ કળ/ચાવી છે. આપણા દરેકમાં 8600 કરોડ ન્યુરોન્સ છે, આપણી આકાશગંગામાં આવેલા તારાની સંખ્યા જેટલા લગભગ.
ન્યુરોન્સ અને તેના ભાગ, ઍક્સોન્સ, સિનેપ્સીસ અનેે તેમને સમાવતા  કોષ મળીને મગજમાં એક નેટવર્ક રચે છે. ઘણા ન્યુરોન્સને તેમના પાડોશી સાથે હજારો સંપર્ક સૂત્ર હોય છે. ડૅન્ડરાઈટ્સ, બીજા ન્યુરોન્સ સાથે જોડાવા ન્યુરોન્સે રચેલા પરિપથ, આ નર્વ કોષને સીનેપ્સીસ સુધી લંબાવે છે અને એમ કરતાં સભાનતાની વિશાળ ગૂંથણી રચાય છે.

મગજની ન્યુરોકૅમેસ્ટ્રી આશ્ચર્યજનક હદે વ્યસ્ત રહેતી હોય છે, માણસે બનાવેલા કોઈ પણ મશીન કરતાં ઘણું ઘણું વધારે. પેલા ૧૦,૦૦૦ લાખ ન્યુરોન જોડાણને કારણે મગજ કાર્યરત છે અને જેના કારણે તમે તમે છો. પ્રેમ અને અહોભાવ જેવી તમારી ઊંડી લાગણીઓ, જ્યારે તમને કુદરતના વૈભવની અને સભાનતાના બંધારણની બારીકાઈની ઝાંખી થાય છે...તે બધું પેલા જોડાણને કારણે છે.

પ્રાકટ્યનો અર્ક આ છે : પદાર્થના સૂક્ષ્મતમ કણ સામુહિક કામ કરીને પોતે જે છે તેના કરતાં અનેકગણી મહાન અભિવ્યક્તિ પામે છે, બ્રહ્માંડ પોતાને જાણી શકે તે માટે.
પ્રાકટ્ય અંગે એક દર્શન પણ છે, જે આથી પણ ઉચ્ચ છે.
શું આપણે બ્રહ્માંડને જાણીએ શકીશું?
અને શું તે આપણને જાણી શકશે?
આ બધી આકાશ ગંગાઓ, સૂર્ય મંડળો, અસંખ્ય ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ, વ્યક્તિઓ અને તેમના અરમાન...જે કાંઈ હતું, છે કે હોવાનું છે તે?
શું આપણે બ્રહ્માંડને જાણી શકીશું?

મને શંકા છે કે આપણે મીઠાના એક કણને પણ જાણીએ છીએ કે કેમ.
રસોડામાં વપરાતા મીઠાનો એક માઈક્રોગ્રામ, સારામાં સારી દ્રષ્ટિવાળી વ્યક્તિ પણ માઈક્રોસ્કોપ વગર જોઈ ના શકે... તે એક કણમાં સોડિયમ અને ક્લોરિનના દસની સોળ ઘાત જેટલા અણુ હોય છે.
તેનો અર્થ શું થયો?
તેનો અર્થ એમ થાય કે મીઠાના પ્રત્યેક કણમાં એક હજાર લાખ કરોડ અણુ છે. મીઠાના કણને બરાબર સમજવો હોય તો ઓછામાં ઓછું તે દરેક અણુનું ત્રિપરિમાણીય સ્થાન સમજવું પડે.
હકીકતમાં, બીજું ઘણું જાણવા જેવું છે... દાખલા તરીકે,અણુઓ વચ્ચેના બળોના ગુણધર્મ.
પણ, તે ફરી ક્યારેક.

મગજ કેટલું જાણી શકે?
ગણતરી કરીએ તો, બદધે બધા ન્યુરોન્સ, તેમના ડેન્ડ્રાઈટ્સ, ઍક્સોન્સ, સીનેપ્સીસ સાથે... આપણે સો લાખ કરોડ બાબતો જાણી શકીએ.
પણ, તે તો મીઠાના કણમાંના પરમાણુઓનો એક ટકા થયું!
એટલે કે, બ્રહ્માંડ પ્રચંડ છે, જ્ઞાન પ્રાપ્તિના માનવ ઉપક્રમ માટે અનેક અનેકગણું ગહન. આ તબક્કે તો આપણે મીઠાના એક કણને બરાબર જાણતા નથી, બ્રહ્માંડ તો દૂરની વાત છે.

પણ, ચાલો આપણા મીઠાના એક માઈક્રોગ્રામ કણને વધુ નજીકથી જોઈએ.
મીઠું એક સ્ફટિક છે. તેની જાળીદાર રચનામાંની કેટલીક ખામીઓ અવગણીએ તો, સોડિયમ અને ક્લોરિનના પ્રત્યેક પરમાણુનું સ્થાન પૂર્વ નિર્ધારિત છે. આપણે જો વામન બની તે સ્ફટિકમય દુનિયામાં ઉતરીએ તો આપણને જાળીદાર રચનાઓના પડ પર પડ જોવા મળશે... સોડિયમ, ક્લોરિન, સોડિયમ...
મીઠાના એક કણના પ્રત્યેક પરમાણુનું સ્થાન દસ બીટ્સ જેટલી માહિતી છે. આટલી માહિતી મગજ માટે ભારરૂપ નથી. મગજ પાસે હજી ઘણી જગ્યા વધે છે.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જે એવા પ્રાકૃતિક નિયમોની નિયમિતતાથી સંચાલિત છે જે રીતે મીઠાનો પેલો કણ અસ્તિત્વમાં છે. તો...
બ્રહ્માંડ જાણી શકાય છે.
ભલે તેના નિયમ અતિ સંકુલ હોય, આપણી પાસે તે જાણવાની તક છે ખરી.
બ્રહ્માંડની વાસ્તવિકતા આપણા મગજની માહિતી ક્ષમતા કરતાં વધારે હોય તો પણ.
આપણે શરીરની માયા છોડી વધારાની માહિતી સાચવવા કમ્પ્યુટર બનાવી શક્યા છીએ.
અને એમ, અમુક હદે આપણે બ્રહ્માંડને જાણી શક્યા છીએ.

હવે, એવા બ્રહ્માંડની કલ્પના કરો જેને કોઈ નિયમ નથી અને જે સંપૂર્ણ પણે આપણી ધારણા બહાર વર્તે છે. તેવા બ્રહ્માંડમાં લગભગ દસથી માંડીને એંસી સુધીના મૂળભૂત તત્ત્વ હોઈ શકે. આવા બ્રહ્માંડના રહેવાસીની દિનચર્યા કોઈ નિયમિતતા વગરની અણધારી ઘટનાઓનો શંભુમેળો- ગોટાળો હશે. અને જો આવા રહેવાસીઓ હશે તો તેઓ ભારે જોખમમાં હોવાના. 

આપણે નસીબદાર છીએ કે આપણને એવું બ્રહ્માંડ મળ્યું છે જેના અગત્યના હિસ્સા જાણી શકાય તેવા છે.
બ્રહ્માંડ એ લોકોનું છે જેઓ છેવટે કંઈક અંશે તેને ઓળખી શક્યા છે.
કુદરતમાં એવા કેટલાક નિયમ, વ્યવસ્થા તારવી શકાયા છે- ફક્ત ગુણાત્મક નહીં, સંખ્યાત્મક રીતે પણ, તે જાણવું રોમાંચક છે.
પણ, આપણી અંદરના બ્રહ્માંડનું શું?
તે અજાણ એકલવાયા દરિયાનું?

તમારા દિમાગમાં, સેરેબલ કૉર્ટેક્સમાં સો લાખ કરોડ- ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦- જોડાણ છે. દ્રશ્ય બ્રહ્માંડની આકાશગંગાઓના સો ગણા. હજી તો આપણે તેમાં યાત્રા શરૂ કરી છે.

જેમ જીવ વિજ્ઞાનીઓ માનવ જનીનનો નકશો બનાવી શક્યા તેમ ન્યુરોસાયન્ટિસ્ટ્સ આપણા દરેક માટે આગવો, ખાસ નકશો બનાવવામાં લાગેલા છે.
તેને કનેક્ટોમ કહે છે.

આપણે જો સાચે જ બીજી વ્યક્તિના કનેક્ટોમને- તેની તમામ સ્મૃતિ, વિચાર, ડર, ખ્વાબ... ના એકતારીય ચિત્રને- જાણીએ તો...

આપણે એકબીજા સાથે કેવું વર્તન કરીશું?
શું આપણે કોઈ જીઓવાન્નીના દિમાગને તેની અગણિત તકલીફોમાંથી મુક્ત કરી શકીશું?
શું આપણે આપણા એક કનેક્ટોમને આ઼તરતારકિય ખોજ માટે ભવિષ્યમાં મોકલીશું, કે પછી તેવા કનેક્ટોમનું સ્વાગત કરીશું?

શું તે જ અંતિમ પ્રાકટ્ય હશે- વિચાર અને સપનાંથી સંકળાયેલું બ્રહ્માંડ?

અંક ૧૯: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_21.html

21.3.21

પ.૩ (૧૯) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

મોસેનુ઼ં કામ આગળ લઈ જઈ હાન્સ બેર્જર બતાવવા માંગતો હતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે.
તેની શરૂઆત એક વિચિત્ર અકસ્માતથી થઈ.
હાન્સ બેર્જરનું સપનું હતું ખગોળ વિજ્ઞાની બનવાનું. પણ, તે ઘણું અઘરું હતું. તેથી ૧૯૮૨માં તે જર્મન સેનામાં ભરતી થઈ ગયો. એક વખત મોતના મોંમાંથી બચી જતાં બેર્જર હચમચી ગયો. પણ તેથીય ભારે ખળભળાટ તો રાત્રે થયો...તેના પિતા- જેમનું વલણ ટાઢુંબોળ રહેતું અને જેમણે અગાઉ ક્યારેય તેને સંદેશો નહોંતો મોકલાવ્યો- તરફથી ટેલીગ્રામ આવ્યો હતો. બેર્જરની મોટી બહેન એવી આશંકાથી છળી મરી રહેલી કે તેના નાનકા ભાઈ સાથે કશુંક ભયાવહ થયું છે.
'એ શું શક્ય છે...' બેર્જરને નવાઈ લાગી 'કે જે ક્ષણે પોતે મોતના મુખમાં હતો, પરિવારમાં પોતે જેની સૌથી નજીક હતો તેવી બહેનને પોતાના મગજે  કોઈ ટૅલીપથીક સંદેશો મોકલ્યો હોય?'

બેર્જર દાક્તર બન્યો અને જેના વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસર પણ.
દિવસ દરમિયાન તે વિદ્યાર્થીઓ અને સાથીદારો સાથે કામ કરતો- જેમને લાગતું કે બેર્જર વધારે પડતો ફોર્મલ અને વૈજ્ઞાનિક સાહસ વિનાનો છે. પણ રાત્રે તે એક ખાનગી પ્રયોગશાળામાં જતો જ્યાં તે મગજની પ્રવૃત્તિઓ બાબતે પ્રયોગો કરતો.
બેર્જર માનતો કે મનની શક્તિઓ વાસ્તવિક છે તેમ સાબિત કરવાની આ શ્રેષ્ઠ તક છે. તેને ડર હતો કે તેના સંશોધનનો સાચો હેતુ જાહેર થશે તો લોકો તેના પર હસશે.
તેણે વીસ વર્ષ સુધી આ વાત સંતાડી રાખી. 

બેર્જરે બનાવેલા ઈલેક્ટ્રોઍન્સેફલોગ્રાફ વડે મગજના સંદેશાના તરંગ પકડી શકાય છે અને ઘણા માનસિક રોગ- ખેંચ સહિત-નું નિદાન કરી શકાય છે.
માનસિક શક્તિ અથવા ટૅલીપથીક સંવાદની કોઈ સાબિતી તેને ક્યારેય મળી નહીં.
બેર્જર ઘેરી હતાશામાં સરી પડ્યો અને ૧૯૪૧માં તેણે પોતાની ખાનગી પ્રયોગશાળામાં ગળેફાંસો ખાઈ લીધો.
EEG આજેય વપરાય છે, જો કે, બેર્જરના સાધન કરતાં અનેક ઘણી વધારે ચોકસાઈથી મગજની પ્રવૃત્તિઓ જોવાના, નોંધવાના વિકલ્પો હવે આપણી પાસે છે. આપણે હવે વિચારોની ઈલેક્ટ્રોકેમિકલ ભાષા ઉકેલી શકીએ છીએ.

ઍન્જેલો મોસોએ જીઓવાન્નીના સપનાના ઇલેક્ટ્રિક તરંગ નોંધ્યા તેના બરાબર સો વર્ષ પછી, નવીસવી પ્રેમમાં પડેલી સ્ત્રીના મગજના તરંગ વોયેજર નામક આંતર તારકિય યાન સાથે મોકલવાના સંદેશાઓમાં શામેલ કરવામાં આવ્યા, આકાશગંગામાં અબજો વર્ષની યાત્રાએ.

ઘોડાગાડીથી આંતર તારકિય યાન સુધીની યાત્રા- માત્ર સો વર્ષમાં.

ટેલિગ્રામથી શરું કરીને પ્રકાશની ઝડપે આપણા વિચારો બીજા સુધી પહોંચાડવા, આપણી ઊંડી લાગણીઓ ભવિષ્યમાં પહોંચાડવી...
આપણે આવો હનુમાન કુદકો કંઈ રીતે લગાવી શક્યા?
અને શા માટે આપણે જ- પૃથ્વી પર ધબકેલા, ધબકતા અગણિત જીવોમાંથી?
આફ્રિકાના સવાનામાંથી નીકળેલા પ્રાઈમેટ્સના વંશજોએ મંગળ ગ્રહના લાલ રણમાં રોબોટિક જાસૂસો મોકલ્યા છે, પૃથ્વી ફરતે કુત્રિમ ઉપગ્રહોની હારમાળા રચી દીધી છે. આપણું એક યાન, વૉયેજર વન, સૂર્યના ગુરુત્વાકર્ષણથી છટકીને આંતર તારકિય અવકાશના ઊંડાણમાં જઈ રહ્યું છે.

અને, આ બધી જ શોધયાત્રાઓની શરુઆત થઈ છે મગજમાં.
આપણી રહસ્યમયી પ્રાપ્તિઓ જેના થકી શક્ય બની છે તે જ આપણને કેમ સમજાતું નથી?
માન્યામાં ના આવે પણ આપણું મગજ એ જ તત્વોનું બનેલું છે જેનાથી આપણું પેટ કે પગ બનેલા છે.

સભાનતા પ્રકૃતિ પારની જણાય છે.
ઓળખ, આશ્ચર્ય, શંકા, કલ્પના, પ્રેમ...

આવર્ત કોષ્ટક પરથી આપણે શ્રેષ્ઠતાનું સંકલન કઈ રીતે થાય?

ચીલી અને પેરુના દરિયાઈ પટ્ટીમાં એક સાગરને તળીયે જઈ જોઈએ. અહીં પૃથ્વી પરનું કદાચ સૌથી મોટું જૈવિક તંત્ર છે. તે છે માઈક્રોબ્સની વસાહત, ગ્રીસ જેટલા વિસ્તારમાં. પણ, તેના કદ કરતાંય બીજી એક જબરજસ્ત બાબત છે તેમાં : આ વસાહતના પૂર્વજો દર્શાવે છે મગજના ઘડતરનો પ્રાથમિક તબક્કો.
આ વસાહતના કેન્દ્રમાં રહેતા માઈક્રોબ્સ ભૂખ્યા થાય ત્યારે તેઓ વસાહતની સરહદો પર રહેતા નાગરિક-માઈક્રોબ્સને ઈલેક્ટ્રોકૅમિકલ સંદેશા મોકલે છે. આ સંદેશા આયોન ચૅનલ નામે ઓળખાતા રસ્તે જાય છે. જાણે કે સ્પાર્ટાથી મોકલાયેલો સંદેશો પોટેશિયમના કેસરીયા તરંગ તરીકે ઍથેન્સ પહોંચે : બધું ઝાપટી ના જશો!

જવાબમાં વસાહતના સીમાડાના માઈક્રોબ્સ પોષક તત્ત્વોની પોતાની ખપત ઘટાડે.

શક્ય છે કે આ માઈક્રોબ્સના પૂર્વજોએ આ વિશીષ્ટ પ્રકારના સંદેશાવ્યવહાર માટે ન્યુરોન/ ચેતા કોષ ઉત્ક્રાંત કર્યા હોય.

પ્રાણી સૃષ્ટિના લગભગ તમામ જીવોમાં  ન્યુરોન/ ચેતા કોષ ચેતાતંત્રનો પ્રાથમિક એકમ છે. એક પ્રજાતિથી બીજી પ્રજાતિના ચેતા કોષોમાં લગભગ નહીંવત્ તફાવત જોવા મળે છે. પણ, તેમની સંખ્યામાં તે ફેરફાર નોંધપાત્ર રીતે મોટો છે.
હાલ એવું મનાય છે કે એક સમયે દૈવી રોગ ગણાયેલ ખેંચ એ આયોન માર્ગોની મગજમાં ખોટી રીતની દોટ છે.

જરા વિચારો : એક માઈક્રોબીઅલ ચાદર અને આઈઝેક ન્યુટન લાખો, કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ વડે જુદા પડે છે. છતાં, બંનેનું મૂળભૂત વૈચારિક પરિબળ એક જ છે. ૪૦૦ કરોડ વર્ષ પહેલાં માઈક્રોબ્સે વિકસાવેલ સંદેશાવ્યવહાર વ્યવસ્થા હજી પણ આપણી ભીતર છે. ત્રણસો કરોડ વર્ષ પહેલાં તે માઈક્રોબ્સને જોનાર કોઈએ પણ ભવિષ્ય નહીં ભાખ્યું હોય કે એક કોષી જૈવિક વ્યવસ્થામાંથી વિકસીને માણસ બનશે.

જૈવિક તંત્રો અને પર્યાવરણ વચ્ચે સદીઓ સુધી આદાન પ્રદાન થાય ત્યારે આવું થાય. જીવનના, જીવન જીવવાના અને સભાન થવાના નવા વિકલ્પો ઉઘડે.

જુદા-જુદા ભાગના સરવાળા કરતાં આખું માળખું મોટું થઈ જાય તેને કહે છે પ્રાકટ્ય.

ઘણા ઘણા વર્ષો, લગભગ ૬૦૦૦ લાખ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવને કાંઈક જુદું જ ઉત્ક્રાંત કર્યું, એક કમાન્ડ સેન્ટર જે તેના પર્યાવરણને ઓળખે અને તેની સાથે પ્રત્યાયન કરે - મગજ.

એવી ધારણા છે કે મગજ સૌ પહેલાં ફ્લૅટ વૉર્મ/ પટ્ટી કીડામાં બન્યું.
તે વખતે મગજ એટલે એક શિકારીને જરૂર પડે તેવું અંગ- શિકાર શોધવા અને આક્રમણના આયોજન માટેનું. બાયનોક્યુલર જેવી દ્રષ્ટિ મળતાં પટ્ટી કીડાને આસપાસની ચીજો તથા ઊંડાઈના પરિમાણ અંગે સ્પષ્ટતા સાંપડી- શિકાર ઝડપવાની વધુ તક.
પટ્ટી કીડાના મગજમાં ચેતાકોષોનાં બે સઘન જાળાં હતાં - ગેન્ગલીઆ.
તેમાંથી નીકળતા દોરડાં/તાર સૂચનાઓ અને સંવેદનાઓને શરીરના બીજા ભાગોમાં પહોંચાડતા- ૮૦૦૦ ન્યુરોન/ ચેતાકોષની મદદથી. પાછળથી ઉત્ક્રાંત થયેલા જીવોની સરખામણીમાં નગણ્ય, પણ એક નોંધપાત્ર શરૂઆત.
માયાના જે ભાગે કાનનહોવા જોઈએ તેવી જગ્યાએ પટ્ટી કીડામાં ઑરીસીઈસ છે- એક પ્રકારનું નાક. દેખાવમાં તે આપણી સાથે કોઈ મેળ ખાતું નથી પણ તેની અને આપણી વચ્ચે ઘણી સામ્યતા છે.  આપણા બેઉંમાં એક સરખા રસાયણો છે- ન્યુરોટ્રાન્સમિટર નામે ઓળખાતા. આપણે એક સરખા વ્યસનના બંધાણી છીએ : પટ્ટી કીડા શીખી શકે છે. પોતાના પર્યાવરણની માહિતી પર પ્રક્રિયા કરી તેઓ અનુકુલન તરફી વર્તન કરે છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેઓ એવું પહેલું પ્રાણી છે જેનું શરીર આગળ, પાછળના ભાગમાં વહેંચાયેલું હોય, જેને માથું હોય - શરીર રચનાનું એવું આદર્શ માળખું છે ૬૦૦૦ કરોડ વર્ષ પછી પણ સાંપ્રત હોય.

અને તેઓ ખરા અર્થમાં કેડી કંડારનારા હતા. 
તેમની પહેલાંના જીવો કરતાં અલગ, જે જોઈતું હોય તે શોધવા અજાણ જગ્યાઓએ રખડવાની ટેવ તેમણે કેળવી હતી.

પટ્ટી કીડા રસપ્રદ છે. પણ, તેમના અને આપણા મગજમાં મોટો તફાવત છે.
ત્યાંથી અહીં સુધી આપણે કઈ રીતે પહોંચ્યા?
ચોક્કસ ખબર નથી.
કારણકે મગજ પોચું, ભેજવાળું હોય છે.
જીવાશ્મિઓમાં તેમની છાપ સચવાઈ નથી.
પણ, મગજ પોતે પોતાના ભૂતકાળને સાચવીને બેઠું છે.
કેમ?
કારણકે મગજ એક મહાનગર જેવું છે.
દુનિયાના મોટાભાગના મહાનગરો આડેધડ, ટુકડે ટુકડે વિકસ્યાં છે- જે તે સમયની જરૂરિયાતને પહોંચી વળવા. ભાગ્યે જ કોઈ શહેર ભવિષ્યના આયોજન સાથે બનાવાયું છે.
જેમકે, ન્યુયોર્ક શહેરની કેટલીક ગલીઓ સત્તરમી સદીની છે, સ્ટોક એક્સચેન્જ ૧૮મી સદીનું, વૉટર વર્કસ અને ઈલેક્ટ્રિક વ્યવસ્થા ૧૯મી સદીનાં અને સંદેશાવ્યવહાર ૨૦મી સદીનો. 

મહાનગર એક મગજ જેવું છે : તે એક નાનકડા કેન્દ્ર તરીકે શરું થાય છે અને ધીમે ધીમે મોટું થતું જાય છે, બદલાતું જાય છે, ઘણા જૂના પૂર્જા જેમના તેમ કાર્યરત રાખીને.

અદ્યતન વ્યવસ્થા અમલી બનાવવા શહેરની પાણી કે વિજળીની ગોઠવણ રોકી ના શકાય. ફેરફાર ટુકડે ટુકડે જ થાય છે.
મગજ બાબતે પણ એમ જ છે.
મગજના જૂના રાચરચીલાનું ઘડતર અધકચરું હોવાથી તેને ફેંકી દેવું ઉત્ક્રાંતિને પોસાય નહીં.
મહાનગર અને મગજ બંનેએ રિનોવેશન દરમિયાન પણ કામ કરતાં રહેવું પડે.
તેથી જ આપણી લીમ્બિક સીસ્ટમ સેરેબ્રલ કોર્ટેક્સથી વિંટળાયેલી છે.
જૂનો ભાગ બધી અગત્યની વ્યવસ્થાઓ સંભાળે છે તેથી તેને એકદમ બદલી ના શકાય.
તેથી, ઘણી વાર તે કાંઈક ઉલટું જ કરે છે.
પણ, તે તો ઉત્ક્રાંતિની આડ પેદાશ છે.
મહાનગર એ સેરેબ્રલ કોર્ટેક્સની ભેંટ છે.


લેખ ૧૮: 
https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_14.html

14.3.21

૫. ર (૧૮) : બ્રહ્માંડિય દિમાગના આંતરિક જોડાણો

૧૯મી સદી

બ્રોકા માનવતાવાદી હતો. તે એવા તારણ પર પહોંચ્યો હતો કે મગજના બંધારણ બાબતે આપણો આપણા પ્રાણીજ પૂર્વજો સાથે ગાઢ સંબંધ છે. તેણે પોતાની યુવાનીમાં મુક્ત વિચારસરણીવાળા વ્યક્તિઓનું સંગઠન બનાવેલું. સંશોધન બાબતે કોઈ રોકટોક ના હોવી જોઈએ તેમ તે દ્રઢપણે માનતો હતો. પોતાના તે ઉદે્શ માટે તેણે જીવનભર કામ કર્યું.

છતાં, બ્રોકા સુદ્ધાં તે સમયના સમાજમાં પ્રવર્તતા પૂર્વગ્રહોથી અંજાયેલો હતો. તે માનતો હતો કે  સ્ત્રી કરતાં પુરુષો અને બીજા તમામ વર્ણના લોકો કરતાં ગોરા લોકોની બૌદ્ધિક ક્ષમતા વધારે છે. બ્રોકાનું ઉદાહરણ એ વાતની સાબિતી છે કે તેના જેવા માનવતાવાદી, મુક્ત સંશોધનના હિમાયતી પણ પ્રાદેશિક મતાગ્રહથી ગ્રસ્ત થઈ શકે છે.

સમાજ તેના શ્રેષ્ઠ ફરજંદને બગાડે છે.
નવીનતમ વિચારધારા સાથે કોઈ વ્યક્તિ સહમત ના થાય તે સ્વિકારી શકાય. પણ, સમાજનો મોટો વર્ગ જૂનવાણી માન્યતાઓને વળગી રહે તે દુઃખદ છે. દુઝતી અનિશ્ચિતતા વચ્ચે પ્રશ્ન ઊઠે કે  આપણા સમયની કઈ અવધારણાને પછીની પેઢી માફી યોગ્ય પણ નહીં ગણે?

બ્રોકાએ પહેલીવાર પ્રસ્થાપિત કર્યું કે શરીર રચના અને તેના કાર્ય વચ્ચે સંબંધ છે. પણ, જેને ભાન, બુદ્ધિ કે ચેતના કહીએ છીએ તેનું મૂળ ક્યાં?
સ્વપ્ન કયા પદાર્થનાં બનેલાં છે? તેમને તો બરણીમાં ભરી શકાતાં નથી!


પ્રાચીન ઇજિપ્તવાસીઓએ અંધારી રાતે આકાશમાં જોયું અને તેમને તેમાં આકાશગંગાની દેવી નુટ-ના શરીરનો ભાગ દેખાયો. તેઓ માનતા હતા કે સ્વપ્ન જોતી વખતે વ્યક્તિ આ જીવન પછીના જીવનમાં પ્રવેશે છે. તેથી, સ્વપ્ન જોવાને તેમણે એક વિધિનુ‍ં સ્વરૂપ આપ્યું, ભવિષ્યમાં શું છુપાયેલું છે તે જાણવાનો રસ્તો અથવા દેવતાઓને સંદેશો પહોંચાડવાનો માર્ગ. શ્રધ્ધાળુ તો સ્વપ્ન મંદિરની જાત્રા કરતા. સ્વપ્ન માર્ગ માટે પોતાને તૈયાર કરવા તેઓ એકાંતમાં રહેતા, શરીર અને મનને શુદ્ધ કરવા ઉપવાસ કરતા. ચોક્કસ દેવતાને સંબોધીને પ્રાર્થના લખી, બાળી નાખતા. તેનો ધુમાડો પ્રાર્થનાને દેવતા સુધી પહોંચાડશે એમ માનીને. કાશ આપણે ઈજિપ્તના ડૅન્ડેરા મંદિરમાં જોવાયેલાં સ્વપ્ન ઉકેલી શકતા!

તમને કાલે રાત્રે શું સ્વપ્ન આવ્યું હતું?

આપણી ઊંઘ અને જાગૃતિને છૂટી પાડતી પળ બાબતે પુરાણા ઈજિપ્શીયનો રોમાંચિત હતા.  તેઓ માનતા કે સ્વપ્નમાં આપણે સાચે જ કોઈ બીજા પ્રદેશમાં પહોંચીએ છીએ અને સ્વપ્નો વાસ્તવિક, હકીકત છે.
ઝાંખા પાંખા સપનાની ઝીણી ઝીણી વિગતો બીજી કઈ રીતે સમજવી?

ડૅન્ડોરા મંદિરમાં સ્વપ્ન જોનારાઓના ૧૦૦૦ વર્ષ કરતાં વધારે સમય પછી એક એવો વૈજ્ઞાનિક આવ્યો છે એમ માનતો હતો કે સભાન અને અનભિજ્ઞ વિચારોમાં કશીક તો વાસ્તવિકતા છે, કે સ્વપ્ન એટલી વાસ્તવિક બાબત છે જેને રેકોર્ડ કરી શકાય. તેણે એમ કરવાનો રસ્તો શોધી કાઢ્યો. બગડેલાં મગજ અને વેરવિખેર સ્વપ્નો જ્યાં હોય તેવી જગ્યાએ- ઈટાલીના તુર્કીમાં આવેલ મૅનીકોમીઓ દૅ કોલેગ્નો. ૧૭મી સદીમાં મૉનેસ્ટ્રી તરીકે બંધાયેલ તે જગ્યા ૧૮૫૦માં માનસિક ઉપચાર માટેની હૉસ્પિટલમાં તબદીલ થઈ હતી. પાછલા કેટલાક દશકથી તે બંધ છે.

તે સ્થળે ઍન્જેલો મોસોએ સ્વપ્ન અને વિચારોને લગતા પ્રયોગો કર્યા.
મજૂર વર્ગમાં જન્મેલા ઍન્જેલોએ વૈજ્ઞાનિક બનવા સખત મહેનત કરેલી. તેના શરૂઆતનાં સંશોધન દવા બનાવવા અને શરીર રચનાને લગતાં હતાં. અને તે તમામનો હેતુ મજૂરો, ગરીબોના જીવનને બહેતર બનાવવાનો હતો. વિજ્ઞાન થકી કામ કરવાની સ્થિતિમાં સગવડો અને સુધારા લાવી શકાય છે તેમ તે માનતો.
એવા સમયે, જ્યારે કોઈ સગવડ કે સંરક્ષણ વગર માણસો મોતના મોમાં જઈ કામ કરતા, મોસોએ ઈર્ગોગ્રાફ વિશે વિચાર્યું અને તે સાધન બનાવ્યું.  લોકોનો થાક માપતું તે સાધન તેણે એટલા માટે બનાવ્યું જેથી અતિશય શારીરિક શ્રમને કારણે ઊભી થતી તાણ માણસના શરીર અને મન પર શું અસર કરે છે તે પ્રયોગાત્મક રીતે દર્શાવી શકાય.

મોસોના મત પ્રમાણે 'નીચોવાઈ જવું'  તે શારીરિક તેમજ માનસિક સ્થિતિ છે, માણસના ચારિત્ર્યની ખોટ કે નબળાઈ નથી; શરીરનું કહેણ છે- પોતાને ઈજા પહોંચે તે પહેલાં જે કામ કરી રહ્યા છો તે કામ અટકાવી દેવાનું.

મોસોએ તર્ક લગાવ્યો કે ડરની જેમ  થાકનો પણ કોઈ ઉત્ક્રાંતિમૂલક ફાયદો છે. આ વાતનું નિદર્શન કરવા મોસો એવું કોઈ સાધન બનાવવા માંગતા હતા જે શરીરમાં લોહીના પ્રવાહને નોંધી શકે.

એક સંતુલિત ટેબલ પર વ્યક્તિને સુવડાવવાનો, ટેબલ સાથે નળાકાર સાધન એ રીતએ ગોઠવેલું કે જેના સરકવાથી તેની સાથે જોડાયેલ કિત્તો લોહીના પ્રવાહની નોંધ કરે. મૅડીકલ ઈમેજિંગનો પાયો નાખનારું સાધન. 

હૃદયની ગતિની તો નોંધ કરી શકાઈ પણ મગજની ગતિનું શું? ખોપડીમાં રહેલા મગજના સૂક્ષ્મ ગણગણાટને કેવી રીતે નોંધવો?

તે માટે કોઈ વ્યક્તિની ખોપડી ખોલવી પડે!
ગ્લોવાન્ની થ્રોન બે વર્ષનો હતો ત્યારે ખુબ ઊંચેથી પડતાં તેનું માથું એવું ભાંગ્યું હતું કે તેની ખોપડીનો અમુક ભાગ દૂર કરવો પડેલો. તે છોકરાને પાછળથી અવારનવાર, ભારે તીવ્ર ખેંચ આવતી. દિકરાનો રોગ ચેપી છે એમ માનીને તેના માબાપે પાંચ વર્ષની ઉંમરે તુરીનની મૅનીકોમીઓ દૅ કૉલેગ્નો હૉસ્પિટલમાં ભરતી કરી દીધો. ત્યાં તેની સ્થિતિ બદતર થતી ચાલી. તેને થયેલી ખતરનાક ઈજાના પરિણામે તેના મગજ સુધી પહોંચવાની બારી ખુલ્લી હતી. 

મોસોએ એટલું સંવેદનશીલ સાધન બનાવ્યું જે મગજમાં વહેતા લોહીના પ્રવાહને નોંધી શકે.

પણ, ગ્લોવાન્નીની સ્થિતિ એવી હતી કે તે ઊંઘતો હોય ત્યારે જ મોસો તેનો અભ્યાસ કરી શકે.
"રાતના અંધકારમય સન્નાટામાં, ગાઢ નિદ્રામાં સરેલા મગજની અંદર શું ચાલી રહ્યું છે તે જોવું, એક જબરદસ્ત અનુભવ હતો. દસથી વીસ મિનિટ સુધી મગજનો ધબકાર એકદમ ધીમો અને એકધારો રહ્યો. અને પછી, કોઈ બાહ્ય કારણ વગર, અચાનક મગજમાં સોજો જણાયો અને ધબકારાની ઝડપ ખુબ વધી ગઈ.

તે દુઃખી છોકરો આરામમાં હોય ત્યારે શું સ્વપ્ન તેને ચપટી સુખ આપવા આવતાં હતાં? કે તેની માતાનો ચહેરો કે બાળપણની સુખદ યાદ તેની સ્મૃતિમાં ચમકતી હતી- તેના બૌદ્ધિક અંધારાને રોશન કરીને તેના મગજને આવેગથી ધબકાવી નાખનારી યાદ? કે પછી તેનું દિમાગ પોતાને સંકોરી રહેલું?"

બરફવર્ષાવાળી તે રાતે ઍન્જેલો મોસોએ મગજને પેન પકડાવી, પોતાના વિશે લખવા માટે.
તેણે ન્યુરો ઈમેજિંગની શરૂઆત કરી અને બતાવ્યું કે ઊંઘમાં પણ મગજ ધબકે છે, જીવનની રસમના તેજ તણખા ઊંઘમાં પણ ઝબકે છે, સ્વપ્ન તરીકે, યાદ તરીકે, કોઈ ગોઠવણ તરીકે. આપણા વિચાર, કલ્પના, સ્વપ્ન...તે બધાના મૂળ કોઈ વાસ્તવિકતામાં છે.

તે ઘટનાના ત્રણ મહિના પછી રક્તદોષને કારણે ગ્લોવાન્ની કાયમ માટે ઊંઘી ગયો. હજી તે પુરા બાર વર્ષનો નહોંતો.

ન્યુરો સાયન્સ ક્ષેત્રે ઍન્જેલો મોસોના કામથી પ્રેરાઈને બીજી એક વ્યક્તિએ તે કામને મોટા પાયે આગળ લઈ જવાનું નક્કી કર્યું.


લેખ ૧૭: https://interact-6aya.blogspot.com/2021/03/blog-post_7.html

7.3.21

પ.૧ (૧૭) : બ્રહ્માંડિય દિમાગના જોડાણો

આપણે બ્રહ્માંડને જાણી- સમજી શકીએ?

આપણું મગજ બ્રહ્માંડને તેની તમામ સંકુલતા ‌અને ભવ્યતા સહિત સમજી શકવા સક્ષમ છે?
તેનો જવાબ ખબર નથી.
કારણકે આપણું મગજ પણ બ્રહ્માંડની જેમ જ એક રહસ્ય છે.
આપણા મગજના પ્રોસેસિંગ યુનિટ્સ (પ્રકિયક એકમો) -ની સંખ્યા લગભગ લગભગ ૧,૦૦૦ આકાશગંગાના કુલ તારાઓ જેટલી છે. લગભગ  ૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ (૧૦૦ પાછળ પંદર શૂન્ય) જેટલાં.
અને શક્ય છે કે પ્રોસેસિંગ યુનિટ્સનો સાચો આંકડો તેના કરતાં દસ ગણો વધારો હોય.

આપણા મગજની અંદર ઝાંકીએ.
જાણે છે રસાયણો અને વિધૃત બળોના કૅટેગરી- પ પ્રકારના વાવાઝોડાની વચ્ચે. આ તોફાન કોઈ ચેતવણી વગર આવે છે, ધમાલ મચાવી દે છે અને માથાનો અસહ્ય દુઃખાવો લાવે છે. પણ, તેમાં જ આ નાનકડા બ્રહ્માંડની કળ રહેલી છે.

અજીયન દરિયાના ટાપુ કોસ પર રપ૦૦ વર્ષ પહેલાંના સમયે જઈને જોઈએ. આ વાર્તા વિચારના ઈતિહાસમાં હનુમાન કુદકો છે. માનવ મન પર છવાયેલા રહેનારા સૌથી શક્તિશાળી ભ્રમ સૌથી પહેલાં આ સ્થળે તોડવામાં આવેલો.

ધારોકે, તમે એવા મા-બાપ છો જેમને એક જ સંતાન હોય. તે તમારા જીગરનો ટુકડો છે. તેના બુદ્ધિના ચમકારા તમારા મિત્રોનેય નવાઈ પમાડે છે, અભિભૂત કરે છે.
પણ, કશીક ગરબડ છે.
તેના મગજમાં એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે...
પેલીયસ! બેટા પેલીયસ!
રપ૦૦ વર્ષ પહેલાંના ગ્રીસમાં દવા હતી - કોઈ એક દેવતાને વિધિ કરીને શાંત કરવાથી વાઈ(ખેંચ)ના હુમલા મટાડી શકાય છે તેવી તિલસ્મી માન્યતા.
જ્યારે ગ્રીક કે બીજી સંસ્કૃતિના લોકો આવી વિધિ કરતા ત્યારે કેટલાક દર્દી સાજા થઈ જતા- ખેંચ અમુક સમય પુરતી આવતી હોવાના કારણે અથવા જે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિને કારણે. પણ, દર્દીઓ અને તેમનાં સગાં વહાલાં માટે તો જાણે વિધિ સ્વિકારીને દેવતા શાંત થયા હતા.
અને દર્દી મૃત્યુ પામે ત્યારે?
દેવતા એટલા ગુસ્સે, નારાજ છે કે કંઈ જ કરી શકાય એમ નથી.

વિચારવાની આ રીત માનવજાતની મહાન આવડત અને નબળાઈ, ભાત- પૅટર્ન ઓળખવી -ની ઉપર નિપજ હતી. આ કિસ્સામાં ખોટી ભાત ઓળખવી.

વાઈ એ દેવતાઓના ગુસ્સાનું પરિણામ છે તેવી માન્યતા કારણોના આંતર સંબંધો અંગેની મૂંઝવણ અને માણસ જ્યારે સ્થિતિનો ઉકેલ લાવી શકવા અસમર્થતા અનુભવતો હોય ત્યારે વાસ્તવિકતાને અવગણીને ઉઠતી ઉકેલ માટેની ઈચ્છામાંથી ઊભી થયેલી હતી.

અહીં કહેવાનો અર્થ એમ નથી કે તે સમયના ગ્રીકો પાસે વનસ્પતિઓ અને ખનિજોમાંથી બનાવેલી દવાઓ નહોંતી.
પણ, વાઈ- ખેંચ જેવા રહસ્યમય રોગ માટે તેઓ ફક્ત ધૂપ અને પ્રાર્થના કરતા.
તેમને તો એવો ખ્યાલ પણ નહોતો કે તે રોગનો મગજ સાથે કોઈ સંબંધ છે.

અને આવ્યો હિપોક્રેટસ.
બિમારી અને ઘાનું કારણ કોઈ દેવતાનો ગુસ્સો છે તે ધારણા તેણે ફગાવી દીધી.
તેણે લખ્યું : તબીબે દર્દીના આખા શરીર, તેના ભોજન અને વાતાવરણને તપાસવું.  શ્રેષ્ઠ તબીબી તે છે જે બિમારીને થતી અટકાવે. કુદરતી કારણ વગર કશું થતું નથી.

ફક્ત આટલા માટે પણ તેને આરોગ્ય ક્ષેત્રનો પિતામહ કહી શકાય.
તબીબો માટે આચારસંહિતા ઘડી કાઢવાનો યશ પણ તેને અપાયો છે.
આજે પણ તબીબો  ઈસ પૂર્વે ત્રીજી સદીમાં તેણે રચેલું મનાતું સોગંદનામું લઈને જ કાર્ય ક્ષેત્રમાં ડગ માંડે છે.

ભાન, ચેતના એ મગજમાં રહેલી છે એમ પહેલાં વહેલાં સમજી, જાહેર કરનારાઓમાંનો હિપોક્રેટસ એક હતો.

અત્યારે માનવામાં ના આવે પણ તે સંકલ્પના તે સમયે ક્રાંતિકારી હતી. તે સમયે પ્રચલિત સમજ એમ હતી કે આપણે હૃદયથી વિચારીએ છીએ. (આજે પણ કહેવતોમાં, ચબરાકિયા સુવિચારોમાં તે છાપ સચવાયેલી છે.)
અને તે તબક્કે હિપોક્રિટસે વિજ્ઞાનના ઈતિહાસમાં સૌથી મહાન ભવિષ્ય વાણી કરી.
હિપોક્રિટસે સારવ્યું કે તે અને તેના સમયના લોકોને વાઈનું શારીરિક કારણ ખબર નથી એટલે તેઓ તેને 'દૈવી રોગ' કહે છે.

તેણે લખ્યું : જ્યારે આપણને રોગનું કારણ ખબર પડી જશે, આપણે તેને દૈવી માનવાનું છોડી દઈશું.

પેલો બાળક શાપિત નહોતો, તેના મગજના વાયરિંગમા઼ કોઈ ગરબડ હતી. આપણે જ્યાં સુધી તેનો ઈલાજ દેવતાઓની મુનસફીમાં શોધતાં રહ્યા, તે બાળકને કે પોતાને આપણે કોઈ મદદ કરી શકવાના નહોંતા.

આ વાતને હજારો વર્ષ થયાં છતાં મગજ હજી પણ રહસ્ય જ રહ્યું છે.

ઈસા પૂર્વે ૪૨૦ વર્ષ અને ૧૯મી સદી વચ્ચેના સમયગાળામાં બ્રહ્માંડ વિશેની આપણી સમજ કૂદકને ભૂસકે વધી. આપણે પ્રકાશની ઝડપ, ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા અને આપણે જાણ્યું કે આપણો સૂર્ય અનેક સૂર્યો ધરાવતી આકાશગંગાનો એક ભાગ છે. અને છતાં, હિપોક્રિટસના ર૩૦૦ વર્ષ પછી પણ આપણે શરીરના તે ભાગ વિશે લગભગ કશું જ જાણતા નથી જે ભાગના કારણે આપણે બ્રહ્માંડને જાણીએ, સમજીએ છીએ.

કહીં શકાય કે મગજ વિશે હકિકતમાં આપણે કશું જ જાણતા નથી.

મગજનો અભ્યાસ  'ફ્રિનેલૉજી' નામના છદ્મ વિજ્ઞાન તરીકે ખોટકાઈ પડ્યો, જેમાં માણસની ખોપરીના આકાર પરથી તેની બુદ્ધિમત્તા અને વિશ્વસનીયતાની ધારણા કરવામાં આવે છે. તેની પાછળ પાછળ ખોપડી માપવા- મપાવવાનું ગાંડપણ આવ્યું.
ભાષા ક્ષમતા દાઢના હાડકાની ઉપર અને વૈવાહિક વફાદારી કાનની પાછળ- આવા તૂત ચાલ્યાં.
અને
અનાશ્ચર્યજનક રીતે યુરોપના ફ્રિનેલૉજીસ્ટસે 'શોધ્યું' કે યુરોપિયનોની ખોપરીઓ વૈશ્વિક ખોપરી કદના શ્રેષ્ઠતમ સ્તરની છે.

મગજ અને મનના જોડાણને લગતી પહેલી વહેલી સાચી સમજ ૧૮૬૧માં ફ્રાન્સમાં ઊભી થઈ. તે સમયે પૅરિસની બિસથ(Bicêtre- અર્થ: અસ્પતાલ) સાઈકિઆટ્રી અસ્પતાલ આધુનિક સગવડોવાળી હતી. ગાંડા અને માનસિક વિકલાંગોના ઈલાજમાં માનવીય હસ્તક્ષેપ કરનારી સત્તરમી સદીની તે પહેલી અસ્પતાલ હતી. ત્યાંના દાક્તરોમાં સર્જન પૉલ બ્રોકા તેમની કોઠાસૂઝ પ્રેરિત ઈલાજ માટે વખાણાતા હતા.

ટૅન...
તે દર્દીનું નામ હતું લુઈસ લેબોર્ગન. પણ, બધા તેને 'ટૅન' કહેતા કારણકે તે ત્રીસનો થયો પછીથી આ એક જ શબ્દ તે બોલ્યો હતો. તે વખતે તેને એકાવન વર્ષ થયેલા. 
ટૅનને વાઈના હૂમલા બાળપણથી આવતા. પણ, તેણે જ્યારે 'ટૅન' બોલવા સિવાયની બધી ભાષાકીય ક્ષમતા ગુમાવી દીધી ત્યારે તેને બિસથમાં દાખલ કરવામાં આવ્યો. અને હવે, બિચારો ટૅન મરણપથારીએ હતો. તેનું જમણું અંગ લકવાગ્રસ્ત થઈ ગયેલું અને શરીરમાં ગૅન્ગ્રિને પગપેસારો કરી દીધેલો.

ટૅનનો મામલો ગંભીર બન્યો તે પહેલાં બ્રોકા મગજના ચોક્કસ ભાગ વિશે ધારણાઓ કસી રહેલા જે ભાગ સ્મૃતિ અને બોલવાની ક્ષમતા બાબતે કદાચ જવાબદાર હોઈ શકતો હતો. મરણાસન્ન દર્દી વિશે બ્રોકા શક્ય બધું જ જાણવા માંગતો હતો, જેવી રીતે કોઈ પોસ્ટ મોર્ટમ પરથી જાણવા મળતું હોય છે.
આપણને ખબર નથી કે ખેંચને કારણે ટૅનના મગજના કોઈ ભાગને નુકસાન પહોંચ્યું હતું કે બાળપણમાં થયેલી કોઈ અજાણ ઈજાના કારણે, જેના લીધે પાછળથી તેની બોલવાની શક્તિ પર અસર પડી. 
પણ...
ટૅનના બદનસીબને કારણે પહેલીવાર બ્રોકા તારવી શક્યા - મગજનો તે ભાગ -આ કિસ્સામાં નુકસાન પામેલો મગજનો વિસ્તાર- અને તેનું વિશિષ્ટ કાર્ય- ભાષા ઉપયોજનની ક્ષમતા.

તેનું ઈનામ? આપણા મગજનો તે ભાગ ત્યારથી 'બ્રોકાસ એરિયા' તરીકે ઓળખાય છે.

બ્રોકા જેના નિયામક હતા તે નૃવંશશાસ્ત્ર સંગ્રહાલયના એક ઓરડામાં, એક બરણીમાં બ્રોકાનું મગજ આજેય સચવાયેલું છે; જ્યાં કબાટોની છાજલીઓ ઉપર છાજલીઓમાં ગુનેગારો અને જઘન્ય ખૂન કરનારાઓનાં મગજની સાથે સાથે  ઓગણીસમી સદીમાં પ્રજાને મંત્ર મુગ્ધ કરનારા અસામાન્ય બૌદ્ધિક દિમાગ પણ સચવાયેલાં છે.


1.3.21

૪.૪ (૧૬) વાવીલોવ

"સોવિયેત સંઘ સાથે કોઈપણ પ્રકારની દગાબાજી કર્યાનો હું ઈન્કાર કરું છું. મારો ગુનો, કદાચ, વૈજ્ઞાનિક મંતવ્ય ભેદ છે."

જડસુ આદર્શવાદીઓને કેમ તોડવા તે વાવીલોવના વિરોધીઓ જાણતા હતા. દિવસ-રાત, ૪૦૦ વખત તેની 'પુછતાછ' કરાઈ, કુલ ૧૭૦૦ કલાક. વાવીલોવ તૂટી ગયો ત્યાં સુધી. અટકાયતના એક વર્ષ પછી તેને ગોળી મારી દેવાની સજા થઈ. મૃત્યુ દંડ આપવાના સ્થળે તેને મહિનાઓ સુધી રાખવામાં આવ્યો.

અંધારું જ્યારે અત્યંત ઘેરું હતું ત્યારે વધું ઘેરું અંધારું ઉતરી આવ્યું.

હિટલરે સ્તાલિન સાથેની સંધી તોડી અને ભારે સંખ્યામાં જર્મન સૈનિકો અને ટેંકો રશિયાને જીતવા ઉતર્યા.

પણ, લેનિન ગાર્ડ (હાલનું સેન્ટ પિટ્સબર્ગ) પરનો હૂમલો અત્યંત ક્રુર હતો. 

તે આખી દુનિયાના જનીન વારસાને એકત્ર કરી સાચવી રાખનાર જગ્યા હતી. ખેતીની શરૂઆત થઈ, છેક તે સમયનાં બીજ.

સ્તાલિનને સમજાયું નહોતું, પણ હિટલરને સમજ હતી કે તે બેશકિમતી ખજાનો છે.

સાથીદારોને ખબર નહોતી કે વાવીલોવ જીવીત છે કે કેમ. તેમણે નક્કી કર્યું, "આ સંજોગોમાં વાવીલોવ જે કરતો, તે આપણે કરીશું."

જો શહેર પર જર્મનીનો ઘેરો લાંબો ચાલે તો રશિયનો ભૂખે મરવાના. તે મકાનમાં કેટલાક ટન બીજ હતાં, ખાદ્ય પદાર્થ. યુદ્ધનું ગાંડપણ શમે ત્યાં સુધી તે બીજને સાચવી રાખવાનું વાવીલોવના સાથીદારોએ આયોજન કર્યું.

ઈતિહાસમાં કોઈ વૈજ્ઞાનિક જૂથે આવી ક્રૂર કસોટીમાંથી પસાર થવાનું નથી થયું. માણસ ભાંગી પડે તે હદે સુધી તેઓ ધકેલાયા તેમ છતાં તેઓ ભાંગી પડ્યા નહીં.

૧૯૪૧ની ક્રિસમસના દિવસે જ તે શહેરમાં ચાર હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામેલા. તે પછી પણ હજાર દિવસ સુધી લેનિન ગાર્ડ હિટલરના સૈન્યના ઘેરાવા હેઠળ રહ્યું. તાપમાન ઋણ ચાલીસ ડિગ્રી હતું અને શહેરનું સમગ્ર વ્યવસ્થા તંત્ર પડી ભાંગેલું. હિટલરને લાગતું હતું કે 'માત્ર થોડોક વધુ સમય અને તે શહેર ઘૂંટણીયા ટેકવી દેશે. કોઈ શહેર આવી દુઃખદ સ્થિતિમાં લાંબુ ટકી શકે નહીં.'

સ્તાલિનને હર્મિટેજ સંગ્રહાલયના કળા વારસાની ચિંતા હતી. પણ, હિટલર પૅરિસના લુવ્ર સંગ્રહાલયનો કબજો કરી ચૂક્યો હતો.

વાવીલોવનો ખજાનો સ્તાલિનની ચિંતાનો મુદ્દો જ નહોંતો. પણ, હિટલરને તેનું મૂલ્ય ખબર હતી.

હિટલરે એક ખાસ જાસૂસી જૂથને વાવીલોવનો ખજાનો શોધી, હસ્તગત કરવાનું કામ સોંપ્યું હતું, જેથી હિટલરના મહાત્વાકાંક્ષી થર્ડ રેઈચ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.

શહેરના બોટોનિસ્ટને દિવસની બે બ્રેડના રાશન પર ટકવાનું હતું. અને છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.

બીજી તરફ, વાવીલોવને બીજા સ્થળે ખસેડાયેલો. "ચોપ્પન વર્ષ થયાં મને, છોડ ઉછેરનો મને ઘણો ઘણો અનુભવ અને જ્ઞાન છે. તે હું દેશ સેવા માટે વાપરવા માગું છું. તમને હાથ જોડું છું, ભીખ માગું છું, મને જે કામ આવડે છે તે કરવા દો, ભલે નિમ્નતમ સ્તરે." વાવીલોવ કરગરતો રહ્યો પણ કોઈ જવાબ ના આવ્યો.

તેના દેશે તેને મારી નાખવાને બદલે વધારે ક્રૂર સજા કરવાનું નક્કી કરેલું- જે વ્યક્તિ દેશમાંથી ભૂખમરાને દૂર કરવા મથતો હતો તેને ધીમે ધીમે ભૂખથી મારવાનું.

લેનિન ગાર્ડમાં બીજા ૮,૦૦,૦૦૦ લોકો ભૂખથી મરણ પામેલા.

સપ્ટેમ્બર ૧૯૪૧થી જાન્યુઆરી ૧૯૪૪ સુધીના જર્મન ઘેરાવા વચ્ચે લેનિન ગાર્ડ ટકી રહેલું.

દિવસની બે બ્રેડ પણ મળવી બંધ થયે ખાસો સમય થયેલો અને વાવીલોવના બીજ ખજાનાના સંરક્ષકોએ ભૂખે મરીનેય તે સાચવવાનું ઠેરવેલું.

બૉટોનિસ્ટ ઍલેકઝાન્ડર સ્ત્ચૂકીન, સીંગ દાણાનો નિષ્ણાત.

લીલીયા રોડિના, ઓટ્સ નિષ્ણાત.

દિમિત્રી ઈવાનોવ, ચોખાનો નિષ્ણાત.

બૉટોનિસ્ટ ભૂખે મર્યા પણ તેમણે બીજ ખજાનાને હાથ લગાડ્યો નહીં.

અને પ્રોટિન લીસેન્કોનું શું થયું? તે પછી પણ બે દસકા સુધી તેણે સોવિયેત ખેતી અને જીવ વિજ્ઞાન પર પકડ જાળવી રાખી. છેવટે, રશિયાના સુખ્યાત એવા ત્રણ વૈજ્ઞાનિકોએ તેના સ્યુડો સાયન્સની જાહેરમાં ટીકા કરી.

અને વાવીલોવનો ભાઈ, સર્ગેઈ, ભૌતિક વિજ્ઞાની? સ્તાલિને તેને સોવિયેત ઍકેડેમી ઑફ સાયન્સીઝનો ચૅરમેન બનાવેલો.

સ્તાલીનના મૃત્યુ પછી સ્તાલિન અને લીસેન્કોની જોડીએ રશિયાને કરેલા નુકસાનની વાતો થવા લાગી અને ત્યારે નીકોલાઈ વાવીલોવ વિશે ફરી એકવાર જાહેરમાં ચર્ચા શરૂ થઈ.

તેણે સ્થાપેલ બીજ સંગ્રહાલયને તેનું નામ અપાયું, જે આજે પણ છે.

તેના જ કારણે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડી વૉલ્ટ પૃથ્વીની ટોપી જેવા ભાગમાં જમીનમાં ઊંડે સચવાયેલો છે. તેમાં પીસ્તાળીશ લાખ પ્રકારનાં બીજ સાચવવાની સગવડ છે.

તો...વાવીલોવના સાથીદારોએ તે બીજ સંગ્રહમાંથી એક દાણો પણ કેમ ન આરોગ્યો? બે વર્ષ સુધી રોજે રોજ ભૂખે મરતા દેશવાસીઓને તેમણે તેલીબિયાં, બટાકા અને બીજાં બીજ કેમ ના આપ્યાં?

તમે આજે જમ્યા?

જો 'હા' તો તમે કદાચ વાવીલોવના ખજાનાને સાચવતાં ખપી ગયેલા બૉટોનિસ્ટોએ સાચવેલા બીજનું જ કોઈ આનુવંશિક ફળ આરોગ્યું હશે.

કાશ, આપણું ભવિષ્ય તે લોકોને મન હતું તેટલું કિંમતી આપણા માટે  પણ હોત!

 

અંક ૧૫: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_21.html

21.2.21

૪. ૩ (૧૫) : વાવીલોવ (૨૦૨૦)

 રશિયન શિયાળામાં તાજા લીલા વટાણા? સાચે જ?

"ઉઘાડા પગે રખડતા ટ્રોફીમ લીસેન્કો જો કહે તો સાચું હોય."

ના કોઈ વિશ્વ વિદ્યાલય કે પ્રયોગ શાળા, ના શતાવરી જેવા પ્રાચીન ખાદ્ય પદાર્થની શોધમાં વિદેશ યાત્રાઓ. ટ્રોફીમ સંશોધન કરતો રશિયન ખેતરોમાં, ખેડૂતની જેમ. અને તેના કારણે જાન્યુઆરીમાં રશિયનોને લીલા વટાણા મળવાના હતા.

એક તરફ જૉસેફ સ્તાલિન પોતાના રાજકીય વિરોધીઓની પદ્ધતિસર કતલ કરી રહેલો, બીજી તરફ તે રશિયન ખેતીને ભારે ફટકા મારી રહેલો, આધુનિક બનાવવા; જેનું પરિણામ ભયાવહ આવ્યું. વધારે સમૃદ્ધ ખેડૂતો કે જેઓ કુલાક નામે ઓળખાતા, સ્તાલિને તેમને એક વર્ગમાં ઢાળી દીધા. લગભગ પચાસથી સો લાખ લોકો ભૂખભરાનો ભોગ બન્યા.

ટ્રોફીમ લીસેન્કોએ તે દુઃખદ ઘટનાને એક તક બનાવી. વાવીલોવના જ્ઞાન અને પ્રસિદ્ધિ લીસેન્કોને અકળાવતાં અને કોઈ સાપની જેમ તે તાકી રહેલો. છેવટે, તેની ઈર્ષ્યાનું ઝેર સંહારનું કારણ બનવાનું હતું.

મધ્ય એશિયા પહોંચેલો વાવીલોવ ગાર્ડન ઑફ ઈડન શોધતો હતો, કારણકે પહેલાં વહેલાં સફરજન ત્યાં થયેલાં. દરેક બીજ જ્યાં પહેલાં વહેલાં પાંગર્યું તે સ્થળની શોધમાં વાવીલોવ આખી દુનિયામાં રખડતો હતો. દરેક બીજના નમૂના એકઠાં કરી તેમને સંભાળપૂર્વક સાચવી લેવા. વર્ષો પછી તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે રશિયા બદલાઈ ગયેલું. તે ભયંકર દુષ્કાળમાં સપડાયેલું હતું. ક્રાંતિ પ્રેરિત આશાવાદ હતાશા અને નિરાશામાં પલટાઈ ગયેલો.

ત્યારના લેનીનગાર્ડ શહેરમાં વાવીલોવે સ્થાપેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી પાસે જનીનીક માહિતીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો હતો. તેના સાથીદારો પ્રત્યેક બીજને તારવીને તેનું વર્ગીકરણ કરી રહેલા. પ્રત્યેક ભૂખ્યો રશિયન તેમની જવાબદારી હોય એવી ખંતથી તેઓ કામ કરી રહેલાં.

લીસેન્કો સ્તાલિન પાસે પહોંચ્યો. " કૉમેરેડ, દેશની સુરક્ષા બારામાં અગત્યની વાત મારે તમને કહેવી છે. વૈજ્ઞાનિકો જૂઠ ફેલાવી રહ્યા છે. ડાર્વિન, મૅન્ડેલ, વાવીલોવ, બધા. તેઓ કહે છે કે જિરાફની ડોક એટલા માટે લાંબી નથી કે તે ઊંચા વૃક્ષના પાંદડા ખાઈ શકે. તેમનું કહેવું છે કે કોઈ કાલ્પનિક, અદ્રશ્ય તત્ત્વ જેને તેમણે જનીન નામ આપ્યું છે, તેમાં તેવા જ અજાણ્યા કારણોથી એવા ફેરફાર આવે છે કે જે જિરાફને પોતાની ડોક લાંબી કરવા પ્રેરે છે."

"કાલ્પનિક બાબતોમાં હું માનતો નથી." સ્તાલિને કહ્યું.

"વાવીલોવ જ્યારે સુવેનિયર શોધવા દુનિયામાં ફરી રહેલો ત્યારે રશિયા માને જેની જરૂર છે તેવો રસ્તો શોધી કાઢ્યો છે. આકરા શિયાળામાં પાકે તેવાં ઘઉંની જાત.  પણ, તેને અમલમાં મૂકવા મને છૂટો હાથ મળવો જોઈએ, કોઈ જૂનવાણી જિનેટીક્સની દખલ વગર."

સ્તાલિન તેની વાતમાં કેમ આવી ગયો? કેમકે, તે તેવી વાત માની લેવાની ઉતાવળમાં હતો.

લીસેન્કો એક નકામી ઠેરવી દેવાયેલ- ૧૯મી સદીના નેચરાલીસ્ટ જીન-બાપ્ટિસ્ટ લેમાર્કની સંકલ્પના પર દાવ માંડીને બેઠેલો. તે માનતો કે સજીવે મેળવેલા લક્ષણો, જેમકે જિરાફની ડોક, તે પછીની પેઢીને વારસામાં મળે જ છે.

તે એ સમજવામાં થાપ ખાઈ ગયો કે કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને જરાક લાંબી થયેલી ડોકવાળા જિરાફની પેઢીના સાતત્યપૂર્ણ ઊંચા જન્મ દરને પરિણામે વર્તમાનના જિરાફને જે છે તેવી ડોક મળી છે.

જનીનોના આકસ્મિક સંકરણ કે ફેરબદલને કારણે જિરાફમાં લાંબી ડોકની સંભાવના ઊભી થઈ, જેણે તેવા જિરાફને જીવનદોડમાં સફળતા આપી; નહીં કે ડોક ખેંચવાની મનોશારીરિક કસરતોએ. આ બાબત ચાર્લ્સ ડાર્વિનની ક્રાંતિકારી કોઠાસૂઝ હતી. : કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ

લીસેન્કોએ સ્તાલિનના કાન ભર્યા કે ભૂખમરા મૂક્તિના સદી જૂના રશિયન ખ્વાબને તે સાચું પાડશે. તે વખતે વળી સ્તાલિનની પકડ તે કારણથી જ ઢીલી પડી રહેલી.

લીસેન્કો ઘઉંના બીજને ટાઢા હિમ પાણીમાં પલાળી રાખતો- વર્નલાઈઝેશન, એમ માનીને કે તે બીજમાંથી ઉગનારા છોડ બરફ સામે ઝીંક ઝીલી લેશે. તેણે એવો ખોટો દાવો પણ કર્યો - નવા છોડ રશિયન શિયાળા સામે ટકી જશે. તે માટે સંકરણની સમય ખાનારી માથાકૂટ જરૂરી નથી.

લીસેન્કોના તરંગ અને પ્રયોગ વચ્ચે એક જ અડચણ હતી- વાવીલોવ અને જિનેટીક્સ પ્રત્યેનો તેનો જડસુ લગાવ.

દુઃખદ વાત તો એ હતી કે જ્યારે લીસેન્કો સ્તાલિનને ઊઠાં ભણાવતો હતો ત્યારે વાવીલોવ અને તેના સાથીદારો ઊંચાઈ પર થનારા ઘઉંની પ્રજાતિનું સંકરણ કરી રહેલા, જેમનામાં રશિયન ખેત પેદાશ વધારવાની શક્યતા હતી.

વાવીલોવને એંધાણ વર્તાઈ ગયેલાં. સ્તાલિનના ગુસ્સાનો ભોગ બનનાર લાંબુ જીવતો નહીં. વાવીલોવે તેના સાથીદારોને કહ્યું, " ત્રણ દિવસ પહેલાં સિક્રેટ પોલીસ યેવગ્ને અને લીઓનીડ વિશે પુછતી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. લીસેન્કો બધા આરોપ આપણા માથે મારવા તૈયાર બેઠો છે. ગમે તે થાય, તમારું કામ ચાલુ રાખો અને તે બને એટલી ઝડપથી કરો. આપણે માઈકલ ફેરાડે જેવા મહેનતું અને બધા તારણોની બરાબર નોંધ રાખનારા બનવું પડશે. હું ગાયબ થઈ જાઉં તો બીજા કોઈકે મારી જગ્યાએ આવી જવાનું. એક જ બાબત મહત્વની છે- વિજ્ઞાન યોગ્ય રીતે ખપમાં લેવું. દુકાળ દૂર કરવાનો તે એક માત્ર રસ્તો છે. કૉમરેડ, તેઓ મારી, તમારી, બધાની ધરપકડ કરશે. માટે બને એટલી ત્વરાથી કામ કરીએ."

યુક્રેન પર સ્તાલિને લાદેલી સામૂહિક ખેતી માનવ ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે.

તે દુકાળ એટલો ભયંકર અને વ્યાપક હતો કે તેને વર્ષ કે જગ્યાના નામને બદલે ખાસ નામ મળ્યું - હોલોડોમોર, ભૂખમરાથી થયેલ સામૂહિક નિકંદન.

કૂલક ખેડૂતોને ખેતરોમાંથી તગેડી ફૅક્ટરીઓમાં કામે લગાડી દેવાનો સ્તાલિનનો ઉત્સાહ નરસંહારની રસમ બની ગયો.

વાવીલોવ અને તેનું જીનેટિક્સ આ બધાના વિરોધમાં હતું.

વૈશ્વિક વૈજ્ઞાનિક સંસ્થાનો વાવીલોવ અને તેના વિચારોના પ્રસંશકો હતા. સ્તાલિને વાવીલોવ માટે દેશ બહાર જવા પર પ્રતિબંધ કરે તો તેઓ આંતરરાષ્ટ્રીય જિનેટીક્સ કૉન્ગ્રેસ મોસ્કોમાં કરવા તૈયાર હતા. સ્તાલિન જાણતો હતો કે વાવીલોવથી છૂટકારો સરળ નથી.

તો, સૌ પહેલાં તેને બેઆબરૂ કરો. પછી તેની સાથે ચાહો તે કરો.

વા: પાલક અને વટાણાના પ્રોટીન પરથી તેમને જુદા પાડનાર તત્ત્વો આપણા બાયોકૅમિસ્ટ શોધી શક્યા નથી.

લી : તે તો કોઈ પણ વ્યક્તિ માત્ર ચાખીને જુદા પાડી આપે.

વા : કૉમરેડ, આપણે તેમને રાસાયણિક રીતે અલગ તારવી શક્યા નથી.

લી : પણ, જે વસ્તુ જીભ વડે પારખી શકાય તેને રાસાયણિક રીતે પારખવાની જરૂર જ શું છે?

લીસેન્કો અને તેના જેવા વિજ્ઞાનના વિરોધીઓ ભવિષ્ય માટે સોવિયેત ખેતી કાયદા નક્કી કરવામાં અગ્રેસર બન્યા.

લી : તો કોમરેડ, બર્ફીલા પાણીમાં પલાળી રાખેલા બીજ આપણા દેશના શિયાળા સામે ટકી જઈને અનાજના કોઠાર ભરી દેશે.

વા : ચકાસી જોયું ખરું? ક્યાં છે પ્રયોગના તારણો?

લી : કાં તો અમારા આયોજનમાં જોડાઓ કાં તો...

વા : વિજ્ઞાન વિષયક જૂઠાણું હું નહીં ચલાવી લઉં, ભલે ગમે તે થાય.

             ---

"કૉમરેડ વાવીલોવ, સોવિયેત સંઘ વિરુદ્ધ વિદેશી જાસૂસ હોવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે."


અંક ૧૪: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_14.html

14.2.21

૪. ૨ (૧૪) : વાવીલોવ (૨૦૨૦)

ડાર્વિને બધા જીવોના ઐક્યની સાબિતી આપી.

કોઈ ગૂઢ દૈવી આશિર્વાદથી જન્મેલી માણસ જાત બધા સજીવો કરતાં ઉચ્ચ છે એવા આડંબરમાં રાચનારા આપણે આખરે તો જાનવરો અને વનસ્પતિઓના સગાં છીએ. બીજા કોઈ પણ સંજીવ જેટલા પ્રાકૃતિક.

મૅંડેલેએ શોધ્યું કે જીવનના સંદેશ અને તે સંદેશને આગળ મોકલવા માટે ચોક્કસ નિયમો છે.

તે મદદનીશ શિક્ષકે વિજ્ઞાનની એક નવી જ શાખા શોધી કાઢેલી.

પણ, ૩૫ વર્ષ સુધી કોઈએ તેની નોંધ ના લીધી. આ દુનિયાના વિજ્ઞાનના ઈતિહાસમાં પોતે મહાન વ્યક્તિ તરીકે નોંધાવાનો છે તેમ જાણ્યા વગર તે મૃત્યુ પામ્યો. વીસમી સદીની શરૂઆતમાં મૅંડેલેનું કામ જાણીતું થયું. બ્રિટિશ ઝૂઓલૉજીસ્ટ વિલિયમ બૅટ્સન તેના પ્રખર પુરસ્કર્તા રહ્યા. મૅંડેલે સૂચવેલા કારકોના અભ્યાસ માટે બૅટ્સને નવી શાખા ઊભી કરી જેને તેમણે નામ આપ્યું જીનેટીક્સ- જનીન શાશ્ત્ર.

બૅટ્સન અને તેના સાથીદારોએ વનસ્પતિ અને પ્રાણીઓની નવી પ્રજાતિ સર્જવાની દિશામાં કામ કર્યું. બૅટ્સન માનતો કે વિજ્ઞાન અને સ્વાતંત્ર્ય એક સિક્કાની બે બાજુ છે અને તે પોતાની પ્રયોગશાળા એ રીતે જ ચલાવતો.

નીકોલાઈ ઇવાનોવિચ વાવીલોવ નામનો રશિયન બૉટનીસ્ટ, જે બૅટ્સનની પ્રયોગશાળામાં મુલાકાતી સાથીદાર હતો તેણે બૅટ્સનના ધ્યેય મંત્રને ગંભીરતાથી અપનાવી લીધો. વિજ્ઞાનની નવી શાખા જીનેટીક્સની મદદથી તે આખી દુનિયાને બે ટંકનું ભાણું પહોચાડવાનું શીખવા માંગતો હતો. ત્યારે તે હનીમૂન પર હતો પણ તેનો જીવ તો વિજ્ઞાનમાં રમમાણ હતો

બાળક તરીકેય વાવીલોવ ઉતાવળીયો હતો. "કેટલું બધું કરવા જેવું છે અને કેટલો ઓછો સમય છે!" -જીવનભર તેને તે અડચણ રહી.

ભવિષ્યમાં શું થશે તેની તો તેનેય ક્યાંથી ખબર હોય?

'આપણી આખી પૃથ્વી પોતે એક જૈવિક તંત્ર છે, એક જ વિશાળ વ્યવસ્થા.'- તે ધારણા કેટલાક લોકોને ભાવુકતાનો અતિરેક, પોકળતા લાગતી હતી. પણ, તે એક વૈજ્ઞાનિક તથ્ય છે.

૧૯ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૬૦૦ના સાંજના પાંચ વાગ્યે દક્ષિણ પેરુના આંતરિયાળ વિસ્તારમાં એવું કાંઈક બન્યું જેના કારણે -

પીડાદાયી રીતે મોટી સંખ્યામાં નાશ પામેલા સજીવો અને ધરતીના ખજાનાને તે ઘટનાની અસર પૃથ્વીને કેવી રીતે ઘેરી વળી તે વાત ખબર પડવાની ન હતી. હોઈનાપુટીના (Hauynaputina) દક્ષિણ અમેરિકાનો સૌથી મોટા જવાળામુખી વિસ્ફોટ તરીકે ઈતિહાસમાં નોંધાયેલો છે.

સલ્ફ્યુરિક ઍસિડ અને જ્વાળામુખીની રાખના કાતિલ મિશ્રણે સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચવા ના દીધા. 

શિયાળો.

જ્વાળામુખી જન્ય શિયાળો.

રશિયાના લોકો માટે તે છસો વર્ષનો સૌથી ભયંકર શિયાળો હતો. બે વર્ષ સુધી તો ઉનાળાની રાતોનું તાપમાન સબ ઝીરોની નીચે જતું. તેને કારણે પડેલા દુષ્કાળથી રશિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ, વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા. તેના કારણે ત્ઝાર બોરીસ ગોન્ડુનોવનું પતન થયું અને આ બધાનું મૂળ કારણ તો ૧૨૮૭૫ કિલોમીટર દૂર થયેલો જ્વાળામુખી વિસ્ફોટ હતો. 

રશિયાના ઈતિહાસનો તે છેલ્લો દુકાળ ન હતો. તે પછી સતત અનાવૃષ્ટિ અને દુષ્કાળ આવતા રહ્યા. પણ, ત્રણસો વર્ષ પછી, છેક ૧૮૯૧માં તેની ભયાવહ અસર વર્તાઈ. તે વર્ષે શિયાળો વહેલો આવ્યો અને પાક બળી ગયો. ત્ઝાર ઍલેકઝાન્ડર ત્રીજો પગલાં લેવામાં ઢીલો પડ્યો. દેશના લોકો ભૂખે મરતા હતા ત્યારે પણ ધનિક રશિયન વેપારીઓ અનાજની નિકાસ કરતા રહ્યા. ભૂખે ભરતી પ્રજાને આપવા ત્ઝાર પાસે હતી સૂકી બ્રેડ- લીલ, ઘાસ, ઝાડની છાલ અને બીજાં છોતરાંનું કંગાળ મિશ્રણ.

પાંચેક લાખ રશિયન મરણાસન્ન હતા ત્યારે અમીર ઉમરાવો ફ્રાન્સની તાજી સ્ટ્રોબેરી અને ઈન્ગ્લેન્ડની રબડીની મિજબાનીઓ કરતાં હતા.

રશિયન ક્રાંતિને હજી ૩૦ વર્ષની વાર હતી. પણ, ઘણા ઈતિહાસકાર તેનો તણખો આ દુષ્કાળમાં પેટાયાનું નોંધે છે.

આપણી વાર્તાના હીરો નીકોલાઈ વાવીલોવ પર તે ઘટનાની ઘણી ઊંડી અસર પડી. તેના મા-બાપનો જન્મ ગરીબ પરિવારમાં થયેલો પણ મહેનત કરીને તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચી શકેલા. તેમનાં ચારેય સંતાન વૈજ્ઞાનિક બન્યાં. સર્ગેઈ ભૌતિક વિજ્ઞાની અને નિકોલાઈ બૉટનીસ્ટ બન્યો. બાળપણથી નીકોલાઈ હાર માનવા વાળો ન હતો.

૧૯૧૧માં રશિયા અનાજની નિકાસમાં દુનિયામાં પહેલા નંબરે હતું, તેની ખેતીની પદ્ધતિઓ જરીપુરાણી હોવા છતાં. જિનેટીક્સ દ્વારા ખેતીને આધુનિક બનાવવાના સંશોધન માટે રશિયાના વૈજ્ઞાનિકો પાસે  એકમાત્ર પૅટ્રોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ હતું.

છોડ કે રોપાની પસંદગી કરવી તે વિજ્ઞાન છે કે નહીં? ના. ખેડૂતને વધારે ખબર છે. તે હજારો વર્ષોથી વધુને વધુ સારા બીજ ઉછેર્યો અને વધારે ચરબીવાળા પ્રાણીઓ પાળતો આવ્યો છે. તેવા ખેડૂતને વૈજ્ઞાનિક શું શીખવી શકે? સિવાય કે તેમને મૂંઝવી મારે તેવા ફૅન્સી સૂત્રો! ખેડૂત પાસે કોઠાસૂઝ છે જે આદરપાત્ર છે. પણ, તેની પાસે સંભાવનાઓ ધારવાની આવડત નથી, જે વિજ્ઞાન પાસે છે. ખેડૂત આગળથી કહીં ના શકે કે વનસ્પતિનું કયું લક્ષણ હાવી રહેશે અને કયું દબાતું, ઘસાતું જઈ ભૂંસાઈ જશે. ખેડૂત ખેતીમાં જુગાર રમતો આવ્યો હતો અને તે સરેરાશ જુગારી જેટલો જ સફળ હતો.

ગ્રેગર મૅંડેલેએ પહેલીવાર તેના માટે પત્તાં ખોલ્યાં હતાં. જે ઘડીએ મૅંડેલે પોતાના વિચારો ગાણિતીક સ્વરૂપમાં મૂક્યાં, તે ઘડીએ ખેતી વિજ્ઞાન અને માનવજાતને પુરતું ભોજન પુરું પાડવાની એકમાત્ર આશા બની.

૧૯૧૪, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વાવીલોવને વિચાર આવ્યો : ખેતી થાય તેવા બીજ- છોડ આવ્યા ક્યાંથી? તે બીજ- છોડના પૂર્વજ કોણ?

તેણે પ્રેમપત્રમાં લખેલું : મને વિજ્ઞાનમાં ઊંડો વિશ્વાસ છે. તે જ મારું જીવન અને જીવનનો હેતુ છે. વિજ્ઞાનના નાના કામ માટે હું જીવન ધરી દેતાં ખચકાઈશ નહીં.

પહેલા વિશ્વયુદ્ધને અંતે રશિયન સમાજની તિરાડો બહાર દેખાવા માંડી અને ક્રાંતિ તથા ગૃહ યુદ્ધના મંડાણ થયા.

જ્યાં ખેડૂતો, ખેત મજૂરોના બાળકો ભણીને વૈજ્ઞાનિક બની શકે તેવી, પોતાના જીવનકાળમાં સ્થાપેલી ૪૦૦ વિજ્ઞાન સંસ્થામાંની પહેલીની વાવીલોવે શરૂઆત કરી. પૃથ્વી પરથી દુષ્કાળ દૂર કરવાના વાવીલોવના સપનાને પુરું કરવા.

૧૯૨૦માં વાવીલોવે એક સાહસિક, નવા નિયમની દરખાસ્ત મૂકી : કૉમરેડ, વનસ્પતિની પ્રજાતિ જુદી જુદી હોય તો પણ ચોક્કસ જનીન ચોક્કસ ગુણધર્મ પ્રમાણે જ વર્તે છે. કારણકે, તેમનો પૂર્વજ એક છે. ઉત્ક્રાંતિ સમજવા અને ખેત પેદાશોના આપણા કામને વૈજ્ઞાનિક ઢબે  અનુસરવા આપણે જ્યાં ખેતીની શરૂઆત થઈ હોય તેવા દેશોની મુલાકાત લેવી જોઈએ. જેથી આજની ખેત પેદાશોના પૂર્વજોનો પત્તો લગાવી શકાય.

નીકોલાઈ વાવીલોવ જેવા માણસો હોય ત્યાં સુધી રશિયા ખવાઈ જવાનું નથી.

વાવીલોવ વિશ્વ વિખ્યાત બની ગયો. તે કહેતો : હું? ના. મારો ભાઈ સર્ગેઇ, ભૌતિક વિજ્ઞાની, તે વધારે હોશિયાર છે.

વાવીલોવને ખબર હતી કે દરેક બીજ તેની ખાસ પ્રજાતિનો વિશિષ્ટ સંદેશો પોતાનામાં જાળવે છે. તે સંદેશાની વિગતો જુદી હોઈ શકે, પણ તે બધા કોઈ ચોક્કસ રહસ્યમય ભાષામાં લખાયેલા છે. 

એવી ભાષા, જે કેટલાક દસકા સુધી ઉકેલી શકાઈ નહીં.

જીવનના પ્રાચીનતમ લખાણના શબ્દેશબ્દને વાવીલોવ સાચવી લેવા માંગતો હતો, જેથી તેને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય. તે વખતે જૈવ વિવિધતાના મહત્વને સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો તે એક હતો.

તેણે તદ્દન નવો જ વિભાવના રજૂ કરી : એક વૈશ્વિક બીજ બેંક - યુદ્ધો અને કુદરતી પ્રકોપોથી સુરક્ષિત.

આ માનવતાવાદી ઉદ્દેશ પાછળ વૈજ્ઞાનિક સમજ પણ હતી : જો આપણે આરોગેલા પહેલાં દાણાનો નમૂનો મેળવી શકીએ તો તે દાણો કે છોડ સમય સાથે કેટલો બદલાયો તે જાણી શકીએ, તેના પરથી વાક્ય ગોઠવી શકાય અને જીવનના સંદેશાની ભાષા ઉકેલી શકાય. અને ભાષા ઉકેલતાં આવડે તો નવા સંદેશા પણ લખી શકાય- રોગ, ફૂગ, જીવાત અને દુકાળને પહોંચી વળે તેવા બીજા -છોડ ઉછેરી શકાય.

આવી શોધ માટે વાવીલોવ પાંચેય ખંડમાં ફરી વળ્યો, એવી એવી જગ્યાએ જ્યાં તેની અગાઉ કોઈ વૈજ્ઞાનિક ગયો ન હતો. નકશા કે પાકા રસ્તા વગર અફઘાનિસ્તનના પર્વતીય વિસ્તાર ખૂંદનાર વાવીલોવ પહેલો યુરોપીયન (એશીયન) હતો. માણસ જાતે ખેતીની શરૂઆત નદીના મુખ ત્રિકોણમાં કરી હશે તેવી પ્રચલિત ધારણા વાવીલોવને ગળે નહોતી ઉતરતી, કબીલાઈ લડાઈઓ અને બીજા જોખમોને ધ્યાનમાં લેતાં. તેનું માનવું હતું કે પહાડીઓના અંતરિયાળ વિસ્તાર ખેતી માટે વધુ સલામત સ્થળ હતા, અવરજવર કરનારાઓની કનડગતથી દૂર.

જીવના જોખમે બીજ શોધવા નીકળેલા વાવીલોવની સાહસકથાઓ તેની વૈજ્ઞાનિક પ્રતિભાની બરોબરી કરે તેવી છે.

હાલના ઈથિયોપીયા, ત્યારના ઍબેસેનિયામાં, ૧૯૨૭માં વાવીલોવે કૉફીનું માતૃબીજ શોધી કાઢ્યું.

વાવીલોવ અંતરિયાળ જગ્યાએ જવાની મંજૂરીની રાહ જોતો હતો ત્યારે તેને ઈથિયોપીયાના થનારા રાજા- રાસ્ટફરી, જેને દુનિયા હાઈલી સલાસી( ત્રિદેવની સત્તા) તરીકે ઓળખવાની હતી- તરફથી આમંત્રણ મળ્યું. તેણે રશિયા અને રશિયન ક્રાંતિ વિશે વાવીલોવને પુછ્યું. વાવીલોવે કહ્યું કે ક્રાંતિના નેતા લેનીન હવે નથી રહ્યા અને હાલ સ્ટાલિનની સત્તા છે. કે કેવી રીતે સ્તાલિનના બંદૂકધારીઓએ વીસ વર્ષ પહેલાં બેંક લૂંટીને ક્રાંતિ માટે ૩૦ લાખ ડૉલર મેળવેલા આને તેને કારણે સ્તાલિન લોકકથાઓમાં નાયક બની ગયેલો.

એક તરફ વાવીલોવ બીજ અને જ્ઞાનની શોધમાં દુનિયા ખૂંદતો હતો તો બીજી તરફ તેના પ્રતિભાવાન શિષ્યોમાંનો એક આગવું કાઠું કાઢી રહેલો.

અંક ૧૩: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post.html

8.2.21

૪. ૧ (૧૩) : વાવીલોવ (૨૦૨૦)

માણસ હોવું એટલે ભૂખની પીડા જાણવી.

એક વખતે એક માણસ હતો જેણે કલ્પના કરેલી કે વિજ્ઞાન થકી એવી દુનિયા શક્ય બનશે જ્યાં કોઈએ ભૂખનું દુઃખ વેઠવું નહીં પડે.
દુષ્કાળ તો આવશે જ નહીં.
પોતાનું કૉલ નિભાવવા તેણે આપણને ખજાનો ભેંટ કર્યો. પણ, અણીના સમયે તેણે વિકલ્પ પસંદ કરવાનો થયો : વિજ્ઞાન વિશે ખોટું બોલવું અને જીવ બચાવવો અથવા સાચું બોલીને મોત ઓઢવું.


માણસ બન્યાના શરૂઆતના કેટલાક સો હજાર વર્ષ સુધી આપણે તારા મઢ્યા આકાશ નીચે રખડનારા હતા.
આપણે વનસ્પતિના ભાગ વીણતાં, પશુઓનો શિકાર કરતા.
છેક દસથી બાર હજાર વર્ષ પહેલાં સુધી, જ્યારે આપણા વડવાઓએ જીવવાની નવી રીત ઘડી કાઢી.

તે બુદ્ધિશાળીઓ વિશે વિચારી જુઓ, જેમને પહેલી વહેલી વખત ભાન થયું કે જે દાણાં તેઓ ભારે મહેનતથી વીણીને ભેગાં કરે છે, તેમાં જ છોડ ઉગાડવાની ક્ષમતા રહેલી છે.

બીજ.

આ શોધને કારણે આપણી પ્રજાતિએ નસીબના સૌથી મહત્વના ખેલમાં ચાલ પસંદ કરવાનું થયું : નાની ટોળકીમાં શિકારી-વીણનારાનું જીવન ચાલું રાખવું કે ક્યાંક સ્થાયી થઈ પોતાનું અનાજ ઉગાડવું. 

તે માટે જે બલિદાન આપવાનું હતું તેનું ફળ ઘણું મોડું મળવાનું હતું.
પહેલીવાર આપણે ભવિષ્ય વિશે વિચારવું પડેલું.
તે નિર્ણય કાંઈ ઘડીભરમાં નહોતાં લેવાયા.
તે તો એક પછી એક પેઢીઓ સમક્ષ ખુલતા ગયા.

માણસ માટે તે એક ખૂબ ખૂબ લાબો સમય લાગે. જો કે, બ્રહ્માંડીય કૅલેન્ડરના સંદર્ભમાં તો તે ફક્ત અડધી મિનિટ પહેલાંની વાત છે. બ્રહ્માંડિય કૅલેન્ડર એટલે ૧૩૮૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગથી માંડીને અત્યાર લગીના સમયને એક વર્ષના સંદર્ભમાં ગોઠવેલું તારીખીયું. તેમાં ૩૧ ડિસેમ્બરની મધરાત એટલે આ ક્ષણ. મહિનો એટલે ૧૦૦ કરોડ વર્ષ કરતાં થોડો વધારે સમય.‌ દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ. 

અને માણસજાતના તમામ ગૌરવવંતા ઉપક્રમો તે કૅલેન્ડરની છેલ્લી કેટલીક મિનિટોમાં આવી જાય. બ્રહ્માંડ માટે આપણે એટલા નવા છીએ.

બ્રહ્માંડિય કૅલેન્ડરની છેલ્લી ૩૦ સૅકન્ડ દરમ્યાન આપણા પૂર્વજોએ પ્રાણી અને વનસ્પતિ પાળવા શરૂ કર્યું. પહેલીવાર, આપણે ભટકતા લોકો સ્થિર થયા અને એક ઋતુ કરતાં લાંબું ચાલે તેવી વસ્તુઓ બનાવવા લાગ્યા.

તેમણે ભવિષ્યને અડવાની હિંમત કરી.
તેમણે બનાવેલા જેરિકોના ટાવર* હજી ઊભાં છે. તે શું આક્રમણખોરો પર નજર રાખવા માટે હતા કે પછી તારાઓની વધુ નજીક જવા માટે?
તેમને બનાવતાં ૧૧,૦૦૦ દિવસ લાગે. આવું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તે કામ કરનારાઓ માટે પૂરતો અન્ન જથ્થો હોય; જે વળી ખેતી વગર શક્ય નથી.

જેરિકોના ટાવરમાં વિશ્વનો સૌથી જૂનો દાદર છે. ઈજિપ્તના પિરામિડ બન્યાનાય પાંચ હજાર વર્ષ પહેલાંનો, ત્રણસો પેઢી જૂનો.

જે લોકો હજી હમણાં ભટકતું જીવન છોડી સ્થિર થયેલા, તે લોકો આટલું ટકાઉ બાંધકામ બનાવે તે બાબત જબરજસ્ત નથી!
શિકારી-ભટકતું જીવવાવાળાઓનો, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુઓની વિવિધતા વાળો સમૃદ્ધ ખોરાક હવે બદલાઈ ગયેલો. 

શહેરી લોકો તો હવે મોટાભાગે થોડાક કાર્બોહાઈડ્રેટ પાક પર નભે છે. અને જ્યારે જોઈતો વરસાદ ના થાય કે અનાજને ફૂગ લાગી જાય ત્યારે મોટા પ્રમાણમાં ભૂખમરો ફેલાય છે.
દૂષ્કાળ.

બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં આવેલો દુકાળ સો લાખ માણસો ભરખી ગયેલો, છેક ૧૯મી સદીમાં. ચીનમાં આવેલો દૂકાળ એક હજાર લાખ માણસો ખાઈ ગયેલો. બ્રિટિશ સામ્રાજ્યના જ નિયમોને કારણે આયર્લેન્ડમાં દસ લાખ લોકો ભૂખથી મરેલા અને વીસ લાખ જેટલા લોકો ખોરાકની શોધમાં દેશ છોડવા મજબૂર થયેલા.
૧૮૭૭માં બ્રાઝિલમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળેલા. ફક્ત એક વિસ્તારના અડધા લોકોનો સફાયો થઈ ગયેલો. આફ્રિકાના ઈથીયોપીયા, રવાન્ડા અને સેહલમાં દૂકાળથી મરેલાઓની ગણતરી નથી કરી શકાઈ.
પૃથ્વીના એક યા બીજા ભાગે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરતા રહ્યા છે, કેટલાક હજાર વર્ષ પહેલાંના જે દિવસથી પૃથ્વી પર નોંધ રાખવાની શરૂઆત થઈ તે દિવસથી માંડીને.

શું ગુરુત્વાકર્ષણની જેમ ખેતી એક વિજ્ઞાન અને અનુમાન લગાવી શકાય તેવો સિદ્ધાંત બની શકે?દુકાળ અને રોગચાળા સામે સતત ટકી શકે તેવું કશું શું નીપજાવી શકાય?

ખેડૂત અને ગોવાળો પારખી જાણતા હતા- મજબૂત નમૂનાઓ તારવી, પસંદ કરી, તેમનું સંકરણ કરાવી નવા પ્રકારના, સંકર નમૂના બનાવવાના ફાયદા.
આ બાબત કૃત્રિમ પસંદગી તરીકે ઓળખાય છે.
પણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો કઈ રીતે જાય છે તેની યાંત્રિકી એક રહસ્ય હતું.

આવો, ડાઉન હાઉસમાં, ચાર્લ્સ ડાર્વિનનું ઘર, જ્યાં તે પત્ની ઍમા અને દસ બાળકો સાથે રહેતો હતો. ત્યાં તેણે એક બગીચો પણ બનાવેલો. માણસજાતના વૈચારિક ઈતિહાસમાં આ જગ્યાનું અનોખું સ્થાન છે. આજેય એવા માણસો છે, જેઓ ડાર્વિનના વિચારથી ડરે છે.

ચાર્લ્સ ડાર્વિને શોધેલું કે પ્રજાતિઓ, માણસ સહિત, કુદરતી પસંદગીની પ્રક્રિયા દ્વારા સમય સાથે ઉત્ક્રાંત થાય છે. વાતાવરણના ફેરફારો સાથે જે સૌથી સારું અનુકુલન સાધે છે, તે ટકી જાય છે અને તેની જ પેઢી આગળ જાય છે.

જીવનના રહસ્યનું બહારનું આવરણ ડાર્વિને હટાવ્યું. પણ, હજી ઉત્ક્રાંતિનું આંતરિક કારણ સમજી શકાયું નહોતું.

બરાબર તે વખતે, આજના ચૅક રિપબ્લિકની એક મૉનેસ્ટ્રીમાં એક યુવાન પાદરી વિજ્ઞાનનો પ્રૉફેસર બનવા મથી રહેલો. જ્યૉર્જ મૅન્ડેલે પ્રવેશ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયો. છેવટે તેણે મદદનીશ શિક્ષક બનવું સ્વીકાર્યું. તેથી મળતા સમયમાં તેણે વટાણાના છોડનો અભ્યાસ શરૂ કર્યો.
તેણે વટાણાના હજારો છોડ ઉછેર્યા, પાંદડા, બીજ અને ફૂલના રંગ, કદ અને આકારનું ઝીણવટભર્યું અવલોકન નોંધતાં રહીને. 

મૅન્ડેલ નિશ્ચિત ધારણા કરી શકાય તેવો પ્રજનનનો સિદ્ધાંત શોધતો હતો. જેથી, આપણે અગાઉથી ખબર રહે કે જ્યારે કોઈ લાંબા છોડ સાથે ટૂંકાનું, લીલા વટાણા સાથે પીળા વટાણાના છોડનું સંકરણ કરો ત્યારે શું પરિણામ મળે.
મૅન્ડેલે શોધ્યું કે આપણને દર વખતે પીળો વટાણો જ મળશે.
લીલા પર પીળાની આ આણ માટે આપણી પાસે કોઈ શબ્દ નહોતો, મૅન્ડેલે નવો શબ્દ રચ્યો - ચઢીયાતો/ dominant.
અને પોતાના આનંદ વચ્ચે તે નિશ્ચિત ધારણા કરી શક્યો કે નવી પેઢીના વટાણા કેવા હશે.
નવી પેઢીના છોડમાં અપ્રકટ રહેલા ગુણને મંડેલે નામ આપ્યું- સુષુપ્ત/ recessive.
તેણે એક એવી બાબત ચિંધી જેને તે કારક/ factor નામ આપ્યું- છોડમાં રહેલી એવી આંતરિક બાબત છે તેને ચોક્કસ ગુણધર્મ આપતી હતી. અને તે કોઈ સૂત્રમાં ઢાળી શકાય તેવો ચોક્કસ નિયમ અનુસરતી હતી.

ચાર્લ્સ ડાર્વિન અને મૅન્ડેલ એકબીજાથી અજાણ હતા. તે બંને વૈજ્ઞાનિક, સમયના એક ગાળામાં, પોતપોતાની રીતે જીવન રચનારા રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા.


* https://en.m.wikipedia.org/wiki/Tower_of_Jericho


અંક ૧૩ : https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_31.html

31.1.21

૩.૪ : (૧૨) જીવનનું ખોવાઈ ગયેલું નગર

પૃથ્વી પર બધે જ જીવન છે એમ પહેલી જ નજરે જાણી લેવા ઍસ્ટ્રોબાયોલૉજીસ્ટ હોવું જરૂરી નથી.

આ જગ્યાનો પ્રત્યેક ચૉરસ ઈંચ જીવને બદલી નાખ્યો છે. પરગ્રહવાસીની નજરે જોઈએ તો પૃથ્વીને આંતર ગ્રહીય નિયમો પ્રમાણે પાંચમા- પ્રતિબંધિત પ્રકારમાં આવે. 

ઍનસિલાડસે તેનાં રહસ્ય ઊંડે સંતાડી રાખ્યા છે. બરફ અને પાણી- વરાળના ફુવારા કલાકના ૧૨૮૮કિલોમીટરની ઝડપે તેના પરથી ઉડી રહ્યા છે. શનિની સૌથી બહારની વિંટી- 'ઈ' રીંગ તેના કારણે છે.જો કે, તે ઉપરાંત પણ તેની પાસે બીજું ઘણું છે- નાઈટ્રોજન, ઍમોનિયા, મિથેન.

અને જ્યાં મિથેન ત્યાં ઑલીવાઈન. 

ઍનસિલાડસ આ કામ ૧૦૦૦૦ લાખ વર્ષથી કરી રહ્યો છે અને હજી બીજા ૯૦૦ કરોડ વર્ષ એમ કરતો રહેવાનો છે. આટલું બધું પાણી તેની પાસે આવે છે ક્યાંથી?

ભૂરો બરફકણ કલાકના ૧૬૦૯ કિલોમીટરની ઝડપે નીચે (ગુરુત્વાકર્ષણના કેન્દ્ર તરફ) ખાબકે છે.

દક્ષિણધૃવ પર બરફની સપાટી સૌથી પાતળી છે. અમુક કિલોમીટર જેટલી જાડી. એટલે, મહાસાગરના તળિયાં ફંફોસવા તે જગ્યા એકદમ યોગ્ય છે. આવો, ઍનસિલાડના દક્ષિણ ધૃવને જોઈએ.

એક ચેતવણી: હવે આપણે જે જોવાના છીએ તે સંપૂર્ણત: સાબિતીઓ પર આધારિત છે. 

તેનો મહાસાગર, તેના ઉકળતા પાણીના ફુવારા, સપાટી પર પેલો વિચિત્ર બરફ, તે બધું વાસ્તવિક છે.

કૅસિનિ મિશન દરમ્યાન કરેલાં ઘણા બધા અવલોકનો આ દ્રશ્ય બતાવે છે. જો કે, આપણે માહિતી આધારિત ધારણાના ક્ષેત્રમાં તો હજી પ્રવેશવાના છીએ.

ઍનસિલાડસ પરનું પાણી અવકાશના ખાલીપામાં બરફ બની જાય છે. તેના પર જામેલી રજ- જૈવિક પરમાણુ, જીવનનું પારણું છે.

પૃથ્વીના ઊંડા મહાસાગર કરતાં અહીંનો મહાસાગર લગભગ દસ ઘણો ઊંડો છે. મતલબ કે, જીવનની શક્યતાથી સભર.

અહીં છે કાર્બન અને હાઈડ્રોજન અને અહીંના પાણીનું ph સ્તર પૃથ્વી પરના શરૂઆતના મહાસાગર જેવું છે.

પૃથ્વી કરતાં ઍનસિલાડસ પરનું જીવનનું નગર આટલું બધું મોટું કેમ?

કારણકે, અહીં ગુરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં ખુબ નબળું છે. ગુરુત્વાકર્ષણ ઓછું, ટાવરનું વજન ઓછું એટલે તે વધું ઊંચા થઈ શકે.

જોકે, મહાસાગરના ભારે પ્રવાહોએ કેટલાક ટાવર પાડી નાખ્યા હશે.

અહીં છે વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થનો ઓલીવાઈન. જીવનને પાંગરતું કરવામાં જે પથ્થરનો ફાળો રહ્યો છે. પણ શું, અહીં પગ જમાવવા જીવન પાસે પૂરતો સમય છે?

નથી ખબર. પણ, ભાગેડું કલાકારનો ઓછો આંકશો નહીં.

આપણા વિશે મજેદાર વાત શું છે, ખબર છે?

આપણને લાગે છે કે આપણે જ વાર્તા છીએ.

આપણે જ બ્રહ્માંડનો છેડો, અંતિમ હેતુ છીએ.

અને છતાં, આપણે એટલું જાણીએ છીએ કે આપણે તો ભૂરાષાયણિક તાકાતની આડપેદાશ છીએ - એવી જે બ્રહ્માંડને ખૂણે ખાંચરે માથું ઊંચકી રહી છે.

આકાશગંગા તારા બનાવે.

તારા બનાવે ગ્રહ- દુનિયા.

અને આપણે જાણીએ છીએ ત્યાં સુધી, ગ્રહો અને ચંદ્રો જીવન ઘડે છે.

શું તેથી જીવન રસપ્રદ, રોમાંચક નથી?

કે તેથી જીવન વધારે રસપ્રદ, રોમાંચક છે?


ભાગ ૧૧: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_24.html

24.1.21

૩.૩ : (૧૧) જીવનનું ખોવાઈ ગયેલું નગર

બ્રહ્માંડ આકાશગંગાઓ બનાવે.
આકાશગંગા તારા.
અને તારા બનાવે ગ્રહ...
તારા બનાવે દુનિયા.

બ્રહ્માંડમાં જીવનના એવાં નગર ખરાં જે ખોવાઈ ગયા હોય?

બ્રહ્માંડના નાગરિક બનવા વેરો ચૂકવવાનો છે.

અવકાશભીરું પ્રજાતિ તરીકે આપણે જે ગ્રહોની મુલાકાત લેવાના છીએ, તે દુનિયાઓને ચેપ લગાડવા બાબતે અને પાછા ફરીએ ત્યારે આપણી દુનિયા માટે પણ ચેપ ફેલાવનાર બનીશું કે કેમ તે ચિંતા કરવી રહી.

આંતરગ્રહીય સુરક્ષા માટે પ્રોટોકોલ બનાવી કાઢ્યા છે આપણે.  નાસાએ બ્રહ્માંડની દુનિયાઓના પાંચ પ્રકાર નક્કી કર્યા છે. પૃથ્વીનો ચંદ્ર, ઉદાહરણ તરીકે, પહેલા પ્રકારની દુનિયા: જીવનહીન જગ્યા- જ્યાં ના તો આપણા માટે કોઈ ખતરો છે, ના આપણે તે જગ્યા માટે જોખમ છીએ.
સૌથી વધારે જોખમી પ્રકાર છે પાંચ નંબરનો -પ્રતિબંધિત /restricted,  જેમકે મંગળ. ત્યાંના મૂળવાસીઓ -ભૂતકાળના અથવા તો વર્તમાનના- સપાટીએથી સંતાઈને અથવા આપણી દ્રષ્ટિ નથી પહોંચી એવી જગ્યાઓએ હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.

આપણે ખૂબ સાવધાન રહેવું પડે, આપણા પોતાના માટે અને મંગળ પર હોઈ શકનારા જીવન માટે.

પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ હોવાનું સ્વિકારવું એટલે જીવનની છટકી જવાની પ્રતિભા સ્વિકારવી. 
જ્યાં જીવને ધબકવાની શરૂઆત કરેલી, એવી દુનિયાઓ કે જ્યાં જીવન હોઈ શકે અથવા હતું તેવી, પોતાના મહાસાગરો તળે જીવનના નગરો દાટી બેઠેલી દુનિયાઓથી પાછા ફરનારા પ્રત્યેક પ્રાયોગિક મિશનના નમૂનાઓને ઉક્ત વાત લાગુ પડે.

પણ, એક રીતે આપણા રૉબૉટીક દૂતો પોતે જ- આપણા લૅન્ડર્સ, રોવર્સ અને ઑરબીટર્સ- પાળ ઓળંગી શોધવાની, નવો વિસ્તાર સર કરવાની માનવીય વૃત્તિ પડઘાવે છે.  તેનો અર્થ એમ કે જેવું તેમનું કામ પુરું થાય, આપણે તેમને પૂરા કરી નાખવા પડે.
બિચારા જૂનોની જેમ.

વર્ષો સુધી ગુરુની જાસુસી કર્યા પછી નાસા તેને કબરમાં મોકલી રહ્યું છે. એટલા માટે નહીં કે ગુરુની ચિંતા છે. તે વિશાળકાય વાયુ ગોળાને લગતા આપણા આવનારા સંશોધનો પર એક સ્પેશક્રાફ્ટને કારણે કોઈ અવળી અસર પડે તેવી શક્યતા નહિવત્ છે. કોઈ 'લગભગ' માઈક્રોબ સૂર્યના તાપથી શેકાઈ જવાને બદલે સ્પેશક્રાફ્ટના ઊંચા તાપમાન હેઠળ બળી મરે, એટલું જ. એટલે તો ગુરુનો ક્રમાંક બે છે, દુનિયાઓના નાસાએ પાડેલા પ્રકાર મુજબ.

પણ, ગુરુનો એક ચંદ્ર પાંચમા - પ્રતિબંધિત પ્રકારનો છે. કોઈ શરતચૂકથી જૂનો તે ચંદ્ર પર તૂટી પડે તે નાસાને પોસાય નહીં. 

આપણા સૂર્ય મંડળમાં પ્રતિબંધિત પ્રકારની દુનિયાઓ માત્ર ત્રણ છે, જેમાંની એક છે ગુરુના ૮૦ (અને હજી ગણવામાં રહી ગયા હોય તેવા બીજા) ચંદ્રોમાંની એક- યુરોપા.

માઈકલ ફેરાડેએ પૃથ્વીનું ગુરુત્વિય ક્ષેત્ર શોધ્યું હતું, જેવું ગુરુ ફરતે પણ છે. આપણે જો દ્રશ્ય પ્રકાશને બદલે રેડિયો તરંગોની આંખે ગુરુને જોઈએ તો આપણને પણ તે દેખાય છે. ગુરુનું એ
ગુરુત્વિય ક્ષેત્ર ઘણું શક્તિશાળી છે, ૧૮,૦૦૦ ઘણું મોટું પણ ખરું. 
સોલર વિન્ડ કહેવાતા વીજભારીત પરમાણુઓ માટે તે એક મોટ્ટી જાળ છે. તેના કારણે ગુરુના ઉત્તર- દક્ષિણ ભાગ ફરતે ઑરોરા (સુમેરુ જ્યોતિ) દેખાય છે- જેવી પૃથ્વીના ધૃવીય ભાગે દેખાય છે.

કલ્પના કરો, ગ્રહોના મહારાજાની સાવ નજીક રહેવું - નાનકડી યુરોપા અને તેની બહેનો માટે કેવું હશે!
ગુરુની જબરજસ્ત ગુરુત્વિય પકડ યુરોપાને એટલી ગાઢ રીતે લપેટે છે કે આવનારા ૪૦૦ કરોડ વર્ષ સુધી તો તેનો છૂટકારો શક્ય નથી. ગુરુએ તેને એવી તાણી રાખી છે કે તેની ચામડી ઉતરડાઈ રહી છે. તેની ત્વચાનું ફાટવું આપણે જોઈ -સાંભળી શકીએ છીએ. ગુરુત્વાકર્ષણથી પ્રતાડિત દુનિયાનો અવાજ.  તેને ટાઈડલ ફ્લૅક્સિંગ કહે છે. યુરોપા પર ફક્ત ગુરુ જ નહીં, તેની બહેનોય જોર મારે છે. 

સૂર્યની ઉષ્માથી ૮૦૪૬૭૨૦૦૦  કિલોમીટર આઘે, પૃથ્વી કરતાં પાંચ ગણા અંતરે હોવા છતાં યુરોપાને ટાઈડલ ફ્લૅક્સિંગ હૂંફાળી રાખે છે. તેની વેરવિખેર સપાટી નીચે, પૃથ્વીના સૌથી ઊંડા મહાસાગર કરતાં દસ ગણો ઊંડો મહાસાગર છે. 
શનિ ગ્રહોના પ્રકારમાં બીજા ક્રમાંકનો છે. તેના વાયુ પટ્ટાઓમાંથી પસાર થનાર જીવનનું બચવું અસંભવ છે. તે પટ્ટાઓ ઝાઝું કરીને ઍમોનિયાથી બનેલા છે. તે પટ્ટા- વિંટીઓની નીચે પાણીની વરાળ છે. શનિનો ચંદ્ર ટાઈટન પણ બીજા પ્રકારની દુનિયા છે. શનિની માફક ત્યાં પણ આપણને જીવનનો સામનો થવાની શક્યતા નહિવત્ છે. સિવાય કે જીવનની જે આપણી ધારણા છે, કલ્પના છે, તેના કરતાં ત્યાંનું જીવન સાવ જ જુદું હોય. તે સંજોગોમાં પૃથ્વી પરના જીવનનું કોઈ પણ સ્વરૂપ ત્યાંના જીવનને નુકસાન પહોંચાડી શકે તેની સંભાવના ય શૂન્ય છે.

હવે જોઈએ પ્રતિબંધિત પ્રકારની વધુ એક દુનિયા. 
વિલિયમ હર્ષલે અવકાશી મહાસાગરમાં ઘણે ઘણે ઊંડે જઈ જોયું હતું, તેના પહેલાં એટલે ઊંડે કોઈ નહોતું ગયું.
તેનો પુત્ર જ્હૉન પણ એવો જ પ્રતિષ્ઠિત ખગોળ શાસ્ત્રી બનવાનો હતો. -(આપણે તેને કૉસ્મોસના પહેલા ભાગમાં મળ્યા છીએ.)

વિલિયમ હર્ષલની બહેન કૅરોલીન પણ તેની આગવી રીતે વિશ્વ પ્રસિદ્ધ ખગોળ શાસ્ત્રી હતી. વૈજ્ઞાનિક તરીકે વેતન મેળવનાર તે પહેલી સ્ત્રી હતી. તેની ઊંચાઈ ચાર ફૂટ ત્રણ ઈંચ હતી. દસ વર્ષની ઉંમરે તેને ટાઈફસ (એક ચેપી રોગ) થયો હતો. તેને કારણે તેની ડાબી આંખની દ્રષ્ટિ ક્ષમતા ઓછી થઈ ગયેલી અને તેની શારીરિક વૃદ્ધિ અટકી ગયેલી. અને છતાં તેણે પોતાના સમયની સીમાઓ વિસ્તારી હતી.
કૅરોલીને એક શોધપત્ર પ્રસિદ્ધ કર્યું હતું - 'નિહારિકાઓની સૂચિ અને તારાઓનાં ઝૂમખાં'‌ - ભાઈ વિલિયમના નામે. આખરે તે વર્ષ ૧૮૦૨ હતું.

તેનો ભત્રીજો, જ્હોન, ફોઈના કામને આગળ વધારી 'નવી સામાન્ય સૂચિ- New General Catalogue ' રચવાનો હતો. આજે પણ ઘણા ખગોળીય પિંડ NGC ક્રમાંકથી ઓળખાય છે.

પિતા સાથે જ્હોન ટૅલિસ્કોપમાંથી તાક્યા કરતો. "જરાક પૂર્વમાં અને એક અંશ ઉત્તરે ગોઠવ, દિકરા."
"ઓહ! આ તો મેં અગાઉ ક્યારેય નથી જોયું. તે શું નવો તારો છે, પિતાજી?"
"ના, નવો ચંદ્ર. મેં તેનું નામ શનિ-ર પાડ્યું છે."
"ના, પિતાજી. આ નામ બરાબર નથી."
"તો તું નામ પાડ."

જ્હૉને તે ચંદ્રનું નામ પાડ્યું ઍનસિલાડસ- ગ્રીક દંતકથા પ્રમાણે પૃથ્વી અને આકાશનો વિશાળકાય પુત્ર.
ઍનસિલાડસે બ્રહ્માંડ પર સત્તા મેળવવાના મહાભારતમાં દેવી ઍથેના સામે યુદ્ધ કરેલું.


ભાગ :૧૦: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_17.html

17.1.21

૩.૨ : (૧૦) જીવનનું ખોવાઈ ગયેલું નગર

જીવને પૃથ્વીને બદલી એમ કહીએ ત્યારે આપણા મનમાં આવે છે ધરતી પર વ્યાપેલા જંગલો અને શહેરો. પણ, તેનાથી ઘણા ઘણા સમય પહેલાં જીવને પૃથ્વીને પલોટવવાનું શરૂ કરી દીધેલું.

મહાસાગરને તળીયે પેલા અતિ અતિ સૂક્ષ્મ તણખા પછી જીવન વિશ્વવ્યાપી બન્યું- હજી સુધી હાર્યો નથી તેવા એક ચૅમ્પિયનને કારણે.
પેશ એ ખિદમત છે સાયનોબૅક્ટેરીયા.

૨૭૦૦૦ કરોડ વર્ષથી જે જીવનના વેપારમાં છે તેવા સાયનોબૅક્ટેરીયા કોઈ પણ, કોઈ પણ સ્થળે ઘર વસાવી લે. તાજુ પાણી, ખારું પાણી, ગરમ પાણીના ઝરા, મીઠાની ખાણ- તેમને કોઈ ફેર પડતો નથી.

પેદા થયાના ૪૦૦૦ લાખ વર્ષ સુધી સાયનોબૅક્ટેરિયાએ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઈડ લઈને, હવામાં ઑક્સિજન મુક્ત કરીને પૃથ્વીના આકાશને ભૂરું કર્યું.

તેમણે ફક્ત આકાશ બદલ્યું એટલું જ નહીં, સાયનોબૅક્ટેરીયા તો પથ્થરની અંદર સુધી પહોંચ્યા અને તેમને સુદ્ધાં બદલી નાંખ્યા.

ઑક્સિજનને કારણે લોખંડને કાટ લાગવો શરૂ થયો, જેને કારણે ખનિજો બાબતે જાદુ થવો શરું થયો.
પૃથ્વી પર ૫૦૦૦ પ્રકારના ખનિજ છે. જેમાંથી ૩૫૦૦ જેટલા જીવને બનાવેલા ઑક્સિજનની પેદાશ છે. 

અને હવે આવે છે તે દિવસ...
સાયનોબૅક્ટેરીયા પૃથ્વી પરના બધા સજીવો પર રાજ કરવા માંડેલા, જ્યાં જાય ત્યાં ઉધમ મચાવતા, પૃથ્વીના જમીન, પાણી, આકાશને બદલી નાખતાં જઈને.

...કૉસ્મિક કૅલેન્ડરના ઑક્ટોબરના પાછલા ભાગે, ૨૩૦૦ કરોડ વર્ષ પહેલાંના એક દિવસે...

ઍનેરોબ્સ, એક જીવ સ્વરૂપ કે જે સાયનોબૅક્ટેરીયા પહેલાં  વયસ્ક થઈ ગયેલું, તેણે ઑક્સિજનથી પૃથ્વી પ્રદૂષિત કરવા માંડેલી. ઍનેરોબ્સ માટે ઑક્સિજન ઝેર છે, પણ, ફાલેલા સાયનોબૅક્ટેરીયા એમ કાંઈ વાતાવરણને ઑક્સિજનથી ભરવાનું બંધ નહોંતા કરવાના. ઍનેરોબ્સ અને પૃથ્વી પરના તે વખતના લગભગ તમામ સજીવો માટે, તે બાબત ઑક્સિજન આપદા હતી.ઍનેરોબ્સ પ્રજાતિના બચેલા વંશજ એ હતા જેમણે મહાસાગરોના ઊંડાણમાં આશરો લીધો, છેક તળિયેના ઠરેલા કંડલા/નિક્ષેપણમાં જ્યાં ઑક્સિજન પહોંચી શકતો નહીં. 
સાયનોબૅક્ટેરીયા ઑક્સિજન પમ્પિંગ મશીન બની ગયેલા. અતિરેક કરી નાખેલો તેમણે. ૪૦૦૦ લાખ વર્ષ પછી તેમને કારણે પૃથ્વી પર વધુ એક જબરદસ્ત ફેરફાર થયો.
પેલા સર્પિલ પથ્થર યાદ છે ને- જેમણે દરિયાને તળિયે હાઈડ્રોજન અને મિથેન મથેલા?
મિથેન એક જબરદસ્ત ગ્રીન હાઉસ ગૅસ છે-ગરમી પકડી રાખનાર. અને તે વખતે તો પૃથ્વીને હૂંફાળી રાખનાર મુખ્ય ઘટક હતો તે.

પણ, ઑક્સિજન થકી નીપજેલી જીવ સૃષ્ટિએ બધું ઉથલપાથલ કરી દીધું.

પૃથ્વીના તાપમાનમાં ઉછાળો આવ્યો.

જીવન- ભાગેડું કલાકાર, બર્ફીલી મૌતના પંજામાંથી છટક્યું અને પૃથ્વી પર છવાઈ ગયું.
મૃત બૅક્ટેરીયાના હાડપિંજરે પૃથ્વી પટ પર કાર્બન ડાયોક્સાઈડના ભંડાર બનાવી દીધા. જ્વાળામુખીઓએ વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ ઠાલવ્યો, પૃથ્વીને ગરમ કરતાં જઈને, બરફ ઓગાળતાં જઈને.
તે પછીના કેટલાક કરોડ વર્ષ, જીવન અને પથ્થર વચ્ચે કલામય નૃત્ય ચાલ્યું, પૃથ્વીને હિમ અને ટાઢ વચ્ચેથી કાઢનારું.

પછી, ૫૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં, વળી એક જબરદસ્ત બીના ઘટી.

જીવન, કે જે અત્યાર લગી માત્ર માઈક્રોબ્સ અને સાદા બહુકોશીય જીવ પુરતું હતું, તેણે એકાએક માથું ઊંચક્યું- જેને કૅમ્બ્રિઅન વિસ્ફોટ કહે છે.

જીવનને પગ, આંખ, ચૂઈ, દાંત ફૂટ્યા અને તે અત્યંત ઝડપથી વિવિધ સ્વરૂપો ઉત્ક્રાંત કરવા માંડ્યું.

આપણને હજી ખબર નથી કે જીવન આટલું નાટ્યાત્મક ઢબે વિવિધતાભર્યુ શાના લીધે થયું, પણ આપણી પાસે કેટલીક ગળે ઉતરે તેવી થીયરીઝ છે.

કદાચ, જ્વાળામુખીને કારણે દરીયાઈ પાણીમાં ભળેલા કૅલ્શિયમ ખનિજોને કારણે જીવનને વાંસો મળ્યો અને તેણે કવચ-શૅલ/કોચલું ઓઢ્યું. પથ્થર સાથે સહયોગ કરીને તેણે પોતાની ઢાલ બનાવી લીધી. 
હવે જીવન કદ વિસ્તારી શકવાનું હતું, પોતાના ક્ષેત્રોની બહાર જઈ શકવાનું હતું.

અથવા કદાચ, સાયનોબૅક્ટેરીયાએ બક્ષેલા સુરક્ષા તંત્ર હેઠળનું તે પોસાણ હતું. વાતાવરણના ઑક્સિજનેશનને કારણે ઑઝોન સ્તર રચાયું. જેના કારણે દરીયાઈ સલામતી છોડીને, સૂર્યના પારજાંબલી કિરણોના ભોગ બન્યા વગર જમીન પર વસવું શક્ય બન્યું.

કરોડો વર્ષ સુધી જીવનનું કામ હતું ધીમી ધારે ઝમવું.
હવે તેણે તરવું, દોડવું, કુદવું, ઉડવું શરું કર્યું.

જીવન- ભાગેડું કલાકાર- બંધિયારપણામાથી આઘાપાછા થઈને બહાર નીકળવામાં એટલું ઉસ્તાદ બની ગયું કે પૃથ્વીની કોઈ જેલ તેને બાંધી ના શકે.

જીવન બંધાવાનું ન હતું.
જીવનના મહાભારતની શરૂઆતની ઘડીઓ તાજી કરવા નવા જ પ્રકારના વિજ્ઞાનની જરૂર ઊભી થઈ- જે એક કરતાં વધારે વિદ્યાશાખાનું સંકલન હોય.
જે વ્યક્તિએ તે શાખા ઊભી કરી તે પોતે એક ભાગેડું કલાકાર હતો. 

ઈતિહાસના ભયંકર કાતિલોથી તે છટકી ગયો, અહીં જંગલમાં, ડગલે ને પગલે તેના દુશ્મનોની ઠેકડી ઉડાડતો.
આ છે રૉયલ ઈન્ટિટ્યુટ, લંડન; માઈકલ ફેરાડેએ જ્યાં આખું જીવન ગાળ્યું. તેના સમયે, ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં, જીવન અને પથ્થરની નીકટતા શોધાઈ ન હતી. 

જીવનનાં મૂળ શોધતાં પહેલાં વિજ્ઞાને બદલાવાનું હતું.

તે બદલાવ વિશે વૈજ્ઞાનિકોએ અગમવાણી ઉચ્ચરી હતી, જેનું મૂલ્ય, જેના અર્થ ભેળસેળિયા હતા.

ક્રિશ્ચીયન ફ્રેડરિક શૉઅનબાઈ (Schönbein) એક જર્મન-સ્વિસ રસાયણ શાસ્ત્રી હતો, જે વિજળીની મદદથી પાણીને તેના બે બંધારણીય રસાયણ- ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડમાં છૂટા પાડવા માટે પ્રયોગો કરી રહેલો. શૉઅનબાઈને લાગ્યું કે તેણે કશીક પરિચિત ગંધ અનુભવી, વિજળીના કડાકા વખતે હવામાં હોય છે તેવી. 

શૉઅનબાઈએ ઑઝોન શોધેલો.

યાદ છે ને પેલું વાતાવરણનું પેલું પડ જેના પ્રતાપે આપણા ખૂબ ખૂબ જૂના પૂર્વજો દરીયામાંથી નીકળી જમીન પર આવી શક્યા, જે આજેય આપણને પારજાંબલી કિરણોથી રક્ષે છે?

શૉઅનબાઈને પ્રયોગો કરવાનું ખુબ ગમતું.
એટલું બધું કે તેની પત્નીએ તેની પાસે વચન લીધું હતું, "તું રસોડાનો ઉપયોગ પ્રયોગશાળા તરીકે નહીં કરે, હોં નેં વ્હાલા?"

એક ધડાકો...શૉઅનબાઈએ સામુહિક નિકંદનનું એક શશ્ત્ર શોધ્યું. ગન પાવડર કરતાં ઘણું શક્તિશાળી વિસ્ફોટક રસાયણ. સુધારાવધારા પછી જે યુદ્ધને ધંધો બનાવનારી ખતરનાક હદે પહોંચવાનું હતું.

પણ, તે શૉઅનબાઈ જ હતો જેને વિજ્ઞાનની એક નવી શાખાનું આર્ષદર્શન થયેલું. ૧૮૩૮માં તેણે લખેલું : આપણી દુનિયાના સર્જન અને અજૈવિક પદાર્થોનાં રહસ્ય ઉકેલતાં પહેલાં જીઓકૅમેસ્ટ્રી- ભૂરસાયણનું તુલનાત્મક વિજ્ઞાન આદરવું, શરું કરવું જોઈએ.

શૉઅનબાઈના સ્વપ્નને સાકાર કરનાર વ્યક્તિ પચાસ વર્ષ પછી જન્મી.
તે પણ જર્મન-સ્વિસ હતી.
ર૧ વર્ષનો વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ એટલો તેજસ્વી હતો કે કોઈ પ્રવેશ પરીક્ષા કે ડિગ્રી વગર ઑસ્લો યુનિવર્સિટીએ તેને પદ ધર્યું હતું. ત્રણ વર્ષ પછી તેને નૉર્વેના પ્રથમ ક્રમાંકિત વિજ્ઞાન ખિતાબથી નવાજાયેલો.

વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ પૃથ્વીને એક સમગ્ર તંત્ર તરીકે જોતો હતો. તે જાણતો હતો કે આખું દ્રશ્ય જોવા ભૌતિકી, રસાયણ શાસ્ત્ર કે ભૂગોળનો છૂટો અભ્યાસ કામ નહીં લાગે...તે બધું ભેગું કરવું પડશે.
મૂળભૂત તત્ત્વોના અભ્યાસના તે શરૂઆતના દિવસો હતા. ગોલ્ડસ્મ્ટિ્થે આવર્ત કોષ્ટકનું પોતાનું આગવું વર્ઝન બનાવવા પેલા નવા જ્ઞાનને ખપમાં લીધું, તે કોષ્ટક આજેય વપરાશમાં છે.
તેનાથી ઉજાગર થયું કે મૂળભૂત તત્ત્વોમાંથી સ્ફટિક અને સંકુલ ખનિજો કઈ રીતે રચાય છે.

તત્ત્વો કઈ રીતે પર્વતો, કરાડો/ભેખડો, ખીણો બનાવે છે તેના પર તે સંશોધન કરી રહેલો. 

૧૯૨૮માં તેણે ગુટીંગન યુનિવર્સિટી, જર્મનીમાં પદ સ્વિકારવાનો જુગાર ખેલ્યો, જ્યાં ફક્ત તેના માટે આખી સંસ્થા ઊભી કરાઈ હતી. તેના સાથીદારોને લાગતું હતું કે તે સૌથી સુખી દિવસો હતા...૧૯૩૩ સુધી. ઍડોલ્ફ હિટલર સત્તામાં આવ્યો ત્યાં સુધી.

ગોલ્ડસ્મ્ટિ્થ જ્યુ હતો, પણ ધાર્મિક રીતે અનુસરતો નહોંતો. 
હિટલરને કારણે તે સ્થિતિ બદલાઈ.
ગોલ્ડસ્મ્ટિ્થે મુખર રીતે સ્થાનિક યહુદી સમૂહ સાથે જોડાવા માંડ્યો. 
પોતાના જ્યુ મૂળ, પેઢીઓ-સદીઓ જૂનાં, જાહેર કરવાનું હિટલરે ફરમાન કાઢેલું. કેટલાય હતા, જેઓ પોતાના જીવનને સાટે દાદાને કૉન્સનટ્રેશન કૅમ્પમાં મોકલી રહેલા. પણ ગોલ્ડસ્મ્ટિ્થે જાહેર કર્યું કે તેનાં તમામ વડવા યહુદી છે.

હિટલર અને હૅરમન ગોરીંગ- ગેસ્ટાપોનો સ્થાપક, તેથી નાખુશ થયા. તેમણે ગોલ્ડસ્મ્ટિ્થને વ્યક્તિગત પત્ર લખી જણાવ્યું કે તેને યુનિવર્સિટીએથી પદચ્યુત કરવામાં આવ્યો છે.
ખભે એકલાં લૂગડાં લઈ તે નૉર્વે ભાગી છૂટયો.
ગોલ્ડસ્મ્ટિ્થ ઑલીવાઈન- સૂર્ય મંડળના રચના કાળથી બચેલા ખનિજ-ને લગતા સંશોધનમાં ડૂબી ગયો. અત્યંત ઊંચા તાપમાનને સહન કરવાની તેની ક્ષમતાથી તે અભિભૂત હતો. જીવનનું પારણું બંધાવવામાં ઑલીવાઈનની ભૂમિકા હોઈ શકે છે એમ કહેનાર તે પહેલો હતો. દરમ્યાન, બ્રહ્માંડમાં ઑલીવાઈનની હાજરી બાબતે તે નવાઈમાં હતો. તે કૉસ્મોકૅમેસ્ટ્રીની શરૂઆત હતી.

૧૯૪૦માં જર્મનીએ નૉર્વે પર કબજો કર્યો, ગોલ્ડસ્મ્ટિ્થે ખીસામાં સાઈનાઈડની કૅપસ્યુલ રાખવું શરૂ કર્યું- ગૅસ્ટાપો ગમે ત્યારે આવી પહોંચે તો તે પોતાને તત્ક્ષણ ખતમ કરી શકે તે માટે.

બીજા વૈજ્ઞાનિક મીત્રે પુછ્યું, "મને પણ એક ગોળી મળી શકે?"
ગોલ્ડસ્મ્ટિ્થ ઉવાચઃ, "આ ઝેર ફક્ત રસાયણ શાસ્ત્રી માટે છે. ભૌતિક શાસ્ત્રી તરીકે તારે દોરડાથી નભાવવું પડશે."

હૅર ગોલ્ડસ્મ્ટિ્થ!

પણ, જ્યારે ગૅસ્ટાપો આવ્યા, ગોલ્ડસ્મ્ટિ્થે ગોળી વાપરી નહીં.
ઑશવીક/ઑઝવીચ મોકલતાં પહેલાં તેમણે તેને બર્ગ કૉન્સન્ટ્રૈશન કૅમ્પમાં મોકલ્યો. એવી જગ્યાએ જેને તે 'ત્યાં જવાની કોઈને સલાહ ના અપાય' તેવી કહેતો.

નાઝીઓને પણ ગોલ્ડસ્મ્ટિ્થ કામનો હતો.

તે જો રાઈશ (જર્મન રાષ્ટ્રવાદ)ની સેવામાં તેનું વિજ્ઞાન વાપરે તો જીવતદાન.
ગોલ્ડસ્મ્ટિ્થે તેના જુલમગારો સામે ખેલ પાડ્યો. તેણે નાઝીઓને ઝાંઝવા પાછળ દોડાવ્યા. તેણે તેમને અસ્તિત્વમાં જ ના હોય તેવા ખનિજ શોધવા મોકલ્યા, તેમને એમ ગળે ઉતારીને કે યુદ્ધમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી શકે તેવાં તે બેશકિમતી છે. તેની છેતરપિંડી કોઈ પણ ક્ષણે પકડી શકાય તેમ હતી, જેનો અર્થ ક્રુરતમ મોત થાય.

૧૯૪૨ સુધીમાં નૉર્વેજીયન વિપ્લવકારીઓને ખ્યાલ આવી ગયેલો કે ગોલ્ડસ્મ્ટિ્થ મહાશયનો ખતરનાક ખેલ ઝાઝું ખેંચે તેમ નથી. તેમણે તેને સ્વિડીશ સરહદેથી ભગાડી લેવાની ગોઠવણ કરી.

ગોલ્ડસ્મ્ટિ્થે યુદ્ધનો બાકીનો સમય સ્વિડનમાં અને પછી ઈન્ગ્લેન્ડમાં પસાર કર્યો, મિત્ર રાષ્ટ્રોને તેનો જ્ઞાનલાભ આપતાં રહીને, યુદ્ધની તકલીફોએ ખોરવી નાખેલા સ્વાસ્થ્ય સાથે.

દ્વિતીય વિશ્વયુદ્ધ પુરું થયાના દોઢ વર્ષ પછી વિક્ટર ગોલ્ડસ્મ્ટિ્થ મૃત્યુ પામ્યો.
તે દરમ્યાન તેણે સંકુલ જૈવિક અણુઓ વિશે એક સંશોધન પત્ર લખ્યો, જે તેના મતે પૃથ્વી પર જીવનની શરૂઆત તરફ દોરી શકનાર હોઈ શકતો હતો.

તે સંશોધન પત્રના વિચાર આજે પણ જીવનના પ્રાગટ્ય બાબતે કેન્દ્રિય છે.
ગોલ્ડસ્મ્ટિ્થને ખબર નહોતી પડવાની કે તેના પછીની જીઓકૅમીસ્ટ્સની પેઢી તેને તે ક્ષેત્રનો પિતામહ માનવાની હતી.

તેની છેલ્લી ઈચ્છામાં એક હતી સાદી વિનંતી : તેનાં અસ્થિ તેણે બનાવેલા ચોક્કસ ઘડામાં રાખવા  -જીવન જેના કારણે પાંગર્યું મનાય છે તે તત્ત્વ, તેના પ્રિય ખનિજ ઑલીવાઈનથી બનાવેલા ઘડામાં.


ભાગ ૯: https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_10.html


10.1.21

૩.૧ : (૯) જીવનનું ખોવાઈ ગયેલું નગર

આપણે અહીં આપણા ઘર અને સમયથી ઘણા પાછળ છીએ.
આપણી આકાશગંગા એક સમયે યુવાન અને ખુબ ફળદ્રુપ હતી; આજે જેટલા તારાને જન્મ આપે છે  તેના કરતાં ત્રીસ ઘણા તારા ત્યારે પેદા કરતી હતી. તારાઓની ભઠ્ઠી.

૧૧૦૦૦ કરોડ વર્ષ પહેલાંની એક ઉનાળું રાત-
આપણો તારો તો આકાશ ગંગાનું પાછળનું સંતાન છે. અને આપણા અસ્તિત્વના ઘણા બધા કારણોમાંનું તે એક છે.
ટૂંકા આયુષ્યના, વિશાળકાય તારાઓ નાશ પામ્યા પછી એક સમય આવ્યો, બીજા પ૦૦ કરોડ વર્ષ પછી, તે મૃત તારાઓને તેમના ભારે તત્ત્વો આપણને દાન કર્યા. તે તત્વોના કારણે આપણા સૂર્ય મંડળના ગ્રહો અને ચંદ્રો પોષ્યા, સમૃદ્ધ કર્યા.
અને આપણે તે તારકીય તત્ત્વોના બનેલા છીએ.

ગુરુત્વાકર્ષણની ઝપ્પીએ વાતાવરણના વાયુ અને રજને બદલીને આપણે જેને ઘર કહીએ તે આકાશગંગા બનાવી.
આપણા સૂર્યનો જન્મ થયો. 
તારા તેના ફરતેની દુનિયાઓને કિંમતી ખનિજ, હિરા અને ઑલિવીયનોથી નવરાવે છે, જે આપણી વાર્તામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
તારાઓ ગ્રહો, ચંદ્રો, ધૂમકેતુઓ બનાવે છે.

ગુરુ, આપણા સૂર્ય મંગળનું પહેલું સંતાન.
ભવિષ્યના ગ્રહો અને ચંદ્રો ઑર્ગેનીક અણુઓ- અત્યારે જીવન ઘડનારા મૂળભૂત રસાયણોથી છલકાય છે. તે બીજા તારાઓના મૃત્યુમાંથી તેમને મળેલ વારસો છે.

બ્રહ્માંડ જે સહજતાથી તારાઓ અને દુનિયાઓ બનાવે છે તેવી જ રીતે જીવનને જન્મ આપે છે કે શું?
આવો, તે રહસ્યના દિલ સુધી પહોંચીએ.

ખૂબ ખૂબ સમય પહેલાં, જ્યારે આપણી દુનિયા હજી યુવાન હતી, પૃથ્વીને આવરતા મહાસાગરના તળિયે એક નગર હતું. તે નગરને બાંધવામાં હજારો, લાખો વર્ષ લાગ્યા, જો કે, ત્યારે પૃથ્વી પર જીવન ન હતું.
તો પછી, તે સબમરીન સ્કાયસ્ક્રેપર્સ બાંધ્યા કોણે?

કુદરતે.

કાર્બન ડાયોક્સાઈડ અને શંખ, છીપ, મોતી બનાવવા તે જે ખનીજ વાપરે છે- કેલ્સિયમ કાર્બોનેટ- તેનો ઉપયોગ કરીને તેણે બાંધકામ કર્યું. તે ઊંચા ટાવર તો તેમની નીચે જે થયું તેની સામે કશું જ નથી. તે જોવા આપણે એક હજાર ઘણા નાના થવું પડે.

આપણી ખંતીલી ધરતી મા ફાટી અને તેના ઉકળતા પથરાળ ગર્ભમાં દરિયાનું ઠંડું પાણી પેઠું, તેને ઑર્ગેનીક તત્ત્વો, ખનિજોથી વધુ સમૃદ્ધ કરતું; જેમાં સામેલ હતો લીલો કિંમતી નંગ- ઑલિવીયન. ખનીજો અને પાણીનું આ મિશ્રણ એટલું ઉકળતું હતું કે તે પૃથ્વીના પેટાળમાંથી ભારે આવેગથી બહાર ફેંકાયું. તે મિશ્રણ પેલા કાર્બોનેટ પથ્થરોના પોલાણમાં ફસાયું, જે પાછળથી ઊંચા ટાવર બન્યા. તે પોલાણો બન્યા ઈનક્યુબરેટર્સ, ઑર્ગેનીક અણુઓ સલામતી પૂર્વક એકત્ર થઈ શકે તેવી સલામત જગ્યા.

આ રીતે જીવને જીવ માટે પારણું બાંધ્યું.

બ્રહ્માંડના આપણા આ નાનકડા ભાગ માટે તો તે હજી શરૂઆત હતી, પૃથ્વીના ખનિજ, પથ્થર અને જીવનના ટકાઉ સહકર્મની. 
તે પ્રક્રિયાને સર્પેન્ટિનાઈઝેશન કહે છે : કારણકે સાપની ત્વચા જેવા પડ તેમાં ગોઠવાય છે.
પાણી અને કાર્બન ડાયોક્સાઈડનું હાઈડ્રોજન અને મિથેન- પેલા જબરજસ્ત બનાવને ઈંધણ પુરું પાડનારા ઑર્ગેનીક તત્ત્વો- બન્યાની તે સાબિતી છે.

બીજી દુનિયાઓમાં જીવન શોધવા મથતા વૈજ્ઞાનિકોમાં એક રૂઢિપ્રયોગ ચલણી છે : પાણીને અનુસરો. કેમકે, જીવનની મૂળભૂત જરૂરિયાત પાણી છે.

હવે તેઓ એમ પણ કહે છે, 'પથ્થરને અનુસરો.' કારણકે જીવનને શક્ય બનાવતી પ્રક્રિયાઓ સાથે સર્પેન્ટિનાઈઝેશન તંતોતંત સંકળાયેલું છે.
મુખ્ય ઘટના જોવા આપણે હજી પણ વધુ નાના થવું પડે. તે કદના હોઈએ ત્યારે તો પેલા પથ્થરના પરપોટાથી નાના પોલાણ ગુફાથીય મોટા દેખાય, જે અસલમાં પેલા ટાવરના નાનાં બારાં છે.
 
ઝવેરાત જેવા લાગતા ઑર્ગેનીક તત્ત્વો- મારા, તમારા, આપણા બધાની જેમ અણુઓના બનેલા છે. તે નિર્જીવ નંગોને ઘરેણાંમાં પલટવા માટે ઊર્જા જોઈએ. જે આવી પેલા ટાવરમાં ફસાયેલા આલ્કલાઈન, ઍસિડિક દરિયાઈ પાણીમાંથી.

તે પૂરાણો મજૂસ ભરાયો બેશકિંમતી વિંટીઓ, બાજુબંધ, હાર, વધુને વધુ લાંબા, સંકુલ પરમાણુઓથી, અને છેવટે સૌથી મૂલ્યવાન ભેંટથી-

જીવ.

અમને લાગે છે કે પેલી પાણી,પથ્થરની રાસાયણિક પ્રક્રિયાએ પહેલા કોષને જન્મ આપવા જરૂરી શક્તિ આપી. તે એ ચિનગારી હતી જેણે જીવનના બંધારણીય એકમોને ઈલેક્ટ્રિફાઈ કરીને કશુંક જીવંત પેટાવ્યું. 

સમય સાથે પેલા ટાવર ઘસાયા, એથી રુંવાટી ફડફડાવતા જીવને ત્યાંથી નીકળીને ઉત્ક્રાંત થવાની તક મળી.

જીવનના જન્મની આ બહુસ્વિકૃત દંતકથા છે.
આ ધારણા ચાર જુદી વૈજ્ઞાનિક શાખાઓના સંકલન પર આધારિત છે : જીવ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર અને ભૂસ્તર શાશ્ત્ર.

અમને લાગે છે કે જીવને પહેલો ડગ પથ્થર પર માંડેલો.

અને પહેલી જ પળથી તે એક ભાગેડુ કલાકાર છે, હંમેશાં બંધન ફગાવવા ઈચ્છતો, નવી દુનિયાઓ સર કરવા ઈચ્છતો.
એવડો બધો મહામહાસાગર તેને ભરી શક્યો નહીં.

જીવનના જન્મની આ વાર્તા સાચી હોય તો, તે એટલી જૂની છે જ્યારે આકાશ ભૂરું નહોતું, આપણો ચંદ્ર આજે છે તેથી દૂર હતો.

પણ, જીવન હંમેશાં પોતાને ફાયદો જ થાય એમ વર્તતું નથી.
એક દિવસ એવો પણ આવેલો જ્યારે જીવન પોતાનો જ નાશ કરવાની અણી પર હતું.
 
###
બ્રહ્માંડનો ઈતિહાસ આપણે સમજી શકીએ તે માટે આપણે એક કૅલેન્ડર બનાવી કાઢ્યું છે : પૃથ્વીના જન્મથી આજ સુધીનો સમય એક વર્ષ તરીકે.
તેનો એક દિવસ એટલે ૪૦૦ લાખ વર્ષ.
પહેલો દિવસ એટલે ૧૪૦૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગ થયો તે દિવસ. 
શરૂઆતના લગભગ ૩૦૦ કરોડ વર્ષ સુધી કશું નોંધપાત્ર બન્યું નહીં.
માર્ચની ૧૫મીએ આપણી આકાશગંગા બનવી શરૂ થઈ.
તે પછી ૬૦૦ કરોડ વર્ષ બાદ આપણો તારો, સૂર્ય જન્મ્યો.
૩૧ ઑગસ્ટ પછી ગુરુ અને બીજા ગ્રહના પિંડ બંધાયા.
કૉસ્મિક કૅલેન્ડરની ૨૧મી સપ્ટેમ્બરે, અમારું માનવું છે કે જીવન જન્મ્યું.

ત્યારે વાતાવરણ એટલે હાઇડ્રોકાર્બનની ધૂંધ.
શ્વસવા ના કોઈ પ્રાણવાયુ કે ના કોઈ પ્રાણ. 

હમણાં હમણાં જ આપણે સમજતાં, કદર કરતાં થયા છીએ કે જીવને આ ગ્રહને કેવી ઊર્જાથી પલોટ્યો.

3.1.21

(લેખાંક ૮) ર.૪ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

સામાન્ય રીતે રેડ જાયન્ટ પથરીલા, બર્ફીલા ગ્રહોથી વિંટળાયેલો હોય છે. તેમાં એવા કેટલાક છે જેને આપણે ઘર કહેવાના છીએ. ૧૦૦ પ્રકાશ વર્ષ ત્રિજ્યાના વિસ્તારમાં આપણા બ્રહ્માંડિય ટૅલીસ્કોપ વડે તાકતાં દેખાય છે કે...
તે સાત ગ્રહો સૂર્ય ફરતેના બુધની જેમ તેના તારાની નજીક છે.
હઉમીયા એ હોકુ તારાના જીવનક્ષમ પ્રદેશના પાદરે છે. ત્યાં દેખાતી લીલી ઝાંય આકર્ષક છે. પણ, તે કાંઈ જંગલનું ઉપલું સ્તર નથી.
પેલો લીલો રંગ મીથેન અને ઍમોનિયાના કારણે છે.
43452288 કિલોમીટર આઘેથી હોકુ તેના ગ્રહને હૂંફાળો રાખી શકતો નથી.

હોકુના જીવનક્ષમ પ્રદેશમાં ટૅનગારોઆ ગ્રહ આવેલો છે, જ્યાં આપણી પ્રજાતિની નવીનતમ કથા ભજવાઈ રહી છે.
આ જીવનહીન દુનિયાને પૃથ્વી જેવી બનાવવામાં માણસજાતને કેટલાક સો વર્ષ થયાં. અને હવે તો હવા પણ ઘર જેવી મીઠી છે.

પણ, આ તો ઈન્ડોનેશિયા છે.

આકાશગંગામાં આપણી શરૂઆતના રઝળપાટ વખતના પહેલા વહેલા સ્ટોપેજમાંનું એક. આવા તો ઘણા ટાપુ આવવાના રસ્તામાં. આપણા આ ભવિષ્યના સ્વપ્નમાં, પ્રકાશ કરતાં ઝડપી વાહન સાથે...

એક સમય એવો આવશે જ્યારે આપણે કૉસ્મિક ટૅલિસ્કોપને એટલે દૂર તકાવી શકીશું કે અજાણ્યા દરીયા લાંઘવા નીકળેલા આપણા ગુમનામ પૂર્વજોને આંખ સામે જોઈ શકાય.

આપણે અવકાશમાં આઘે ને આઘે જવાના?દુનિયાઓ ખળભળાવી, ગ્રહો વસાવી, પાડોશી સૂર્ય મંડળ પર ફેલાતા જઈ?
આપણે, જે પોતાના ઘરે વ્યવસ્થા સ્થાપી શક્યા નથી, દુશ્મનાવટ અને નફરતનો તોડ કાઢી શક્યા નથી, તે? જેણે પ્રકૃતિનો ઘાણ વાળ્યો છે, જે ચીઢ અને મૂઢતાને  વશ થઈ એકબીજાને કતલ કરે છે, તે?
ઉપરાંત, બ્રહ્માંડનું નિર્માણ તેના માટે થયું છે એમ હજી હમણાં સુધી માનતી, ખતરનાક હેતુથી દોરવાયેલી પ્રજાતિ?

હું નથી માનતો કે 'આપણે' ફક્ત એવા જ છીએ.

હાલના રિવાજો અને સામાજિક ઝૂકાવ સાથે, ત્યાં અવકાશમાં જશે કોણ?
આપણે જો તાકાત ભેગી કરતા રહીશું, ડહાપણ નહીં, તો આપણું આત્મનિકંદન અવશ્યંભાવી છે.
દૂરના ભવિષ્ય સુધી આપણું અસ્તિત્વ ટકાવવાની શરત એ છે કે આપણે પોતાને, આપણી સંસ્થાઓને બદલવી પડે.

સુદૂર ભવિષ્યના મનુષ્ય વિશે અનુમાન લગાવનારો હું કોણ?

મને લાગે છે, તે ફક્ત પ્રાકૃતિક પસંદગીનો મામલો છે.
આપણે જો જરાક વધારે હિંસક, ટૂંકી દૃષ્ટિના, અણસમજુ, સ્વાર્થી બનીએ તો બેશક, આપણું કોઈ ભવિષ્ય નથી.
તમે અત્યારે યુવાન હો તો શક્ય છે કે તમારા જીવનકાળમાં આપણે પૃથ્વી નજીકના ઍસ્ટ્રોઈડ્સ અને મંગળ પર પહોંચીએ.
નજીકના ગ્રહ પર પહોંચતા સુધીમાં આપણે ઘણા બદલાઈ ગયા હોઈશું. બદલાતી પેઢીઓનો સાદો ક્રમ આપણને બદલી નાખશે. બદલાયેલી પરિસ્થિતિઓ આપણને બદલશે.

આપણે છીએ આખરે અનુકુલન સાધનાર પ્રજાતિ.
આલ્ફા સૅન્ચ્યુરી અને નજીકના તારાઓ સુધી પહોંચનારા આજના આપણે નહીં હોઈએ. તે પ્રજા આપણા જેવી હશે, પણ તેનામાં આપણી કમજોરીઓ ધોવાઈ હશે, આપણી શક્તિ ઘૂંટાઈ હશે.
એવી પરિસ્થિતિને શરણે જનારી પ્રજાતિ, જેના માટે મૂળે તે ઉત્ક્રાંત થયેલી.
વધુ આત્મવિશ્વાસુ, વધુ દૂરદર્શી, વધુ શક્તિશાળી અને વિવેકી.

બ્રહ્માંડમાં જેમને આપણે આપણા પ્રતિનિધિ તરીકે મૂકવા ઈચ્છીએ છીએ, તે આપણે જાણીએ છીએ ત્યાં સુધી વધુ પ્રૌઢ, વધુ તાકાતવાન અને ઘણા જુદા છે.

તારાઓ વચ્ચેનું અંતર કોઈ સારી તક જેવું છે.
જીવ અને જગત બીજા જીવજગતોથી ક્વૉરેન્ટાઈન્ડ છે.
આ આભડછેટ તેમના માટે છૂટશે જેઓ પાસે તારાઓ વચ્ચે સુરક્ષિત યાત્રા કરવા પુરતું આત્મજ્ઞાન અને નિર્ણય શક્તિ હશે.

આપણા સૂર્ય મંડળ અને તેની પારની દુનિયાઓમાં સુરક્ષિત રીતે નિશાન દાગી ચૂકેલા આપણા સંતાન પોતાની સમાન સંસ્કૃતિ, ધરતી માટેના તેમના આદર અને એ જ્ઞાન -કે બ્રહ્માંડમાં ભલે વિવિધ પ્રકારના જીવ હોય, માણસ જાત તો પૃથ્વી પરથી જ વ્યાપી હતી- વડે એકાત્મતા અનુભવશે.

माता भूमि पुत्रोहं पृथिव्या।
ધરતી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું.

यस्यां पूर्वे पूर्वजना विचक्रिरे यस्यां देवा असुरानभ्यवर्तयन् ।गवामश्वानां वयसश्च विष्ठा भगं वर्चः पृथिवी नो दधातु ॥४॥(અથર્વવેદ)

(જ્યાં આપણા પૂર્વજોએ વિચરણ કર્યું, જ્યાં તામસિક શક્તિઓને  સાત્વિક શક્તિઓએ જીતી, જ્યાં બીજા જીવ જંતુ વૃદ્ધિ પામ્યા, તેવી પૃથ્વી અમને સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપો.)


લેખાંક ૭: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_27.html



27.12.20

(લેખાંક ૭) ર.૩ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

મને એ સમજાતું નથી કે આપણે કૉસ્મિક ટૅલિસ્કોપ બનાવ્યું કેમ નથી!

તે કેમ બનાવવું તે આપણને ખબર છે.
તે બનાવવાની તકનીક પણ હવે છે આપણી પાસે.
ભવિષ્ય શરૂ કરવામાં આપણે શાની રાહ જોતા બેઠા છીએ?

વારું.

આપણું સૌથી મોટું અરમાન છે બીજી દુનિયાઓ સુધી પહોંચવાનું, ત્યાં ઘર વસાવવાનું.
પણ, ત્યાં જવું કઈ રીતે?
તારાઓ એકબીજાથી કે.ટ.લા. દૂર છે!
આપણે એવા વાહનો જોઈશે જે માણસજાતને લાંબામાં લાંબા ગાળા સુધી જાળવી રાખે.
સૌથી નજીકનો તારો ચાર પ્રકાશવર્ષ આઘે છે. પ્રોક્સિમા સૅન્ચ્યુરીમાં, 3862425.6 કરોડ કિલોમીટર દૂર.
આ તો તમને અંદાજ આવે કે એ લબકઝબક કરતું પ્રકાશનું ટપકું કેટલું નજીક છે.

જો નાસાનું વૉયેજર વન, કે જે 61155.072 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યાત્રા કરી રહ્યું છે, તે પ્રોક્સિમા સૅન્ચ્યુરી તરફ જાય તો ત્યાં પહોંચવામાં તેને...

૭૦,૦૦૦ વર્ષ લાગે.
અને આ તો ખાલી આપણી આકાશગંગાના કરોડો તારાઓમાંના એકની વાત છે.

તો, માણસે પૃથ્વીની શૅલ્ફ લાઈફથી વધુ લાંબુ ટકવું હોય તો આપણે પોલીનેશિયન્સ જેવું કરવું રહ્યું.
કુદરત વિશે આપણને જે કાંઈ ખબર છે, તેટલા જ્ઞાનનો ઉપયોગ કરી પ્રકાશ પર સવાર થવું રહ્યું, જેમ પોલીનેશિયન્સ પવન પર સવાર થયા હતા. 

તે સઢ જબરજસ્ત હોવાનો, ઘણો ઘણો ઊંચો પણ ઘણો ઘણો પાતળો. કચરા માટેની પ્લાસ્ટિકની કોથળી કરતાં ૧૦૦૦ ઘણો પાતળો.
જ્યારે એક પ્રકાશકણનો ધક્કો તેને લાગશે ત્યારે... શૂન્યાવકાશમાં પ્રકાશકણનો નાનકડો ધક્કોય તેની ઝડપ અનેકગણી વધારી નાખે, છેક પ્રકાશની ગતિની નજીક.
જ્યારે તમે તમારા તારાથી ઘણે દૂર હો અને પ્રકાશ સાવ ઓછો થઈ ગયો હોય ત્યારે લેસરથી કામ ચલાવી શકાય.
પ્રોક્સિમા સેન્ચ્યુરી સુધી પહોંચવામાં ૭૦,૦૦૦ નહીં, ર૦ વર્ષ થાય.

પ્રોક્સિમા બી તેના તારાના જીવનક્ષમ પટ્ટામાં છે.
જો કે, આપણને હજી ખબર નથી કે તે જીવન ટકાવવા સક્ષમ છે કે નહીં.
પૃથ્વી પર જીવન ઉત્ક્રાંતિનું કવચ એવું ચુંબકીય ક્ષેત્ર પ્રોક્સિમા બી પાસે છે?
બીજી એક શક્યતા તેના બંધિયાર હોવાની છે- તેની એક બાજુ સતત તારા તરફ અને બીજી અંધારી.

(લાનીઆકીઆ તારાઓ હૂંફાળા હોઈ શકે છે, પણ હજુ તેમનું ભાવિ દૂર છે. કરોડો અબજો વર્ષ. એક સંસ્કૃતિ વિકસવા જરૂરી સાતત્ય અને કરોડો અબજો વર્ષ- બાજુ બાજુમાં મૂકી જૂઓ.)

દિવસ રાત જોડતો સંધિકાળ એક જાદુઈ સમયગાળો છે. જો પ્રોક્સિમા બી જીવનક્ષમ છે તો ત્યાંનું જીવન પેલા સંધિ પટ્ટામાં હોવું જોઈએ. તે પાંગરતા જીવનનું ઘર હોઈ શકે અથવા આપણા સંતાનોની કૅમ્પ સાઈટ.

પ્રોક્સિમા બી પર ગૃરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં દસ ટકા વધારે છે. આપણા માટે તે મોટો પ્રશ્ન નથી. વજનીયાં ઊંચકી કસરત કરતા હોઈએ તેટલો ફેર પડે.

પ્રોક્સિમા બીની ભ્રમણ કક્ષાએથી કરાયેલા રિમોટ સૅન્સીંગ મુજબ ત્યાં જીવન નથી. તેથી વધારે લાંબી યાત્રાએ નીકળેલા ધરતીસુત માટે તે એક ઢાબું બની શકે.

એ લાંબી યાત્રાઓ માટે આપણે અત્યંત વેગવાન જહાજ જોઈશે.

ધારોકે, પૃથ્વીથી ૧૦૦ પ્રકાશવર્ષ આઘે આપણને કોઈ જીવનક્ષમ વ્યવસ્થા જડી છે, જ્યાં કેટલીક જીવનક્ષમ જગ્યાઓ છે. પ્રકાશની ઝડપે જતાં ત્યાં પહોંચવામાં ૫૦૦ વર્ષ લાગે. બ્રહ્માંડીય ગતિ મર્યાદાને અતિક્રમી જાય તેવું જહાજ બનાવવું શક્ય છે?

મૅક્સિકોના મિગેલ અલક્યુબાઈરા (Miguel Alcubierre), એક ગણિત ભૌતિક શાસ્ત્રી છે. સ્ટાર ટ્રેક સિરીઝ પરથી પ્રેરણા લઈને તેમણે એવા જહાજની ગણતરી માંડી બતાવી છે જે પ્રકાશની ઝડપ વટાવી જાય. જો તે સાચી પડે તો આપણા સૂર્ય અને પેલી દૂરની જીવનક્ષમ વ્યવસ્થા વચ્ચેનું અંતર એક વર્ષ અથવા તેથી પણ ઓછું થઈ જાય.

એક મિનિટ, એક મિનિટ. વિજ્ઞાનનો , બંધારણીય નિયમ તો છે કે, "પ્રકાશની ઝડપને તું ઓળંગશે નહીં." ખરું કે નહીં?

પણ, અલક્યુબાઈરા ડ્રાઈવ નામની એક ચીજ પણ છે. તે પોતે ખસતી નથી, બ્રહ્માંડ ખસે છે.
જહાજ તો પોતાના સ્થળકાળ પરપોટામાં બંધ હશે, જ્યાં તે ભૌતિક શાસ્ત્રના એક પણ નિયમનું ઉલ્લંઘન નહીં કરે.

અમેરિકાના હૅરોલ્ડ વ્હાઈટે અલક્યુબાઈરા ડ્રાઈવના કેટલાક વળ ઝાટકીને સરખા કર્યા છે. જેવાંકે, પેલા જહાજના ઉડાન માટે જરૂરી આત્યંતિક શક્તિની અડચણ. (એટલી શક્તિ મેળવવી કઈ રીતે તેનો ઉકેલ)

પણ, હજી તે આપણી પહોંચની પાર છે.

અલક્યુબાઈરા ડ્રાઈવ શીપ એક ગુરુત્વાકર્ષીય તરંગો જન્માવતું જહાજ છે. તે પોતાની સમક્ષના સ્થળકાળના સમંદરને સંકોચે છે અને પછી તેને એક મોજું બનાવી વહેતો કરે છે.
આકાશગંગા અને તેની પારના અવકાશમાં સફર માટેની લસરપટ્ટી.
કોને ખબર? લાનીઆકીઆ સુપર ક્લસ્ટર આખેઆખું આપણું તળાવ બને એક 'દિ.

ત્યાં છે ૧,૦૦,૦૦૦ આકાશગંગાઓ.
'લાનીઆકીઆ' એક હવાઈયન શબ્દજૂથ છે, જેનો અર્થ થાય 'અમાપ સ્વર્ગ'.

અલક્યુબાઈરા ડ્રાઈવનું આધુનિક સ્વરૂપ 96560640 કરોડ કિલોમીટરનું અંતર પલકવારમાં કાપી શકશે. તમે હજી બેઠકમાં ગોઠવાઓ એટલામાં તો તમે ખૂબ દૂરની આકાશગંગાના ગ્રહમંડળ પર હશો.

તેને 'હોકુ' સિસ્ટમ કહીએ, હાલ પુરતી.

લેખાંક ૬: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_20.html

20.12.20

(લેખાંક ૬) ૨.૨: જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

તમે વિચારતા હશો, 'આપણે દૂરના તારાઓ સુધી જવાની વાત કરીએ છીએ કે શું?'
કેટલાક સમય પહેલાં આપણે ચંદ્ર પર પા પા પગલી કરી આવેલા અને પછી પારોઠા ભણી આપણી ધરતીમાની ગોદમાં બેસી પડ્યા. આંતરતારકીય યાત્રાઓ દરમ્યાન આપણે ટકી જઈશું તેની ખાતરી શું? આપણો સૌથી નજીકનો તારો તો ચંદ્ર કરતા ૧૦૦૦૦ કરોડ ગણે દૂર છે. આપણા નાનકડા જહાજોને અસીમ, અજાણ્યા, અંધારા ગળી નહીં જાય?
મને લાગે છે આપણે પહોંચી વળીશું.
કેમ?
કેમકે, આપણે અગાઉ આ કામ કરી ચૂક્યા છીએ.
આપણે સપનું જોઈએ છીએ આપણી દૂધ ગંગાના સૂદૂર ટાપુઓ સુધી પહોંચવાનું, યાત્રા દરમ્યાન પ્રકાશકણ પકડતાં જઈને, પાછા વળવાની શક્યતા પર ચોકડી મૂકી, બે-લગામ.
એ રસ્તે આપણે એકવાર અગાઉ પણ ચાલી ચૂક્યા છીએ.
એકવાર, કેટલાક લોકોએ અજાણ્યો રસ્તો માપેલો, કાપેલો. અજાણ્યા દરીયાઓ તરવા તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવેલું, અને તેમનું સાહસ સ-ફળ રહ્યું. 
તેમને જડ્યું સ્વર્ગ.

બેસો, તેમની વાર્તા કહું છું.
આપણે તે લોકોને 'લાપિતા' નામે ઓળખીએ છીએ. જોકે, તે તેમનું નામ ક્યારેય નહોતું.  અમુક દશક અગાઉ, આપણને જ્યારે તેમના માટીના વાસણોના ટુકડા મળ્યા ત્યારે આપણે ભૂલભૂલમાં તેમને તે નામ આપી દીધું.
મને તો તેમને 'યાત્રાળુ' કહેવું ગમે છે. 
દસ હજાર વર્ષ પહેલાં જ્યારે દક્ષિણ ચીનમાં વસાહતો વધવા માંડી ત્યારે ત્યાંથી કેટલાક અગ્રજોએ સીમા લાંગવાનું વિચાર્યું, આજે જ્યાં તાઈવાન છે તે તરફ, વધુ દક્ષિણે જવાનું. તેઓ ત્યાં પહોંચ્યા, ઠરીઠામ થયા, હજારો વર્ષ ટક્યા, પછી ત્યાં પણ વસ્તી વધી. જેમ, આપણે આ ગ્રહ પર એક પ્રકારના બ્રહ્માંડીય ક્વૉરેન્ટાઈન કાળમાં છીએ; બીજી દુનિયાની વાતોથી અજાણ, તેમના સુધી પહોંચવાથી દૂર, તેમ આપણા પૂર્વજો જમીનથી બંધાયેલા હતા. તેમણે જો ક્યાંય પહોંચવું હોય તો એટલું ચાલવું રહ્યું. અને ચાલતાં ચાલતાં તેઓ એ છેડે પહોંચતા જ્યાં જમીન દરિયા તળે ગરકાવ હોય.

દરિયો ખૂંદનારી સભ્યતા પાંગરી તેના ઘણા ઘણા સમય પહેલાંની આ વાત છે.
મધ્યપૂર્વના ફિનીશીયન્સ અને ક્રેટ(ગ્રીસનો એક ટાપુ)ના મીનૌન્સ. તેમના ઈતિહાસનો મોટાભાગ દરિયાને ભેંટવાનો રહ્યો છે. તેમની માછીમારી અને વેપારયાત્રા મોટેભાગે એક આંખ જમીન પર રાખીને થયેલી. 

આપણને ખબર નથી કે તે યાત્રાળુઓમાં અશક્યને આંબવાની પ્રેરણા ક્યાંથી ઊગી. 
તેમનો જમીન પરનો વિશ્વાસ ડગી ગયેલો? તેઓ જમીનના એ ભાગે રહેતા હતા જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખી થતા રહેતા.
કે કોઈ દુષ્ટ પાડોશી અસહ્ય થઈ પડેલા?
વાતાવરણમાં થયેલા કોઈ પલટાએ તેમને પેટાવેલા?
કે પછી વસ્તી ગીચ થઈ ગયેલી?
વધારે પડતાં શિકાર કે માછીમારીથી ત્યાં સંશાધન ખૂટવા માંડેલા કે શું?
કે પછી એવી કોઈ સંપૂર્ણ માનવીય વૃત્તિએ તેમને 'પણે શું છે?' જાણવા દોરેલા?
હેતુ તેમનો જે કાંઈ હોય, સમય જતાં તેઓ તેમના ડરને અતિક્રમી શક્યા અને અગાઉ કોઈ ગયું ના હોય ત્યાં જવા તેમણે તૈયારી કરી. તે યાત્રાળુઓએ તેમના પૂર્વજોએ પેઢી દર પેઢી કરેલા અવલોકન ઝીણવટથી જોયા અને દરિયાઈ ખેડાણની એવી તકનીકો વિકસાવી જેમાંની કેટલીક આજેય કામ લાગે છે. પક્ષીઓની ઋતુગત ઉડાન વિધિ એ તેમનું જીપીએસ હતું. તેઓ તેમની સાથે ડરામણા, ઊંચે ઊડી શકતા પક્ષીઓ રાખતા,જેમને ગણતરીપૂર્વક ચોક્કસ સમયે  ઉડાડીને તેઓ નજીકની જમીન સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો નક્કી કરતા. તેઓ પાણી વાંચતા, દરિયાના પ્રવાહ આંગળીની ટોચે અનુભવતા અને વાદળોના સંદેશ સાંભળતા.

આ યાત્રાળુઓ વૈજ્ઞાનિક હતા અને સમગ્ર સૃષ્ટિ તેમની પ્રયોગશાળા હતી.
તેઓ સૌથી પહેલાં ફિલીપીન્સ ટાપુઓ પર જઈ વસ્યા. ત્યાં લગભગ હજારેક વર્ષ રહ્યા પછી તેઓ આગળની યાત્રા માટે તૈયાર થયા.
યાત્રાળુઓની નવી પેઢી, પોલીશીયન્સ ઈન્ડોનેશિયા- મૅલનેશિયન આઈલેન્ડ, વનૌતુ, ફિજી, સામોઆ, માર્કેસસ સુધી સફળ યાત્રા કરતી થઈ.
અને પછી પૃથ્વી પરના સૌથી એકલપંડા ટાપુ સમુહ સુધી, હવાઈ ટાપુઓ; તાહિતી, ટોંગા, ન્યુઝીલેન્ડ, પીટક્રેઈન, ઈસ્ટર ટાપુઓ સુધી. જે બધાની દરિયાઈ હદ ૨૦૦ લાખ કિલોમીટર જેટલી થાય.
તેઓએ આ બધું એક પણ ખીલી કે ધાતુના સાધન વગર કર્યું.

ટાપુઓ પર રહેનારા માટે બીજા લોકો સાથેના સંપર્ક ઘટતા ગયા તેમ તેમ પૉલેનેશિયન જે ભાષા લઈને આવેલા તે ભાષા જુદીજુદી બોલાશમાં ફંટાવા લાગી. ઘણા શબ્દ બદલાયા, પણ પ્રશાંતના પટ્ટાની બધી ભાષાઓમાં એક શબ્દ એમનો એમ રહ્યો : 'લ્યાર.' તેનો અર્થ છે 'દરિયાઈ ખેડ.'

હવે આપણે ક્યાં જઈશું?
એવા સ્થળે જ્યાં તમે દુનિયાઓનું પુસ્તક વાંચી શકો.
આપણો ઉદ્દેશ કોઈ ચોક્કસ જગ્યા નહીં, આંતરતારકિય દરિયા વચ્ચેનો શૂન્ય અવકાશ છે.
ત્યાં કેમ?
આવો.

આપણા સૂર્યથી ૮૦૪૬ કરોડ કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ આપણે. હું તમને યાત્રાળુઓની હજારો પેઢીઓએ આપેલી એક સોગાદ બતાવવાનો છું.
આપણે હજારેક વર્ષથી પ્રકાશનો અને અમુક સદીઓથી ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આઈન્સ્ટાઈનની સૂઝનો એક કમાલ એ પણ કે પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ પરસ્પર શું અસર કરે છે તે સમજવા તે પ્રેરાયા. ગુરુત્વાકર્ષણ જે રીતે પ્રકાશને વાળે છે, તે રીતે આપણા સૂર્ય સહિત કોઈ પણ તારાને વાળીને તેને કોઈ બ્રહ્માંડીય ટૅલિસ્કોપનો લૅન્સ બનાવી શકાય, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબો લૅન્સ.

હાલ આપણી પાસે જે ટૅલિસ્કોપ છે તેનાથી તો બીજા સૂર્યોની દુનિયાઓ એક ટપકા જેવડી દેખાય છે. ઉપર મુજબનું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તે દુનિયાઓના પર્વત, દરીયા, હિમ નદીઓ અને કોણ જાણે બીજું કેટલુંય બતાવી શકે. કદાચ, ત્યાંના શહેર પણ.

પણ, સૂર્ય કે જેની આરપાર જોઈ શકાતું નથી, તેને કાચ કઈ રીતે બનાવી શકાય?
જ્યારે ખૂબ દૂરના કોઈ ગ્રહ પરથી આવતા પ્રકાશના કિરણો સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે સૂર્ય તે કિરણોને કાયમ માટે જરાક વાળે છે. તે કિરણો અવકાશમાં જ્યાં વળે તે જગ્યાને ફોકલ પોઈન્ટ કહે છે. કારણકે જે પદાર્થ આપણે જોઈ રહ્યા છીએ તે પદાર્થ તે બિંદુએ ફોકસ- માં આવે છે.

તો, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબા લૅન્સવાળા ટૅલિસ્કોપ વડે શું જોઈ શકાય? તમારે જે જોવું હોય તે બધું જ, લગભગ બધું.

ગૅલિલીયોનું શ્રેષ્ઠ ટૅલિસ્કોપ કોઈ ચિત્ર ત્રીસ ગણું મોટું કરી બતાવતું. એટલાથી ગુરુ ત્રીસ ગણો નજીક દેખાતો. આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વસ્તુઓને ૧૦૦૦૦ કરોડ ગણી નજીક લાવી આપશે. અને આપણે તેને બ્રહ્માંડની કોઈપણ દિશામાં ફેરવી શકીએ. તેનો ડિટેક્ટર ઍરે સૂર્ય ફરતે ૩૬૦ અંશે ફરી શકશે. 

આપણા બ્રહ્માંડનો માત્ર એક ભાગ આપણી પહોંચથી છટકી રહ્યો છે અને તે છે આપણી પોતાની દૂધ ગંગાનું કેન્દ્ર, કેમકે તે અત્યંત પ્રકાશિત છે. ત્યાંથી આવતો પ્રકાશ આંધળા કરી નાખે છે.

પણ, આ બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વડે આપણે તે બધું જોઈ શકીશું જે નહોતું જોઈ શકાતું.
કદાચ, આપણા માટે સંભાવના ધરાવતી કોઈ બીજી દુનિયા પણ.
જે-તે દુનિયાના વાતાવરણમાં રહેલા વાયુઓ આપણને કહેશે કે ત્યાં જીવન છે કે નહીં.

પરમાણુઓની સહીં ચોક્કસ રંગની હોય છે.
આપણે જો પેલા વાતાવરણમાં સ્પેક્ટ્રોસ્કોપ- પ્રકાશને તેના મૂળ રંગોમાં વિભાજિત કરી આપતા સાધન વડે જોઈએ તો આપણે તે વાતાવરણ રચનારા પરમાણુ ઓળખી શકીએ.

ઑક્સિજન અને મિથેનની હાજરી એટલે જીવનની નિશાની, તે દુનિયા જીવંત હોવાની ખાતરી. અને આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તેની સપાટીનું સ્પષ્ટ ચિત્ર આપણને બતાવી શકે.

તે દ્રશ્ય પ્રકાશ જોતું દ્રશ્ય ટૅલિસ્કોપ માત્ર નથી. તે રેડિયો ટેલિસ્કોપ પણ છે. જેમ તે પ્રકાશની જેમ રેડિયો તરંગોને પણ ૧૦૦૦૦ કરોડ ગણા નજીક લાવી આપશે.

ઍસ્ટ્રોનોમર્સ જેને 'વૉટર હોલ' કહે છે,  જ્યાં સિંહ અને ભેંસ પાણી પીવા, ન્હાવા આવે તેવી જગ્યા પરથી જેનું નામ પડ્યું, રેડિયો તરંગપટનો એક એવો વિસ્તાર જ્યાં દખલ ઓછામાં ઓછી હોય છે અને આપણે દૂર સૂદુરની સભ્યતાઓ વચ્ચેની ગપશપ પણ સ્પષ્ટ સાંભળી શકીએ. 
ત્યાંથી આવતા સ્વરોના પ્રચંડ મારામાંથી સંકેત શોધવા આપણે આપણી તમામ સંગણનાત્મક-કૉમ્પ્યુટેશનલ આવડત કામે લગાડવી પડશે.
1-4 1-5-9-2-

અને તે વિશાળ ટૅલિસ્કોપ ભૂતકાળમાં ઝાંકવાનો રસ્તોય છે. કારણકે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે. 
સવારે આપણે સૂર્ય જે સૂર્ય જોઈએ છીએ તે આઠ મિનિટ વીસ સૅકન્ડ અગાઉનો હોય છે. જોવાની બીજી કોઈ રીત શક્ય જ નથી.  ૧૫૦૦૦  કરોડ કિલોમીટર દૂરના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં એટલી વાર લાગે જ. 
એ જ રીતે, આપણે કોઈ પણ દુનિયા તરફ આપણા ટૅલિસ્કોપને તાકીએ, આપણે તેના ભૂતકાળને જ જોઈ શકવાના. 

હવે, ધારોકે બીજી કોઈ સભ્યતા, પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂરની કોઈ સભ્યતા પાસે આવું કૉસ્મિક કૅલેન્ડર છે. તે દુનિયાના ખગોળ વિદ્ આપણા પિરામિડને બંધાતા કે પછી પોલીનેશિયનની પ્રશાંત મધ્યેની યાત્રાઓ જોઈ શકે.

જોકે, કૉસ્મિક ટૅલિસ્કોપ પાસેથી સૌથી અગત્યનું કામ તો આપણા માટે બીજી પૃથ્વી શોધાવવાનું લેવાનું છે.

મને એ સમજાતું નથી કે આપણે આવું ટૅલિસ્કોપ બનાવ્યું કેમ નથી.


લેખાંક પણ: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_13.html




13.12.20

(લેખાંક પ) ૨.૧ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

બીજી દુનિયાઓએ અવકાશના ઊંડાણ માપવા મોકલી હોય તેવી સ્પેશ શિપ આપણી આકાશગંગામાં હોઈ શકે છે. તે કદાચ એક પછી એક તારા મંડળો તરફ જઈ રહી હોય; જીવન જ્યાં સ્થાયી થયું હોય તેવી દુનિયાઓની શોધમાં. તેમને પણ અંદાજ ના હોય તેવા જીવનના ગુણધર્મોનો નજીકથી અભ્યાસ કરવા.

૪૦૦ કરોડ વર્ષ પહેલાં, તેની બાલ્યાવસ્થામાં પૃથ્વી ખાસ આશાસ્પદ જણાતી ન હતી.

તે વખતે શુક્ર પર મહાસાગરો, જમીન અને કદાચ, જીવન હતાં. શુક્ર પાસે પાંગરવાની, જીવનક્ષમ પ્રદેશ બનવાની તક હતો. કોઈ પણ દુનિયા માટે, પોતાના તારા સાથે એવા સંબંધનો ગાળો જ્યારે ના તો તે અતિશય ગરમ હોય, ના ઝાઝો ટાઢો.‌ દુનિયાના અસ્તિત્વનો એવો સમય જ્યારે તે જીવનને જણી શકે, જીરવી શકે. 

પણ, જીવનક્ષમ પ્રદેશ હોવાના આશિષ સરકતી ચીજ છે અને કોઈ પણ દુનિયા માટે તે કાયમી નથી. 

આપણે આપણા તારાના જીવનક્ષમ પ્રદેશમાં વસીએ છીએ અને તે પ્રદેશ ત્રણ ફૂટ પ્રતિ વર્ષના દરે વિસ્તરી રહ્યો છે. પૃથ્વીના જીવનક્ષમ સમયનો ૭૦% ભાગ વીતી ચૂક્યો છે. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી, પૃથ્વી બહાર વસવાટનું આયોજન કરવા આપણી પાસે હજી હજારો લાખો વર્ષ છે.

સૂર્યના આશિષ આપણા માથેથી ઉઠી જશે પછી, ધરતી જીવન બાગ નહીં રહે ત્યારે આપણે ક્યાં જઈશું? દૂધ ગંગાના દરિયાના સૂદૂર ટાપુઓ તરફ આપણી પ્રજાતિએ પ્રયાણ આદર્યું હશે?

પરિવર્તનથી બચવાની કોઈ જગ્યા બ્રહ્માંડમાં નથી. કેટલાક હજાર લાખ વર્ષ પછી સંતાવા માટે કોઈ સલામત સ્થળ નહીં હોય. એક દિવસ આ બધું, કુદરતના કાનૂન મુજબ જીવન-મૃત્યુ અને પુનઃજન્મના અંતહીન ચક્રને શરણે થશે.

આ બ્રહ્માંડ સુંદર વસ્તુઓ ઉત્ક્રાંત કરે છે, પછી તેમને તોડી ટુકડા કરે છે અને તે ટુકડાઓમાંથી જ કશુક નવું સર્જે છે.

બ્રહ્માંડની કોઈપણ દુનિયાની કોઈપણ પ્રજાતિએ જો લાંબુ ટકી જવું હોય તો સામૂહિક પરિવહન કરવા કામ લાગે તેવા આંતર ગ્રહીય અને છેવટે આંતર તારાકીય ઈજનેરી વિકલ્પો વિકસાવવા રહ્યા. 

આ વાતની આપણને કંઈ રીતે ખબર પડી?

બ્રહ્માંડ વિશે આપણે થોડું ઘણું જે કાંઈ જાણીએ છીએ, તેમાં આપણને ભવિષ્યની ઝલક જોવા મળે છે. 

આપણી સભ્યતા માટે માણસ જાતે આપમેળે ઉભા કરેલા જોખમ, ક્લાઇમેટ ચેન્જની વાત હું નથી કરી રહ્યો, તે તો ટૂંકાગાળાની વાત છે. જો આપણે હજારો,લાખો, કરોડો વર્ષ ટકવું હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઊંડેલવાનું બંધ કરવું પડશે, અત્યારે જ. માણસજાતને બેનિફિટ ઓફ ડાઉટ આપીને લાંબાં ગાળાની વાત કરવા હું જઈ રહ્યો છું.

સૂર્ય વયવૃદ્ધ થઈ રહ્યો છે; આપણી જેમ. એક દિવસ તેના ગર્ભમાંનું હાઇડ્રોજન ઇંધણ ખૂટી પડશે.

500- 600 કરોડ વર્ષ પછી, જ્યાં હાઈડ્રોજન ફ્યુઝન થાય છે તે પટ્ટો બહારની તરફ વિસ્તરશે. તે સાથે જ્યાં થર્મોન્યુકિલયર પ્રક્રિયાઓ થાય છે તે કોચલુંય મોટું થશે- તાપમાન સો લાખ ડિગ્રી જેટલું નીચું જાય ત્યાં સુધી. સૂર્ય યલો ડ્વાર્ફ- પિળીયા વામનમાંથી રેડ જાયન્ટ બનશે.


શુક્ર અને પૃથ્વીને જકડી રાખતું તેનું ગુરુત્વાકર્ષણ નબળું પડશે. તેથી, તે બે ગ્રહ થોડાક સમય માટે સલામત અંતરે સરકશે. લાલમટોળ થયેલો, ફૂલેલો વિરાટ સૂર્ય બુધને આવરી લેશે, ગળી જશે. જીવનક્ષમ પ્રદેશના આશિષ વધુને વધુ ઝડપે દૂર સરકતા જશે. 

તે પછી, ફૂલેલા સુર્યના તીવ્ર પ્રકાશ અને ગરમી ગુરુ સુધી પહોંચશે. ગુરુ ફરતેના એમોનિયાના વાદળો અને પાણી તેનામાંથી છટકીને વરાળ સ્વરૂપે અવકાશમાં ફંગોળાઈ જશે. અને પહેલીવાર, ગુરુનું દેખાવડું બાહ્ય વાતાવરણ ખસી જતાં તેની નીચેની ફૂવડ સપાટી દેખા દેશે.

ગુરુના ઠંડાગાર ચંદ્રોમાંના કોઈ એક પર આપણે ઘર બનાવી શકીશું?

અગાઉ કરતા હજારો ગણા તિવ્ર સૂર્યપ્રકાશને કારણે યુરોપા અને કેલિસ્ટો(ગુરુના ચંદ્ર) પરના બરફના ગાઢા સ્તર ઓગળશે અને તેમની નીચેના દરિયા વહેતા થશે. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વરાળ છૂટી થશે, જે ગ્રીનહાઉસ ઈફેક્ટના ચક્રને ગતિમાં લાવશે. ગૅનમીડ (એક ચંદ્ર) -નું એક વખતનું પાતળું વાતાવરણ ગાઢ અને ઘેરું થશે. જો ત્યાં કોઈ પણ સ્વરૂપે જીવન ધબકતું હશે તો તેના ફૂલવા-ફાલવાની, ઉત્ક્રાંત થવાની તે તબક્કે નવી તક ઊભી થશે. ગૅનમીડ તે જીવોની ધરતીમા બનશે.

 આ તો અમસ્તું, કેમકે આપણે નવું ઘર સૂર્યથી સલામત અંતરે ઈચ્છીએ છીએ.


સૌર ઉત્ક્રાંતિ રોકાવાની નથી, જો કે, નવું ઘર શોધવા આપણી પાસે હજારો લાખો વર્ષ છે. બ્રહ્માંડમાં દુનિયા વસાવવાની જગ્યા શોધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે.

શનિના શા હાલ કર્યા હશે પેલા લાલમટોળ રાક્ષસી સૂર્યે? ઓહ! તેની સુંદરતા, તેની સુંદર વિંટીઓ લૂંટાઈ જશે. અને તેના ગ્રહ ટાઈટનનું વાતાવરણ પણ છીનવાઈ જશે. 

અરે! આપણે તો શક્ય દુનિયાની સંભાવનાઓના છેડે આવી ગયા. અહીં છે નૅપ્ચ્યુન, જેનું નામ રોમન દેવતા પરથી પાડવામાં આવ્યું છે. ગ્રીક તેને જ પોસેઈડોન- દરિયાના દેવ નામે ઓળખતા હતા.  

નેપ્ચ્યુનના ચંદ્ર ટ્રીટોન પરના દરિયાનું કોઈએ નામ પાડ્યું નથી- કારણકે સૂર્ય લાલમટોળ રાક્ષસ બને તે પછી તે ઠરેલા ચાંદા પરના ઍમોનિયા અને પાણીનાં પડ ઓગળશે. ટ્રીટોન પર એક દિવસ ૧૪૪ કલાકનો હશે. અને શિયાળો ભયંકર કાતિલ તથા પચાસ વર્ષ જેટલો લાંબો.

(આપણા પછીની પેઢીઓ નવાં જોડકણાં સાંભળશે.)

છતાં, કેટલાક કરોડ વર્ષ પછી ટ્રીટોન ઘર વસાવવાનું સારું સ્થળ જણાય છે. આપણે જોઈએ તે બધું હશે ત્યારે ત્યાં; વાતાવરણ અને પાણીના દરિયા જે જીવન જન્માવનારા બંધારણીય રસાયણો છે. 

ઠીક છે, ટ્રીટોન પર ઠંડી હશે પણ જાન્યુઆરીમાં ન્યુયોર્કમાં હોય છે તેથી ખરાબ નહીં હોય. (તમે આખું વર્ષ સ્કીઈંગ કરી શકશો.)

પણ, એક દિવસ સૂર્યની બધી ઊર્જા ખલાસ થઈ જશે અને જીવનક્ષમ પ્રદેશ તરીકેના આશિષ છેક અહીં ટ્રીટોન પરથી પણ ઊઠી જશે. 

જ્યારે સૂર્યનો રેડ જાયન્ટ કાળ સમેટાઈ જશે, તેના બધાં આવરણ ખસી જશે અને દેખાશે વ્હાઈટ ડ્વાર્ફ. એવો તારો, જેનામાં તેના બચેલાં સંતાનોને હૂંફ આપવા જેટલી ઊર્જા હજી બચી હોય.

તો, જો આપણે અમુક હજાર લાખ વર્ષ પછી પણ ઘર જોઈતું હોય તો આપણે સૂર્ય મંડળની સીમા પાર યાત્રા કરવી રહી; આપણે આંતર તારકીય અવકાશના અસીમ ઊંડા દરિયામાં જહાજ લાગરવું રહ્યું.


ભાગ ૪: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post.html








6.12.20

૧.૪. સિતારા સુધીની સીડી

કુદરતના કાયદા પુસ્તકમાં બે પુરાતન રાજ્યો વચ્ચે સંધિની અને સંધિ તોડનારાઓની દ્રષ્ટાંત કથા નોધાયેલી છે. 

ઘણા સમય પહેલાંની વાત છે. તે વખતે બે રાજ્ય હતા.
તેમની વચ્ચે એવી સુમજૂતિ થઈ, જે તે બંનેને તેમની કલ્પના બહારની સમૃદ્ધિ આપવાની હતી.
આ સમજૂતિ લગભગ ૧૦૦૦ લાખ વર્ષ સુધી ટકી. અને પછી તેમાંના એક રાજ્યમાં જુદા પ્રકારનો જીવ ઉત્ક્રાંત થયો. તેના સંતાનોએ સમૃદ્ધિ લૂંટી અને સમજૂતિ તોડી.
તેમની ઉદ્ધતાઈમાં તેઓ બીજા રાજ્ય માટે જ નહીં, પોતાના રાજ્ય માટે પણ જીવનું જોખમ બની બેઠા. 

આ નિતીકથા સાચી છે.
પૃથ્વી પરના અડધા ડઝન સમુદાયમાંના બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેની આ વાત છે.
લીલા હોવું સહેલું નથી. તમે એક જગ્યાએ ચોંટેલા હોં ત્યારે પ્રજનન એક પડકાર છે. મિલન શક્ય નથી બનતું. તમે બસ ત્યાં જ બેસી રહો અને તમારા બીજ હવાને સોંપી દો. પવન ફૂંકાવાની રાહ જુઓ. નસીબદાર હો તો તમારી પરાગ રજ બીજી વનસ્પતિના પ્રજનન અંગ સુધી પહોંચે. 
'લાગ્યું તો તીર' પ્રકારનો આ નસીબનો ખેલ વનસ્પતિ સૃષ્ટિ અમુક હજાર લાખ વર્ષ સુધી કરતી રહી; કામદેવ રૂપી જીવજંતુ ઉત્ક્રાંત થયાં ત્યાં સુધી.
જીવનના ઈતિહાસમાં આ અનુકુલન સહ ઉત્ક્રાંત લગ્નોમાં પરિણમ્યું.
કોઈ પુષ્પની પ્રોટીન સભર પરાગ રજનો રસ પીવા કોઈ જંતુ તેની મુલાકાત લે. અજાણતાં જ કેટલીક પરાગરજ તેના શરીર પર ચોંટી જાય. શરીર પર ચોંટેલી પુષ્પની પરાગરજ સહિત‌ તે જંતુ બીજા પુષ્પની મુલાકાત લે. અનુકૂળ હોય તો બીજું પુષ્પ ફળે, તેના પ્ર-જનનની તક ઊભી થાય.
જીવજંતુ અને પુષ્પો તેમ બંને તરફ આ એક લાભકારક ભાગીદારી હતી; જેને કારણે ખુશ કરી દેનાર ઔત્ક્રાંતિક ફેરફારોની હારમાળા રચાઈ.
નવો છોડ સર્જાયો જેણે પરાગ રજની સાથે સાથે ગળ્યો રસ પણ પેદા કરવો શરૂ કર્યો. હવે પેલાં જંતુ ફક્ત પ્રોટીન યુક્ત ખોરાક માટે જ નહીં, મીઠાઈ માટે પણ આવતા થયા. જંતુઓ ભરાવદાર બન્યા, તેમના ગોળ મટોળ શરીર પર સુંવાળી રુવાટી આવી અને તેમના પગમાં નાનકડા ખિસ્સા બન્યા; જેમાં વધારે માત્રામાં પરાગ રજ ભરાતી થઈ.
અને આવી માખીઓ.
તેઓ તો વળી પ્રાણીસૃષ્ટિની એક ખાસ પ્રજાતિ માટે વિશેષ લાભકારક બની.
આપણા માટે.
માખીઓ અને તેમના જેવા પરાગ વાહકોના આપણે ઋણી છીએ, આપણા જીવનના ટકી જવા માટે અત્યંત જરૂરી હોય તેવી બાબતે. આપણો ત્રીજો કોળિયો, પછી ભલે ને આપણે ઉભયાહારી હોઈએ, તેઓના કારણે જ શક્ય છે.
દુનિયાની 35% ખેતી તેમના સહકાર પર આધાર રાખે છે.

વનસ્પતિનો ખોરાક છે તારાનો પ્રકાશ, અને આપણ પ્રાણીઓનો ખોરાક છે વનસ્પતિ. વનસ્પતિ ફક્ત ઉપલબ્ધ ભોજનનો સંખ્યાત્મક વધારો કરે છે એટલું જ નથી; આપણું ભોજન જેના પર આધારિત છે તેવી જૈવ વિવિધતા પણ તેમને કારણે છે.

પણ, આપણે તેમને ખતમ કરવા પર ઉતરી આવ્યા છીએ.
મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે.
ખેતીની શોધનો આશીર્વાદ અને શ્રાપ આપણને લઈ આવ્યા છે લુપ્ત પ્રાણીસંગ્રહાલયના દરવાજે : પૃથ્વીના ઇતિહાસના સામૂહિક નિકંદનોમાં નાશ પામેલા તમામ સજીવની યાદગીરી. 
જીવન વૃક્ષની તૂટેલી ડાળખીઓની પ્રતિમા અહીં છે.

પૃથ્વીના ઈતિહાસમાં પાંચ વાર ભયંકર ભૌગોલિક અને અવકાશીય ઘટનાઓએ જીવનના નિકંદનની સ્થિતિ ઊભી કરેલી.
છઠ્ઠી સ્થિતિ તે બધાથી જુદી છે.
કોસ્મોસની આ અગાઉની સિરીઝમાં લુપ્ત પ્રાણીસંગ્રહાલયના એક ઓરડાને આપણે નામ નહોતું આપ્યું. કારણકે તે વખતે 'આપણે કોઈ સામૂહિક નિકંદનની નજીક છીએ.' એવા તારણ બાબતે વૈજ્ઞાનિક સમુદાય સહમત નહોતો. તે સહમતિ સધાઈ ગઈ છે. પેલા ઓરડાને નામ મળ્યું છે -આપણું નામ.
ધ ઍન્થ્રોપોસીન.
ગ્રીક શબ્દો 'ઍન્થ્રોપો' એટલે 'માણસ' અને 'સીન' એટલે 'તાજેતરનું'.

આપણે ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણી જ પ્રજાતિના અમુક સમુદાયનું નિકંદન કાઢી નાખેલું -જેમાં આપણા પિતરાઈ નિઍન્ડરથીસ પણ સામેલ છે.
એવું તે શું છે આપણી પ્રજાતિમાં કે આપણે જ્યાં જઈએ, મૃત્યુ લઈ આવીએ છીએ?

થોડીક વાત ભવિષ્યની કરીએ.
અમુક દસકા જેટલા દૂરના ભવિષ્યમાં પ્રોજેક્ટ સ્ટારશૉટ હેઠળ 1000 સ્પેસ ક્રાફ્ટ પૃથ્વી પરથી ડિપાર્ટ થશે.

આપણે ઇતિહાસ નોંધવો શરૂ કર્યો ત્યારથી એન્ડિઝ પર્વતમાળાની પશ્ચિમે આવેલા અતકામા રણમાં વરસાદ પડ્યો નથી. તે સૂકું ભઠ્ઠ છે. તેથી, ત્યાંનું આકાશ એકદમ ચોખ્ખું છે.

પાણી છોડી જમીન પર પગ મૂકનાર પહેલા વહેલા  જીવની નોંધ રાખનાર કોઈ નહતું. પહેલા પક્ષીએ આકાશમાં ઉડાન લીધી ત્યારે રિપોર્ટ લખવાવાળુ કોઈ ન હતું. પણ, આ આપણે એક એવી છલાંગ લગાવવાના છીએ, જેની નોંધ શક્ય તમામ રીતે લેવાશે. આખી દુનિયા જોઈ રહી છે.
પ્રકાશથી ચાલનારા આંતર તારકીય જહાજો, જે આપણા સંવેદનોને ત્યાં પહોંચાડશે.

તેમના માળખાનું વજન માંડ એકાદ ગ્રામ છે અને તેમનું કદ વટાણાના દાણા કરતા મોટું નથી. છતાં, નાસાના વૉયેજરમાં હતા તેટલા સરંજામ, અરે, તેથી પણ વધારે સાધનસામગ્રીથી તે સજ્જ છે.
બહુ સ્તરિય લેઝર્સમાંથી પહેલા કિરણનો ધક્કો લાગતાં જ આ સ્પેસ ક્રાફ્ટ શૂન્યથી પ્રકાશની ઝડપના 20% જેટલી ગતિ ફક્ત મિનીટોમાં પકડી લેશે.
આ નેનો સ્પેસ ક્રાફ્ટમાં બીજા તારાઓની દુનિયાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી, ત્યાંની વૈજ્ઞાનિક વિગતો અને દ્રશ્યો પૃથ્વી પર પાછા મોકલવાની બધી જ સગવડ છે.

અવકાશ મોટાભાગે ખાલી છે. પણ તેમાં એવા સૂક્ષ્મ રજકણ છે, જે લગભગ પ્રકાશની ગતિએ જઈ રહેલા નેનો ક્રાફ્ટ સાથે અથડાય તો નેનો ક્રાફ્ટ ભાંગી પડે.
આપણે આટલા બધા સ્પેસ ક્રાફ્ટ સામટા મોકલવાનું એક કારણ તે પણ છે.
વૉયેજર-વન 61155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું છે. પૃથ્વી છોડ્યે તેને ૪૦ વર્ષ કરતાં વધુ સમય થયો. આમ તો તે ઝડપી છે, પણ પ્રકાશની ઝડપનો તો વીસમો ભાગ.

પ્રોક્સિમા સેન્ચ્યુરી ચાર પ્રકાશ વર્ષ દૂર છે. વન-વે યાત્રા કરતાં ૨૦ વર્ષ થાય. પ્રોક્સિમા સેન્ચ્યુરી ફરતે પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જે વસવાટને લાયક વિસ્તારમાં આવે છે અને જ્યાં જીવન હોવાની સંભાવના આપણને લાગે છે.

આપણા રોબોટિક જાસુસો આ દુનિયાઓની માહિતિ મોકલશે. તેમના સંદેશા પ્રકાશની ઝડપે રેડિયો તરંગો મારફતે આપણા સુધી આવશે. તેમને આપણા સુધી પહોંચતા ચાર વર્ષ લાગશે. 20 વર્ષ ત્યાં પહોંચવાના, ૪ વર્ષ પાછા આવવાના. ૨૪ વર્ષની રાઉન્ડ ટ્રીપ.

તમારામાંથી કેટલાક કુદરતના પુસ્તકમાં જોડાનારા નવા પાના ત્યારે વાંચશે, લખશે અને તે પછીના ભવિષ્યની માણસ જાતની યાત્રાઓની રૂપરેખા તૈયાર કરશે.
પૃથ્વી, મહાસાગર કે આકાશની સીમા લાઘીંને.

૩: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_29.html