1.3.21

૪.૪ (૧૬) વાવીલોવ

"સોવિયેત સંઘ સાથે કોઈપણ પ્રકારની દગાબાજી કર્યાનો હું ઈન્કાર કરું છું. મારો ગુનો, કદાચ, વૈજ્ઞાનિક મંતવ્ય ભેદ છે."

જડસુ આદર્શવાદીઓને કેમ તોડવા તે વાવીલોવના વિરોધીઓ જાણતા હતા. દિવસ-રાત, ૪૦૦ વખત તેની 'પુછતાછ' કરાઈ, કુલ ૧૭૦૦ કલાક. વાવીલોવ તૂટી ગયો ત્યાં સુધી. અટકાયતના એક વર્ષ પછી તેને ગોળી મારી દેવાની સજા થઈ. મૃત્યુ દંડ આપવાના સ્થળે તેને મહિનાઓ સુધી રાખવામાં આવ્યો.

અંધારું જ્યારે અત્યંત ઘેરું હતું ત્યારે વધું ઘેરું અંધારું ઉતરી આવ્યું.

હિટલરે સ્તાલિન સાથેની સંધી તોડી અને ભારે સંખ્યામાં જર્મન સૈનિકો અને ટેંકો રશિયાને જીતવા ઉતર્યા.

પણ, લેનિન ગાર્ડ (હાલનું સેન્ટ પિટ્સબર્ગ) પરનો હૂમલો અત્યંત ક્રુર હતો. 

તે આખી દુનિયાના જનીન વારસાને એકત્ર કરી સાચવી રાખનાર જગ્યા હતી. ખેતીની શરૂઆત થઈ, છેક તે સમયનાં બીજ.

સ્તાલિનને સમજાયું નહોતું, પણ હિટલરને સમજ હતી કે તે બેશકિમતી ખજાનો છે.

સાથીદારોને ખબર નહોતી કે વાવીલોવ જીવીત છે કે કેમ. તેમણે નક્કી કર્યું, "આ સંજોગોમાં વાવીલોવ જે કરતો, તે આપણે કરીશું."

જો શહેર પર જર્મનીનો ઘેરો લાંબો ચાલે તો રશિયનો ભૂખે મરવાના. તે મકાનમાં કેટલાક ટન બીજ હતાં, ખાદ્ય પદાર્થ. યુદ્ધનું ગાંડપણ શમે ત્યાં સુધી તે બીજને સાચવી રાખવાનું વાવીલોવના સાથીદારોએ આયોજન કર્યું.

ઈતિહાસમાં કોઈ વૈજ્ઞાનિક જૂથે આવી ક્રૂર કસોટીમાંથી પસાર થવાનું નથી થયું. માણસ ભાંગી પડે તે હદે સુધી તેઓ ધકેલાયા તેમ છતાં તેઓ ભાંગી પડ્યા નહીં.

૧૯૪૧ની ક્રિસમસના દિવસે જ તે શહેરમાં ચાર હજાર લોકો ભૂખમરાથી મૃત્યુ પામેલા. તે પછી પણ હજાર દિવસ સુધી લેનિન ગાર્ડ હિટલરના સૈન્યના ઘેરાવા હેઠળ રહ્યું. તાપમાન ઋણ ચાલીસ ડિગ્રી હતું અને શહેરનું સમગ્ર વ્યવસ્થા તંત્ર પડી ભાંગેલું. હિટલરને લાગતું હતું કે 'માત્ર થોડોક વધુ સમય અને તે શહેર ઘૂંટણીયા ટેકવી દેશે. કોઈ શહેર આવી દુઃખદ સ્થિતિમાં લાંબુ ટકી શકે નહીં.'

સ્તાલિનને હર્મિટેજ સંગ્રહાલયના કળા વારસાની ચિંતા હતી. પણ, હિટલર પૅરિસના લુવ્ર સંગ્રહાલયનો કબજો કરી ચૂક્યો હતો.

વાવીલોવનો ખજાનો સ્તાલિનની ચિંતાનો મુદ્દો જ નહોંતો. પણ, હિટલરને તેનું મૂલ્ય ખબર હતી.

હિટલરે એક ખાસ જાસૂસી જૂથને વાવીલોવનો ખજાનો શોધી, હસ્તગત કરવાનું કામ સોંપ્યું હતું, જેથી હિટલરના મહાત્વાકાંક્ષી થર્ડ રેઈચ માટે તેને ઉપયોગમાં લઈ શકાય.

શહેરના બોટોનિસ્ટને દિવસની બે બ્રેડના રાશન પર ટકવાનું હતું. અને છતાં તેમણે પોતાનું કામ ચાલુ રાખ્યું.

બીજી તરફ, વાવીલોવને બીજા સ્થળે ખસેડાયેલો. "ચોપ્પન વર્ષ થયાં મને, છોડ ઉછેરનો મને ઘણો ઘણો અનુભવ અને જ્ઞાન છે. તે હું દેશ સેવા માટે વાપરવા માગું છું. તમને હાથ જોડું છું, ભીખ માગું છું, મને જે કામ આવડે છે તે કરવા દો, ભલે નિમ્નતમ સ્તરે." વાવીલોવ કરગરતો રહ્યો પણ કોઈ જવાબ ના આવ્યો.

તેના દેશે તેને મારી નાખવાને બદલે વધારે ક્રૂર સજા કરવાનું નક્કી કરેલું- જે વ્યક્તિ દેશમાંથી ભૂખમરાને દૂર કરવા મથતો હતો તેને ધીમે ધીમે ભૂખથી મારવાનું.

લેનિન ગાર્ડમાં બીજા ૮,૦૦,૦૦૦ લોકો ભૂખથી મરણ પામેલા.

સપ્ટેમ્બર ૧૯૪૧થી જાન્યુઆરી ૧૯૪૪ સુધીના જર્મન ઘેરાવા વચ્ચે લેનિન ગાર્ડ ટકી રહેલું.

દિવસની બે બ્રેડ પણ મળવી બંધ થયે ખાસો સમય થયેલો અને વાવીલોવના બીજ ખજાનાના સંરક્ષકોએ ભૂખે મરીનેય તે સાચવવાનું ઠેરવેલું.

બૉટોનિસ્ટ ઍલેકઝાન્ડર સ્ત્ચૂકીન, સીંગ દાણાનો નિષ્ણાત.

લીલીયા રોડિના, ઓટ્સ નિષ્ણાત.

દિમિત્રી ઈવાનોવ, ચોખાનો નિષ્ણાત.

બૉટોનિસ્ટ ભૂખે મર્યા પણ તેમણે બીજ ખજાનાને હાથ લગાડ્યો નહીં.

અને પ્રોટિન લીસેન્કોનું શું થયું? તે પછી પણ બે દસકા સુધી તેણે સોવિયેત ખેતી અને જીવ વિજ્ઞાન પર પકડ જાળવી રાખી. છેવટે, રશિયાના સુખ્યાત એવા ત્રણ વૈજ્ઞાનિકોએ તેના સ્યુડો સાયન્સની જાહેરમાં ટીકા કરી.

અને વાવીલોવનો ભાઈ, સર્ગેઈ, ભૌતિક વિજ્ઞાની? સ્તાલિને તેને સોવિયેત ઍકેડેમી ઑફ સાયન્સીઝનો ચૅરમેન બનાવેલો.

સ્તાલીનના મૃત્યુ પછી સ્તાલિન અને લીસેન્કોની જોડીએ રશિયાને કરેલા નુકસાનની વાતો થવા લાગી અને ત્યારે નીકોલાઈ વાવીલોવ વિશે ફરી એકવાર જાહેરમાં ચર્ચા શરૂ થઈ.

તેણે સ્થાપેલ બીજ સંગ્રહાલયને તેનું નામ અપાયું, જે આજે પણ છે.

તેના જ કારણે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડી વૉલ્ટ પૃથ્વીની ટોપી જેવા ભાગમાં જમીનમાં ઊંડે સચવાયેલો છે. તેમાં પીસ્તાળીશ લાખ પ્રકારનાં બીજ સાચવવાની સગવડ છે.

તો...વાવીલોવના સાથીદારોએ તે બીજ સંગ્રહમાંથી એક દાણો પણ કેમ ન આરોગ્યો? બે વર્ષ સુધી રોજે રોજ ભૂખે મરતા દેશવાસીઓને તેમણે તેલીબિયાં, બટાકા અને બીજાં બીજ કેમ ના આપ્યાં?

તમે આજે જમ્યા?

જો 'હા' તો તમે કદાચ વાવીલોવના ખજાનાને સાચવતાં ખપી ગયેલા બૉટોનિસ્ટોએ સાચવેલા બીજનું જ કોઈ આનુવંશિક ફળ આરોગ્યું હશે.

કાશ, આપણું ભવિષ્ય તે લોકોને મન હતું તેટલું કિંમતી આપણા માટે  પણ હોત!

 

અંક ૧૫: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_21.html

No comments: