21.2.21

૪. ૩ (૧૫) : વાવીલોવ (૨૦૨૦)

 રશિયન શિયાળામાં તાજા લીલા વટાણા? સાચે જ?

"ઉઘાડા પગે રખડતા ટ્રોફીમ લીસેન્કો જો કહે તો સાચું હોય."

ના કોઈ વિશ્વ વિદ્યાલય કે પ્રયોગ શાળા, ના શતાવરી જેવા પ્રાચીન ખાદ્ય પદાર્થની શોધમાં વિદેશ યાત્રાઓ. ટ્રોફીમ સંશોધન કરતો રશિયન ખેતરોમાં, ખેડૂતની જેમ. અને તેના કારણે જાન્યુઆરીમાં રશિયનોને લીલા વટાણા મળવાના હતા.

એક તરફ જૉસેફ સ્તાલિન પોતાના રાજકીય વિરોધીઓની પદ્ધતિસર કતલ કરી રહેલો, બીજી તરફ તે રશિયન ખેતીને ભારે ફટકા મારી રહેલો, આધુનિક બનાવવા; જેનું પરિણામ ભયાવહ આવ્યું. વધારે સમૃદ્ધ ખેડૂતો કે જેઓ કુલાક નામે ઓળખાતા, સ્તાલિને તેમને એક વર્ગમાં ઢાળી દીધા. લગભગ પચાસથી સો લાખ લોકો ભૂખભરાનો ભોગ બન્યા.

ટ્રોફીમ લીસેન્કોએ તે દુઃખદ ઘટનાને એક તક બનાવી. વાવીલોવના જ્ઞાન અને પ્રસિદ્ધિ લીસેન્કોને અકળાવતાં અને કોઈ સાપની જેમ તે તાકી રહેલો. છેવટે, તેની ઈર્ષ્યાનું ઝેર સંહારનું કારણ બનવાનું હતું.

મધ્ય એશિયા પહોંચેલો વાવીલોવ ગાર્ડન ઑફ ઈડન શોધતો હતો, કારણકે પહેલાં વહેલાં સફરજન ત્યાં થયેલાં. દરેક બીજ જ્યાં પહેલાં વહેલાં પાંગર્યું તે સ્થળની શોધમાં વાવીલોવ આખી દુનિયામાં રખડતો હતો. દરેક બીજના નમૂના એકઠાં કરી તેમને સંભાળપૂર્વક સાચવી લેવા. વર્ષો પછી તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે રશિયા બદલાઈ ગયેલું. તે ભયંકર દુષ્કાળમાં સપડાયેલું હતું. ક્રાંતિ પ્રેરિત આશાવાદ હતાશા અને નિરાશામાં પલટાઈ ગયેલો.

ત્યારના લેનીનગાર્ડ શહેરમાં વાવીલોવે સ્થાપેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી પાસે જનીનીક માહિતીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો હતો. તેના સાથીદારો પ્રત્યેક બીજને તારવીને તેનું વર્ગીકરણ કરી રહેલા. પ્રત્યેક ભૂખ્યો રશિયન તેમની જવાબદારી હોય એવી ખંતથી તેઓ કામ કરી રહેલાં.

લીસેન્કો સ્તાલિન પાસે પહોંચ્યો. " કૉમેરેડ, દેશની સુરક્ષા બારામાં અગત્યની વાત મારે તમને કહેવી છે. વૈજ્ઞાનિકો જૂઠ ફેલાવી રહ્યા છે. ડાર્વિન, મૅન્ડેલ, વાવીલોવ, બધા. તેઓ કહે છે કે જિરાફની ડોક એટલા માટે લાંબી નથી કે તે ઊંચા વૃક્ષના પાંદડા ખાઈ શકે. તેમનું કહેવું છે કે કોઈ કાલ્પનિક, અદ્રશ્ય તત્ત્વ જેને તેમણે જનીન નામ આપ્યું છે, તેમાં તેવા જ અજાણ્યા કારણોથી એવા ફેરફાર આવે છે કે જે જિરાફને પોતાની ડોક લાંબી કરવા પ્રેરે છે."

"કાલ્પનિક બાબતોમાં હું માનતો નથી." સ્તાલિને કહ્યું.

"વાવીલોવ જ્યારે સુવેનિયર શોધવા દુનિયામાં ફરી રહેલો ત્યારે રશિયા માને જેની જરૂર છે તેવો રસ્તો શોધી કાઢ્યો છે. આકરા શિયાળામાં પાકે તેવાં ઘઉંની જાત.  પણ, તેને અમલમાં મૂકવા મને છૂટો હાથ મળવો જોઈએ, કોઈ જૂનવાણી જિનેટીક્સની દખલ વગર."

સ્તાલિન તેની વાતમાં કેમ આવી ગયો? કેમકે, તે તેવી વાત માની લેવાની ઉતાવળમાં હતો.

લીસેન્કો એક નકામી ઠેરવી દેવાયેલ- ૧૯મી સદીના નેચરાલીસ્ટ જીન-બાપ્ટિસ્ટ લેમાર્કની સંકલ્પના પર દાવ માંડીને બેઠેલો. તે માનતો કે સજીવે મેળવેલા લક્ષણો, જેમકે જિરાફની ડોક, તે પછીની પેઢીને વારસામાં મળે જ છે.

તે એ સમજવામાં થાપ ખાઈ ગયો કે કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને જરાક લાંબી થયેલી ડોકવાળા જિરાફની પેઢીના સાતત્યપૂર્ણ ઊંચા જન્મ દરને પરિણામે વર્તમાનના જિરાફને જે છે તેવી ડોક મળી છે.

જનીનોના આકસ્મિક સંકરણ કે ફેરબદલને કારણે જિરાફમાં લાંબી ડોકની સંભાવના ઊભી થઈ, જેણે તેવા જિરાફને જીવનદોડમાં સફળતા આપી; નહીં કે ડોક ખેંચવાની મનોશારીરિક કસરતોએ. આ બાબત ચાર્લ્સ ડાર્વિનની ક્રાંતિકારી કોઠાસૂઝ હતી. : કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ

લીસેન્કોએ સ્તાલિનના કાન ભર્યા કે ભૂખમરા મૂક્તિના સદી જૂના રશિયન ખ્વાબને તે સાચું પાડશે. તે વખતે વળી સ્તાલિનની પકડ તે કારણથી જ ઢીલી પડી રહેલી.

લીસેન્કો ઘઉંના બીજને ટાઢા હિમ પાણીમાં પલાળી રાખતો- વર્નલાઈઝેશન, એમ માનીને કે તે બીજમાંથી ઉગનારા છોડ બરફ સામે ઝીંક ઝીલી લેશે. તેણે એવો ખોટો દાવો પણ કર્યો - નવા છોડ રશિયન શિયાળા સામે ટકી જશે. તે માટે સંકરણની સમય ખાનારી માથાકૂટ જરૂરી નથી.

લીસેન્કોના તરંગ અને પ્રયોગ વચ્ચે એક જ અડચણ હતી- વાવીલોવ અને જિનેટીક્સ પ્રત્યેનો તેનો જડસુ લગાવ.

દુઃખદ વાત તો એ હતી કે જ્યારે લીસેન્કો સ્તાલિનને ઊઠાં ભણાવતો હતો ત્યારે વાવીલોવ અને તેના સાથીદારો ઊંચાઈ પર થનારા ઘઉંની પ્રજાતિનું સંકરણ કરી રહેલા, જેમનામાં રશિયન ખેત પેદાશ વધારવાની શક્યતા હતી.

વાવીલોવને એંધાણ વર્તાઈ ગયેલાં. સ્તાલિનના ગુસ્સાનો ભોગ બનનાર લાંબુ જીવતો નહીં. વાવીલોવે તેના સાથીદારોને કહ્યું, " ત્રણ દિવસ પહેલાં સિક્રેટ પોલીસ યેવગ્ને અને લીઓનીડ વિશે પુછતી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. લીસેન્કો બધા આરોપ આપણા માથે મારવા તૈયાર બેઠો છે. ગમે તે થાય, તમારું કામ ચાલુ રાખો અને તે બને એટલી ઝડપથી કરો. આપણે માઈકલ ફેરાડે જેવા મહેનતું અને બધા તારણોની બરાબર નોંધ રાખનારા બનવું પડશે. હું ગાયબ થઈ જાઉં તો બીજા કોઈકે મારી જગ્યાએ આવી જવાનું. એક જ બાબત મહત્વની છે- વિજ્ઞાન યોગ્ય રીતે ખપમાં લેવું. દુકાળ દૂર કરવાનો તે એક માત્ર રસ્તો છે. કૉમરેડ, તેઓ મારી, તમારી, બધાની ધરપકડ કરશે. માટે બને એટલી ત્વરાથી કામ કરીએ."

યુક્રેન પર સ્તાલિને લાદેલી સામૂહિક ખેતી માનવ ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે.

તે દુકાળ એટલો ભયંકર અને વ્યાપક હતો કે તેને વર્ષ કે જગ્યાના નામને બદલે ખાસ નામ મળ્યું - હોલોડોમોર, ભૂખમરાથી થયેલ સામૂહિક નિકંદન.

કૂલક ખેડૂતોને ખેતરોમાંથી તગેડી ફૅક્ટરીઓમાં કામે લગાડી દેવાનો સ્તાલિનનો ઉત્સાહ નરસંહારની રસમ બની ગયો.

વાવીલોવ અને તેનું જીનેટિક્સ આ બધાના વિરોધમાં હતું.

વૈશ્વિક વૈજ્ઞાનિક સંસ્થાનો વાવીલોવ અને તેના વિચારોના પ્રસંશકો હતા. સ્તાલિને વાવીલોવ માટે દેશ બહાર જવા પર પ્રતિબંધ કરે તો તેઓ આંતરરાષ્ટ્રીય જિનેટીક્સ કૉન્ગ્રેસ મોસ્કોમાં કરવા તૈયાર હતા. સ્તાલિન જાણતો હતો કે વાવીલોવથી છૂટકારો સરળ નથી.

તો, સૌ પહેલાં તેને બેઆબરૂ કરો. પછી તેની સાથે ચાહો તે કરો.

વા: પાલક અને વટાણાના પ્રોટીન પરથી તેમને જુદા પાડનાર તત્ત્વો આપણા બાયોકૅમિસ્ટ શોધી શક્યા નથી.

લી : તે તો કોઈ પણ વ્યક્તિ માત્ર ચાખીને જુદા પાડી આપે.

વા : કૉમરેડ, આપણે તેમને રાસાયણિક રીતે અલગ તારવી શક્યા નથી.

લી : પણ, જે વસ્તુ જીભ વડે પારખી શકાય તેને રાસાયણિક રીતે પારખવાની જરૂર જ શું છે?

લીસેન્કો અને તેના જેવા વિજ્ઞાનના વિરોધીઓ ભવિષ્ય માટે સોવિયેત ખેતી કાયદા નક્કી કરવામાં અગ્રેસર બન્યા.

લી : તો કોમરેડ, બર્ફીલા પાણીમાં પલાળી રાખેલા બીજ આપણા દેશના શિયાળા સામે ટકી જઈને અનાજના કોઠાર ભરી દેશે.

વા : ચકાસી જોયું ખરું? ક્યાં છે પ્રયોગના તારણો?

લી : કાં તો અમારા આયોજનમાં જોડાઓ કાં તો...

વા : વિજ્ઞાન વિષયક જૂઠાણું હું નહીં ચલાવી લઉં, ભલે ગમે તે થાય.

             ---

"કૉમરેડ વાવીલોવ, સોવિયેત સંઘ વિરુદ્ધ વિદેશી જાસૂસ હોવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે."


અંક ૧૪: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_14.html

16.2.21

દુકાન ૧

દુકાન ૧

માર્ચ ૨૦૧૫. હિમાચલના એક ગામડામાં હું અને ઈવા અટવાઈ પડ્યા’તા. ટ્રેકને રસ્તે મળેલ સ્થાનિકના ઘરે રાતવાસો કરવો પડ્યો’તો. ગામથી ત્રણેક કિમી દુર આવેલ બસ પોઈન્ટ પર બસની રાહ જોવાની હતી. બસનો સમય બપોરના અઢી વાગ્યાનો હતો અને અમે ત્યાં એક વાગે પહોંચી ગયા’તા.પૂરી ફૂરસદ હતી.

કોઈ પણ અંતરિયાળ ગામમાં હોય તેવું બસ-સ્ટેશન હતું.પ્રમાણમાં સાફ. દીવાલ ફરતે,અંદરની તરફ સિમેન્ટની બેઠક. પ્રમાણમાં પહોળી. અમે તેમાંથી ચારેક ફૂટ લંબાઈ રોકી હતી. રક્સેક, શુઝ,અને વર્તમાનપત્ર ઉપર ટોવેલ ઉપર પલોઠી જમાવી હું બેઠી’તી. ઈવા તો હમેશની જેમ આજુબાજુ ઉડાઉડ કરતી હતી.

આ સ્થળે ‘ગામ’ નહોતું. માત્ર કેટલીક દુકાનો અને બસ સ્ટેશન. ત્રણ રસ્તાના પાંખીયાઓએ આગળ વધીએ, ટેકરી ચઢીએ એટલે ગામ આવતા જાય. રસ્તા પરથી તો ખ્યાલ પણ ના આવે કે આ ટેકરી પર દસ-બાર પરિવારો વસી ગયા હશે,ખેતી કરતાં હશે,શાળા હશે. આવા જ એક ગામેથી આવીને અમે ત્રિભેટે આવેલા બસ સ્ટેન્ડમાં બેઠાં હતા. બસ સ્ટેન્ડથી દક્ષિણ તરફને રસ્તે જતાં, અમે રોકાયા તે ગામ આવતું અને તે રસ્તાનો નીચે જતો ફાંટો બંધ/ડેમની સાઈટ તરફ જતો.

આ ત્રિભેટ એટલે આસપાસના ગામનું બઝાર. કરીયાણાની દુકાનો એની શાખ પૂરતી હતી. એક-બે ચા-નાશ્તાની દુકાનો. કેમકે આગળ પ્રવાસીઓને યોગ્ય ટ્રેક હતો અને ટ્રેક પહેલાનું આ છેલ્લું બઝાર. જો કે, ટ્રેક માટેના સામાનની કોઈ દુકાન નહોતી. હા, સોફ્ટ ડ્રીન્કસ,વેફર્સના પડીકાં, બિસ્કીટ્સ,ચોકલેટ્સ વગેરે મળતાં હતાં. બસ, ત્રણ-ચાર કરીયાણા, નાસ્તાની દુકાનો અને એક દુકાન શાકભાજીની. પાસે જ, નીચેના ભાગે, બિયાસ પર બંધ બંધાઈ રહ્યો હતો. આસપાસના યુવાનો માટે રોજગારીની તક. સવારે જ ગામમાં બે-ત્રણ સ્થાનિકો જોડે તે વિશે વાત થઇ હતી.

બંધ માટે કામ કરતી કંપનીમાં ઊંચા હોદ્દા પર હોય તેવાં એક સાહેબની ગાડી આવી. ફોલ્ડીગ ખુરશી-ટેબલ પથરાયા અને સાહેબ અમારા તત્કાલીન થાનક-બસ સ્ટેશનની લગભગ સામે, રસ્તાની સામેની તરફ ગોઠવાયા. બસ સ્ટેન્ડના પગથીયા પાસે લોખંડના સળિયા અને બીજો સામાન પડેલો હતો. બે કામદાર આવીને સળિયા કાપવામાં-વાળવામાં લાગ્યા.

સામાન લઇ જતાં નાના વાહનો (છોટા હાથી ટાઈપ)ની પાંખી અવરજવર તો હતી જ. તેવામાં એક બસ આવી અને બસમાંથી વેલ ડ્રેસ્ડ સ્થાનિક ચહેરો ઉતર્યો. તે યુવક હતો આ જ વિસ્તારનો. તેનું પરિધાન નોંધપાત્ર રીતે સ્થાનિક નહોતું. એકદમ સાફ, ઇસ્ત્રીદાર અને અમદાવાદ કે દિલ્હીનો કર્મચારી પહેરે તેવી લાઈનીંગવાળું શર્ટ અને અનુરૂપ પેન્ટ. વાળ પણ આ ઢબછબને મેચ થાય તેવાં. નાક-નકશો અને બોલી સ્થાનિક.

બસમાંથી તે એક મોટા થેલા સાથે ઉતર્યો હતો. તે પછી તેણે એક ખુરસી ઉતારી અને એક બાય દોઢની કોઈક નાજુક ચીજ, જે કાગળમાં વીંટાળેલી,બાંધેલી હતી, કાળજીથી ઉતારી. બસ તો જતી રહી. ધૂળ બેસવાની રાહ જોયા વગર તે યુવાન પેલી નાજુક ચીજ લઇ અમારી તરફ-બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અમારો પથારો તો અંદરની તરફ હતો. યુવાને બસસ્ટેન્ડની ધાર પાસેની બેઠક પર પેલી નાજુક વસ્તુ ટેકવી. બીજે ધક્કે થેલો લઇ આવ્યો અને આગળના થાંભલા પાસે મુક્યો. દરમ્યાન સાહેબની ઠાઠભરી ખુરસી પાસે તેની લાકડાની ઊંચી ખુરશી સરસ કોન્ટ્રાસ્ટ ઉભો કરતી રહી.

આસપાસના લોકો અને અમારામાં પૂરતું કુતુહલ જન્મી ચૂક્યું હતું. યુવાન પેલી ખુરશી પણ લઇ આવ્યો અને બસ સ્ટેન્ડની અંદર તેને ગોઠવવા લાગ્યો. ગોઠવવું તો શું, ખુરસી માટે તે વધુ અનુકુળ જગ્યા નક્કી કરતો હતો. પગથીયા આગળ બેસી સળિયા કાપી રહેલ બે વ્યક્તિઓ જોડે તેની વાત શરુ થઇ. નામ-ઠામ ઈત્યાદી. ખુરશી ગોઠવાઈ ગઈ. હવે વારો પેલા પડીકામાં સંતાયેલી નાજુક ચીજનો આવ્યો. કાગળના આવરણ ઉતારાડાયા અને પ્રગટ્યો અરિસો ! ઓહ ! આ ભાઈ કેશકર્તનકાર છે! પછી તો થેલામાં સલુકાઈથી ગોઠવાયેલા પડીકાઓમાંથી ચીજો નીકળવા માડી. કાંસકાઓના રેપર તૂટ્યા. નવી નક્કોર સ્પ્રે બોટલ બહાર આવી જેનું પેકિંગ ખોલવામાં આવ્યું અને પાસેના ટેન્કરમાંથી તેમાં પાણી ભરી ટેસ્ટીંગ પણ કરી લેવામાં આવ્યું. ક્રીમની હોય તેવી કેટલીક ડાબલીઓ નીકળીને બસ સ્ટેન્ડની બેઠક પર સ્થાન પામી. કુત્રિમ મહેંક ઉમેરાતાં, હિમાલયના આ ટુકડાએ અચાનક ગણવેશ પહેર્યો હોય તેમ, વાતાવારણ ખુબ પરીચિત અને કુત્રિમ પણ રસપ્રદ બની ગયું.

કેશકર્તનકાર પાકકો વ્યવસાયિક છે તેમ તેના આવેશ કે આનંદ વિનાના ચહેરા પર છપાયેલું વંચાતું’તું. દુકાન ગોઠવવાના કામમાં, માત્ર ચપટી સામાન હોવા છતાં, તે ખુબ મશરૂફ જણાતો હતો. કોઈ પૂછે તો તે જવાબ આપતો,વાત કરતો,પોતાની ગોઠવણ પ્રવૃત્તિ ચાલુ રાખીને. એક ગ્રામીણ કારીગર એક-બે વાર આ રસ્તેથી આવ-જા કરી ગયો હતો.આખરે ત્રીજી વેળા તે કેશકર્તનકાર પાસે આવી જ ગયો અને વાળ કપાવવા બેઠો. તેનું કહેવું હતું : કિસીકો તો શુરુઆત કરાની થી તો હમસે સહી. તે પ્રથમ ગ્રાહકના ચહેરા પર પુણ્ય કર્યાનો ભાવ હતો. જો કે, કેશકર્તનકાર આ ભાવને ઝીલી શકવા જેટલો માયાળું માનવી ના લાગ્યો. પાતળી પણ તિક્ષ્ણ ધારવાળી કાતરોની કચકચથી વાતાવરણમા નવા સૂર ઉમેરાયા, જે હવે અહીં વેરાતા રહેવાના હતા.
પ્રથમ ગ્રાહકે રકમ ચૂકવી જેને કેશકર્તનકારે અદબથી સ્વીકારી. એની અદબમાં કૃતજ્ઞતા નહોતી. શક્ય છે, દુકાન જામવા-ના જામવા અંગેની શંકાઓ તળે એની કુમાશ દબાઈ ગઈ હોય. 

બીજો ગ્રાહક ઊભો જ હતો, જે દાઢી માટે બેઠો. તે બીજો ગ્રાહક અમારો પરીચિત યુવાન હતો. તેણે આજે સવારે જ ઇવાને કેટલાંક લીલા સફરજન આપ્યાં હતા. ઋતુ વિના લીલા સફરજન અંગે મેં તેને પૂછ્યું તો કહે : પિછલી મૌસમ કે હૈ. ક્યાં સાચવ્યા’તા?કેવી રીતે? કોલ્ડ સ્ટોરેજ બહેનજી! સ્ટોર કરનેકી જગા ચાહીએ બસ, કોલ્ડ તો યહાં હૈ હિ. આ યુવાન નવી હવાને અડી ચુકેલો. તેનામાં પહેલા ગ્રાહક જેવી કૂણી પુણ્યભાવના નહોતી. બસ,નવું અજમાવી જોવાની પેશનફેશન હતી.

બીજા ગ્રાહક સાથે લાગતું’તું કે આ દુકાન જામી જશે. આજે બસ સ્ટેશન પર. વર્ષે દહાડે લાકડાની કોઈ નાની ખોલીમાં અને જો આ વિસ્તારનો ‘વિકાસ’ વધ્યો તો તેને અનુરૂપ સલુન તરીકે. તેનાથી પ્રેરાઈ ‘કેવલ મહિલાઓ કે લીયે’ બ્યુટી પાર્લર ખુલશે.

આ વિસ્તારમાં આ કાર્ય આજ સુધી કદાચ વ્યવસાય નહોતું. કદાચ દરેક ગામમાં એક કર્તનકાર કુટુંબ હશે જે ગામના પુરુષોને રાજા રવિ વર્મા ટાઈપ હિંદુ દેવ જેવા ‘સાફ’ રાખતો હશે. મારા માતૃક ગામમાં એવી વ્યવસ્થા હતી. તે કુટુંબો ધાર્મિક-સામાજીક વિધિઓમાં પણ ચોક્કસ પ્રકારનાં કાર્ય કરવા નિયુક્ત થયેલાં રહેતાં. મારા ગામમા તો એ પરંપરાને લુણો લાગ્યે એટલો સમય થયો કે મારા કુટુંબના બાળકોને આવી કોઈ પરંપરા હોય તે પણ ખબર નથી. તેવો લુણો હિમાચલની એક ત્રિભેટે લાગવો શરુ થયાની હું સાક્ષી બની. અહીં લુણો શબ્દ એટલે વાપર્યો કે તે વિસ્તારમાં ‘મીઠાં’ માટે ‘લુણ’ (અને મહેમાન કે અતિથિ માટે ‘પરોણો’) શબ્દ ચલણમાં છે.

અમારી બસ આવી ગઈ.
#6@¥4
૮/૪/૧૬ 

14.2.21

૪. ૨ (૧૪) : વાવીલોવ (૨૦૨૦)

ડાર્વિને બધા જીવોના ઐક્યની સાબિતી આપી.

કોઈ ગૂઢ દૈવી આશિર્વાદથી જન્મેલી માણસ જાત બધા સજીવો કરતાં ઉચ્ચ છે એવા આડંબરમાં રાચનારા આપણે આખરે તો જાનવરો અને વનસ્પતિઓના સગાં છીએ. બીજા કોઈ પણ સંજીવ જેટલા પ્રાકૃતિક.

મૅંડેલેએ શોધ્યું કે જીવનના સંદેશ અને તે સંદેશને આગળ મોકલવા માટે ચોક્કસ નિયમો છે.

તે મદદનીશ શિક્ષકે વિજ્ઞાનની એક નવી જ શાખા શોધી કાઢેલી.

પણ, ૩૫ વર્ષ સુધી કોઈએ તેની નોંધ ના લીધી. આ દુનિયાના વિજ્ઞાનના ઈતિહાસમાં પોતે મહાન વ્યક્તિ તરીકે નોંધાવાનો છે તેમ જાણ્યા વગર તે મૃત્યુ પામ્યો. વીસમી સદીની શરૂઆતમાં મૅંડેલેનું કામ જાણીતું થયું. બ્રિટિશ ઝૂઓલૉજીસ્ટ વિલિયમ બૅટ્સન તેના પ્રખર પુરસ્કર્તા રહ્યા. મૅંડેલે સૂચવેલા કારકોના અભ્યાસ માટે બૅટ્સને નવી શાખા ઊભી કરી જેને તેમણે નામ આપ્યું જીનેટીક્સ- જનીન શાશ્ત્ર.

બૅટ્સન અને તેના સાથીદારોએ વનસ્પતિ અને પ્રાણીઓની નવી પ્રજાતિ સર્જવાની દિશામાં કામ કર્યું. બૅટ્સન માનતો કે વિજ્ઞાન અને સ્વાતંત્ર્ય એક સિક્કાની બે બાજુ છે અને તે પોતાની પ્રયોગશાળા એ રીતે જ ચલાવતો.

નીકોલાઈ ઇવાનોવિચ વાવીલોવ નામનો રશિયન બૉટનીસ્ટ, જે બૅટ્સનની પ્રયોગશાળામાં મુલાકાતી સાથીદાર હતો તેણે બૅટ્સનના ધ્યેય મંત્રને ગંભીરતાથી અપનાવી લીધો. વિજ્ઞાનની નવી શાખા જીનેટીક્સની મદદથી તે આખી દુનિયાને બે ટંકનું ભાણું પહોચાડવાનું શીખવા માંગતો હતો. ત્યારે તે હનીમૂન પર હતો પણ તેનો જીવ તો વિજ્ઞાનમાં રમમાણ હતો

બાળક તરીકેય વાવીલોવ ઉતાવળીયો હતો. "કેટલું બધું કરવા જેવું છે અને કેટલો ઓછો સમય છે!" -જીવનભર તેને તે અડચણ રહી.

ભવિષ્યમાં શું થશે તેની તો તેનેય ક્યાંથી ખબર હોય?

'આપણી આખી પૃથ્વી પોતે એક જૈવિક તંત્ર છે, એક જ વિશાળ વ્યવસ્થા.'- તે ધારણા કેટલાક લોકોને ભાવુકતાનો અતિરેક, પોકળતા લાગતી હતી. પણ, તે એક વૈજ્ઞાનિક તથ્ય છે.

૧૯ ફેબ્રુઆરી, ઈ.સ. ૧૬૦૦ના સાંજના પાંચ વાગ્યે દક્ષિણ પેરુના આંતરિયાળ વિસ્તારમાં એવું કાંઈક બન્યું જેના કારણે -

પીડાદાયી રીતે મોટી સંખ્યામાં નાશ પામેલા સજીવો અને ધરતીના ખજાનાને તે ઘટનાની અસર પૃથ્વીને કેવી રીતે ઘેરી વળી તે વાત ખબર પડવાની ન હતી. હોઈનાપુટીના (Hauynaputina) દક્ષિણ અમેરિકાનો સૌથી મોટા જવાળામુખી વિસ્ફોટ તરીકે ઈતિહાસમાં નોંધાયેલો છે.

સલ્ફ્યુરિક ઍસિડ અને જ્વાળામુખીની રાખના કાતિલ મિશ્રણે સૂર્ય કિરણોને પૃથ્વી સુધી પહોંચવા ના દીધા. 

શિયાળો.

જ્વાળામુખી જન્ય શિયાળો.

રશિયાના લોકો માટે તે છસો વર્ષનો સૌથી ભયંકર શિયાળો હતો. બે વર્ષ સુધી તો ઉનાળાની રાતોનું તાપમાન સબ ઝીરોની નીચે જતું. તેને કારણે પડેલા દુષ્કાળથી રશિયાની કુલ વસ્તીનો ત્રીજો ભાગ, વીસ લાખ લોકો મૃત્યુ પામ્યા. તેના કારણે ત્ઝાર બોરીસ ગોન્ડુનોવનું પતન થયું અને આ બધાનું મૂળ કારણ તો ૧૨૮૭૫ કિલોમીટર દૂર થયેલો જ્વાળામુખી વિસ્ફોટ હતો. 

રશિયાના ઈતિહાસનો તે છેલ્લો દુકાળ ન હતો. તે પછી સતત અનાવૃષ્ટિ અને દુષ્કાળ આવતા રહ્યા. પણ, ત્રણસો વર્ષ પછી, છેક ૧૮૯૧માં તેની ભયાવહ અસર વર્તાઈ. તે વર્ષે શિયાળો વહેલો આવ્યો અને પાક બળી ગયો. ત્ઝાર ઍલેકઝાન્ડર ત્રીજો પગલાં લેવામાં ઢીલો પડ્યો. દેશના લોકો ભૂખે મરતા હતા ત્યારે પણ ધનિક રશિયન વેપારીઓ અનાજની નિકાસ કરતા રહ્યા. ભૂખે ભરતી પ્રજાને આપવા ત્ઝાર પાસે હતી સૂકી બ્રેડ- લીલ, ઘાસ, ઝાડની છાલ અને બીજાં છોતરાંનું કંગાળ મિશ્રણ.

પાંચેક લાખ રશિયન મરણાસન્ન હતા ત્યારે અમીર ઉમરાવો ફ્રાન્સની તાજી સ્ટ્રોબેરી અને ઈન્ગ્લેન્ડની રબડીની મિજબાનીઓ કરતાં હતા.

રશિયન ક્રાંતિને હજી ૩૦ વર્ષની વાર હતી. પણ, ઘણા ઈતિહાસકાર તેનો તણખો આ દુષ્કાળમાં પેટાયાનું નોંધે છે.

આપણી વાર્તાના હીરો નીકોલાઈ વાવીલોવ પર તે ઘટનાની ઘણી ઊંડી અસર પડી. તેના મા-બાપનો જન્મ ગરીબ પરિવારમાં થયેલો પણ મહેનત કરીને તેઓ ઉચ્ચ મધ્યમ વર્ગ સુધી પહોંચી શકેલા. તેમનાં ચારેય સંતાન વૈજ્ઞાનિક બન્યાં. સર્ગેઈ ભૌતિક વિજ્ઞાની અને નિકોલાઈ બૉટનીસ્ટ બન્યો. બાળપણથી નીકોલાઈ હાર માનવા વાળો ન હતો.

૧૯૧૧માં રશિયા અનાજની નિકાસમાં દુનિયામાં પહેલા નંબરે હતું, તેની ખેતીની પદ્ધતિઓ જરીપુરાણી હોવા છતાં. જિનેટીક્સ દ્વારા ખેતીને આધુનિક બનાવવાના સંશોધન માટે રશિયાના વૈજ્ઞાનિકો પાસે  એકમાત્ર પૅટ્રોવ્સ્કી ઇન્સ્ટિટ્યૂટ હતું.

છોડ કે રોપાની પસંદગી કરવી તે વિજ્ઞાન છે કે નહીં? ના. ખેડૂતને વધારે ખબર છે. તે હજારો વર્ષોથી વધુને વધુ સારા બીજ ઉછેર્યો અને વધારે ચરબીવાળા પ્રાણીઓ પાળતો આવ્યો છે. તેવા ખેડૂતને વૈજ્ઞાનિક શું શીખવી શકે? સિવાય કે તેમને મૂંઝવી મારે તેવા ફૅન્સી સૂત્રો! ખેડૂત પાસે કોઠાસૂઝ છે જે આદરપાત્ર છે. પણ, તેની પાસે સંભાવનાઓ ધારવાની આવડત નથી, જે વિજ્ઞાન પાસે છે. ખેડૂત આગળથી કહીં ના શકે કે વનસ્પતિનું કયું લક્ષણ હાવી રહેશે અને કયું દબાતું, ઘસાતું જઈ ભૂંસાઈ જશે. ખેડૂત ખેતીમાં જુગાર રમતો આવ્યો હતો અને તે સરેરાશ જુગારી જેટલો જ સફળ હતો.

ગ્રેગર મૅંડેલેએ પહેલીવાર તેના માટે પત્તાં ખોલ્યાં હતાં. જે ઘડીએ મૅંડેલે પોતાના વિચારો ગાણિતીક સ્વરૂપમાં મૂક્યાં, તે ઘડીએ ખેતી વિજ્ઞાન અને માનવજાતને પુરતું ભોજન પુરું પાડવાની એકમાત્ર આશા બની.

૧૯૧૪, પ્રથમ વિશ્વયુદ્ધ વખતે વાવીલોવને વિચાર આવ્યો : ખેતી થાય તેવા બીજ- છોડ આવ્યા ક્યાંથી? તે બીજ- છોડના પૂર્વજ કોણ?

તેણે પ્રેમપત્રમાં લખેલું : મને વિજ્ઞાનમાં ઊંડો વિશ્વાસ છે. તે જ મારું જીવન અને જીવનનો હેતુ છે. વિજ્ઞાનના નાના કામ માટે હું જીવન ધરી દેતાં ખચકાઈશ નહીં.

પહેલા વિશ્વયુદ્ધને અંતે રશિયન સમાજની તિરાડો બહાર દેખાવા માંડી અને ક્રાંતિ તથા ગૃહ યુદ્ધના મંડાણ થયા.

જ્યાં ખેડૂતો, ખેત મજૂરોના બાળકો ભણીને વૈજ્ઞાનિક બની શકે તેવી, પોતાના જીવનકાળમાં સ્થાપેલી ૪૦૦ વિજ્ઞાન સંસ્થામાંની પહેલીની વાવીલોવે શરૂઆત કરી. પૃથ્વી પરથી દુષ્કાળ દૂર કરવાના વાવીલોવના સપનાને પુરું કરવા.

૧૯૨૦માં વાવીલોવે એક સાહસિક, નવા નિયમની દરખાસ્ત મૂકી : કૉમરેડ, વનસ્પતિની પ્રજાતિ જુદી જુદી હોય તો પણ ચોક્કસ જનીન ચોક્કસ ગુણધર્મ પ્રમાણે જ વર્તે છે. કારણકે, તેમનો પૂર્વજ એક છે. ઉત્ક્રાંતિ સમજવા અને ખેત પેદાશોના આપણા કામને વૈજ્ઞાનિક ઢબે  અનુસરવા આપણે જ્યાં ખેતીની શરૂઆત થઈ હોય તેવા દેશોની મુલાકાત લેવી જોઈએ. જેથી આજની ખેત પેદાશોના પૂર્વજોનો પત્તો લગાવી શકાય.

નીકોલાઈ વાવીલોવ જેવા માણસો હોય ત્યાં સુધી રશિયા ખવાઈ જવાનું નથી.

વાવીલોવ વિશ્વ વિખ્યાત બની ગયો. તે કહેતો : હું? ના. મારો ભાઈ સર્ગેઇ, ભૌતિક વિજ્ઞાની, તે વધારે હોશિયાર છે.

વાવીલોવને ખબર હતી કે દરેક બીજ તેની ખાસ પ્રજાતિનો વિશિષ્ટ સંદેશો પોતાનામાં જાળવે છે. તે સંદેશાની વિગતો જુદી હોઈ શકે, પણ તે બધા કોઈ ચોક્કસ રહસ્યમય ભાષામાં લખાયેલા છે. 

એવી ભાષા, જે કેટલાક દસકા સુધી ઉકેલી શકાઈ નહીં.

જીવનના પ્રાચીનતમ લખાણના શબ્દેશબ્દને વાવીલોવ સાચવી લેવા માંગતો હતો, જેથી તેને યોગ્ય દિશામાં આગળ વધારી શકાય. તે વખતે જૈવ વિવિધતાના મહત્વને સમજનારા ગણ્યા ગાંઠ્યા લોકોમાંનો તે એક હતો.

તેણે તદ્દન નવો જ વિભાવના રજૂ કરી : એક વૈશ્વિક બીજ બેંક - યુદ્ધો અને કુદરતી પ્રકોપોથી સુરક્ષિત.

આ માનવતાવાદી ઉદ્દેશ પાછળ વૈજ્ઞાનિક સમજ પણ હતી : જો આપણે આરોગેલા પહેલાં દાણાનો નમૂનો મેળવી શકીએ તો તે દાણો કે છોડ સમય સાથે કેટલો બદલાયો તે જાણી શકીએ, તેના પરથી વાક્ય ગોઠવી શકાય અને જીવનના સંદેશાની ભાષા ઉકેલી શકાય. અને ભાષા ઉકેલતાં આવડે તો નવા સંદેશા પણ લખી શકાય- રોગ, ફૂગ, જીવાત અને દુકાળને પહોંચી વળે તેવા બીજા -છોડ ઉછેરી શકાય.

આવી શોધ માટે વાવીલોવ પાંચેય ખંડમાં ફરી વળ્યો, એવી એવી જગ્યાએ જ્યાં તેની અગાઉ કોઈ વૈજ્ઞાનિક ગયો ન હતો. નકશા કે પાકા રસ્તા વગર અફઘાનિસ્તનના પર્વતીય વિસ્તાર ખૂંદનાર વાવીલોવ પહેલો યુરોપીયન (એશીયન) હતો. માણસ જાતે ખેતીની શરૂઆત નદીના મુખ ત્રિકોણમાં કરી હશે તેવી પ્રચલિત ધારણા વાવીલોવને ગળે નહોતી ઉતરતી, કબીલાઈ લડાઈઓ અને બીજા જોખમોને ધ્યાનમાં લેતાં. તેનું માનવું હતું કે પહાડીઓના અંતરિયાળ વિસ્તાર ખેતી માટે વધુ સલામત સ્થળ હતા, અવરજવર કરનારાઓની કનડગતથી દૂર.

જીવના જોખમે બીજ શોધવા નીકળેલા વાવીલોવની સાહસકથાઓ તેની વૈજ્ઞાનિક પ્રતિભાની બરોબરી કરે તેવી છે.

હાલના ઈથિયોપીયા, ત્યારના ઍબેસેનિયામાં, ૧૯૨૭માં વાવીલોવે કૉફીનું માતૃબીજ શોધી કાઢ્યું.

વાવીલોવ અંતરિયાળ જગ્યાએ જવાની મંજૂરીની રાહ જોતો હતો ત્યારે તેને ઈથિયોપીયાના થનારા રાજા- રાસ્ટફરી, જેને દુનિયા હાઈલી સલાસી( ત્રિદેવની સત્તા) તરીકે ઓળખવાની હતી- તરફથી આમંત્રણ મળ્યું. તેણે રશિયા અને રશિયન ક્રાંતિ વિશે વાવીલોવને પુછ્યું. વાવીલોવે કહ્યું કે ક્રાંતિના નેતા લેનીન હવે નથી રહ્યા અને હાલ સ્ટાલિનની સત્તા છે. કે કેવી રીતે સ્તાલિનના બંદૂકધારીઓએ વીસ વર્ષ પહેલાં બેંક લૂંટીને ક્રાંતિ માટે ૩૦ લાખ ડૉલર મેળવેલા આને તેને કારણે સ્તાલિન લોકકથાઓમાં નાયક બની ગયેલો.

એક તરફ વાવીલોવ બીજ અને જ્ઞાનની શોધમાં દુનિયા ખૂંદતો હતો તો બીજી તરફ તેના પ્રતિભાવાન શિષ્યોમાંનો એક આગવું કાઠું કાઢી રહેલો.

અંક ૧૩: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post.html

8.2.21

૪. ૧ (૧૩) : વાવીલોવ (૨૦૨૦)

માણસ હોવું એટલે ભૂખની પીડા જાણવી.

એક વખતે એક માણસ હતો જેણે કલ્પના કરેલી કે વિજ્ઞાન થકી એવી દુનિયા શક્ય બનશે જ્યાં કોઈએ ભૂખનું દુઃખ વેઠવું નહીં પડે.
દુષ્કાળ તો આવશે જ નહીં.
પોતાનું કૉલ નિભાવવા તેણે આપણને ખજાનો ભેંટ કર્યો. પણ, અણીના સમયે તેણે વિકલ્પ પસંદ કરવાનો થયો : વિજ્ઞાન વિશે ખોટું બોલવું અને જીવ બચાવવો અથવા સાચું બોલીને મોત ઓઢવું.


માણસ બન્યાના શરૂઆતના કેટલાક સો હજાર વર્ષ સુધી આપણે તારા મઢ્યા આકાશ નીચે રખડનારા હતા.
આપણે વનસ્પતિના ભાગ વીણતાં, પશુઓનો શિકાર કરતા.
છેક દસથી બાર હજાર વર્ષ પહેલાં સુધી, જ્યારે આપણા વડવાઓએ જીવવાની નવી રીત ઘડી કાઢી.

તે બુદ્ધિશાળીઓ વિશે વિચારી જુઓ, જેમને પહેલી વહેલી વખત ભાન થયું કે જે દાણાં તેઓ ભારે મહેનતથી વીણીને ભેગાં કરે છે, તેમાં જ છોડ ઉગાડવાની ક્ષમતા રહેલી છે.

બીજ.

આ શોધને કારણે આપણી પ્રજાતિએ નસીબના સૌથી મહત્વના ખેલમાં ચાલ પસંદ કરવાનું થયું : નાની ટોળકીમાં શિકારી-વીણનારાનું જીવન ચાલું રાખવું કે ક્યાંક સ્થાયી થઈ પોતાનું અનાજ ઉગાડવું. 

તે માટે જે બલિદાન આપવાનું હતું તેનું ફળ ઘણું મોડું મળવાનું હતું.
પહેલીવાર આપણે ભવિષ્ય વિશે વિચારવું પડેલું.
તે નિર્ણય કાંઈ ઘડીભરમાં નહોતાં લેવાયા.
તે તો એક પછી એક પેઢીઓ સમક્ષ ખુલતા ગયા.

માણસ માટે તે એક ખૂબ ખૂબ લાબો સમય લાગે. જો કે, બ્રહ્માંડીય કૅલેન્ડરના સંદર્ભમાં તો તે ફક્ત અડધી મિનિટ પહેલાંની વાત છે. બ્રહ્માંડિય કૅલેન્ડર એટલે ૧૩૮૦૦ કરોડ વર્ષ પહેલાં બીગ બેંગથી માંડીને અત્યાર લગીના સમયને એક વર્ષના સંદર્ભમાં ગોઠવેલું તારીખીયું. તેમાં ૩૧ ડિસેમ્બરની મધરાત એટલે આ ક્ષણ. મહિનો એટલે ૧૦૦ કરોડ વર્ષ કરતાં થોડો વધારે સમય.‌ દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ. 

અને માણસજાતના તમામ ગૌરવવંતા ઉપક્રમો તે કૅલેન્ડરની છેલ્લી કેટલીક મિનિટોમાં આવી જાય. બ્રહ્માંડ માટે આપણે એટલા નવા છીએ.

બ્રહ્માંડિય કૅલેન્ડરની છેલ્લી ૩૦ સૅકન્ડ દરમ્યાન આપણા પૂર્વજોએ પ્રાણી અને વનસ્પતિ પાળવા શરૂ કર્યું. પહેલીવાર, આપણે ભટકતા લોકો સ્થિર થયા અને એક ઋતુ કરતાં લાંબું ચાલે તેવી વસ્તુઓ બનાવવા લાગ્યા.

તેમણે ભવિષ્યને અડવાની હિંમત કરી.
તેમણે બનાવેલા જેરિકોના ટાવર* હજી ઊભાં છે. તે શું આક્રમણખોરો પર નજર રાખવા માટે હતા કે પછી તારાઓની વધુ નજીક જવા માટે?
તેમને બનાવતાં ૧૧,૦૦૦ દિવસ લાગે. આવું કામ ત્યારે જ શક્ય બને જ્યારે તે કામ કરનારાઓ માટે પૂરતો અન્ન જથ્થો હોય; જે વળી ખેતી વગર શક્ય નથી.

જેરિકોના ટાવરમાં વિશ્વનો સૌથી જૂનો દાદર છે. ઈજિપ્તના પિરામિડ બન્યાનાય પાંચ હજાર વર્ષ પહેલાંનો, ત્રણસો પેઢી જૂનો.

જે લોકો હજી હમણાં ભટકતું જીવન છોડી સ્થિર થયેલા, તે લોકો આટલું ટકાઉ બાંધકામ બનાવે તે બાબત જબરજસ્ત નથી!
શિકારી-ભટકતું જીવવાવાળાઓનો, વનસ્પતિ, પ્રાણી, પક્ષી, જીવજંતુઓની વિવિધતા વાળો સમૃદ્ધ ખોરાક હવે બદલાઈ ગયેલો. 

શહેરી લોકો તો હવે મોટાભાગે થોડાક કાર્બોહાઈડ્રેટ પાક પર નભે છે. અને જ્યારે જોઈતો વરસાદ ના થાય કે અનાજને ફૂગ લાગી જાય ત્યારે મોટા પ્રમાણમાં ભૂખમરો ફેલાય છે.
દૂષ્કાળ.

બ્રિટિશ શાસન દરમ્યાન ભારતમાં આવેલો દુકાળ સો લાખ માણસો ભરખી ગયેલો, છેક ૧૯મી સદીમાં. ચીનમાં આવેલો દૂકાળ એક હજાર લાખ માણસો ખાઈ ગયેલો. બ્રિટિશ સામ્રાજ્યના જ નિયમોને કારણે આયર્લેન્ડમાં દસ લાખ લોકો ભૂખથી મરેલા અને વીસ લાખ જેટલા લોકો ખોરાકની શોધમાં દેશ છોડવા મજબૂર થયેલા.
૧૮૭૭માં બ્રાઝિલમાં દુકાળ અને રોગચાળો ફાટી નીકળેલા. ફક્ત એક વિસ્તારના અડધા લોકોનો સફાયો થઈ ગયેલો. આફ્રિકાના ઈથીયોપીયા, રવાન્ડા અને સેહલમાં દૂકાળથી મરેલાઓની ગણતરી નથી કરી શકાઈ.
પૃથ્વીના એક યા બીજા ભાગે મોટી સંખ્યામાં લોકો ભૂખથી મરતા રહ્યા છે, કેટલાક હજાર વર્ષ પહેલાંના જે દિવસથી પૃથ્વી પર નોંધ રાખવાની શરૂઆત થઈ તે દિવસથી માંડીને.

શું ગુરુત્વાકર્ષણની જેમ ખેતી એક વિજ્ઞાન અને અનુમાન લગાવી શકાય તેવો સિદ્ધાંત બની શકે?દુકાળ અને રોગચાળા સામે સતત ટકી શકે તેવું કશું શું નીપજાવી શકાય?

ખેડૂત અને ગોવાળો પારખી જાણતા હતા- મજબૂત નમૂનાઓ તારવી, પસંદ કરી, તેમનું સંકરણ કરાવી નવા પ્રકારના, સંકર નમૂના બનાવવાના ફાયદા.
આ બાબત કૃત્રિમ પસંદગી તરીકે ઓળખાય છે.
પણ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મો કઈ રીતે જાય છે તેની યાંત્રિકી એક રહસ્ય હતું.

આવો, ડાઉન હાઉસમાં, ચાર્લ્સ ડાર્વિનનું ઘર, જ્યાં તે પત્ની ઍમા અને દસ બાળકો સાથે રહેતો હતો. ત્યાં તેણે એક બગીચો પણ બનાવેલો. માણસજાતના વૈચારિક ઈતિહાસમાં આ જગ્યાનું અનોખું સ્થાન છે. આજેય એવા માણસો છે, જેઓ ડાર્વિનના વિચારથી ડરે છે.

ચાર્લ્સ ડાર્વિને શોધેલું કે પ્રજાતિઓ, માણસ સહિત, કુદરતી પસંદગીની પ્રક્રિયા દ્વારા સમય સાથે ઉત્ક્રાંત થાય છે. વાતાવરણના ફેરફારો સાથે જે સૌથી સારું અનુકુલન સાધે છે, તે ટકી જાય છે અને તેની જ પેઢી આગળ જાય છે.

જીવનના રહસ્યનું બહારનું આવરણ ડાર્વિને હટાવ્યું. પણ, હજી ઉત્ક્રાંતિનું આંતરિક કારણ સમજી શકાયું નહોતું.

બરાબર તે વખતે, આજના ચૅક રિપબ્લિકની એક મૉનેસ્ટ્રીમાં એક યુવાન પાદરી વિજ્ઞાનનો પ્રૉફેસર બનવા મથી રહેલો. જ્યૉર્જ મૅન્ડેલે પ્રવેશ પરીક્ષામાં બે વખત નિષ્ફળ ગયો. છેવટે તેણે મદદનીશ શિક્ષક બનવું સ્વીકાર્યું. તેથી મળતા સમયમાં તેણે વટાણાના છોડનો અભ્યાસ શરૂ કર્યો.
તેણે વટાણાના હજારો છોડ ઉછેર્યા, પાંદડા, બીજ અને ફૂલના રંગ, કદ અને આકારનું ઝીણવટભર્યું અવલોકન નોંધતાં રહીને. 

મૅન્ડેલ નિશ્ચિત ધારણા કરી શકાય તેવો પ્રજનનનો સિદ્ધાંત શોધતો હતો. જેથી, આપણે અગાઉથી ખબર રહે કે જ્યારે કોઈ લાંબા છોડ સાથે ટૂંકાનું, લીલા વટાણા સાથે પીળા વટાણાના છોડનું સંકરણ કરો ત્યારે શું પરિણામ મળે.
મૅન્ડેલે શોધ્યું કે આપણને દર વખતે પીળો વટાણો જ મળશે.
લીલા પર પીળાની આ આણ માટે આપણી પાસે કોઈ શબ્દ નહોતો, મૅન્ડેલે નવો શબ્દ રચ્યો - ચઢીયાતો/ dominant.
અને પોતાના આનંદ વચ્ચે તે નિશ્ચિત ધારણા કરી શક્યો કે નવી પેઢીના વટાણા કેવા હશે.
નવી પેઢીના છોડમાં અપ્રકટ રહેલા ગુણને મંડેલે નામ આપ્યું- સુષુપ્ત/ recessive.
તેણે એક એવી બાબત ચિંધી જેને તે કારક/ factor નામ આપ્યું- છોડમાં રહેલી એવી આંતરિક બાબત છે તેને ચોક્કસ ગુણધર્મ આપતી હતી. અને તે કોઈ સૂત્રમાં ઢાળી શકાય તેવો ચોક્કસ નિયમ અનુસરતી હતી.

ચાર્લ્સ ડાર્વિન અને મૅન્ડેલ એકબીજાથી અજાણ હતા. તે બંને વૈજ્ઞાનિક, સમયના એક ગાળામાં, પોતપોતાની રીતે જીવન રચનારા રહસ્યો ઉકેલવામાં લાગેલા હતા.


* https://en.m.wikipedia.org/wiki/Tower_of_Jericho


અંક ૧૩ : https://interact-6aya.blogspot.com/2021/01/blog-post_31.html