27.12.20

(લેખાંક ૭) ર.૩ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

મને એ સમજાતું નથી કે આપણે કૉસ્મિક ટૅલિસ્કોપ બનાવ્યું કેમ નથી!

તે કેમ બનાવવું તે આપણને ખબર છે.
તે બનાવવાની તકનીક પણ હવે છે આપણી પાસે.
ભવિષ્ય શરૂ કરવામાં આપણે શાની રાહ જોતા બેઠા છીએ?

વારું.

આપણું સૌથી મોટું અરમાન છે બીજી દુનિયાઓ સુધી પહોંચવાનું, ત્યાં ઘર વસાવવાનું.
પણ, ત્યાં જવું કઈ રીતે?
તારાઓ એકબીજાથી કે.ટ.લા. દૂર છે!
આપણે એવા વાહનો જોઈશે જે માણસજાતને લાંબામાં લાંબા ગાળા સુધી જાળવી રાખે.
સૌથી નજીકનો તારો ચાર પ્રકાશવર્ષ આઘે છે. પ્રોક્સિમા સૅન્ચ્યુરીમાં, 3862425.6 કરોડ કિલોમીટર દૂર.
આ તો તમને અંદાજ આવે કે એ લબકઝબક કરતું પ્રકાશનું ટપકું કેટલું નજીક છે.

જો નાસાનું વૉયેજર વન, કે જે 61155.072 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે યાત્રા કરી રહ્યું છે, તે પ્રોક્સિમા સૅન્ચ્યુરી તરફ જાય તો ત્યાં પહોંચવામાં તેને...

૭૦,૦૦૦ વર્ષ લાગે.
અને આ તો ખાલી આપણી આકાશગંગાના કરોડો તારાઓમાંના એકની વાત છે.

તો, માણસે પૃથ્વીની શૅલ્ફ લાઈફથી વધુ લાંબુ ટકવું હોય તો આપણે પોલીનેશિયન્સ જેવું કરવું રહ્યું.
કુદરત વિશે આપણને જે કાંઈ ખબર છે, તેટલા જ્ઞાનનો ઉપયોગ કરી પ્રકાશ પર સવાર થવું રહ્યું, જેમ પોલીનેશિયન્સ પવન પર સવાર થયા હતા. 

તે સઢ જબરજસ્ત હોવાનો, ઘણો ઘણો ઊંચો પણ ઘણો ઘણો પાતળો. કચરા માટેની પ્લાસ્ટિકની કોથળી કરતાં ૧૦૦૦ ઘણો પાતળો.
જ્યારે એક પ્રકાશકણનો ધક્કો તેને લાગશે ત્યારે... શૂન્યાવકાશમાં પ્રકાશકણનો નાનકડો ધક્કોય તેની ઝડપ અનેકગણી વધારી નાખે, છેક પ્રકાશની ગતિની નજીક.
જ્યારે તમે તમારા તારાથી ઘણે દૂર હો અને પ્રકાશ સાવ ઓછો થઈ ગયો હોય ત્યારે લેસરથી કામ ચલાવી શકાય.
પ્રોક્સિમા સેન્ચ્યુરી સુધી પહોંચવામાં ૭૦,૦૦૦ નહીં, ર૦ વર્ષ થાય.

પ્રોક્સિમા બી તેના તારાના જીવનક્ષમ પટ્ટામાં છે.
જો કે, આપણને હજી ખબર નથી કે તે જીવન ટકાવવા સક્ષમ છે કે નહીં.
પૃથ્વી પર જીવન ઉત્ક્રાંતિનું કવચ એવું ચુંબકીય ક્ષેત્ર પ્રોક્સિમા બી પાસે છે?
બીજી એક શક્યતા તેના બંધિયાર હોવાની છે- તેની એક બાજુ સતત તારા તરફ અને બીજી અંધારી.

(લાનીઆકીઆ તારાઓ હૂંફાળા હોઈ શકે છે, પણ હજુ તેમનું ભાવિ દૂર છે. કરોડો અબજો વર્ષ. એક સંસ્કૃતિ વિકસવા જરૂરી સાતત્ય અને કરોડો અબજો વર્ષ- બાજુ બાજુમાં મૂકી જૂઓ.)

દિવસ રાત જોડતો સંધિકાળ એક જાદુઈ સમયગાળો છે. જો પ્રોક્સિમા બી જીવનક્ષમ છે તો ત્યાંનું જીવન પેલા સંધિ પટ્ટામાં હોવું જોઈએ. તે પાંગરતા જીવનનું ઘર હોઈ શકે અથવા આપણા સંતાનોની કૅમ્પ સાઈટ.

પ્રોક્સિમા બી પર ગૃરુત્વાકર્ષણ પૃથ્વી કરતાં દસ ટકા વધારે છે. આપણા માટે તે મોટો પ્રશ્ન નથી. વજનીયાં ઊંચકી કસરત કરતા હોઈએ તેટલો ફેર પડે.

પ્રોક્સિમા બીની ભ્રમણ કક્ષાએથી કરાયેલા રિમોટ સૅન્સીંગ મુજબ ત્યાં જીવન નથી. તેથી વધારે લાંબી યાત્રાએ નીકળેલા ધરતીસુત માટે તે એક ઢાબું બની શકે.

એ લાંબી યાત્રાઓ માટે આપણે અત્યંત વેગવાન જહાજ જોઈશે.

ધારોકે, પૃથ્વીથી ૧૦૦ પ્રકાશવર્ષ આઘે આપણને કોઈ જીવનક્ષમ વ્યવસ્થા જડી છે, જ્યાં કેટલીક જીવનક્ષમ જગ્યાઓ છે. પ્રકાશની ઝડપે જતાં ત્યાં પહોંચવામાં ૫૦૦ વર્ષ લાગે. બ્રહ્માંડીય ગતિ મર્યાદાને અતિક્રમી જાય તેવું જહાજ બનાવવું શક્ય છે?

મૅક્સિકોના મિગેલ અલક્યુબાઈરા (Miguel Alcubierre), એક ગણિત ભૌતિક શાસ્ત્રી છે. સ્ટાર ટ્રેક સિરીઝ પરથી પ્રેરણા લઈને તેમણે એવા જહાજની ગણતરી માંડી બતાવી છે જે પ્રકાશની ઝડપ વટાવી જાય. જો તે સાચી પડે તો આપણા સૂર્ય અને પેલી દૂરની જીવનક્ષમ વ્યવસ્થા વચ્ચેનું અંતર એક વર્ષ અથવા તેથી પણ ઓછું થઈ જાય.

એક મિનિટ, એક મિનિટ. વિજ્ઞાનનો , બંધારણીય નિયમ તો છે કે, "પ્રકાશની ઝડપને તું ઓળંગશે નહીં." ખરું કે નહીં?

પણ, અલક્યુબાઈરા ડ્રાઈવ નામની એક ચીજ પણ છે. તે પોતે ખસતી નથી, બ્રહ્માંડ ખસે છે.
જહાજ તો પોતાના સ્થળકાળ પરપોટામાં બંધ હશે, જ્યાં તે ભૌતિક શાસ્ત્રના એક પણ નિયમનું ઉલ્લંઘન નહીં કરે.

અમેરિકાના હૅરોલ્ડ વ્હાઈટે અલક્યુબાઈરા ડ્રાઈવના કેટલાક વળ ઝાટકીને સરખા કર્યા છે. જેવાંકે, પેલા જહાજના ઉડાન માટે જરૂરી આત્યંતિક શક્તિની અડચણ. (એટલી શક્તિ મેળવવી કઈ રીતે તેનો ઉકેલ)

પણ, હજી તે આપણી પહોંચની પાર છે.

અલક્યુબાઈરા ડ્રાઈવ શીપ એક ગુરુત્વાકર્ષીય તરંગો જન્માવતું જહાજ છે. તે પોતાની સમક્ષના સ્થળકાળના સમંદરને સંકોચે છે અને પછી તેને એક મોજું બનાવી વહેતો કરે છે.
આકાશગંગા અને તેની પારના અવકાશમાં સફર માટેની લસરપટ્ટી.
કોને ખબર? લાનીઆકીઆ સુપર ક્લસ્ટર આખેઆખું આપણું તળાવ બને એક 'દિ.

ત્યાં છે ૧,૦૦,૦૦૦ આકાશગંગાઓ.
'લાનીઆકીઆ' એક હવાઈયન શબ્દજૂથ છે, જેનો અર્થ થાય 'અમાપ સ્વર્ગ'.

અલક્યુબાઈરા ડ્રાઈવનું આધુનિક સ્વરૂપ 96560640 કરોડ કિલોમીટરનું અંતર પલકવારમાં કાપી શકશે. તમે હજી બેઠકમાં ગોઠવાઓ એટલામાં તો તમે ખૂબ દૂરની આકાશગંગાના ગ્રહમંડળ પર હશો.

તેને 'હોકુ' સિસ્ટમ કહીએ, હાલ પુરતી.

લેખાંક ૬: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_20.html

20.12.20

(લેખાંક ૬) ૨.૨: જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

તમે વિચારતા હશો, 'આપણે દૂરના તારાઓ સુધી જવાની વાત કરીએ છીએ કે શું?'
કેટલાક સમય પહેલાં આપણે ચંદ્ર પર પા પા પગલી કરી આવેલા અને પછી પારોઠા ભણી આપણી ધરતીમાની ગોદમાં બેસી પડ્યા. આંતરતારકીય યાત્રાઓ દરમ્યાન આપણે ટકી જઈશું તેની ખાતરી શું? આપણો સૌથી નજીકનો તારો તો ચંદ્ર કરતા ૧૦૦૦૦ કરોડ ગણે દૂર છે. આપણા નાનકડા જહાજોને અસીમ, અજાણ્યા, અંધારા ગળી નહીં જાય?
મને લાગે છે આપણે પહોંચી વળીશું.
કેમ?
કેમકે, આપણે અગાઉ આ કામ કરી ચૂક્યા છીએ.
આપણે સપનું જોઈએ છીએ આપણી દૂધ ગંગાના સૂદૂર ટાપુઓ સુધી પહોંચવાનું, યાત્રા દરમ્યાન પ્રકાશકણ પકડતાં જઈને, પાછા વળવાની શક્યતા પર ચોકડી મૂકી, બે-લગામ.
એ રસ્તે આપણે એકવાર અગાઉ પણ ચાલી ચૂક્યા છીએ.
એકવાર, કેટલાક લોકોએ અજાણ્યો રસ્તો માપેલો, કાપેલો. અજાણ્યા દરીયાઓ તરવા તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવેલું, અને તેમનું સાહસ સ-ફળ રહ્યું. 
તેમને જડ્યું સ્વર્ગ.

બેસો, તેમની વાર્તા કહું છું.
આપણે તે લોકોને 'લાપિતા' નામે ઓળખીએ છીએ. જોકે, તે તેમનું નામ ક્યારેય નહોતું.  અમુક દશક અગાઉ, આપણને જ્યારે તેમના માટીના વાસણોના ટુકડા મળ્યા ત્યારે આપણે ભૂલભૂલમાં તેમને તે નામ આપી દીધું.
મને તો તેમને 'યાત્રાળુ' કહેવું ગમે છે. 
દસ હજાર વર્ષ પહેલાં જ્યારે દક્ષિણ ચીનમાં વસાહતો વધવા માંડી ત્યારે ત્યાંથી કેટલાક અગ્રજોએ સીમા લાંગવાનું વિચાર્યું, આજે જ્યાં તાઈવાન છે તે તરફ, વધુ દક્ષિણે જવાનું. તેઓ ત્યાં પહોંચ્યા, ઠરીઠામ થયા, હજારો વર્ષ ટક્યા, પછી ત્યાં પણ વસ્તી વધી. જેમ, આપણે આ ગ્રહ પર એક પ્રકારના બ્રહ્માંડીય ક્વૉરેન્ટાઈન કાળમાં છીએ; બીજી દુનિયાની વાતોથી અજાણ, તેમના સુધી પહોંચવાથી દૂર, તેમ આપણા પૂર્વજો જમીનથી બંધાયેલા હતા. તેમણે જો ક્યાંય પહોંચવું હોય તો એટલું ચાલવું રહ્યું. અને ચાલતાં ચાલતાં તેઓ એ છેડે પહોંચતા જ્યાં જમીન દરિયા તળે ગરકાવ હોય.

દરિયો ખૂંદનારી સભ્યતા પાંગરી તેના ઘણા ઘણા સમય પહેલાંની આ વાત છે.
મધ્યપૂર્વના ફિનીશીયન્સ અને ક્રેટ(ગ્રીસનો એક ટાપુ)ના મીનૌન્સ. તેમના ઈતિહાસનો મોટાભાગ દરિયાને ભેંટવાનો રહ્યો છે. તેમની માછીમારી અને વેપારયાત્રા મોટેભાગે એક આંખ જમીન પર રાખીને થયેલી. 

આપણને ખબર નથી કે તે યાત્રાળુઓમાં અશક્યને આંબવાની પ્રેરણા ક્યાંથી ઊગી. 
તેમનો જમીન પરનો વિશ્વાસ ડગી ગયેલો? તેઓ જમીનના એ ભાગે રહેતા હતા જ્યાં ધરતીકંપ અને જ્વાળામુખી થતા રહેતા.
કે કોઈ દુષ્ટ પાડોશી અસહ્ય થઈ પડેલા?
વાતાવરણમાં થયેલા કોઈ પલટાએ તેમને પેટાવેલા?
કે પછી વસ્તી ગીચ થઈ ગયેલી?
વધારે પડતાં શિકાર કે માછીમારીથી ત્યાં સંશાધન ખૂટવા માંડેલા કે શું?
કે પછી એવી કોઈ સંપૂર્ણ માનવીય વૃત્તિએ તેમને 'પણે શું છે?' જાણવા દોરેલા?
હેતુ તેમનો જે કાંઈ હોય, સમય જતાં તેઓ તેમના ડરને અતિક્રમી શક્યા અને અગાઉ કોઈ ગયું ના હોય ત્યાં જવા તેમણે તૈયારી કરી. તે યાત્રાળુઓએ તેમના પૂર્વજોએ પેઢી દર પેઢી કરેલા અવલોકન ઝીણવટથી જોયા અને દરિયાઈ ખેડાણની એવી તકનીકો વિકસાવી જેમાંની કેટલીક આજેય કામ લાગે છે. પક્ષીઓની ઋતુગત ઉડાન વિધિ એ તેમનું જીપીએસ હતું. તેઓ તેમની સાથે ડરામણા, ઊંચે ઊડી શકતા પક્ષીઓ રાખતા,જેમને ગણતરીપૂર્વક ચોક્કસ સમયે  ઉડાડીને તેઓ નજીકની જમીન સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો નક્કી કરતા. તેઓ પાણી વાંચતા, દરિયાના પ્રવાહ આંગળીની ટોચે અનુભવતા અને વાદળોના સંદેશ સાંભળતા.

આ યાત્રાળુઓ વૈજ્ઞાનિક હતા અને સમગ્ર સૃષ્ટિ તેમની પ્રયોગશાળા હતી.
તેઓ સૌથી પહેલાં ફિલીપીન્સ ટાપુઓ પર જઈ વસ્યા. ત્યાં લગભગ હજારેક વર્ષ રહ્યા પછી તેઓ આગળની યાત્રા માટે તૈયાર થયા.
યાત્રાળુઓની નવી પેઢી, પોલીશીયન્સ ઈન્ડોનેશિયા- મૅલનેશિયન આઈલેન્ડ, વનૌતુ, ફિજી, સામોઆ, માર્કેસસ સુધી સફળ યાત્રા કરતી થઈ.
અને પછી પૃથ્વી પરના સૌથી એકલપંડા ટાપુ સમુહ સુધી, હવાઈ ટાપુઓ; તાહિતી, ટોંગા, ન્યુઝીલેન્ડ, પીટક્રેઈન, ઈસ્ટર ટાપુઓ સુધી. જે બધાની દરિયાઈ હદ ૨૦૦ લાખ કિલોમીટર જેટલી થાય.
તેઓએ આ બધું એક પણ ખીલી કે ધાતુના સાધન વગર કર્યું.

ટાપુઓ પર રહેનારા માટે બીજા લોકો સાથેના સંપર્ક ઘટતા ગયા તેમ તેમ પૉલેનેશિયન જે ભાષા લઈને આવેલા તે ભાષા જુદીજુદી બોલાશમાં ફંટાવા લાગી. ઘણા શબ્દ બદલાયા, પણ પ્રશાંતના પટ્ટાની બધી ભાષાઓમાં એક શબ્દ એમનો એમ રહ્યો : 'લ્યાર.' તેનો અર્થ છે 'દરિયાઈ ખેડ.'

હવે આપણે ક્યાં જઈશું?
એવા સ્થળે જ્યાં તમે દુનિયાઓનું પુસ્તક વાંચી શકો.
આપણો ઉદ્દેશ કોઈ ચોક્કસ જગ્યા નહીં, આંતરતારકિય દરિયા વચ્ચેનો શૂન્ય અવકાશ છે.
ત્યાં કેમ?
આવો.

આપણા સૂર્યથી ૮૦૪૬ કરોડ કિલોમીટર દૂર જઈ રહ્યા છીએ આપણે. હું તમને યાત્રાળુઓની હજારો પેઢીઓએ આપેલી એક સોગાદ બતાવવાનો છું.
આપણે હજારેક વર્ષથી પ્રકાશનો અને અમુક સદીઓથી ગુરુત્વાકર્ષણનો અભ્યાસ કરી રહ્યા છીએ. આઈન્સ્ટાઈનની સૂઝનો એક કમાલ એ પણ કે પ્રકાશ અને ગુરુત્વાકર્ષણ પરસ્પર શું અસર કરે છે તે સમજવા તે પ્રેરાયા. ગુરુત્વાકર્ષણ જે રીતે પ્રકાશને વાળે છે, તે રીતે આપણા સૂર્ય સહિત કોઈ પણ તારાને વાળીને તેને કોઈ બ્રહ્માંડીય ટૅલિસ્કોપનો લૅન્સ બનાવી શકાય, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબો લૅન્સ.

હાલ આપણી પાસે જે ટૅલિસ્કોપ છે તેનાથી તો બીજા સૂર્યોની દુનિયાઓ એક ટપકા જેવડી દેખાય છે. ઉપર મુજબનું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તે દુનિયાઓના પર્વત, દરીયા, હિમ નદીઓ અને કોણ જાણે બીજું કેટલુંય બતાવી શકે. કદાચ, ત્યાંના શહેર પણ.

પણ, સૂર્ય કે જેની આરપાર જોઈ શકાતું નથી, તેને કાચ કઈ રીતે બનાવી શકાય?
જ્યારે ખૂબ દૂરના કોઈ ગ્રહ પરથી આવતા પ્રકાશના કિરણો સૂર્યની નજીકથી પસાર થાય ત્યારે સૂર્ય તે કિરણોને કાયમ માટે જરાક વાળે છે. તે કિરણો અવકાશમાં જ્યાં વળે તે જગ્યાને ફોકલ પોઈન્ટ કહે છે. કારણકે જે પદાર્થ આપણે જોઈ રહ્યા છીએ તે પદાર્થ તે બિંદુએ ફોકસ- માં આવે છે.

તો, ૮૦૪૬ કરોડ કિલોમીટર લાંબા લૅન્સવાળા ટૅલિસ્કોપ વડે શું જોઈ શકાય? તમારે જે જોવું હોય તે બધું જ, લગભગ બધું.

ગૅલિલીયોનું શ્રેષ્ઠ ટૅલિસ્કોપ કોઈ ચિત્ર ત્રીસ ગણું મોટું કરી બતાવતું. એટલાથી ગુરુ ત્રીસ ગણો નજીક દેખાતો. આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વસ્તુઓને ૧૦૦૦૦ કરોડ ગણી નજીક લાવી આપશે. અને આપણે તેને બ્રહ્માંડની કોઈપણ દિશામાં ફેરવી શકીએ. તેનો ડિટેક્ટર ઍરે સૂર્ય ફરતે ૩૬૦ અંશે ફરી શકશે. 

આપણા બ્રહ્માંડનો માત્ર એક ભાગ આપણી પહોંચથી છટકી રહ્યો છે અને તે છે આપણી પોતાની દૂધ ગંગાનું કેન્દ્ર, કેમકે તે અત્યંત પ્રકાશિત છે. ત્યાંથી આવતો પ્રકાશ આંધળા કરી નાખે છે.

પણ, આ બ્રહ્માંડીય ટૅલિસ્કોપ વડે આપણે તે બધું જોઈ શકીશું જે નહોતું જોઈ શકાતું.
કદાચ, આપણા માટે સંભાવના ધરાવતી કોઈ બીજી દુનિયા પણ.
જે-તે દુનિયાના વાતાવરણમાં રહેલા વાયુઓ આપણને કહેશે કે ત્યાં જીવન છે કે નહીં.

પરમાણુઓની સહીં ચોક્કસ રંગની હોય છે.
આપણે જો પેલા વાતાવરણમાં સ્પેક્ટ્રોસ્કોપ- પ્રકાશને તેના મૂળ રંગોમાં વિભાજિત કરી આપતા સાધન વડે જોઈએ તો આપણે તે વાતાવરણ રચનારા પરમાણુ ઓળખી શકીએ.

ઑક્સિજન અને મિથેનની હાજરી એટલે જીવનની નિશાની, તે દુનિયા જીવંત હોવાની ખાતરી. અને આપણું બ્રહ્માંડીય ટૅલિસ્કોપ તેની સપાટીનું સ્પષ્ટ ચિત્ર આપણને બતાવી શકે.

તે દ્રશ્ય પ્રકાશ જોતું દ્રશ્ય ટૅલિસ્કોપ માત્ર નથી. તે રેડિયો ટેલિસ્કોપ પણ છે. જેમ તે પ્રકાશની જેમ રેડિયો તરંગોને પણ ૧૦૦૦૦ કરોડ ગણા નજીક લાવી આપશે.

ઍસ્ટ્રોનોમર્સ જેને 'વૉટર હોલ' કહે છે,  જ્યાં સિંહ અને ભેંસ પાણી પીવા, ન્હાવા આવે તેવી જગ્યા પરથી જેનું નામ પડ્યું, રેડિયો તરંગપટનો એક એવો વિસ્તાર જ્યાં દખલ ઓછામાં ઓછી હોય છે અને આપણે દૂર સૂદુરની સભ્યતાઓ વચ્ચેની ગપશપ પણ સ્પષ્ટ સાંભળી શકીએ. 
ત્યાંથી આવતા સ્વરોના પ્રચંડ મારામાંથી સંકેત શોધવા આપણે આપણી તમામ સંગણનાત્મક-કૉમ્પ્યુટેશનલ આવડત કામે લગાડવી પડશે.
1-4 1-5-9-2-

અને તે વિશાળ ટૅલિસ્કોપ ભૂતકાળમાં ઝાંકવાનો રસ્તોય છે. કારણકે, પ્રકાશની ઝડપ મર્યાદિત છે. 
સવારે આપણે સૂર્ય જે સૂર્ય જોઈએ છીએ તે આઠ મિનિટ વીસ સૅકન્ડ અગાઉનો હોય છે. જોવાની બીજી કોઈ રીત શક્ય જ નથી.  ૧૫૦૦૦  કરોડ કિલોમીટર દૂરના પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતાં એટલી વાર લાગે જ. 
એ જ રીતે, આપણે કોઈ પણ દુનિયા તરફ આપણા ટૅલિસ્કોપને તાકીએ, આપણે તેના ભૂતકાળને જ જોઈ શકવાના. 

હવે, ધારોકે બીજી કોઈ સભ્યતા, પૃથ્વીથી ૫૦૦૦ પ્રકાશવર્ષ દૂરની કોઈ સભ્યતા પાસે આવું કૉસ્મિક કૅલેન્ડર છે. તે દુનિયાના ખગોળ વિદ્ આપણા પિરામિડને બંધાતા કે પછી પોલીનેશિયનની પ્રશાંત મધ્યેની યાત્રાઓ જોઈ શકે.

જોકે, કૉસ્મિક ટૅલિસ્કોપ પાસેથી સૌથી અગત્યનું કામ તો આપણા માટે બીજી પૃથ્વી શોધાવવાનું લેવાનું છે.

મને એ સમજાતું નથી કે આપણે આવું ટૅલિસ્કોપ બનાવ્યું કેમ નથી.


લેખાંક પણ: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post_13.html




13.12.20

(લેખાંક પ) ૨.૧ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

બીજી દુનિયાઓએ અવકાશના ઊંડાણ માપવા મોકલી હોય તેવી સ્પેશ શિપ આપણી આકાશગંગામાં હોઈ શકે છે. તે કદાચ એક પછી એક તારા મંડળો તરફ જઈ રહી હોય; જીવન જ્યાં સ્થાયી થયું હોય તેવી દુનિયાઓની શોધમાં. તેમને પણ અંદાજ ના હોય તેવા જીવનના ગુણધર્મોનો નજીકથી અભ્યાસ કરવા.

૪૦૦ કરોડ વર્ષ પહેલાં, તેની બાલ્યાવસ્થામાં પૃથ્વી ખાસ આશાસ્પદ જણાતી ન હતી.

તે વખતે શુક્ર પર મહાસાગરો, જમીન અને કદાચ, જીવન હતાં. શુક્ર પાસે પાંગરવાની, જીવનક્ષમ પ્રદેશ બનવાની તક હતો. કોઈ પણ દુનિયા માટે, પોતાના તારા સાથે એવા સંબંધનો ગાળો જ્યારે ના તો તે અતિશય ગરમ હોય, ના ઝાઝો ટાઢો.‌ દુનિયાના અસ્તિત્વનો એવો સમય જ્યારે તે જીવનને જણી શકે, જીરવી શકે. 

પણ, જીવનક્ષમ પ્રદેશ હોવાના આશિષ સરકતી ચીજ છે અને કોઈ પણ દુનિયા માટે તે કાયમી નથી. 

આપણે આપણા તારાના જીવનક્ષમ પ્રદેશમાં વસીએ છીએ અને તે પ્રદેશ ત્રણ ફૂટ પ્રતિ વર્ષના દરે વિસ્તરી રહ્યો છે. પૃથ્વીના જીવનક્ષમ સમયનો ૭૦% ભાગ વીતી ચૂક્યો છે. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી, પૃથ્વી બહાર વસવાટનું આયોજન કરવા આપણી પાસે હજી હજારો લાખો વર્ષ છે.

સૂર્યના આશિષ આપણા માથેથી ઉઠી જશે પછી, ધરતી જીવન બાગ નહીં રહે ત્યારે આપણે ક્યાં જઈશું? દૂધ ગંગાના દરિયાના સૂદૂર ટાપુઓ તરફ આપણી પ્રજાતિએ પ્રયાણ આદર્યું હશે?

પરિવર્તનથી બચવાની કોઈ જગ્યા બ્રહ્માંડમાં નથી. કેટલાક હજાર લાખ વર્ષ પછી સંતાવા માટે કોઈ સલામત સ્થળ નહીં હોય. એક દિવસ આ બધું, કુદરતના કાનૂન મુજબ જીવન-મૃત્યુ અને પુનઃજન્મના અંતહીન ચક્રને શરણે થશે.

આ બ્રહ્માંડ સુંદર વસ્તુઓ ઉત્ક્રાંત કરે છે, પછી તેમને તોડી ટુકડા કરે છે અને તે ટુકડાઓમાંથી જ કશુક નવું સર્જે છે.

બ્રહ્માંડની કોઈપણ દુનિયાની કોઈપણ પ્રજાતિએ જો લાંબુ ટકી જવું હોય તો સામૂહિક પરિવહન કરવા કામ લાગે તેવા આંતર ગ્રહીય અને છેવટે આંતર તારાકીય ઈજનેરી વિકલ્પો વિકસાવવા રહ્યા. 

આ વાતની આપણને કંઈ રીતે ખબર પડી?

બ્રહ્માંડ વિશે આપણે થોડું ઘણું જે કાંઈ જાણીએ છીએ, તેમાં આપણને ભવિષ્યની ઝલક જોવા મળે છે. 

આપણી સભ્યતા માટે માણસ જાતે આપમેળે ઉભા કરેલા જોખમ, ક્લાઇમેટ ચેન્જની વાત હું નથી કરી રહ્યો, તે તો ટૂંકાગાળાની વાત છે. જો આપણે હજારો,લાખો, કરોડો વર્ષ ટકવું હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઊંડેલવાનું બંધ કરવું પડશે, અત્યારે જ. માણસજાતને બેનિફિટ ઓફ ડાઉટ આપીને લાંબાં ગાળાની વાત કરવા હું જઈ રહ્યો છું.

સૂર્ય વયવૃદ્ધ થઈ રહ્યો છે; આપણી જેમ. એક દિવસ તેના ગર્ભમાંનું હાઇડ્રોજન ઇંધણ ખૂટી પડશે.

500- 600 કરોડ વર્ષ પછી, જ્યાં હાઈડ્રોજન ફ્યુઝન થાય છે તે પટ્ટો બહારની તરફ વિસ્તરશે. તે સાથે જ્યાં થર્મોન્યુકિલયર પ્રક્રિયાઓ થાય છે તે કોચલુંય મોટું થશે- તાપમાન સો લાખ ડિગ્રી જેટલું નીચું જાય ત્યાં સુધી. સૂર્ય યલો ડ્વાર્ફ- પિળીયા વામનમાંથી રેડ જાયન્ટ બનશે.


શુક્ર અને પૃથ્વીને જકડી રાખતું તેનું ગુરુત્વાકર્ષણ નબળું પડશે. તેથી, તે બે ગ્રહ થોડાક સમય માટે સલામત અંતરે સરકશે. લાલમટોળ થયેલો, ફૂલેલો વિરાટ સૂર્ય બુધને આવરી લેશે, ગળી જશે. જીવનક્ષમ પ્રદેશના આશિષ વધુને વધુ ઝડપે દૂર સરકતા જશે. 

તે પછી, ફૂલેલા સુર્યના તીવ્ર પ્રકાશ અને ગરમી ગુરુ સુધી પહોંચશે. ગુરુ ફરતેના એમોનિયાના વાદળો અને પાણી તેનામાંથી છટકીને વરાળ સ્વરૂપે અવકાશમાં ફંગોળાઈ જશે. અને પહેલીવાર, ગુરુનું દેખાવડું બાહ્ય વાતાવરણ ખસી જતાં તેની નીચેની ફૂવડ સપાટી દેખા દેશે.

ગુરુના ઠંડાગાર ચંદ્રોમાંના કોઈ એક પર આપણે ઘર બનાવી શકીશું?

અગાઉ કરતા હજારો ગણા તિવ્ર સૂર્યપ્રકાશને કારણે યુરોપા અને કેલિસ્ટો(ગુરુના ચંદ્ર) પરના બરફના ગાઢા સ્તર ઓગળશે અને તેમની નીચેના દરિયા વહેતા થશે. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વરાળ છૂટી થશે, જે ગ્રીનહાઉસ ઈફેક્ટના ચક્રને ગતિમાં લાવશે. ગૅનમીડ (એક ચંદ્ર) -નું એક વખતનું પાતળું વાતાવરણ ગાઢ અને ઘેરું થશે. જો ત્યાં કોઈ પણ સ્વરૂપે જીવન ધબકતું હશે તો તેના ફૂલવા-ફાલવાની, ઉત્ક્રાંત થવાની તે તબક્કે નવી તક ઊભી થશે. ગૅનમીડ તે જીવોની ધરતીમા બનશે.

 આ તો અમસ્તું, કેમકે આપણે નવું ઘર સૂર્યથી સલામત અંતરે ઈચ્છીએ છીએ.


સૌર ઉત્ક્રાંતિ રોકાવાની નથી, જો કે, નવું ઘર શોધવા આપણી પાસે હજારો લાખો વર્ષ છે. બ્રહ્માંડમાં દુનિયા વસાવવાની જગ્યા શોધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે.

શનિના શા હાલ કર્યા હશે પેલા લાલમટોળ રાક્ષસી સૂર્યે? ઓહ! તેની સુંદરતા, તેની સુંદર વિંટીઓ લૂંટાઈ જશે. અને તેના ગ્રહ ટાઈટનનું વાતાવરણ પણ છીનવાઈ જશે. 

અરે! આપણે તો શક્ય દુનિયાની સંભાવનાઓના છેડે આવી ગયા. અહીં છે નૅપ્ચ્યુન, જેનું નામ રોમન દેવતા પરથી પાડવામાં આવ્યું છે. ગ્રીક તેને જ પોસેઈડોન- દરિયાના દેવ નામે ઓળખતા હતા.  

નેપ્ચ્યુનના ચંદ્ર ટ્રીટોન પરના દરિયાનું કોઈએ નામ પાડ્યું નથી- કારણકે સૂર્ય લાલમટોળ રાક્ષસ બને તે પછી તે ઠરેલા ચાંદા પરના ઍમોનિયા અને પાણીનાં પડ ઓગળશે. ટ્રીટોન પર એક દિવસ ૧૪૪ કલાકનો હશે. અને શિયાળો ભયંકર કાતિલ તથા પચાસ વર્ષ જેટલો લાંબો.

(આપણા પછીની પેઢીઓ નવાં જોડકણાં સાંભળશે.)

છતાં, કેટલાક કરોડ વર્ષ પછી ટ્રીટોન ઘર વસાવવાનું સારું સ્થળ જણાય છે. આપણે જોઈએ તે બધું હશે ત્યારે ત્યાં; વાતાવરણ અને પાણીના દરિયા જે જીવન જન્માવનારા બંધારણીય રસાયણો છે. 

ઠીક છે, ટ્રીટોન પર ઠંડી હશે પણ જાન્યુઆરીમાં ન્યુયોર્કમાં હોય છે તેથી ખરાબ નહીં હોય. (તમે આખું વર્ષ સ્કીઈંગ કરી શકશો.)

પણ, એક દિવસ સૂર્યની બધી ઊર્જા ખલાસ થઈ જશે અને જીવનક્ષમ પ્રદેશ તરીકેના આશિષ છેક અહીં ટ્રીટોન પરથી પણ ઊઠી જશે. 

જ્યારે સૂર્યનો રેડ જાયન્ટ કાળ સમેટાઈ જશે, તેના બધાં આવરણ ખસી જશે અને દેખાશે વ્હાઈટ ડ્વાર્ફ. એવો તારો, જેનામાં તેના બચેલાં સંતાનોને હૂંફ આપવા જેટલી ઊર્જા હજી બચી હોય.

તો, જો આપણે અમુક હજાર લાખ વર્ષ પછી પણ ઘર જોઈતું હોય તો આપણે સૂર્ય મંડળની સીમા પાર યાત્રા કરવી રહી; આપણે આંતર તારકીય અવકાશના અસીમ ઊંડા દરિયામાં જહાજ લાગરવું રહ્યું.


ભાગ ૪: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post.html








6.12.20

૧.૪. સિતારા સુધીની સીડી

કુદરતના કાયદા પુસ્તકમાં બે પુરાતન રાજ્યો વચ્ચે સંધિની અને સંધિ તોડનારાઓની દ્રષ્ટાંત કથા નોધાયેલી છે. 

ઘણા સમય પહેલાંની વાત છે. તે વખતે બે રાજ્ય હતા.
તેમની વચ્ચે એવી સુમજૂતિ થઈ, જે તે બંનેને તેમની કલ્પના બહારની સમૃદ્ધિ આપવાની હતી.
આ સમજૂતિ લગભગ ૧૦૦૦ લાખ વર્ષ સુધી ટકી. અને પછી તેમાંના એક રાજ્યમાં જુદા પ્રકારનો જીવ ઉત્ક્રાંત થયો. તેના સંતાનોએ સમૃદ્ધિ લૂંટી અને સમજૂતિ તોડી.
તેમની ઉદ્ધતાઈમાં તેઓ બીજા રાજ્ય માટે જ નહીં, પોતાના રાજ્ય માટે પણ જીવનું જોખમ બની બેઠા. 

આ નિતીકથા સાચી છે.
પૃથ્વી પરના અડધા ડઝન સમુદાયમાંના બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેની આ વાત છે.
લીલા હોવું સહેલું નથી. તમે એક જગ્યાએ ચોંટેલા હોં ત્યારે પ્રજનન એક પડકાર છે. મિલન શક્ય નથી બનતું. તમે બસ ત્યાં જ બેસી રહો અને તમારા બીજ હવાને સોંપી દો. પવન ફૂંકાવાની રાહ જુઓ. નસીબદાર હો તો તમારી પરાગ રજ બીજી વનસ્પતિના પ્રજનન અંગ સુધી પહોંચે. 
'લાગ્યું તો તીર' પ્રકારનો આ નસીબનો ખેલ વનસ્પતિ સૃષ્ટિ અમુક હજાર લાખ વર્ષ સુધી કરતી રહી; કામદેવ રૂપી જીવજંતુ ઉત્ક્રાંત થયાં ત્યાં સુધી.
જીવનના ઈતિહાસમાં આ અનુકુલન સહ ઉત્ક્રાંત લગ્નોમાં પરિણમ્યું.
કોઈ પુષ્પની પ્રોટીન સભર પરાગ રજનો રસ પીવા કોઈ જંતુ તેની મુલાકાત લે. અજાણતાં જ કેટલીક પરાગરજ તેના શરીર પર ચોંટી જાય. શરીર પર ચોંટેલી પુષ્પની પરાગરજ સહિત‌ તે જંતુ બીજા પુષ્પની મુલાકાત લે. અનુકૂળ હોય તો બીજું પુષ્પ ફળે, તેના પ્ર-જનનની તક ઊભી થાય.
જીવજંતુ અને પુષ્પો તેમ બંને તરફ આ એક લાભકારક ભાગીદારી હતી; જેને કારણે ખુશ કરી દેનાર ઔત્ક્રાંતિક ફેરફારોની હારમાળા રચાઈ.
નવો છોડ સર્જાયો જેણે પરાગ રજની સાથે સાથે ગળ્યો રસ પણ પેદા કરવો શરૂ કર્યો. હવે પેલાં જંતુ ફક્ત પ્રોટીન યુક્ત ખોરાક માટે જ નહીં, મીઠાઈ માટે પણ આવતા થયા. જંતુઓ ભરાવદાર બન્યા, તેમના ગોળ મટોળ શરીર પર સુંવાળી રુવાટી આવી અને તેમના પગમાં નાનકડા ખિસ્સા બન્યા; જેમાં વધારે માત્રામાં પરાગ રજ ભરાતી થઈ.
અને આવી માખીઓ.
તેઓ તો વળી પ્રાણીસૃષ્ટિની એક ખાસ પ્રજાતિ માટે વિશેષ લાભકારક બની.
આપણા માટે.
માખીઓ અને તેમના જેવા પરાગ વાહકોના આપણે ઋણી છીએ, આપણા જીવનના ટકી જવા માટે અત્યંત જરૂરી હોય તેવી બાબતે. આપણો ત્રીજો કોળિયો, પછી ભલે ને આપણે ઉભયાહારી હોઈએ, તેઓના કારણે જ શક્ય છે.
દુનિયાની 35% ખેતી તેમના સહકાર પર આધાર રાખે છે.

વનસ્પતિનો ખોરાક છે તારાનો પ્રકાશ, અને આપણ પ્રાણીઓનો ખોરાક છે વનસ્પતિ. વનસ્પતિ ફક્ત ઉપલબ્ધ ભોજનનો સંખ્યાત્મક વધારો કરે છે એટલું જ નથી; આપણું ભોજન જેના પર આધારિત છે તેવી જૈવ વિવિધતા પણ તેમને કારણે છે.

પણ, આપણે તેમને ખતમ કરવા પર ઉતરી આવ્યા છીએ.
મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે.
ખેતીની શોધનો આશીર્વાદ અને શ્રાપ આપણને લઈ આવ્યા છે લુપ્ત પ્રાણીસંગ્રહાલયના દરવાજે : પૃથ્વીના ઇતિહાસના સામૂહિક નિકંદનોમાં નાશ પામેલા તમામ સજીવની યાદગીરી. 
જીવન વૃક્ષની તૂટેલી ડાળખીઓની પ્રતિમા અહીં છે.

પૃથ્વીના ઈતિહાસમાં પાંચ વાર ભયંકર ભૌગોલિક અને અવકાશીય ઘટનાઓએ જીવનના નિકંદનની સ્થિતિ ઊભી કરેલી.
છઠ્ઠી સ્થિતિ તે બધાથી જુદી છે.
કોસ્મોસની આ અગાઉની સિરીઝમાં લુપ્ત પ્રાણીસંગ્રહાલયના એક ઓરડાને આપણે નામ નહોતું આપ્યું. કારણકે તે વખતે 'આપણે કોઈ સામૂહિક નિકંદનની નજીક છીએ.' એવા તારણ બાબતે વૈજ્ઞાનિક સમુદાય સહમત નહોતો. તે સહમતિ સધાઈ ગઈ છે. પેલા ઓરડાને નામ મળ્યું છે -આપણું નામ.
ધ ઍન્થ્રોપોસીન.
ગ્રીક શબ્દો 'ઍન્થ્રોપો' એટલે 'માણસ' અને 'સીન' એટલે 'તાજેતરનું'.

આપણે ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણી જ પ્રજાતિના અમુક સમુદાયનું નિકંદન કાઢી નાખેલું -જેમાં આપણા પિતરાઈ નિઍન્ડરથીસ પણ સામેલ છે.
એવું તે શું છે આપણી પ્રજાતિમાં કે આપણે જ્યાં જઈએ, મૃત્યુ લઈ આવીએ છીએ?

થોડીક વાત ભવિષ્યની કરીએ.
અમુક દસકા જેટલા દૂરના ભવિષ્યમાં પ્રોજેક્ટ સ્ટારશૉટ હેઠળ 1000 સ્પેસ ક્રાફ્ટ પૃથ્વી પરથી ડિપાર્ટ થશે.

આપણે ઇતિહાસ નોંધવો શરૂ કર્યો ત્યારથી એન્ડિઝ પર્વતમાળાની પશ્ચિમે આવેલા અતકામા રણમાં વરસાદ પડ્યો નથી. તે સૂકું ભઠ્ઠ છે. તેથી, ત્યાંનું આકાશ એકદમ ચોખ્ખું છે.

પાણી છોડી જમીન પર પગ મૂકનાર પહેલા વહેલા  જીવની નોંધ રાખનાર કોઈ નહતું. પહેલા પક્ષીએ આકાશમાં ઉડાન લીધી ત્યારે રિપોર્ટ લખવાવાળુ કોઈ ન હતું. પણ, આ આપણે એક એવી છલાંગ લગાવવાના છીએ, જેની નોંધ શક્ય તમામ રીતે લેવાશે. આખી દુનિયા જોઈ રહી છે.
પ્રકાશથી ચાલનારા આંતર તારકીય જહાજો, જે આપણા સંવેદનોને ત્યાં પહોંચાડશે.

તેમના માળખાનું વજન માંડ એકાદ ગ્રામ છે અને તેમનું કદ વટાણાના દાણા કરતા મોટું નથી. છતાં, નાસાના વૉયેજરમાં હતા તેટલા સરંજામ, અરે, તેથી પણ વધારે સાધનસામગ્રીથી તે સજ્જ છે.
બહુ સ્તરિય લેઝર્સમાંથી પહેલા કિરણનો ધક્કો લાગતાં જ આ સ્પેસ ક્રાફ્ટ શૂન્યથી પ્રકાશની ઝડપના 20% જેટલી ગતિ ફક્ત મિનીટોમાં પકડી લેશે.
આ નેનો સ્પેસ ક્રાફ્ટમાં બીજા તારાઓની દુનિયાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી, ત્યાંની વૈજ્ઞાનિક વિગતો અને દ્રશ્યો પૃથ્વી પર પાછા મોકલવાની બધી જ સગવડ છે.

અવકાશ મોટાભાગે ખાલી છે. પણ તેમાં એવા સૂક્ષ્મ રજકણ છે, જે લગભગ પ્રકાશની ગતિએ જઈ રહેલા નેનો ક્રાફ્ટ સાથે અથડાય તો નેનો ક્રાફ્ટ ભાંગી પડે.
આપણે આટલા બધા સ્પેસ ક્રાફ્ટ સામટા મોકલવાનું એક કારણ તે પણ છે.
વૉયેજર-વન 61155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું છે. પૃથ્વી છોડ્યે તેને ૪૦ વર્ષ કરતાં વધુ સમય થયો. આમ તો તે ઝડપી છે, પણ પ્રકાશની ઝડપનો તો વીસમો ભાગ.

પ્રોક્સિમા સેન્ચ્યુરી ચાર પ્રકાશ વર્ષ દૂર છે. વન-વે યાત્રા કરતાં ૨૦ વર્ષ થાય. પ્રોક્સિમા સેન્ચ્યુરી ફરતે પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જે વસવાટને લાયક વિસ્તારમાં આવે છે અને જ્યાં જીવન હોવાની સંભાવના આપણને લાગે છે.

આપણા રોબોટિક જાસુસો આ દુનિયાઓની માહિતિ મોકલશે. તેમના સંદેશા પ્રકાશની ઝડપે રેડિયો તરંગો મારફતે આપણા સુધી આવશે. તેમને આપણા સુધી પહોંચતા ચાર વર્ષ લાગશે. 20 વર્ષ ત્યાં પહોંચવાના, ૪ વર્ષ પાછા આવવાના. ૨૪ વર્ષની રાઉન્ડ ટ્રીપ.

તમારામાંથી કેટલાક કુદરતના પુસ્તકમાં જોડાનારા નવા પાના ત્યારે વાંચશે, લખશે અને તે પછીના ભવિષ્યની માણસ જાતની યાત્રાઓની રૂપરેખા તૈયાર કરશે.
પૃથ્વી, મહાસાગર કે આકાશની સીમા લાઘીંને.

૩: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_29.html

29.11.20

૧.૩ સિતારા સુધીની સીડી

ચૅલકોલિથીક- ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.
લગભગ નવ હજાર વર્ષ પહેલાંના આ પહેલા વહેલા શહેરમાં એટલા માણસો એક સાથે હતા, જેટલા એક વખતે આખા આફ્રિકામાં હતા.
ત્યારે 'શહેર રચના' એટલો તો નવો વિચાર હતો કે ના તેમાં કોઈ ગલી હતી કે ના બારી. 
ઘરમાં પ્રવેશ ધાબેથી થતો.
બારી, ગલી કે પ્રવેશદ્વારો કરતાંય મહત્વની એક બાબત ચૅલકોલિથીકમાં ન હતી.
મહેલ.
ખેતીની શોધે માનવ સભ્યતાને માથે જે દેવું ચઢાવ્યું હતું, તે ચૂકવવું હજી બાકી હતું.
મોટાભાગના લોકો પર મુઠ્ઠીભર લોકો શાશન કરે તેવી વ્યવસ્થા હજી અહીં સ્થપાઈ ન હતી.
બાકીના બધા રઝળતા હોય અને એક ટકા લોકો સંપતિની છોળમાં નહાતા હોય એવું હજી શરું થયું ન હતું.
અહીં જીવેલા સ્ત્રીઓ, પુરુષો અને બાળકોના ફોરેન્સિક એનાલિસિસથી ખબર પડી છે કે તે બધાનો ખોરાક એકસરખો હતો.
વહેંચીને ખાવાની શિકારી-વિણનારાઓની રીતભાત હજી તેમના જીવનનો હિસ્સો હતી.
ચૅલકોલિથીક સમતાવાદી હતા.

છટ્, એકધારાપણું!

અહીં બધા એકસરખા ઘરમાં રહેતા હતા.
બેડરૂમ, મુખ્ય ઓરડો અને રસોડું.
ઑબ્સિડીઅન કહેવાતો કાચ, જ્વાળામુખીની પેદાશ.
ઑરોક્સ*નું માથું.
ચૅલકોલિથીકના રહેવાસી શણગારના શૉખીન હતા.
તેમનાં ઘર પ્રાણીઓનાં દાંત, હાડકાં અને ચામડીથી શોભાયમાન હતાં.
૧,૦૦,૦૦૦ વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ જેને આફ્રિકામાંથી ઉપાડેલો તે ઑરોક્સ હવે ચૅલકોલિથીક ઘરોમાં પ્રચલિત આર્ટ પીસ હતો.
અને પેલા ગેરુ રંગનું અહીં વિશેષ ઉપયોજન હતું.
તેમણે તેનો ઉપયોગ એક સાવ જ નવા કળા સ્વરૂપ માટે કર્યો : નકશો.
માણસજાતે પહેલીવાર તેમની સ્થળ-કાળની સ્થિતિની દ્વિપરિમાણીય પ્રતિકૃતિ બનાવી.
"પેલા જ્વાળામુખીના સંદર્ભે મારુ ઘર અહિયાં છે."
તેમાં ઉમેરાઈ કેટલી જાદુઈ લીટીઓ અને તે કલાકારે 9000 વર્ષ દૂર સંદેશો મોકલ્યો : 'જ્યારે જવાળામુખી ફાટ્યો ત્યારે હું અહીંયા હતો.'
ચૅલકોલિથીકના પ્રયોગો સફળ રહ્યા અને થોડાક હજાર વર્ષના ગાળામાં જ બધે શહેરો થઈ ગયા.

એક જગ્યાએ જુદા જુદા પ્રકારના લોકો ભેગા થાય ત્યારે વિચારોનું આદાન-પ્રદાન થાય અને નવી શક્યતાઓ સર્જાય.
શહેર એક જાતનું મગજ છે, નવા વિચારો સર્જનાર અને તેના પર પ્રક્રિયા કરનાર.
સત્તરમી સદીના એમ્સ્ટરડેમમાં જૂની અને નવી દુનિયાના લોકો એવી રીતે ભળ્યા, જે રીતે તેઓ અગાઉ ક્યારેય નહોતા મળ્યા. અને ત્યાં અગાઉ ક્યારેય ન હોય તેવી વૈચારિક સ્વતંત્રતા હતી.
આ પરિસ્થિતિએ વિજ્ઞાન અને કલા માટે સુવર્ણયુગ સર્જ્યો.
ઈટાલીમાં જિઓર્ડાનો બ્રુનોએ બીજી દુનિયાઓના અસ્તિત્વની જાહેરાત કરેલી. તે બદલ તેને સજા થયેલી.
ફક્ત 50 વર્ષ પછી, હોલેન્ડમાં ક્રિશ્ચયાન હ્યુજેને તેવી જ ધારણાઓ રજૂ કરી, તો તેના પર સન્માનોનો વરસાદ કરવામાં આવ્યો.

તે યુગનો કેન્દ્રવર્તી વિષય હતો પ્રકાશ.
માનવજાતની જિજ્ઞાસાને છુટ્ટો દોર મળ્યો અને તેથી પ્રાપ્ત થયેલ જ્ઞાનના પ્રકાશથી યુરોપના લોકોએ યુરોપ જ નહીં, પૃથ્વીના અજાણ્યા વિસ્તાર ઉપર નજર માંડી.
તે સમયના, ખાસ કરીને વેરમિરના ચિત્રોમાં પ્રકાશની રંગત જોવા મળે છે.

વૈજ્ઞાનિક જીજ્ઞાસાના વિષય તરીકે પણ 'પ્રકાશ' છવાઈ રહેલો.
તંતોતંત વણાયેલા વસ્ત્રના તાર ગણવા માટે કાપડના વેપારીઓ પેઢીઓથી લેન્સ વાપરતા હતા.
તે સમયે ઍમ્સ્ટરડૅમમાં રહેતા ત્રણ માણસોને પ્રકાશ માટેનું તેમનું ઝનૂન પેલા પ્રાચીન સાધનને તદ્દન નવા રસ્તે વાપરવા દોરી ગયું.
કાપડના વેપારીઓના લેન્સને તેમણે એવા પદાર્થની ઝીણવટથી તપાસ કરવામાં વાપર્યો, જે અગાઉ કોઈએ વિચાર્યું નહોતું.
નવી દુનિયા શોધવાની અને તેમાં ઊંડા ઊતરવાની તે એક બારી, નાનું મોટું થઈ શકે તેવું બાકોરું બની ગયો.

ઍન્ટોની વૅલ લેઈવનહૉકે એક સાદા લેન્સનો ઉપયોગ કરી પાણીના એક ટીપામાં ધબકતી સૂક્ષ્મ જીવ સૃષ્ટિ ઉજાગર કરી.
તેના મિત્ર,ક્રિશ્ચયાન હ્યુજેને બે સાદા લેન્સનો ઉપયોગ કરીને તારાઓ ગ્રહો અને ચંદ્રને એટલા નજીક લાવી દીધા કે તેમના લક્ષણો જોઈ શકાય.
તેણે જ ચંદ્રના સૌથી મોટા ગ્રહ, ટાઈટનની શોધ કરી.
બ્રુનોની જેમ હ્યુજેન માનતો હતો કે તારાઓ એ સૂર્ય છે અને તેમની ફરતે ગ્રહો અને ચંદ્રનાં બનેલાં આગવાં મંડળ છે.
તો પછી, પવિત્ર ગ્રંથોમાં બીજી દુનિયાઓ અને ત્યાં જીવતા જીવોનો કોઈ ઉલ્લેખ કેમ નથી?
નવજાગૃતિના નેતાઓના હૃદય અને મગજમાં આવા પ્રશ્નોએ જે ઉથલપાથલ મચાવી, તેનો ફક્ત એક માણસે જ માથું ઉચકીને સામનો કર્યો.
તે વળી પ્રકાશનો એક નવો જાદુગર હતો.

બૅરૉક સ્પિનોઝા તેના કિશોર કાળમાં એમ્સ્ટરડેમની જ્યુઈશ સમિતિનો સભ્ય હતો.
પણ, વીસીમાં પ્રવેશતાં તેણે ઈશ્વરની નવી ઝાંખી વિશે જાહેરમાં બોલવું શરૂ કર્યું.
સ્પિનોઝાના ઈશ્વર હતા બ્રહ્માંડના ભૌતિક નિયમો.
અને તેનો પવિત્ર ગ્રંથ હતો કુદરત.
એમ્સ્ટરડેમના મોટાભાગના જ્યુ સ્પેન અને પોર્ટુગલથી આવેલા વિસ્થાપિતો હતા; જ્યાં તેઓ પર ત્રાસ થયેલો અને તેમના સગાં- વહાલાઓની હત્યા થયેલી. એમ્સ્ટર્ડમમાં જ્યુને આશરો મળેલો અને તેઓને લાગ્યું કે સ્પિનોઝાના આત્યંતિક વિચારો તેમને માંડ મળેલી સુરક્ષા સામે ખતરો ઉભો કરશે.
તેમણે આ યુવાન ક્રાંતિકારીને નાત બહાર કર્યો, કાયમ માટે.
સ્પિનોઝાએ તેમની સજાનો આદરથી, પણ જરા સરખી શરણાગતિ વગર સ્વીકાર કર્યો.
તે નજીકના ડૅન હૅખ (The Hague) શહેરમાં જતો રહ્યો.
જ્યાં તેણે પોતાના સાહસને આગળ ધપાવ્યું. તેણે લખ્યું કે બાઈબલ કોઈ ઈશ્વરે નથી લખાવ્યું, તે માણસોનું લખાણ છે.
તેણે લખ્યું, "ચમત્કારોમાં ઈશ્વરને ના શોધો. ચમત્કાર કુદરતના કાનૂનનું ઉલ્લંઘન છે. તે નિયમોના અભ્યાસથી ઈશ્વરને પામી શકાય છે."

સ્પિનોઝાને ખબર હતી કે હૉલેન્ડનાય વિચાર સ્વાતંત્ર્યની સીમાઓ તે વટોળી રહ્યો છે.
તેને લાગતું કે રાજ્યનો કોઈ ધર્મ હોય એ તો વ્યક્તિગત જબરજસ્તી કરતાંય ખતરનાક છે. ધર્મોમાં સ્વિકારાયેલી ચમત્કારિક ઘટનાઓને તે સુગઠિત અંધશ્રદ્ધા માનતો. તે કહેતો કે આવી જાદુઈ વિચારસરણી ભવિષ્યના મુક્ત, તાર્કિક સમાજ માટે જોખમ છે. રાજ્ય વ્યવસ્થા અને ચર્ચ છૂટા ના પડે ત્યાં સુધી લોકશાહી શક્ય નથી.

તેણે લખેલ પુસ્તકમાંના વિચાર અમેરિકન અને બીજી કેટલીક ક્રાંતિના બીજ બન્યા.
ત્યારે પણ, આજની જેમ જ એવા લોકો હતા જેઓ સ્પિનોઝાએ બતાવેલા ઈશ્વરની ઝલકથી કાંપતા હતા.
સ્પિનોઝા ઈશ્વર વિશેના તેના ક્રાંતિકારી વિચારો લખતો જ રહ્યો, તેની તિરછી ટોપીને સન્માનની જેમ પહેરીને.
44મે વર્ષે તે મૃત્યુ પામ્યો; આર્થિક ઉપાર્જન માટે સૂક્ષ્મ દર્શક યંત્ર અને ટૅલિસ્કોપના કાચ બનાવતાં તેના ઝીણા રેણું શ્વાસમાં લીધા કરવાના કારણે.

સ્પિનોઝાના દર્શનની અસરોના આદર તરીકે તેની કાચ ઘસવાની ઓરડી સાચવી રાખવામાં આવી છે.  250 વર્ષ પછી, પ્રકાશ માટે સ્પિનોઝા જેવી જ ઝનૂન ધરાવતી એક વ્યક્તિ તે ઓરડીના દર્શનાર્થે પહોંચી.
આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું, "હું સ્પિનોઝાના ઈશ્વરને માનું છું, જે અસ્તિત્વના અંશોમાં ઐક્ય તરીકે વ્યક્ત થાય છે."

કુદરતના કાનૂન વિશેની આપણી સમજ સ્પિનોઝા કરતાં, આઈન્સ્ટાઈનની કલ્પના કરતાંય અનેકગણી વધી છે.
પણ, કુદરતનો એક નિયમ છે જે આપણી પકડમાં આવતો નથી.
###

*ઑરોક્સ -સૌથી પહેલાં પાળવા શરું થયેલા પ્રાણીઓમાંનો, યુરેશિયન બળદ

ભાગ ર : https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_22.html

28.11.20

વાર્તા કહેવાની કળા _કૃષ્ણ કુમાર


બાળકોને વાર્તા કહેવી  સાચે જ એક કળા છે. આવો, તેના પાસાં ઝીણવટથી જોઈએ

ઘણા દુઃખની વાત છે કે આપણી પ્રાથમિક શાળાઓના પહેલા બે ધોરણમાં વાર્તા કહેવા માટે દરરોજ અલગથી ઘંટ વાગતો નથી. આવી વ્યવસ્થા હોત તો બાળકોને શાળામાં ટકાવી રાખવાની સમસ્યા અમુક હદ સુધી તો ઉકલી જાત. ઘણા લોકોને લાગશે કે બાળકોની ગેરહાજરીની સમસ્યા કેટલી ગંભીર છે તે હું સમજતો નથી. મારું ઉક્ત સુચન સાંભળી ઉચ્ચ અધિકારીઓ કટાક્ષ ભર્યુંસ્મિત કરે તેની સંભાવનાય ઘણી વધારે છે. તેમના બહોળા અનુભવ અને વહીવટી જ્ઞાને તેમના મગજમાંથી એ સમજ ધોઈ નાખી છે, જે મારી સમજ મુજબ તેમની પાસે એક વખતે હશે, તે એ કે વાર્તા સાંભળવાની બાળકો પર જાદુઈ અસર થાય છે.

દુઃખની વાત એ પણ છે કે આપણી શિક્ષક તાલીમ સંસ્થાઓ વાર્તા કહેવાની વાતને ગંભીરતાથી લેતી નથી. જોકે, તેમાંથી કેટલીક પોતાના પાઠ્યક્રમમાં વાર્તા સંભળાવવાના મહત્વનો ઉલ્લેખ જરૂર કરે છે. 

નાના બાળકોને ભણાવવાવાળા દરેક શિક્ષક પાસે એવી અપેક્ષા રાખવામાં આવે કે તેમના અધિકારમાં ઓછામાં ઓછી ૩૦ પારંપરિક વાર્તાઓ હોય -એવા એક દિવસની કલ્પના મારા મનમાં રમે છે. 'અધિકાર' શબ્દ દ્વારા હું એમ કહેવા માગું છું કે કે વાર્તાઓ શિક્ષકને એટલી સારી રીતે યાદ હોય કે તેઓ પૂરા આત્મવિશ્વાસ અને નિરાંતથી વાર્તાઓ કહી શકે. હજારો વાર્તાઓની પુરાતન પરંપરા ધરાવતા સમાજ માટે આ કઈ બહુ મોટી વાત નથી. 30 વાર્તા, જે શિક્ષક જ્યારે ઈચ્છે ત્યારે કહી શકે, પ્રાથમિક શાળાના પહેલા બે ધોરણનું વાતાવરણ બદલી નાખશે. શરત એટલી કે રોજિંદા પાઠ્યક્રમ-સમયપત્રકમાં વાર્તા કહેવાની વાતને એક સન્માન પૂર્ણ સ્થાન આપવામાં આવે. તે એટલા માટે કે વાર્તા કહેવી એ બાબત જ તેની રીતે અત્યંત મહત્વની છે.

વાર્તાઓ લાવવી ક્યાંથી?
પાછલા ફકરામાં મેં એક વિશેષણ વાપર્યુ હતું, આગળ વધતા પહેલાં, તેના વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું. મેં લખ્યું કે હું પરંપરાગત વાર્તાઓના પક્ષમાં છું. યુવાન શિક્ષકોને વાર્તા કહેવાની તાલીમ આપવાનો મારો અનુભવ કહે છે કે તેઓને વાર્તા શોધી લાવવાનું સૂચન કરવામાં આવે ત્યારે તેઓ મોટેભાગે વર્તમાન પત્રોમાં કે બાળ સામયિકોમાં છપાયેલી વાર્તાઓ લઈને આવે છે. કેટલાક વળી કોમિક્સ, લાંબા જોક્સ કે પછી વાસ્તવિક ઘટનાઓના વર્ણનને ગોખી કાઢે છે. એ સાચું કે આ પ્રકારની સામગ્રીને 'વાર્તા' ગણવામાં આવે છે. પરંતુ, આ પ્રકારની વાર્તાઓ પ્રાથમિક શાળામાં ભણતા છ કે સાત વર્ષના બાળકો પર જાદુઈ અસર કરે તેવી આશા આપણે રાખી શકીએ નહીં.

પરંપરાએ આપેલી વાર્તાઓમાં કેટલીક એવી વિશેષતાઓ હોય છે, જે સમકાલીન વાર્તાઓમાં -જે આપણે જુદા જુદા માધ્યમમાં જુદા જુદા સ્વરૂપે જોઈએ છીએ- સકારણ નથી હોતી. તે વિશેષતાઓની આપણે ચર્ચા કરવાના જ છીએ. પણ, તે પહેલાં હું પરંપરાગત વાર્તાઓના કેટલાક સ્ત્રોતોનો ઉલ્લેખ કરવા ઈચ્છું છું. સૌથી પહેલાં પંચતંત્ર, જાતક, મહાભારત, સહસ્ત્ર રજની ચરિત્ર, વિક્રમાદિત્યની વાર્તાઓ અને જુદા જુદા પ્રદેશોની લોકકથાઓને સહજ અને સમૃદ્ધ સ્ત્રોત ગણી શકાય. તે પછી કથાસરિતસાગર, ગુલિસ્તાં અને બોસ્તાની વાર્તાઓ અને દુનિયાભરની લોકકથાઓને સ્થાન આપી શકાય. આ સ્ત્રોતો સરળતાથી ઉપલબ્ધ નથી. આથી, જે કોઈ વાર્તા કથનને રોજના પાઠ્યક્રમમાં નિયમિત તાસ બનાવવા ઈચ્છતું હોય, તેણે આ તમામ સ્ત્રોતોમાંથી પસંદ કરેલી વાર્તાઓનું એક સંકલિત પુસ્તક બનાવવું પડે.

કહેવા લાયક વાર્તા :
એક સારી વાર્તામાં કઈ વિશેષતાઓ હોય છે તે જાણવાનો સૌથી સહેલો રસ્તો છે- જેને એક પછી એક ઘણી પેઢીના બાળકોએ આનંદપૂર્વક સાંભળી હોય એક તેવી એક વાર્તાનું વિશ્લેષણ કરવું. પંચતંત્રની સિંહ અને સસલાની વાર્તા આવું જ એક ઉદાહરણ છે. આપણે તેનાથી એટલા બધા પરિચિત છીએ કે આપણને તેનું કથાનક સહેલું લાગે છે. આવો, પહેલાં આપણે તે વાર્તાનો એક વળાંક યાદ કરીએ.

વાર્તામાં એક દિવસ એવો આવે છે જ્યારે નાનકડા સસલાએ ઘરડા સિંહ આગળ હાજર થવાનું થાય છે. સિંહના દરવાજા સુધી પહોંચવામાં સસલો એટલું બધું મોડું કર્યું છે કે ભૂખનો માર્યો સિંહ ભારે અકળાયેલો છે. આ ક્ષણ મહત્વની છે અને તે સમયે સિંહ સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટ શક્ય નથી; કેમકે સિંહ ભયંકર ગુસ્સામાં છે. છતાં, આવી તદ્દન અયોગ્ય પળે પણ સસલું પોતાને કેમ મોડું થયું તે વાત મૂકે છે. રસ્તામાં બીજો એક સિંહ મળ્યો તે વાત તદ્દન ખોટી છે. તેમ છતાં, ભૂખ્યા, ચિઢાયેલા સિંહના રાજાશાહી મગજમાં એ વાત બેસી જાય છે. હવે પહેલાં તો તે પોતાના હરીફને ઠેકાણે પાડવા ઈચ્છે છે અને એટલા માટે તે સસલા સાથે કૂવે જવા નીકળી પડે છે. આ બીજી નિર્ણાયક પળ છે. ત્યારે સસલું પોતાના જુઠ અને સિંહના અભિમાન અને ઈર્ષ્યા- કે જે તેણે જ જગાડ્યા છે- પર વિશ્વાસ રાખી આગળ વધે છે. કૂવામાં પોતાનું પ્રતિબિંબ જોઈ સિંહ ભાન ભૂલે છે અને કૂદીને મરી જાય છે. 

આવો, આ જુની, પરિચિત વાર્તાને વધારે ઝીણવટથી જોઈએ. પહેલી વાત તો એ કે આ વાર્તાના વિષયવસ્તુમાં કોઈ ઉપદેશ નથી. તેને બદલે આ વાર્તા સ્પષ્ટ રીતે કેટલાક ગંભીર પ્રશ્નો સામે ઝઝૂમે છે: જેમકે, કોઈ પાશવી તાકાતની સામે કે મોત સામે હોય તેવી સ્થિતિમાં પોતાને કેવી રીતે બચાવવું. બાળકો સાથે વાત કરતી વખતે, મોટેભાગે આપણે આવા પ્રશ્નોની વાત કરતા નથી. જો કે બાળકોને આવા પ્રશ્નોમાં ઊંડો રસ હોય છે. આપણને સવાલ થાય કે બાળકોના આ રસનું કારણ શું? પણ, તે બાબતે હું પાછળથી વાત કરીશ. દરમ્યાન, હું આ વાર્તાની બીજી એક મોટી વિશેષતા પર ધ્યાન દોરવા માંગું છું - આ વાર્તા એક એવા નાનકડા પ્રાણીની છે, જે એક મોટા, શક્તિશાળી પ્રાણીએ ઊભી કરેલી મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યું છે. તે મુશ્કેલીમાંથી રસ્તો કાઢવા તે નાનકડું પ્રાણી એક એવી રીત અપનાવે છે, જેને સામાન્ય રીતે આપણે અનૈતિક ગણીએ.

તે રીત આચરી રહેલું સસલું, સારા વ્યક્તિત્વના કેટલાક ઉમદા ગુણોનું ઉદાહરણ રજૂ કરે છે. તે ગુણો છે : સાહસ, મુશ્કેલીની ઘડીએ આત્મવિશ્વાસ, કોઈ ઘટનાની અંતિમ પળ સુધી પોતાનું મગજ ઠંડુ રાખવાની ક્ષમતા અને પોતાનાથી વધારે તાકાત અને ઉંમર વાળી વ્યક્તિ સામે યોગ્ય વર્તન કરવું.

આ વાર્તા કેટલી ઝડપથી આગળ વધે છે તે પણ આપણે નોંધવું જોઈએ. શરૂઆતમાં એક વિચિત્ર નિયમનો અમલ જોવા મળે છે, જેમાં રોજ એક પ્રાણી સ્વેચ્છાએ ઘરડા રાજાનો શિકાર થાય. આ પ્રકારની દૈનિક વ્યવસ્થા ગોઠવાયાના થોડાક જ સમયમાં સસલાનો વારો આવે છે અને વાર્તાનો મુખ્ય ભાગ પ્રગટ થાય છે. તે પછીની ઘટના ખૂબ જ ઝડપથી ઘટે છે, કારણ કે પોતાને બચાવવાની એક ખતરનાક રણનીતિ નક્કી કરી લીધા પછી સસલાને એક પણ ક્ષણ બગાડવી પોસાય નહીં. વાર્તા સાંભળનાર, સંવાદો દ્વારા એક પછી બીજી સ્થિતિમાં ધક્કો ખાતાં ખાતાં આગળ વધે છે. અહીં, સાંભળનાર પાસે આખી ઘટના સસલાની દ્રષ્ટિએ જોવા સિવાયનો વિકલ્પ રહેતો નથી. 

ટૂંકમાં કરેલું આ વિશ્લેષણ તે કારણોને ઓળખવા માટે પૂરતું છે, જે કારણે આ વાર્તા બાળકોમાં અત્યંત લોકપ્રિય બની છે. સૌથી પહેલી વાત તો એ કે આ વાર્તા તેમને એક એવો નાયક- હીરો આપે છે, જેની સાથે તેઓ તાદાત્મ્ય અનુભવી શકે છે. તે હીરો છે સસલું. વાર્તામાં સસલું એવા પડકાર અને મુશ્કેલીઓમાંથી પસાર થાય છે, જેવી બાળકો પોતાના દૈનિક જીવનમાં અવારનવાર અનુભવતા હોય છે. સસલું નાનું અને અશક્ત છે, તેણે એક એવું ભારે કામ કરવાનું છે, જે તે કરવા માગતું નથી. તેને એક એવા પ્રાણીનો શિકાર થવાનો ડર છે, જેની પાસે સંપૂર્ણ સત્તા અને શારીરિક તાકાત પણ છે. સસલાની પરિસ્થિતિના આ પાસાઓ દરેક બાળકની જિંદગીના પાસાઓ સાથે મળતા આવે છે. જોકે, માતા-પિતા કે શિક્ષકની ભૂમિકા ભજવવામાં ખોવાયેલા આપણે આ બધું જોઈ શકતાં નથી. ઉદાહરણ તરીકે, ઘણા ઓછા લોકો જાણે છે કે બાળકોમાં ચિંતા ઉભી કરનારા મુખ્ય કારણોમાંનું એક છે અચાનક થનારા મૃત્યુનો ડર.

શરૂ થતાની સાથે જ આ વાર્તા બાળકોનું ધ્યાન એટલા માટે આકર્ષિત કરે છે, કે બાળકો પોતાને તે વાર્તામાં જોઈ શકે છે. તે પછી વાર્તામાં આવતી ઘટનાઓને કારણે તેનું આકર્ષણ ઘૂંટાતું જાય છે. નાનકડું સસલું એક રણનીતિ ઘડે છે અને તે સફળ પણ નિવડે છે. સસલાની ચતુરાઈ ફક્ત તેના પોતાના માટે જ નહીં, પણ બધાની એક સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દે છે. નાના બાળકોને આવા જ ઉકેલ ગમતા હોય છે. સસલાની રણનીતિ પ્રત્યે બાળકોના આકર્ષણનું એક કારણ છે કે બાળકોમાં જોવા મળતી નિર્દોષ, ભોળી ઈચ્છા -બહાનું કાઢવાની ઈચ્છા -તે રણનીતિમાં પડઘાય છે; મોડું પહોંચવા બદલ સસલું બહાનું બનાવી કાઢે છે. બીજું એક આકર્ષણ એ પણ છે કે તેનો હેતું ફક્ત પોતાનો જીવ બચાવવાનો જ નહીં, સિંહને મારવાનો પણ છે. હકીકતમાં, સસલાની દુવિધા એટલા માટે આકરી છે કે એક અન્યાયીને મારી નાખ્યા વગર તે પોતાને બચાવી શકવાનું નથી. આમ, મુશ્કેલીમાંથી પાર ઉતરવાનું જબરજસ્ત નાટયતત્વ રજુ કરવા માટે આ વાર્તા બહાદુરીપૂર્વક કરેલા નાશનો ઉપયોગ કરે છે. આમાં જો કોઈ નૈતિકતા છે, તો તે એ કે આત્મરક્ષા જ નૈતિકતા છે. આ વાત પણ આપણે ત્યારે જ જોઈ શકીએ જ્યારે આ વાર્તા બાળકોની નજરે જોઈએ. આપણે જો વડીલોની નજરે આ વાર્તા જોવાની જીદ રાખીશું, તો એવા તારણ પર પહોંચીશું કે આ એક અનૈતિક વાર્તા છે, જેવી તે ખરેખર છે પણ ખરી.

જરૂર શું છે? :
અત્યાર સુધીમાં તમને એટલું તો સ્પષ્ટ થયું હશે કે, એક સારી વાર્તા સાંભળતી વખતે બાળકોને નૈતિક-અનૈતિક શિક્ષણ સાથે સંબંધ હોતો નથી અથવા સીધો સંબંધ હોતો નથી. વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો સસલુ અને સિંહની વાર્તા એક પ્રેરક વાત પણ છે. આ વાર્તા જણાવે છે કે મુશ્કેલીના સમયે મગજ ઠંડુ રાખવાથી શું ફાયદો થાય. આ વાર્તા એમ પણ દર્શાવે છે કે વિચાર, બુદ્ધિ અને કલ્પનાનો ઉપયોગ કેટલો મહત્વનો છે. પણ, આ વાતો પારંપરિક અર્થમાં નૈતિક શિક્ષણ કહી શકાય નહીં. હકીકતમાં, મહાન પરંપરાગત વાર્તાઓ રૂઢિગત અર્થમાં ભાગ્યે જ નૈતિક શિક્ષણ આપતી હશે. આપણે એ વાત ધ્યાનમાં લેવી જરૂરી છે કે વાર્તા સંભળાવવાનો હેતુ બાળકોનો નૈતિક વિકાસ કરવો એ નથી. વાર્તા સાંભળવાથી થતા લાભ જરા જુદા પ્રકારના છે અને તે આમ છે :

વાર્તાઓ સારી રીતે સાંભળવાની ક્ષમતાનો વિકાસ કરે છે : 
સારો શ્રોતા કોણ? તે, જે છેલ્લે સુધી સાંભળે. મોટાભાગના લોકો વિશે આપણે આવું કહી શકીએ એમ નથી. ત્યાં સુધી કે, ઔપચારિક દલીલો દરમ્યાન પણ લોકો એકબીજાને ટોકતા રહે છે. તેનું કારણ એ, કે ટોકનારાને એમ માનવાની ટેવ હોય છે કે સામેવાળી વ્યક્તિ શું બોલશે તે તેમને પહેલેથી ખબર છે. બીજું એક કારણ એ કે તેમનામાં સાંભળવાની ધીરજ હોતી નથી. નવાઈ ના લાગવી જોઈએ, કે સાંભળવું એ હવે કૌશલ જ નહીં, એક વલણ માનવામાં આવે છે; જેને પ્રોત્સાહિત કરવા માટે ઉચ્ચ સ્તરીય મેનેજરીયલ અને વહીવટને લગતા કોર્ષ શરૂ થઈ ગયા છે. વાર્તા સાંભળતાં જતાં જ્યારે સાંભળવું અને તેને લગતાં વલણ આપણી ટેવ બની જાય, ત્યારે જિંદગીના નિર્ણાયક તબક્કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા વિકસિત થાય છે.

આ વાત થોડી વિચિત્ર છે કે આપણા દેશમાં, જ્યાં સક્ષમ મૌખિક પરંપરા ઘણો લાંબો સમય ચાલી, ચાલતી રહી; સારા શ્રોતા દુર્લભ થતા જાય છે. મારું માનવું છે કે આ પરિસ્થિતિનો સંબંધ બાળપણમાં થયેલી વાર્તાની ઉપેક્ષા સાથે છે. એમ લાગે છે કે આધુનિક ભારત પાસે બાળકોને નિયમિતપણે વાર્તા કહેવાનો સમય નથી. તે ચૂકનું પરિણામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

વાર્તા સાંભળવાથી અનુમાન લગાવવાની કેળવણી મળે છે :
બાળકો પોતાને ગમતી વાર્તા વારંવાર સાંભળવા ઈચ્છે છે. કારણકે, એકવાર વાર્તાનો પરિચય થઈ જાય તે પછી ધ્યાનપૂર્વક વાર્તા સાંભળવાની પોતાની વધી રહેલી ક્ષમતાની ચકાસણી કરવા બાળકો તે પરિચયનો ઉપયોગ કરે છે. સ્વાભાવિક છે કે આ ચકાસણી અજાણતા થાય છે. વાર્તા બીજી કે ત્રીજી વાર સાંભળતી વખતે આગળ શું થશે તે વિશે પોતે સાચો અંદાજ લગાવી શકે છે તે જોવાથી બાળકોને આનંદ થાય છે. પોતાનો અંદાજ સાચો પડ્યાનો આનંદ જ એ ઈનામ છે, જે વાર્તા સાંભળતી વખતે એક અનુભવી શ્રોતા મેળવે છે. અને તે ફક્ત આનંદ જ નથી, તેનાથી વાર્તા સાંભળનાર બાળકનો પોતાની અંદાજ લગાવવાની ક્ષમતા પર વિશ્વાસ વધે છે. બાળકના સર્વાંગીણ વિકાસમાં આવા વિશ્વાસની ઘણી મોટી ભૂમિકા છે, ખાસ તો વાંચન ક્ષમતાના વિકાસ માટે. વાંચન ક્ષમતા એ શાળાના પહેલા બે ધોરણો માટેનો સૌથી મોટો પડકાર છે. સાક્ષરતા અને વાંચન વિકાસમાં અંદાજ લગાવવાની ક્ષમતાના ફાળાની વિસ્તૃત ચર્ચા મેં મારા પુસ્તક 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' -માં કરેલી છે

અંદાજ લગાવવાની ક્ષમતાનું મહત્વ બીજા વિષયો, ખાસ તો ગણિત અને વિજ્ઞાનમાં પણ છે. નિયમનો ઉપયોગ કરી સમસ્યાનો ઉકેલ કાઢવાનું ગણિતમાં સૈદ્ધાંતિક મહત્વ છે. વાર્તાઓમાં પણ નિયમ હોય છે, ફેર એટલો જ કે તે નિયમો રૂપકો તરીકે હોય છે ઉદાહરણ તરીકે, નાનું પ્રાણી ચાલાકી કરીને, મોટા પ્રાણીને છેતરીને વિજય પ્રાપ્ત કરે તે નિયમ ઘણી વાર્તાઓમાં જોવા મળે છે. સસલું અને સિંહની વાર્તામાં પણ એમ જ થાય છે. વાર્તાઓ સાંભળતા સાંભળતા બાળકો તેમાં રહેલા નિયમ પકડી પાડે છે અને આ પકડ જ તેમની અંદાજ લગાવવાની ક્ષમતાની ધાર કાઢે છે.

વાર્તા આપણી દુનિયા વિસ્તારે છે :
હું એ દુનિયાની વાત કરું છું જે આપણે આપણા માથા અથવા દિમાગમાં લઈને ચાલીએ છીએ. વાર્તા તે દુનિયાને એ અર્થમાં વિસ્તાર છે કે તેમના દ્વારા આપણે એવા લોકો અને પરિસ્થિતિઓને ઓળખી શકીએ છીએ, જેમની સાથે આપણે ક્યારેય જોડાવાનું થવાનું નથી. 

પ્રશ્ન એ છે, કે આવા લોકો અને સ્થિતિઓને જાણવાનો ફાયદો શું? ફાયદો એ કે તે જીવનના અંગ છે. તે બધું ભલે આપણે વ્યક્તિગત રૂપે જાણતા ન હોઈએ, પણ તે આપણને માનસિકરૂપે હેરાન કરે જ છે -ખાસ કરીને બાળપણમાં- અને આ હેરાનગતિ એક રીતે જીવનભર ચાલે છે. ઉદાહરણ તરીકે, નાના બાળકો ખરાબ લોકો વિશે ઘણી ચિંતા કરતા હોય છે. ભલેને તેમની આજુબાજુ કોઈ બહુ ખરાબ વ્યક્તિ ના હોય! આમ, તેઓ અંદરખાને એવી આશા રાખતા હોય છે કે તેમને કોઈ ખૂબ હોશિયાર, સુંદર અને સારા વ્યક્તિને મળવાની તક મળે. કલ્પના અને ભયંકર મુશ્કેલીનો ડર, આ બંને આદર્શ રીતે બાળ મનોવિજ્ઞાનનો હિસ્સો છે. પારંપરિક વાર્તાઓ આ મનોવિજ્ઞાનને જ વ્યક્ત કરે છે અને તેથી જ એવી વાર્તાઓ બાળકોને સરળતાથી આકર્ષે છે. વાર્તા સાંભળવાથી નાનું બાળક, જે હજી સાક્ષર પણ નથી બન્યું, પોતાની વાસ્તવિક દુનિયા કરતાં ઘણી મોટી દુનિયાનો કાલ્પનિક અનુભવ લઈ શકે છે.

વાર્તાના સંદર્ભમાં ઉપર લખેલી ચારેય વાત વાંચનને પણ લાગુ પડે છે. ભાષામાં રહેલા નિયમો અને ભાષાની સંરચનાઓ સાથે બાળકોનો પરિચય વાંચન કરાવે છે. સારું વાંચન એ હોશિયારી પૂર્વક અંદાજ લગાવવાની આદત પર આધારિત છે. ભાષાના નિયમોથી પરિચિત થયા પછી બાળકો અંદાજ લગાવી લે છે કે વાક્ય અથવા સંવાદમાં આગળ શું થશે. આ દ્રષ્ટિએ, વાર્તા સંભળાવવી બાળકોને સાક્ષર બનાવવા માટે ઉપયોગી છે.

વાર્તા કહેવાની આવડત : 
વાર્તા કહેવાની કળા પર અધિકાર મેળવવા ઈચ્છુક વ્યક્તિ માટે જરૂરી છે કે તે પોતાની સ્મૃતિને ગંભીરતાથી લે. કહેવાવાળાને જો વાર્તા બરાબર યાદ નહીં હોય, તો તે સારામાં સારી વાર્તાની પણ વાટ લગાડી શકે છે. યાદ રાખી લેવાથી આત્મવિશ્વાસ વધે છે અને વાર્તા કહેવાવાળી વ્યક્તિ નિરાંત અનુભવે છે. શ્રોતાઓ સાથે સંબંધ બનાવવા માટે નિરાંત અથવા શાંતિ ખૂબ જરૂરી છે. બીજી વાત એ કે જ્યારે વાર્તા બરાબર યાદ હોય ત્યારે કહેનાર તેનો ઉપયોગ એક માળખા અથવા નકશા તરીકે કરી શકે છે.

આ માળખાનો ઉપયોગ શ્રોતાઓના મૂડ પ્રમાણે વાર્તામાં રંગ ભરવા થઈ શકે છે. વાર્તાને લાંબી કે ટૂંકી કરવી તે પણ અગત્યનો મુદ્દો છે. કોઈ દિવસ તમે ઈચ્છો કે સસલું સિંહ સામે ઊભું છે તે મુદ્દા પર તમે ખૂબ જ ઝડપથી પહોંચી જાવ. બીજા કોઈ દિવસે તમારી ઈચ્છા હોય કે વાર્તાના પહેલા ભાગને લંબાવો અને ભૂખ્યા સિંહના મનમાં કેવા- કેવા વિચાર આવી રહ્યા હશે, સિંહની ગુફા તરફ જઈ રહેલ સસલું કેવી -કેવી યોજના બનાવી રહ્યું હશે, વગેરે વિશે વિસ્તૃત ચર્ચા કરો. 

વાર્તામાં આવતા સંવાદમાં ઘણા વિકલ્પ રહેલા છે. તમે ઈચ્છો તો નાટકીય રીતે બે પ્રકારના અવાજમાં બોલીને ઈશારા અથવા મુદ્રાઓ દ્વારા સંવાદ રજૂ કરી શકો. સંવાદને જીવંત બનાવવા માટે તમે કઠપુતળીનો ઉપયોગ કરી શકો. વર્ગના એક ખૂણેથી બીજા એક ખૂણે ચાલીને તમે બંને પાત્રોને ભૂમિકા નિભાવી શકો. આ બધી શક્યતાઓ રોમાંચક છે અને તે આપણને પડકાર ફેંકે છે કે આપણે એક જ વાર્તાને દર વર્ષે અથવા એક જ વર્ષમાં ઘણી બધી વાર નવી નવી રીતે કહીને પોતાનું સામર્થ્ય વધારતા જઈએ.

જે શિક્ષકની જિંદગીમાં વાર્તાકથન સામેલ છે, તેનું જીવન ક્યારેય કંટાળાજનક હોઈ ન શકે. વાર્તાને રોજની ઘટના બનાવવા માટે પ્રાથમિક શાળાઓના પાઠ્યક્રમ વિશેની આપણી ધારણાઓને ગંભીરતાપૂર્વક બદલીએ.

_ કૃષ્ણકુમાર : પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને લેખક, શિક્ષણના મુદ્દા ઉપર સતત ચિંતન અને લેખન, 'રાજ, સમાજ ઔર શિક્ષા', 'બચ્ચે કી ભાષા ઔર અધ્યાપક' વગેરે તેમની પ્રસિદ્ધ રચનાઓ છે.

22.11.20

૧.૨. સિતારા સુધીની સીડી

સમયનો વ્યાપ સમજવાનો કોઈ રસ્તો ખરો?
બ્રહ્માંડના જન્મ થી શરૂ કરીને આ ક્ષણ સુધીના સમયગાળાને સંકોરીને આપણે એક વર્ષનું કલેન્ડર બનાવી કાઢ્યું છે.

તેના પ્રમાણ માપ મુજબ દરેક મહિનો એટલે લગભગ સો કરોડ કરતાં થોડાક વધારે વર્ષ.
દરેક દિવસ એટલે લગભગ ૪૦૦ લાખ વર્ષ.

આપણી વાર્તા આપણી આ નાનકડી દુનિયાના બીજા સજીવો સાથે જ શરૂ થાય છે.
પૃથ્વી પરના પ્રત્યેક સજીવની મા એક છે.
લગભગ ૪૦૦ કરોડ વર્ષ પહેલાં, 15મી સપ્ટેમ્બરે મહાસાગરના ઉંડાણના અંધારામાં તે ઘટના ઘટી.
આજનું નાનકડા એક કોષી જીવતંત્રમાં એક જાતનો રાસાયણિક દાદર હતો, ડબલ હૅલિક્સ, DNA.

તારકરજ.
ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન...

સુદૂર પ્રાચીનતમ તારાઓના ગર્ભમાં તત્વો રંધાયા, બિગ બેંગ વખતના હાઈડ્રોજન સહિત, આપણી આ નાનકડી દુનિયા ધબકાવવા.

આકસ્મિક ફેરફારો અને સંકરિત થતાં જનીનો જેવી ઘટનાઓમાંથી કેટલીક ઘટનાઓ જીવ સ્વરૂપો નિપજાવવામાં સફળ રહી, જેને આપણે કુદરતની પસંદગી આધારિત ઉત્ક્રાંતિ કહીએ છીએ.

સીડી લંબાતી ગઈ, વધુને વધુ પગથિયાં ઉમેરતી ગઈ.

આજે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તેવા પ્રાણીઓ અને વનસ્પતિ જેટલા સંકુલ જીવ સ્વરૂપો ઉત્ક્રાંત કરવામાં જીવનને બીજા 300 કરોડ વર્ષ થયાં.

આપણા કોસ્મિક કેલેન્ડરમાં રજા રાખીએ તો 26મી ડિસેમ્બર તેમાંનો એક દિવસ થાય.
લગભગ 2000 લાખ વર્ષ પહેલાં પહેલો સ્તનધારી ઉત્ક્રાંત થયો.
તેમની સાથે પૃથ્વી પરના જીવનને મળ્યું એક નવું લક્ષણ- નીઓકૉર્ટેક્સ.
ટ્રિઆસીક* સમયગાળા દરમિયાન આ પ્રકારની પ્રજાતિ માટે ટકવાની તકો ઘણી ઓછી હતી. પરંતુ, પાછળથી પૃથ્વીની બીજી પ્રજાતિઓના કાળ એવા ડાયનોસોર લુપ્ત થયા.
નાનકડા, સંતાતા ફરતા સજીવોમાં ઉત્ક્રાંત થયેલા નીઓકૉર્ટેક્સને કારણે જ તેમના વંશજો વાનસ્પતિક જીવન રીત છોડી આગળ વધી શક્યા.

સ્તનધારીઓ બીજુ એક લક્ષણ પણ લાવ્યા જેનાથી આપણે સૌ પરિચિત છીએ.
તેમણે તેમના બાળકોને ધવડાવ્યા.
તેમણે બાળકોને પોષ્યા.
અને પ્રેમ કેળવાયો.
કોસ્મિક કેલેન્ડરનો મધર્સ ડે.

કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ એટલે જે સજીવો વાતાવરણ સાથે સારું અનુકૂલન સાધી શકે તેઓ અને તેમના બાળકોની ટકી જવાની શક્યતા વધારે.
કુદરતની પસંદગીમાં બુદ્ધિ એક મોટો વિશેષાધિકાર બની, ખાસ ફાયદો.

ફક્ત ૧૩ પરમાણુ વડે ઘટેલી એક ઘટનાને કારણે વનસ્પતિનું નસીબ કાયમ માટે પલટાઈ ગયું.
13 પરમાણુ કેટલા નાના હોય?
મીઠાના એક કણના 1,00,00,00,00,00,00,000મા ભાગ જેટલા.

આપણા કોઈ એક જ પૂર્વજના જનીનમાં સંકરણ- મ્યુટેશન થયું.
આપણા આત્મવિશ્વાસનો દરેક સ્ત્રોત, આપણે જે કંઈ શીખ્યા, જે કંઈ રચ્યું તે બધાનું મૂળ અહીં છે.
એક જનીનની સંરચનાત્મક જોડ.
તેના કારણે નીઓકૉર્ટેક્સ વધુને વધુ મોટું થતું જાય અને પોતાનામાં જ વળ ખાતું જાય તેવું પ્રોગ્રામિંગ શક્ય બન્યું.
કદાચ બ્રહ્માંડિય વિકિરણોની એક ચિનગારી અથવા વિભાજન પછી જૂના કોષની નવા કોષને જનીન આપતી વખતે થયેલી સામાન્ય ચૂક.
તે જે હોય તે, તેના કારણે આપણી પ્રજાતિમાં એક એવો ફેરફાર થયો જેની અસર આપણા પર જ નહીં, પૃથ્વી પરના તમામ સજીવો પર થઈ.

આ ઘટના બની આપણા કોસ્મિક કેલેન્ડરના નવા વર્ષની સંધ્યાએ.

સારું કે નરસું, તે બાજુએ રાખીએ તો, મોટા સમૂહો સાથે જોડાવાની અને તેમના પ્રત્યે વફાદાર રહેવાની, ચોક્કસ વિચાર ધારા પ્રત્યે આપણી ઘેલછા, ભવિષ્યની કલ્પના કરવાની આપણી શક્તિ, દુનિયાને બદલી નાખવાની આપણી તાકાત અને આપણી જિજ્ઞાસાના જવાબો શોધવા બ્રહ્માંડમાં ખાંખાખોળા કરવાની આપણી જીદ. . .
અને જેનો લેટિન અર્થ થાય 'સમજુ માણસ' થાય એવું આપણે આપણી પ્રજાતિને આપેલું વૈજ્ઞાનિક નામ -હોમો સેપિયન, તે બધું આપણી ઝીણકડી જનીન સીડીના એક પગથિયા પરથી ઉંચકાયું છે.

કોસ્મિક કૅલેન્ડરના છેલ્લા કલાકની છેલ્લ મિનીટે આપણા પૂર્વજો નાનકડા જૂથમાં રહેતા શિકારી અને વીણનારા હતા.

'માનવી માનવ થાય તોય ઘણું.' એમ લોકો બોલે છે ત્યારે મને જરાક નવાઈ લાગે છે.
સામાન્ય રીતે, તેઓ આપણી લાલસા, ઉપેક્ષા અને હિંસાની વાત કરતા હોય છે.
પણ, આપણને માણસ થયે તો માંડ અમુક સો હજાર વર્ષ થયાં.
વળી, આ સમયગાળા દરમિયાન આપણે એવા ન હતા.
આ વાત કઈ રીતે ખબર પડી?

હજી પણ ટકી ગયેલા શિકારી- ભટકતા જૂથોની જીવનશૈલી વિશે પુરાતત્વવિદો અને સંશોધકોએ એકઠી કરેલી માહિતી પરથી.
બેશક તેમાં અપવાદ છે, ખાસ કરીને આત્યંતિક દુષ્કાળના સંજોગોમાં.
પણ, તે સિવાયની માહિતીનો ખડકલો એક એવા માણસનું ચિત્ર રજૂ કરે છે જે બીજા માણસો સાથે અને પર્યાવરણ સાથે સંવાદિતામાં જીવ્યો હતો.
આપણી પાસે થોડું ઘણું જે કાંઈ હતું તે આપણે અંદરોઅંદર વહેંચ્યું, કારણકે આપણું ટકવું આપણા સામુહિક જોડાણ પર ટકેલું હતું.
આપણી જરૂરિયાતો કરતાં વધારે આપણે ભેગું કરતા ન હતા. કારણકે સતત ભટકતા જીવનમાં તે બોજ બનતું.
પ્રભાવ સ્થાપવા દાદાગીરી કરતા આલ્ફા મેલ- આક્રમક પુરુષની પરંપરાવાળા આપણા ચોપગા પૂર્વજોથી આપણે ખાસ અલગ ન હતા.

અને ઈશ્વર ક્યાં હતો?
બધે જ.

કાંકરા અને નદીઓમાં, વૃક્ષોમાં, પક્ષીઓમાં, બધા સજીવ સ્વરૂપમાં.
આવો હતો માણસનો સ્વભાવ, શરૂઆતના અમુક સો હજાર વર્ષ સુધી.

આફ્રિકાના દક્ષિણ છેડે ઊભો રહી હું વિચારું છું કે, તે સો હજાર વર્ષ દરમ્યાન અહીં બધું કેવું હશે?

ત્યારે પૃથ્વી પરના તમામ હોમોસેપિયન્સનું ઘર હતું આફ્રિકા.
તમામ 10, 000 જણનું.
તે સમયે જો તમે એલીયન તરીકે પૃથ્વીની મુલાકાતે આવો તો તમને લાગે કે માણસ લુપ્ત થવાને આરે આવેલી પ્રજાતિ છે.
થોડાક સમયમાં આપણે સો લાખ થઈ ગયા.

શું થયું?
આપણે કેવી રીતે પૃથ્વીની મજ્જા, અવકાશ યાત્રા કરતી પ્રજાતિ બન્યા?

પૃથ્વીની સૌથી પહેલી પ્રયોગશાળામાં તમારુ સ્વાગત છે.
આપણા પૂર્વજો અહીં લોખંડ અને ગેરુથી સમૃદ્ધ ખનિજ તત્ત્વો સાથે રાસાયણિક પ્રયોગો કરી રહેલા.
તેમણે પોતાની વસ્તુઓ લાલ રંગથી સજાવી. બને કે તેમણે ગેરુના બીજા ઉપયોગો પણ કર્યા હોય. જેમકે, પ્રાણી માંસ સાચવવા, દવા તરીકે, હથિયારોની અણી કાઢવા કે પછી જીવાત ભગાડવા.
તેમણે કેટલાક પ્રતીકો સ્વરૂપે ગેરુ અંકિત કર્યો.

પૃથ્વી પર તદ્દન નવી બાબત આવી- કળા.
ના ખોરાક.
ના રહેઠાણ.
પણ કશુંક સંજ્ઞિત કરનાર.
અથવા એમ જ.
તે ચિત્ર કોઈ સીડી અથવા અંદરો અંદર ગૂંથાયેલી બે સીડી- ડબલ હેલિક્સ જેવું લાગે છે. 
તે જે હોય તે, તે માનવ સભ્યતાની સૌથી જૂની કલાકૃતિ છે.

બ્લોમ્બોસ ગુફામાં આપણે મેળવી એક મહાન શક્તિની સાબિતી પડી છે.લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ વર્ષ પહેલા માણસોએ એક ભવ્ય તાકાત શોધી.
ખોરાક માટે ભટકવાનું છોડી આપણે ખેતી કરવાનું શીખ્યા.
તેને કારણે બધું જ બદલાઈ ગયું.
અગાઉ ક્યારેય ના કર્યું હોય તેવું કશુંક આપણા પૂર્વજોએ કર્યું.
છોડ રોપવા, વાઢવા, જમીનમાંથી ખેંચી કાઢવા આપણા પૂર્વજોએ નવા સાધનો અને તકનીકો શોધ્યાં.
તેઓ સ્થિર અને 'ઘર'વાળા થયા.
તે સાથે કુદરત અને એકબીજા સાથેનો આપણો સંબંધ અગાઉ જેવો નહોતો રહેવાનો.
પ્રાણીઓ અને વનસ્પતિઓને પાળવાં, તે બધી જ ક્રાંતિઓની જનેતા છે, કારણકે બધાં મૂળ અહીં રોપાયા.
તેની અસરો ખૂબ લાંબા સમય સુધી, છેક આપણા સમય સુધી વર્તાવાની હતી.
મોટાભાગની ક્રાંતિઓની જેમ આ ક્રાંતિ પણ ફેરફારો લાવી -ખૂબ મોટા અને ડરામણા.
દુનિયામાં એક નવી સંકલ્પના જન્મી- ઘર.
આ ગ્રહ પરનો જમીનનો એક ચોક્કસ ટુકડો, જેના પર આપણો કોઈ પૂર્વજ અને પછી આપણે જન્મ્યા અને જીવ્યા.
લગભગ 7000 વર્ષ પહેલાં આ વસાહતો ઘણી મોટી થઈ.
ચૅલકોલિથીક* - ઍન્ટોલિયન મેદાની પ્રદેશની આ વસાહતમાં તમારું સ્વાગત છે.

###

*2510 લાખથી 1990લાખ વર્ષ પહેલાંનો સમયગાળો. જેના અંત ભાગમાં ડાયનોસોરનું સામુહિક નિકંદન નીકળી ગયું.

*ચૅલકોલિથીક- પથ્થરયુગ અને ધાતુ યુગ વચ્ચેનો સંક્રાંત ગાળો, તેને લગતા પુરાતત્વીય અવશેષો મળી આવેલ છે તે સ્થળ

*ઍન્ટોલિયન પ્રદેશ- હાલના તુર્કનો વિસ્તાર


ભાગ-૧: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post.html

15.11.20

૧.૧. સિતારા સુધીની સીડી

આપણે શિકારી, પશુપાલક હતા.
ચારે બાજુ વાડ હતી.
આપણે ફક્ત જમીન, મહાસાગરો અને આકાશથી બંધાયેલા હતા.
ખુલ્લો રસ્તો હજીય આપણને વિસરાયેલા બાળગીતની જેમ બોલાવે છે. પછડાટ અને હાર, બધી મર્યાદાઓ અને અણઆવડતો છતાં આપણે મહાનતાને લાયક છીએ.
એક વારની રખડું આપણી પ્રજાતિ આવતી સદીના અંત સુધીમાં કેટલે દૂર પહોંચશે?
અને આવનારા હજાર વર્ષમાં?
બ્રહ્માંડ દરિયાના કિનારે તમારું ફરીથી સ્વાગત છે.

જેની મોટાભાગની હજી ખેડાયા વગરની છે, તે સ્થળ-કાળની વિશાળતા ગહન છે. 
વિજ્ઞાને ભાળેલી દુનિયાઓની ઝાંખી કરવા આપણે જઈ રહ્યા છીએ.
ધરતીની નીચે પથરાયેલી સબંધોની ગોઠવણની આપણે મુલાકાત લઈશું, જેના અસ્તિત્વ વિષે કોઈને ખબર ન હતી.

હું તમને પહેલાં મિલનની વાર્તા કહેવા જઈ રહ્યો છું.
આપણે ભયંકર સાહસી માણસોને મળીશું.

તારાઓમાં ઘર બનાવી બેઠેલા આપણા ઘણા દૂરના સગાને મળવા આપણે ઉપલબ્ધ ભવિષ્યમાં યાત્રા કરીશું, .

વિજ્ઞાન આપણને વિશાળતાનીયે પાર લઈ જઈ શકે છે.
પણ, કલ્પના વગર આપણે ક્યાંય ના જઈ શકીએ.
આપણી કલ્પના શીપ બે ઈંધણથી પેટાયેલી છે, શંકા અને આશ્ચર્ય.
વિજ્ઞાને નક્કી કરેલા સાવ સાદા નિયમોથી તે સંચાલિત છે, જે તેને શક્તિશાળી બનાવે છે.
પ્રયોગો અને નિરીક્ષણ વડે વિચારોને તપાસો.
તેમાં ખરા ઉતરે તે વિચારોને લઈ આગળ વધો.
કસોટીમાં નાપાસ થાય તે વિચાર છોડી દો.
સાબિતીઓ જ્યાં લઈ જાય ત્યાં જાઓ.
અને બધ્ધે પ્રશ્ન પૂછો.
આટલા નિયમ હ્રદયમાં કોતરી લો અને બ્રહ્માંડ તમારું છે.
ચાલો, મારી સાથે.

આજની યાત્રામાં આપણે ખૂબ દૂરની આકાશગંગાએ જઈ રહ્યા છીએ.
અને આપણે જાણીશું કે એક પ્રજાતિ તરીકે આપણે બ્રહ્માંડના ખોજી કઈ રીતે બન્યા.
નાસાનું વોયેજર વન.
૧૯૭૭માં છોડાયેલું, માનવ હાથોએ બનાવેલું, સૌથી દૂર પહોંચેલું સાધન.
છેલ્લે આપણે તેને મળ્યા તે પછી તેણે લાંબી મજલ કાપી છે, લગભગ ૨૪ કરોડ કિલોમીટર.
વૉયેજર આપણી દૂધ ગંગાના બીજા ભાગ તરફ જઈ રહ્યું છે, આપણી મંઝીલ તેથી અલગ, વધારે દુર છે.

બ્રહ્માંડનો દરિયો સમયસ્થળનો બનેલો છે.
સમય બદલ્યા વગર આપણે જગ્યા બદલી શકતા નથી.
આપણે સો કરોડ પ્રકાશવર્ષથીય વધારે દૂર જવાનું છે.

તેથી, આપણે સો કરોડ વર્ષ જેટલા ભૂતકાળમાં પણ યાત્રા કરવાની થશે. એક એવી ભયાવહ ઘટનામાં જેણે સમયને પણ રગદોળી નાખેલો.

મંઝીલની નજીક પહોંચી ગયા આપણે : બે મહાકાય તારાઓ પોતાનામાં જ ફસડાઈ પડતાં બે શ્યામ વિવર જનમ્યા.
તે ઘડીથી, લગભગ સો કરોડ વર્ષથી, તેઓ એકબીજા ફરતે ગુરુત્વાકર્ષી નૃત્ય કરી રહ્યા છે.
આપણે તેનું અંતિમ દ્રશ્ય જોવા આવ્યા છીએ.
જ્યારે તે બંને અથડાશે ત્યારે તેઓ સ્થળ-કાળની સુનામી ઊભી કરશે જે બધી દિશાઓના અવકાશને ખેંચશે અને દાબશે.
અને, સમયની ઝડપ વધારતાં પહેલાં તે તેને ધીમો પાડશે.
તે સમયને વધુ ધીમો પાડશે.
સો કરોડ પ્રકાશ વર્ષ દૂરના અવકાશને તે બધી દિશામાં ખેંચશે અને દાબશે. ગુરુત્વાકર્ષણ અને ધીમો પડતો સમય, સ્થળકાળની સુનામી સર્જાશે.
સો કરોડ પ્રકાશવર્ષ સુધીના અવકાશને તે બધી દિશાએથી ખેંચશે અને દાબશે.

સો કરોડ પ્રકાશવર્ષ દૂર બનતી ઘટના સાથે આપણી સાથે શું લેવાદેવા?

સ્થળકાળ ભેદીને દ્રવ્ય તરંગો પ્રસરાવી શકે છે તેવું સમજનારા આલ્બર્ટ આઈન્સ્ટાઈન પહેલા હતા.
તેમણે ધારણા કરી હતી કે દ્રવ્યમાં થતા ભયાવહ ધડાકા સામાન્ય તરંગ નહીં, ખૂબ મોટાં મોજાં, ગુરુત્વાકર્ષી તરંગ સર્જી શકે છે.

તમે મને તમારા ડિવાઈસ પર સાંભળી-વાંચી શકો છો કારણ કે આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગપટને અનુકૂળ રીતે કાબુમાં રાખવાનું શીખી ગયા છીએ.
ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગોની જેમ જ જો આપણે ગુરુત્વાકર્ષી તરંગો પર સવારી કરતા શીખી જઈએ તો. . . ?
અત્યારે આ વાત એટલી જ અશક્ય લાગે છે, જેટલી 19મી સદીમાં ઈલેક્ટ્રિસિટી પર કામ કરી રહેલા વૈજ્ઞાનિકોને વિદ્યુતચુંબકિય તરંગો પર લગામ લગાવવાની વાત લાગતી હતી.

કોસ્મોલોજીસ્ટ્સ શ્યામ વિવરની હાજરીની ઘોષણા કરી ચૂકેલા.
ગુરુત્વાકર્ષી તરંગો એ બ્લેક હોલના અસ્તિત્વની પહેલી, સીધી સાબિતી છે.
બને કે તે તરંગો બ્રહ્માંડને જાણવા અને ખોજવાના નવા વિકલ્પો પણ આપે.

મહાન અંધારિયા મહાસાગરની ભીતર ઉતરવા વિજ્ઞાને ઘડી કાઢેલી બીજી ઈન્દ્રિયો સાથે પણ તેને જોડી શકાય : જાતભાતનો પ્રકાશ- ગામ કિરણો, એક્સ રે, અધોરક્ત, પારજાંબલી, રેડિયો તરંગો અને દ્રશ્ય પ્રકાશ.
બ્રહ્માંડ જોવાની અવનવી રીતો કદાચ આપણને પેલા શ્યામ વિવર અને જેમના વિશે આપણે હજી સુધી અંધારામાં છીએ તેવા આપણા બ્રહ્માંડના ભાગોની અંદર શું થઈ રહ્યું છે, તે જોવામાં મદદરૂપ થઈ શકે.

સર્જનની પહેલી પળ, બ્રહ્માંડના જન્મ વખતે ઉઠેલા ગુરુત્વાકર્ષી તરંગોને જો આપણે પકડી શકીએ, તો કેવું?

આપણે આટલા બધા હુંશિયાર કેવી રીતે બન્યા?
આપણે માણસની ઉત્ક્રાંતિ વિશે તો કંઈક જાણીએ છીએ, પણ માણસનું મગજ કેવી રીતે ઉત્ક્રાંત થયું?
સિતારાઓ સુધી લઈ જતી સીડીની મહેચ્છા ક્યાંથી આવી?
બ્રહ્માંડનો પોતાને ઓળખવાનો માર્ગ આપણે કઈ રીતે બન્યા?


12.4.20

ફેંટી હુઈ કાફી યાની ડાલગાનો

હમો નથી ચૅલેન્જ કે ટ્રેન્ડ્યુના  માણસ
કરોનાના કર્યા સામૂહિક ઘટનાના માણસ

તો, એક માણસને કેટલું જોઈએ, હેં? અને તમને તો ખબર જ છે કે આપણને બગાડ તો જરાય ગમે જ નહીં.
એટલે અડધી ચમચી કૉફી, એટલી જ માત્રામાં ખાંડ, દળેલી અત્યારે ક્યાં લેવા જવી, પડ્યું પાનું નભાવવાનું ત્યારે, અને એટલું જ હૂંફાળું પાણી એકત્ર કરી ફેંટવા બેઠાં. મનમાં ગોઠવી રાખેલું કે ઝાઝો ટાઈમ માંગે તો અડધેથી ઊભા થઈ, દૂધ ઉમેરી, બ્લૅન્ડર ફેરવી નાખવાનું. પણ, અહો, સાડા બાર સેકન્ડમાં તો લખ્ખણ દેખાવા માંડ્યા. પ્રવાહીએ વાયુ ટાઈપ ઘન સ્વરૂપ પકડવા માંડ્યું. ઉત્સાહ ત્રેવડાતાં હાથ બ્લૅન્ડરની સ્પીડે ઘૂમવા લાગ્યો. મસ્ત ફીણ બનવા માંડેલું.

પણ, હાય, ઍન્ડ પ્રોડક્ટે પહોંચ્યાના એંધાણ શું? ફીણ જામી ગયેલું, કલર ઠીકઠીક બદલાયેલો. પણ, વિડીયો કે ફોટામાં હોય છે તેવો લાઈટ નહીં. મારા વાળી કૉફી જ જક્કી. 'રંગ જાય તો પૈસા પાછા' બ્રાંડ. એમાં વળી હમોએ સ્ટાન્ડર્ડ માપ ફોલો નહોતું કર્યું. એટલે ફીણ કેટલુંક થાય ત્યારે હાઉ કરવું એ ગંભીર સમસ્યા થઈ પડી.

પણ, ઉકેલ કોને કહ્યો છે! હાથે કહ્યું, 'હવે હેઠા પાડો.' એટલે હમોએ તુરંત માની લીધું.‌ દરમ્યાન, ડાબા હાથે મોબાઈલ મંત્રણા જારી રાખેલી. મલ્ટી ટાસ્કીંગ. તેમાં આ બલાની જન્મપત્રી શોધી કાઢી. જડ્યું તો ઘણું બળ્યું, કોરિયા ન સૅલીબ્રિટી નેઈમ ન ખોટાહાચા ઉચ્ચાર. પણ, આપણું દિલ ઠર્યુ 'ફેંટી હુઈ કાફી' પઢકર. 'લા, બધી વૈજ્ઞાનિક શોધોની જેમ આ તો આપણી ઈજાદ! અને તે ય કેવી! ખબર પડી જાય કે ભારતીય છે. કઈ રીતે?

વારું, કૉફી બનાવતા પહેલાં જેમ હમોએ દો ચમ્મચના બદલે અડધી ચમચી પ્રમાણમાપ રાખેલું, એ જ વૃત્તિના દોરવાયા વિચારેલું કે ખોટાં વાસણ નહીં બગાડવાના. જે કપમાં ફેંટીએ એમાં જ ઠંડુ દૂધ ઉમેરવાનું અને વિજ્ઞાનને આપણી મદદ કરવા દેવાની. ઠંડું દૂધ તળિયે જશે અને હવાદાર કૉફી વાદળ ઉપર આવી જશે. ફોટો પાડીશું તો કાંઈ ખબર પડવાની દુનિયાને!

અને અદ્દદલ આ જ તો રીત છે શુદ્ધ ભારતીય ફેંટી હુઈ કાફીની! તમારું હનીકૉમ્બ કે ડાલગોના વાસણ વધારે. દુધની ઉપર ફીણ મૂકવાનું. આપણા ભારતીયમાં કૉફી ફીણની ઉપર દૂધ રેડવાનું.

હમો એમ જ કરવાના હતા. પણ, આદતન ભૂલ થઈ ગઈ. ચાના મગમાં કૉફી ફેંટવા બેઠાં. પ્રશ્ન સાઈઝનો ન હતો, પારદર્શિતાનો હતો. ચાના મગમાં ફોટો પાડીએ તો દૂધ-કાફીના પડ નૉ઼ દેખાય.

સદુ:ખ, શરબતનું પવાલું કાઢ્યું. દૂધ ભર્યું અને પ્રાશ્ચાત્ય, સૉરી, અત્રે કોરિયન હોવાથી નોર્ધન સભ્યતા સમક્ષ હાર સ્વિકારી ઉપર કાફીવાદળ ઉમેર્યું.

હજી સમસ્યાઓ પીછો નહોતી છોડતી. આને પીવી કેમ? પોતાની રસોઈ આવડત અંગે જરા પણ શંકા ન હોવાથી હિંમત કરીને પહેલો ઘૂંટ ભર્યો. વિજ્ઞાન! ઠંડા તેમજ પ્રવાહી હોવાથી ભારે એવા દૂધે ઉપરના કાફીવાદળમાંથી માર્ગ કંડારી મુખગુહામાં પ્રવેશ કર્યો અને વાહ! સૌ પ્રથમ તો ગિલાસ મૂકીને પોતાનો જ ખભો થાબડી લીધો.‌ ત્યારબાદ, બીજો ઘૂંટ ભર્યો. આ વખતે વિજ્ઞાનને યાદ આવ્યું કે પોતે તો કુદરત છે! એટલે ફાંટેબાજ બની બેઠું. એકલું દૂધ મોઢામાં આવ્યું. પછી નક્કી કર્યું કે પ્રયોગ આદર્યો જ છે તો પૂરો કરવો. ફિલ્મોના પ્રતાપે, નાજુકાઈથી પ્રવાહી યુક્ત પવાલાને હલાવી શકાય, તે પણ અંદરના પદાર્થોને મિશ્રણ બનવાની તક મળે તે રીતે તે હકીકત હમો જાણતા હતા. સાવચેતીના પગલાં રૂપે, સોફામાંથી ખસી, બેસીન પાસે જઈ પારદર્શક ગિલાસ હલાવ્યો અને તાબડતોબ ઘૂંટ ભર્યો. સપ્રમાણ માત્રામાં મિશ્રણ બનેલ. બસ, પછી તો એમ હલાવી હલાવીને દોઢસો ગ્રામ દૂધ વત્તા એટલી જ જગ્યા રોકેલ ફેંટી હુઈ કાફીને ઉદરસ્થ કરી મહાસુખ પામ્યા.

જેઓ આ કથાને વાંચી પોતાની અનુકૂળતા મુજબ ફેંટી હુઈ કાફી પીસે, એટલે દળવાની નથી, ત્યાં ક્રિયાપદ ગુજરાતીમાં છે, તેને મનવાંછિત સુખ મળવા બાબતે હમો કોઈ ખાતરી આપતા નથી.

8.4.20

वयं रक्षाम:

वयं रक्षाम:

અત્યારે આ નવલકથા વાંચી રહી છું.  કથાની શરૂઆત શૃંગાર અને તેમાં મીઠા જેટલા શૌર્યથી થાય. શરૂઆતથી જ બળકટ ભાષા, વિશેષણોનો ખડકલો અને લાંબા વાક્યો મજા આપવા માંડે. અને પછી શરું થાય માહિતી ધોધ. ભારતીય તરીકે ક્યારેક ને ક્યારેક જે નામ સાંભળ્યા હોય તેવા, દેવ,દાનવ,યક્ષ,ગંધર્વ, રાક્ષસ વગેરે વગેરેના, તે બધાની વંશાવળી. મને એકવાર તો થયું કે ફ્લોચાર્ટ બનાવું બધાનો! સતત "આ તો જાણું છું.- આ નહોતી ખબર.- આ બાબત/સબંધ ખબર હતા પણ‌ આ રીતે નહીં." એમ થયા જ કરે.

મને સૌથી રોમાંચિત કરી પ્રહલાદની વાતે. પ્રહલાદ, ધૃવથી માંડી બિરબલ જેવા લિજેન્ડરી પાત્રોની વાત જ્યાં પુરી થાય, મારા મનમાં પ્રશ્ન ઉભો થાય : પછી શું થયું? ધૃવ તારો બની ગયો પછી શું થયું? પ્રહલાદ રાજા બન્યો પછી...? બિરબલે કોયડો ઉકેલ્યો પછી...?

એમાં પ્રહલાદનું પહેલાં-પછી આ નવલકથામાં આવતું જાય અને મને જે બાળસહજ જલસો પડે! એવી જ મજા નારદ, વશિષ્ઠ-વિશ્વામિત્ર બારામાં આવે.

આ નવલકથા રાવણાયન છે, તેનો ઍવર રોમેન્ટિક (આ વાત મને ખૂબ રમૂજ કરાવે છે વાંચતી વખતે. રાવણને તો આક્રાંતા તરીકે જ કલ્પ્યો હોય એટલે.) હિરો રાવણ અને તેના પરાક્રમો. હજી હું નવલકથાના પૂર્વાર્ધમાં સીતા હરણ સુધી પહોંચી છું એટલે આ નવલકથા સંદર્ભે રાવણના પાત્ર અંગે આગળ કંઈ કહેવાય એમ નથી. છતાં, વિસ્તાર વાદી રાજા તરીકે રાવણની કુનેહ અને કુટુંબ ગૌરવ માનવાં પડે.

આપણે ત્યાં જીવના જન્મના સ્તર અંગેની સભાનતા ખાસી છે. જેમકે, મને બોલચાલમાં આવા શબ્દોનો પરિચય છે : રાક્ષસ યોની, પ્રાણી યોની. 'રાક્ષસ કુળ' જેવા શબ્દો ય ખરા....આ નવલકથા વાંચતા વધુ એક સ્પષ્ટતા ફરી ખુલી તે એ કે દેવ, દૈત્ય, રાક્ષસ એ કુળ અથવા સમૂહ હતા, માણસોની નાત જેવા અને માણસોનાં જ. 'અમારે ત્યાં આવું થાય/ન થાય.' બ્રાંડ રીત રસમ જે-તે સમૂદાયને જુદી ઓળખ આપે છે તેવી પ્રણાલીઓ દેવ,દાનવ, ગંધર્વની ઓળખ અને એક સમૂહને બીજા સમૂહ સાથે જોડતી કે જૂદી પાડતી સીમાઓ. દેવ એટલે વેદ અને યજ્ઞ પરંપરાને માનનાર, એમ.

રાવણનું ધૃવ વાક્ય છે, 'વયં રક્ષામ:'. 'રક્ષણ કરવું' એક પવિત્ર ફરજભાવ તરીકે ચિત્તમાં એવું દ્રઢ કે રાવણ- રક્ષણ કરનાર એક સાથે બેસે જ નહીં. પછી 'રક્ષ'ના અર્થો જાણ્યા ત્યારે કંઈક વેન્ટિલેટર પરની રેખા નૉર્મલ મોડમાં આવી હોય તેવી લાગણી થઈ.

આગળ કહ્યું એમ ભાષા આ નવલકથાનું એક સબળ પાસુ. આપણા પૂર્વજોનો પરિચય આપતી વિગતોનો ખડકલો કર્યા પછી આચાર્ય ચતુરસેન નવલકથાની મૂળ વાર્તા હાથ પર લે ત્યારે પૂરી ફૂરસદથી લખે. અપરિચિત હોવા છતાં, ભારતીય સાંસ્કૃતિક વારસાને કારણે સમજાઈ જાય તેવા  શબ્દો ઉપરાંત એક, એક સંવાદ, સ્થળ અને પાત્ર પરિચય, શૃંગારિક વર્ણન અને યુદ્ધ... વળી,  ચમત્કાર લાગે એવું ખાસ આવતું નથી. ખાસું દુન્વયી. ક્યારેક બે બળિયા યુદ્ધ કરતા હોય ત્યારે બાકીની સેના તેમને જોવા થંભી જાય એવી વાત આવે અને 'માળુ, એવું ય થાય ખરું, હો!' એમ લાગે. રામાનંદ સાગરના સ્ક્રિપ્ટ રાઈટર્સ અને ઍક્શન ડિરેક્ટરે સો ટકા આ કથા વાંચી હોવી જોઈએ- યુદ્ધુના વર્ણન એવાં મળતાં આવે. લેખકની પોતાની વૈચારિક છાપ બેશક આવે તેના લખાણમાં. એમનો ભારતપ્રેમ ક્યારેક એટલો વધી જાય કે હાસ્યાસ્પદ લાગતા તારણોએ પણ પહોંચી જાય. એવું એક વાક્ય વારંવાર આવે, "કહો, મૈં તુમ્હારા ક્યા પ્રિય કરું?" -જે મને અંગ્રેજીનો નબળો ચાળો લાગે છે.

આર્યન થીયરી સામે ભારતીય મૂળની પોતાની થીયરીઝ છે. દક્ષિણ ભારતનો પૌરાણિક ના સહી, તે પછીનો ઈતિહાસ પણ દબાઈ ગયેલો લાગે જ્યારે જ્યારે તેના વિશે વાંચવામાં આવી જાય. દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં ભારતની સાંસ્કૃતિક છાપ પાછળ દક્ષિણ ભારતના વ્યાપારી તેમજ રાજકીય સાહસો વિશે આપણે જાણીએ તો છીએ, પણ તે આપણા ભારતીય ગૌરવનો સભાન હિસ્સો નથી. ઍટલીસ્ટ, મને મારા માટે તો એમ લાગ્યું છે.

તેવામાં, આ નવલકથા માનવ પ્રજાતિના વિશ્વમાં ફેલાવાના કેન્દ્ર સ્થાને ભારતને મૂકે છે. દિતી- અદિતીના સંતાનો એશિયા જ નહીં, કાસ્પિયન સમુદ્ર અને આફ્રિકા સુધી વ્યાપ્યા. આ વાતની સાબિતી તરીકે આચાર્યશ્રી ઘણી ભાષાકીય તેમજ રીવાજો અને સ્થાપત્ય આધારિત સાબિતીઓ મૂકે છે, જેમાં સ્પષ્ટ અતિરેક અને ક્યારેક ભાવુક દેશપ્રેમ દેખાઈ આવે. પણ, એ સંભાવના જ કેટલી રોચક, રોમાંચક છે!

આ વાંચતા બીજો એક વિચાર સતત સાથે રહે છે અને માત્ર વિચાર તરીકે ય રસતરબોળ કરી દ્યે છે : ગ્રેબીયલ માર્ક્વેઝ પાસે આવો કાચો સામાન હોય તો તે કેવી નવલકથા લખે!

ઑનલાઈન મુક્ત પ્રાપ્ય છે. ઍમેઝોન પર પણ છે.

પૂર્વાર્ધ : https://drive.google.com/file/d/1NKouCcKaT8Lpmo0RGxWBW8lAOJhxVyKi/view

ઉત્તરાર્ધ : https://drive.google.com/file/d/1j6rzgbOcNRWxINhtPiOf3HagCYjlf7nt/view

4.3.20

કૉસ્મોસનું પોતીકું કેન્દ્ર

ઝાંપા વગરની, એક ફૂટ જાડાઈની કમ્પાઉન્ડ વૉલ વટાવીને પૂર્વ દિશામાં ત્રણ પગથિયાં જેટલું ચઢી ઉત્તર તરફ ડગ ભરીએ એટલે પહેલાં આંગણાનો ધૂળિયો ભાગ અને પછી લીંપણ વાળો ભાગ આવે. ધૂળિયા ભાગેથી ઢોરની અવરજવર થાય, રાતના વાસણ એ ભાગમાં ઘસાય, ઘઉં-ચણાનો ઓળો ત્યાં શેકાય. લીંપણ વાળો ભાગ જાણે કે સામાજિક વહેવારની શરૂઆત કરતાં 'આવો' કહેતો. પહેલી વાર આંગણામાં પ્લાસ્ટર કરાવેલું તે પણ લીંપણ વાળી હદ સુધી જ કરાવેલું. દિવાળી પછી બા અને મામી ફળિયાના સ્ત્રી સમુદાય સાથે લીંપવા બેસતાં ત્યારે આંગણા અને પરસાળને છૂટી પાડતી ઓટલી પર બેસીને હું જોયા કરતી. આજે જેને હું 'સોના જેવી' કહું છું એવી માટી પથરાતી, ચોમાસામાં ધોવાઈ ગયેલા લીંપણને ઉખેડીને. પછી પાણી છાંટી પગ વડે ગૂંદી એ ભાગ મજબૂત કરાતો. પછી ઘાસ-તણખલાં દૂર કરી સાફ કરાયેલા છાણ-માટીના ગૂંદેલા મિશ્રણને નાના નાના જથ્થામાં ચોક્કસ અંતરે ખપ પૂરતી ઢગલી કરાતો. જેથી, લીંપનારને સામાન લેવા ઊઠવું ના પડે. લીંપનાર તપેલીમાં પાણી લઈ બેસતું. એક બાય અડધા ફૂટના ભાગની માટી પર  લંબાઈમાં બંને હાથ જોશભેર ઘસીને માટી સમથળ કરાતી. પછી સીમેન્ટીંગની જરૂરિયાત પુરતું છાણ-માટી મિશ્રણ લેવાતું અને માટી પર ભાર દઈને ફેલાવાતું. વચ્ચે- વચ્ચે જમણા હાથની હથેળીમાં પાણી લઈ આંગળીઓ વડે છંટાતું. પછી કેળવાયેલા હાથ આંકળી પાડતા. એ કૌશલ પર બાળપણથી વારી વારી જવાયું છે. મને પણ એ સફાઈદાર કામ કરવાનું મન થતું. મારા માટે બા-મામી થોડો ભાગ સમથળ કરી છોડી દેતાં. બીજી દિવાળી સુધી પોતાની અણઘડ આંકળીઓ જોઈ છાતીમાં હરખ ભરાયેલો રહેતો. દરેક વ્યક્તિની આંકળી ઉકલી જતી, તે વ્યક્તિની આવડત અને નિષ્ઠાની ચાડી ખાતી.
લીંપણના ઉત્તર ભાગે ગમાણ રહેતી.‌ દિવસ દરમ્યાન ઢોર ત્યાં રહેતું. હવે ત્યાં ગાડીઓ બંધાય છે.

ઓટલીઓ વચ્ચેથી પ્રવેશતાં ચાલીસ બાય દસની પરસાળ આવતી. ડાબી તરફના ભાગે, સીમેન્ટના 'પ્લાસ્ટર' તળિયાના એક ચોકઠામાં 'અમદાવાદ' રમત અંકાવેલી બાપુજીએ. સંતાનો, દીકરા-દીકરી જ નહીં, પુત્રવધુઓને ય ભણાવવાની સૂઝ રાખનારા બાપુજીની સમજનું એ 'અમદાવાદ' ચોકઠું વધું એક ઉદાહરણ બની રહેલું. બંને વૅકેશનમાં બધા ભાડરડાંનો દિવસ તેને ફરતે પસાર થતો.

પરસાળને જમણે છેડે 'ઓય્ડી'. આસપાસના ગામોના સગાં-સબંધીઓના વિદ્યાર્થીબાળનો વિસામો, પરીક્ષા સમયે વાંચન કેન્દ્ર. મામા-માસીઓના મોંઢે તેઓ અને તેમના મિત્રો 'ઓય્ડી'માં કેવું ભણતા અને ઉંમર શકે ઊ આનંદમસ્તી કરતા એ સાંભળીને મનમાં ચોંટી પડેલું કે ભણવું હોય તો 'ઓય્ડી'માં બેસવું. આગળ ભણી ગયેલાઓના તપના તરંગ જાણે ત્યાં ઘૂમરાતા હોય એવી અનુભૂતિ થતી.

ઓરડીની પરસાળ તરફી દિવાલ અને ઘરની મુખ્ય દિવાલનો ખૂણો પડે તેમાં માપસર બેસે એવી પાટ બાપુજીએ બનાવડાવેલી, બાપુજીની છાપ જેવી મજબૂત, પહોળી, ઊંચી. જેમને જોયાની મને સ્મૃતિ નથી એવા બાપુજીના મોટાભાઈ મણીદાદાનું સ્થાન ત્યાં હતું. એટલે, મણીદાદા જોયા ન હોય તેવા મારા પછીના બાળકો માટે પણ એ મણીદાદાની જ પાટ હતી. ત્યાં બેસી બાળકો ગૃહકાર્ય કરતાં, બપોરે કોઈ 'સિએસ્ટા' કરતું અને મહેમાન ઈચ્છે તો ત્યાં જ ગોઠવાતાં. લાઈટ આવ્યા પછી ઈસ્ત્રીશુરા નંદુમામા સાથે એ પાટ એક જ દ્રશ્યનો હિસ્સો બની ગયેલી.

મુખ્ય પ્રવેશદ્વાર, 'બાય્ણું' નવ ઈંચ જાડા લાકડાનું. લાકડાના ચોકઠા પર ફૂલ-પત્તીની ભાત કોતરેલી, બંને બારણા પર પાંચ-છ ઈંચના ચોરસ બનાવી તેમાં ફૂલની ભાત અને દરેક ચોરસના કેન્દ્રમાં પીત્તળનો ખીલો જડેલો. ખીલાની નીચે, ચોરસ અને ફૂલના કેન્દ્રમાં ફૂલ જેવી જ ભાત વાળી પીત્તળની તકતી જડેલી. જમણા બારણામાં ચારેક ફૂટની ઊંચાઈએ એક તકતી બારણાના લાકડા અને ખીલા વચ્ચે ચકરડીની જેમ ફરતી રહે એમ છૂટી પડી ગયેલી. ના તો કોઈએ તે ખીલો ઠીક કરાવ્યો, ના તે ફૂલ આકારની તકતીને ચોંટાડવા પ્રયત્ન કર્યો. કેમકે, ઘર-ફળિયાનું પ્રત્યેક નાનું બાળક રડવા ચઢે ત્યારે તેને તેડીને કોઈ વડીલ પેલી તકતી ફેરવતા અને તેના ફરવા સાથે ઓગળતી ધારોના વિસ્મયમાં પ્રવેશી પ્રત્યેક રડતું બાળક  રાજી થઈ જતું.

તે બારણાં કોઈ જાદુથી કમ ન હતાં. અઢાર ઈંચ જાડી દિવાલમાં નવ ઈંચ જાડા બારણાં બંધ થયા પછી ય પહોળાઈ બચતી. બારણાં બંધ કર્યા પછી અંદરના ભાગે સેફ્ટી લૅચ તરીકે 'આડુ' હતું. જમણી દિવાલના પોલાણમાં તે આડુ દિવસભર છુપાયેલું રહેતું. રાત્રે ચાર ચોરસ ઈંચની જાડાઈ- ચારેક ફૂટ લંબાઈનું તે આડુ દિવાલમાંથી બહાર કાઢી ડાબી તરફની દિવાલમાં માપસરના પોલાણમાં ફીટ કરાતું. ફિલ્મોમાં કોટનો દરવાજો તોડવા સૈનિકો, હાથીઓને મથતા દ્રશ્ય બાળપણમાં જોતી ત્યારે તે દરવાજાની મજબુતાઈ પર શંકા ન જતી. તેના પ્રોટોટાઈપ બારણાં મારા અનુભવમાં હતાં. આડા ઉપરાંત એક ઊભા સેફ્ટી લૉકની વ્યવસ્થા પણ હતી. તે લૉક બહારથી પણ ખોલી શકાતું. બારણાં પર બનાવેલી ચૉરસ ભાતના ભાગ તરીકે જ એ ગોઠવણ 'સ્માર્ટ' વ્યવસ્થા હતી. જાણકાર વ્યક્તિ તે લૅચને બે આંગળી વડે ઊંચો કરે ત્યારે અંદરની તરફ ઉંબરાના ખાડામાં ચસોચસ બેસેલું લાકડું ઊંચું થતું અને 'લૉક' ખુલી જતું.

ઉંબરાનો સાડા ત્રણ ફૂટ બાય અઢાર ઈંચનો ખરબચડો પથ્થર નૃસિંહ અવતારની વાર્તા જાણ્યા પછી મારે મન મહત્વનો બની ગયેલો. અનકૉન્સ્યસલી, તે પથ્થર પર મેં નૃસિંહ અવતાર અનેકો વાર 'જોયેલો', કેમકે મારી પંકાયેલી જિજ્ઞાસુ જીગર મને પોતાને પ્રહલાદ સાથે એકરૂપતા આપતી.

પચ્ચીસ બાય પચ્ચીસનો મુખ્ય ઓરડો, કેટકેટલા લાઈફ ઈવેન્ટ્સનો સાક્ષી, ફિઝિક્સ અને ફિલોસોફીના પ્રતિક જેવી એક પાતળી થાંભલીને ટેકે હતો. ઓરડાને જમણે છેડે 'ઍલ' શેઈપમાં પાણીયારું, સીમેન્ટ વડે મોર ચીતરેલું. પાણીયારાના 'ઍલ'ના ટૂંકા છેડે રસોડાનું બારણું. જમણી તરફ, ઈશાન ખૂણે પહેલાં ચૂલા હતા, બે. શિયાળામાં રાત્રે તેની આગળ બેસી જમવું ગમતું. પછી પ્રાયમસ- કૅરોસીન સ્ટવ આવ્યો, ગોબરગેસ આવ્યો અને છેલ્લે બાટલા ગૅસ બદલાયો.
મુખ્ય ઓરડાનો જ એક ભાગ, નાની ઓટલીથી છૂટો પડતી ઉત્તર તરફ વીસ બાય પચ્ચીસની ગમાણ. બે બળદ, ત્રણ ભેંસ હતા ત્યારથી તેની સ્મૃતિ શરૂ થાય છે મારે માટે. તે પહેલાં એક ઘોડી સહિત પંદર ઢોર સમાતાં તેમાં. ગમાણની ઉપરના માળે વર્ષ ભરનું ઘાસ-પૂળા ભરાતા. ભણવાની ઓય્ડીની દિવાલે લાકડાની સીડીથી તે ઉપરના માળે જવાતું. 'હુંને ચંદુ છાનામાના...' ગીતના કાતરિયાની વ્યાખ્યા કરતાં લાંબું-પહોળું. ત્યાં ખાટલામાં ઘાસ પાથરી કેરી પકવવા મૂકાતી. બપોરે વડીલ સમૂહ ચાર પાંખો વાળા ગામના પહેલા પંખા નીચે આડા પડખે થયો હોય ત્યારે કેરી ચૂસવા ત્યાં ચઢવાનો રોમાંચ રહેતો. થ્રીલ મારા નસીબમાં નહોતી. મને, ભાંણીને કોઈ લડતું નહીં.

મુખ્ય ઓરડાની પૂર્વ દિવાલની અડધી લંબાઈને આવરીને છત સાથે ૪૫°ને ખૂણે દેવી-દેવતાઓના ફોટા લગાવેલા. એ તો પાછળથી ખબર પડી કે એ બધી રાજા રવિ વર્માના 'પેઈન્ટીંગ'ની પ્રત હતી. ચકલીઓ તેની પાછળ ઘર બનાવતી અને તે શુભ મનાતું. બાકીની અડધી લંબાઈએ લગાવેલાં પાટીયાં પર તાંબા-પિત્તળ-સ્ટિલનાં ચકચકિત લોટા, ઘડા, બેડાં ગોઠવાયેલા રહેતાં. તે જ દિવાલના પાણીયારા તરફના છેડે, તળિયાથી એક વેંત ઊંચે, દિવાલમાં જ બનાવેલું 'દેવ સેવાનું તાકુ' હતું. 'ભગવાંન ન ભણતર શિવાઆય કશુંય કૉમ ની લાગઅ.' એ સલાહ ટીનેજ સુધી બરાબ્બર અપનાવેલી. પછી ભણતર જ ભગવાન બની ગયું, તે પણ નિષ્કામ.

મુખ્ય ઓરડાની પાછળ કોઠાર વાળો ઓરડો. ઉત્તર-દક્ષિણ બંને તરફની દિવાલોમાં બે-બે એમ કુલ ચાર કોઠાર. સો મણ અનાજ સમાઈ જાય. અનાજ ભરવાનું હોય ત્યારે ઉપરથી વાંસ-કાગળના માવાથી ઘરે જ બનાવાયેલ ટોપલા વડે ઠાલવવાનું. કાઢવાનું થાય ત્યારે, વળી એક જાદુગરી જેવી વ્યવસ્થા. બહારની તરફ દસ બાય દસ ઈંચના પોલાણમાં પતરું એમ ગોઠવેલું કે તેને ઊંચું કરતાં કોઠારમાંનું અનાજ દબાણ વશ ઝડપથી ધસી પડતું. ખપ પૂરતું અનાજ કાઢી પતરું પાછું ફસાવી દેવાનું. તે કોઠારમાં ઘરેણાં ય રખાતાં. પરિવારનાં અને અમારા પર વિશ્વાસ મૂકી પોટલામાં કિંમતી સામાન મૂકી જતા કેટલાક ભરવાડ પરિવારોના પણ. પૉલીશ વગર ચમકતા ભરવાડના સોનાના ઘરેણાં જોયા પછી સોનાની કિંમત અંગે ક્યારેક શંકા નથી થઈ. તે ઓરડાની ભોંય રેડ ઑક્સાઈડથી રંગેલી. જનોઈ માટે માતાજીના જવારા કરવા સમાજના પરિવારો માટેની સૌથી અનુકૂળ જગ્યા. તેના ઈંટ જેવા ઘાઢ 'ક્રિમઝ્ન' લાલને કારણે પવિત્રતાનું પ્રતીક લાગતું. એ જ ઓરડામાં ચોપાટ દોરેલી. પરિવારની કેટલીક ઘટનાઓ અને મહાભારતની ધૃત સભાના સંદર્ભમાં તે ચોપાટ પ્રત્યે મનમાં સૂગ બેસી ગયેલી. જેમની સૂઝ, સમજ, નૈતિકતાની ગાથાઓ પરિવાર, ગામ, સમાજના મોંઢે સતત સાંભળેલી, ફોટામાંના ચહેરા પર પણ જેમની પ્રજ્ઞા સ્પષ્ટ દેખાતી તે બાપુજીએ શા માટે ચોપાટ દોરાવાની 'ભૂલ' કરેલી એ પ્રશ્ને ખૂબ સતાવેલી. કોઈ જવાબ વગર એ સવાલ મોટપણે ખરી પડેલો.

બાપુજી, મમ્મીના પપ્પા, બાપુજી જ હતા. તેમનું એક જ પણ મધુર ચિત્ર મારી સ્મૃતિ પાસે છે, તેમના પેટ પર બેસી દૂધ પીતી વખતે મને દેખાતો તેમનો ખુશહાલ ચહેરો. શક્ય છે કે તે સ્મૃતિ અસલ નહીં, વડિલોની વાતોને કારણે મારા મને બનાવી કાઢી હોય. કેમકે, બાપુજીનો ખોળો તો મારી પોણા બે વર્ષની ઉંમરે છૂટી ગયેલો. બાપુજી. 'નાના' શબ્દ નથી ગમતો. હું તો એ વાતાવરણમાં ઉછરેલી જ્યાં મમ્મીના પપ્પા ય 'દાદા' જ હતા. 'નાના' શબ્દ એક વ્હાલના ઢગલાને નાના બનાવવાનું ષડયંત્ર લાગે છે.

છેલ્લો ઓરડો નળિયાં સજ્જ ત્રાંસી છતનો છેડો હોવાથી નીચો હતો, સાંકડો પણ. તેમાં એક ખૂણે જૂનું રસોડું, બીજી તરફ 'જણ' માટેની જગ્યા. 'જણ' એટલે વાર્ષિક ચૂકવણું આપી ઘર માટે રોકેલ સાથીદાર. તે ઓરડીને ઝાઝી દિવાલ ન હતી, બારણાં પણ નહીં. દિવાલ અને બારણાના નામે જાળી હતી. ચાળીસ બાય છના તે ઓરડામાં ખેતીનાં ઓજાર પડી રહેતા.

તે પછી વાડો. વિશાળ, લગભગ એંસી બાય દોઢસો ફૂટ લાંબો-પહોળો. તેથી વધારે હશે. ચોમાસામાં અડધા વાડામાં ભીંડા, ગુવાર અને ચોળી કરાતાં. વિજ્ઞાન ભણતાં થયાં પછી અમો ધાંણા ઉર્ફે કોથમીર કરાવતાં. શિયાળામાં વાલો'ર', દૂધીના વેલા વાડે આપોઆપ ઉગી નીકળતા. શાક ખરીદવાની ચીજ છે એ સંકલ્પના જીવનમાં મોડેથી પ્રવેશેલી. વાઢણી પછી પરા'ર'ના ઢગલા મંડાતા. જેમાં રમવાની, સૂકું ઘાસ કરડતું છતાં, અથવા એટલે, મજા આવતી. કમોસમી વરસાદ પડે ત્યારે વાડામાંથી અનાજ ઘરમાં લાવવા જે ઊચાટભરી ધમાલ થતી, અમે બાળકો સુધ્ધાં અમારી ટોપલીઓ વડે ખિસકોલી કામમાં લાગી જતાં, એ ફઈડકો આજે ય કમોસમી છાંટા વખતે ધબકી જાય છે.

ઉનાળામાં રાત્રે વાડામાં ખાટલા પથરાતા. શિયાળામાં સવારે ત્યાં ભણવા બેસતાં. સૂર્યને મેં વાડામાં ઊગતો, આંગણામાં આથમતો જોયો હતો. વિજ્ઞાન ભણ્યા પછી ય, ભાભીના પિયરમાં સૂર્યને ઘરની સરખામણીમાં 'જુદી' જગ્યાએ ઊગતો જોવો માનવામાં નહોતો આવ્યો. પોતાના પર હસવું આવેલું કે વરધરીનું ઘર મારા કોસ્મોસનું કેન્દ્ર બની ગયેલું.

વાડાની દક્ષિણ તરફ આઠ બાય દસનું બાથરૂમ, નાવાની ઓય્ડી. બાથરૂમના ઈશાન ખૂણે ચૂલો અને અંદર જ હેન્ડપંપ. શિવજીએ ત્રણ વાર ન્હાવાની આપેલી આજ્ઞાનું પ્રતિક લાગતું અમારૂં બાથરૂમ મને. મે મહિનામાં ય પાણી ગરમ કરીને ન્હાવાના સંસ્કાર અમદાવાદની ગરમીથી ધોવાયા. એમ છતાં, જ્યારે ગરમ પાણીથી સ્નાન કરવાનું હોય ત્યારે તે લાકડા જેવું હોય તો જીવને 'ઠીક' રહે છે.

"ઘરને ય ઉંમર નડે. બદલાતા જમાના, જરૂરિયાત સાથે તેને ય ઍડજસ્ટ થવું પડે. પંચ્યાસી વર્ષનું એ ઘઈડ્યું અને પછી નંદુમામાનું કહેવાતું ઘર હવે સ્મૃતિ શેષ બની ગયું છે.

2.3.20

કુવી

જ્યારે ચોમાસું ચાર માસ ચાલતું, ભાદરવો ભરપૂર ખાબકતો ત્યારે પૂર્વોત્તર ફેલાયેલી ટેકરીઓની આમ તળેટી પણ ગામ કરતાં ઊંચી ટેકરી પર આવેલી નિશાળના રસ્તે વરસાદી પાણી વયસ્ક માટે કેડસમાણું થઈ જતું. અઢી-ત્રણ ફૂટની ઊંચાઈવાળી ઉંમરે તે ઘૂઘવતા પાણીમાં ખેંચાઈ ઘરે પહોંચવું ગમતું. પણ, રસ્તામાં નાળાં આવતાં. એટલે વડિલો બાળકોને લેવા નિશાળે આવી જ જતા. મને મામા 'તેડવા' આવતા.

ગામનું પહેલું વહેલું ટી.વી. શનિરવી છોકરાં ટીવી માલિક બચુમામાને થકવી નાખે. હું પણ ત્યાં જોવા જાઉં. મને, મોસાળમાં બધે મળતી એમ, ખાસ સવલત મળે- ટીવીની સામે બેસવાની. 'સફેદ હાથી' ફિલ્મ હતી તે રાત્રે. બચુભાઈનો ટીવીવાળો ઓરડો ખીચોખીચ ભરાઈ ગયેલો.  કંટાળેલા ટીવી માલિકે ઘર અંદરથી બંધ કરી દીધેલું. કોઈ કારણસર હું મોડી પડી હતી. મારા મામાએ બારણું ખખડાવી, ખોલાવી, 'નૈતિક' ભાષણ આપી દીધેલું નાનકડું-"ભૉણીન જોવા નથી ખોલતો!" આજે ય એ ફિલ્મના અમુક દ્રશ્ય યાદ છે.

નવરાત્રીએ વેશભૂષા હરિફાઈ. પાંચમામાં ભણતી મેં ભરવાડણ બનવાનું ઠેરવેલું. કેટલાક ભરવાડ સાથે પેઢીગત સંબંધ. તેઓ બીજે સ્થળે જતા ત્યારે તેમનો કિંમતી સામાન અમારા કોઠારમાં સચવાતો. તે દિવસોમાં ભરવાડોએ કેટલાક ડૂંગર વટાવવા પડે એટલે આઘે ડેરા નાખેલા. અમે- હું અને મામા, તે ડૂંગરો વટાવીનેય 'ડ્રેસ' લઈ આવેલા. એટલા ડૂંગર કે આજે વિચારું તો ટ્રેકિંગના અનુભવો પછી પણ નર્યું ગાંડપણ લાગે. નંદુમામા મારે માટે એવાં ગાંડપણ કરતા.

ક્યારેય વહેવાર અને તહેવાર ચૂક્યા નહીંં. હક આવડ્યો નહીં, ફરજ ચૂક્યા નહીં. તેમના યથાશક્તિ તાંદુલ બધાને હંમેશાં મળતા રહ્યા. 'નાનાની મોટાઈ' રૂઢીપ્રયોગ મારા નાનામામા પર ચોટડૂંક બેસતો.

તેમને મેં પરિસ્થિતિવશ ખવાતા ય જોયા.
અને અમારા સંબંધના પરિમાણ બદલાયા. તેમને મારા પર ગજબ ભરોસો રહ્યો. છેલ્લી ઘડી સુધી.

મૃત્યુ ડરાવતું નથી મને. પણ, સ્મૃતિઓના પુલના પીલર એક પછી એક ખરે ત્યારે મૂળિયાં ખળભળી ઊઠે છે. તે સમયના લાંબા-પહોળા અમારા આંગણામાં એક કુવી હતી. પહાડ જેવા પાત્રોથી સભર મારા જીવનમાં નર્મદાશંકર તે કુવી હતા.

16.2.20

કૉસ્મોસ _૨૨

પૃથ્વી પરથી ખોવાયેલી દુનિયા _૨

કેટલાક કરોડ વર્ષ સુધી પૃથ્વીને મૃતકોનો ગ્રહ કહેવી પડે તેવી સ્થિતિ રહી.
પેલા મહા વિનાશમાંથી જે કેટલીક પ્રજાતિઓ પોતાને બચાવી શકી, તેમાંથી એકના આપણે વંશજ છીએ.
આપણે આજે માણસ તરીકે જીવીએ છીએ કારણકે જીવનના સૌથી ખતરનાક-દગાબાજ કાળમાં તેઓ પોતાના જનીનને સહનશીલ બનવા સમજાવી શક્યા.


ટૅક્સાસ અને ન્યુ મેક્સિકો વચ્ચેથી પસાર થતી ૪૦૦ માઈલ લાંબી ગુઅડલ્યુપ પર્વતમાળાના એક ભાગને જોઈએ.
તે પર્વત જીવંત સજીવોથી બન્યો હતો.
મહા વિનાશ શરૂ થતાં પહેલાં, પર્મીયન ગાળાના શ્રેષ્ઠ સમયે અહીં જીવનની વસંત પાંગરેલી.
તે છે દુનિયાની સૌથી મોટી અશ્મિ કરાડ (ફોસીલ રીફ).
એક સમયે તે દરિયાની અંદરની તરફ હતી. લાખો વર્ષ સુધી તે કરાડ બનતી ગઈ, પાંગરતી ગઈ, સમૃદ્ધ થતી ગઈ; જે વાદળી (સ્પોન્જ), લીલ અને નરી આંખે ના દેખાય તેવા સંખ્યાબંધ પ્રાણીઓનું ઘર હતી.
જ્યારે તે સજીવો મૃત્યુ પામતા, તેઓ ડૂબીને તળીયે જતા અને દરિયાની ફાટમાં દટાતા.
કરોડો વર્ષ પછી, તેમના અવશેષો ખનીજ તેલ, ખનીજ વાયુ બન્યા.
કોઈ કાળે, તટપ્રદેશ ફસકીને દરિયાની ફાટની અંદર જતો રહ્યો અને પેલી જીવંત કરાડ ખતમ થઈ ગઈ.
ત્યારે, તે દરિયાઈ શહેર, જે મૃતકોનું બનેલું હતું, સપાટીથી લગભગ એકાદ માઈલ નીચે દટાયું.
પાછળથી, ટૅક્ટોનિક બળો તે કરાડના હાડપિંજરને દરિયાઈ સપાટીની ઉપર લઈ આવ્યા. જ્યાં તે સદીઓ સુધી પવન અને વરસાદની છીણી-હથોડી વડે ઘડાતું રહ્યું.

કલ્પના કરો, ૨૭૫૦ લાખ વર્ષ પહેલાં, જીવનથી ધબકતા, એક દરિયાઈ તટવર્તી હૂંફાળા વિસ્તાર તરીકે તે જગ્યા કેવી લાગતી હશે!

ત્યારે ઈંગ્લેન્ડ અને ઉત્તર આફ્રિકા શાખ પાડોશી હતા.
એટલાન્ટિક સમુદ્ર નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ ન હતું.
તેને બદલે હતા નાના મોટા સરોવરો.
તે સરોવરો એક વિશાળ ખંડના ખંડ-ખંડ થવાની અને પૃથ્વી પરના જીવન પર મોટી ઘાત આવવાની નિશાની હતા.
લાખો વર્ષ પછી તે સરોવરો લાંબા અખાત બન્યા અને છેવટે વિસ્તરીને ઍટલેન્ટીક મહાસાગર બન્યા.
સપાટી પરના આ તીવ્ર-મોટા ફેરફાર હકીકતે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલી ભયંકર ઉથલપાથલના જ લક્ષણો હતો.
પણ, આપણે તેમને જોવા પહોંચીએ તે પહેલાં વૈશ્વિક ઉથલપાથલના તે ચિહ્નો દરિયાના પેટાળમાં દટાઈ ગયા.
પૃથ્વી પરના હિંસક ભૂતકાળથી આપણે સાવ જ કપાઈ ગયા. આપણે બન્યા એક સ્મૃતિભંશ પ્રજાતિ કે જે જાણવા- શોધવા નીકળી હોય કે પોતે જાગી તે પહેલાં પોતાના ઘરમાં શું થયેલું?

ગોલ્ડન એઈજ ઑફ ઍક્સપ્લોરેશનના ૮૦ વર્ષના (૧૪૯૦-૧૫૭૦) સંશોધનોને આધારે અબ્રાહમ ઑર્ટેલિયસે ૧૫૭૦માં દુનિયાનો પહેલો વહેલો આધુનિક નકશો બનાવ્યો.

બીજા કેટલાક ચુનંદા લોકોની જેમ તેના ધ્યાનમાં પણ આવ્યું - પોતાની અદ્વુત રચનાને બે ડગલાં પાછળ ખસીને જોતાં- કે ઍટલાન્ટિકની બંને તરફના ખંડ એકબીજાને ચસોચસ બંધ બેસે છે; કોઈ એક કોયડાના બે ટૂકડાની જેમ.
ઑર્ટેલિયસે જ પાછળથી લખ્યું કે ઘણા બધા ધરતીકંપ અને પુરને કારણે અમેરિકા અને યુરોપ આફ્રિકાથી છૂટા પડ્યા.
પણ, કેટલીક સદીઓ સુધી ઑર્ટેલિયસનું અવલોકન એક અંત: સ્ફુરણા જ બની રહ્યું ;  છેક વીસમી સદીની શરૂઆતમાં જ્યાં સુધી એક જર્મન ખગોળ શાસ્ત્રી અને મીટરીઓલૉજીસ્ટે તે ધારણાની સત્યતા પુરવાર કરવા સાબિતીઓનો ખડકલો એકઠો ના કર્યો.
આલ્ફ્રેડ વૅગનર પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી પામેલ. પણ, વહેલાં ઘાયલ થઈ જતાં તેણે સૈન્ય અસ્પતાલમાં સારવાર લેવાની થઈ અને તે દરમ્યાન તેણે વૈજ્ઞાનિક સાહિત્ય ફેંદીને પૃથ્વીના ભૂતકાળનું પગેરું દબાવ્યું.
તે ઘટનાના વર્ષો પહેલાં, એક વિશિષ્ટ સંશોધન પત્ર વૅગનરને હાથ લાગેલો.
હંસરાજ(ફર્ન)ની એક લુપ્ત પ્રજાતિના અશ્મિ ઍટલાન્ટિકના બંને છેડે મળી આવ્યા છે તે બાબતની વૅગનરને બહું નવાઈ લાગેલી.
તેથી ય વધુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે સરખા પ્રકારના ડાયનોસોરના અશ્મિ પણ બંને ખંડોમાં મળી આવેલા.

૨૦મી સદીની શરૂઆતમાં ભૂસ્તર શાસ્ત્રીઓ એક કલ્પના સમજાવતા કે ખંડો વચ્ચે ક્યારેક જમીની પુલ હતો અને તે રીતે જીવન દરિયો વિંધી પેલે પાર પહોંચ્યું.
એવું માનવામાં આવતું કે જમીનનો એ સેતુ સમય જતાં ખવાઈ ગયો, ઘસાઈ, ધોવાઈ ગયો અને દરિયાની થપાટોથી નાશ પામ્યો.
પણ, એક સાબિતીએ વૅગનરને સ્પષ્ટ કરી દીધું કે તે સમયની પૃથ્વી વિશેની સ્વિકૃત માન્યતા સદંતર ખોટી હતી.
કોઈ પર્વત શૃંખલા દરિયો વિંધીને સામે ખંડે શું કામ પહોંચે? બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ખડક સ્તરોમાં એકસરખી વિશિષ્ટ ભાત કઈ રીતે હોઈ શકે? ઉષ્ણકટિબંધીય છોડવા આર્કટિકના હેમાળામાં કયા સંજોગોમાં પાંગર્યા હોય? - વૅગનરે સારવ્યું કે આ બધા કોયડાનો એક જ તાર્કિક ઉકેલ છે : પૃથ્વીના બધા ખંડો કોઈક સમયે એક હતા, એક મહાખંડ તરીકે.
વૅગનરે તે મહાખંડને નામ આપ્યું પૅન્ગીઆ.

 "અને એમ વૅગનર તે સમયના વૈજ્ઞાનિક સમુદાયમાં હિરો બની ગયો."-એમ લાગ્યું હશે તમને.
ના.
મોટાભાગના ભૂસ્તર શાસ્ત્રીઓએ વૅગનરની પૂર્વધારણા -એક મહાખંડમાંથી ખંડો છૂટા પડવાની-ને હસી કાઢી.
વૅગનરની સાબિતીઓમાંથી પણ તેમણે પોતાના કાલ્પનિક જમીનપુલની ધારણાના બંધ બાંધ્યા.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો : સખત પથરીલા દરિયાઈ તળને ભેદીને ખંડ કેવી રીતે પસાર થઈ શકે?
વૅગનર સંતોષકારક જવાબ આપી ના શક્યો.
વૈજ્ઞાનિક સમારંભોમાં તે અસ્વિકૃત થયો, હાસ્યાસ્પદ ઠર્યો.
એમ છતાં, પોતાના વિચાર માટે વૅગનર ઝઝૂમતો રહ્યો; સાબિતીઓ એકત્ર કરવા જોખમી સંશોધન-સાહસ યાત્રાઓ કરતો રહ્યો.
આવી એક યાત્રાએથી પાછા ફરતી વખતે તે હિમવર્ષા સાથેના વાવાઝોડામાં ફસાયો.
તેની પચાસમી જન્મ તારીખના એક બે દિવસ પછી તે ગૂમ થઈ ગયો. એવું જાણ્યા વગર કે સમય જતાં પોતે સાચો પુરવાર થશે અને ઈતિહાસમાં એક મહાન ભૂસ્તર શાશ્ત્રી તરીકે ખ્યાતિ પામશે.
વૈજ્ઞાનિકોય છેવટે માણસો જ છે.
તેમને ય પૂર્વગ્રહો અને બ્લાઈન્ડ સ્પોટ્સ હોય છે.
વિજ્ઞાન એક એવી યાંત્રિક કાર્ય પદ્ધતિ છે જે તે ખોળી આપે છે.
મુશ્કેલી એ છે કે આપણે વિજ્ઞાનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે હંમેશાં નિષ્ઠાવાન રહેતા નથી.
મૅરી થર્પથી વધારે કોણ સમજી શકે આ વાત!


૧૯૫૨માં મૅરી ભૂસ્તર શાસ્ત્ર વિભાગના સાથી સભ્યોની ઉપેક્ષા ખુબ ધીરજથી સહન કરતી હતી.
ભૂસ્તર શાસ્ત્ર અને વિજ્ઞાનમાં તેણે મેળવેલી ઉપાધીઓની સહકર્મીઓને મન કોઈ કિંમત ન હતી.
બ્રુસ હિઝેન, ઈઓવાની એક સ્નાતક કક્ષાની વિદ્યાર્થી સોનાર વડે દરિયાના તળનો નકશો બનાવવાની લાંબી સાહસયાત્રા પરથી તાજો પાછો ફરેલી.
થાકેલી હિઝેને પોતે એકત્ર કરેલ માહિતી જોતાં વિચાર્યું, "જોઈએ આમાંથી કશું નીપજે તો."
બ્રુસે મૅરીને બોલાવી.
અને બધું સ્પષ્ટ થઈ ગયું.
એટલાન્ટિકના તળિયે એક વિશાળ કરાડ ખીણ(રીફ્ટ વૅલી) પથરાયેલી હતી.
અત્યાર સુધી જે વાત બે છોકરીઓ વચ્ચેની ગપશપ હતી, તે હવે ગંભીર મુદ્દો બની ગઈ.
"તારે ઓછી મુશ્કેલીઓ છે તે વળી તું ખંડીય ભંગાણની વાત ઉપાડે છે! તું પણ વૅગનરની જેમ હાસ્યાસ્પદ ઠરવા માંગે છે કે?"
પણ, પીછેહઠ કરે તે મૅરી નહીં.
વર્ષો પછી જ્યારે મૅરી અને બ્રુસે દરિયાઈ તળના પોતે બનાવેલા નકશા ઉપર દરિયાઈ ધરતીકંપના ઍપીસેન્ટર્સનો નકશો મૂક્યો, ધરતીકંપ સાથે રીફ્ટ વૅલી ચસોચસ બેઠી.
સરકતા ખંડોની વૅગનરે ફોડેલી બંદૂકનો તે ધૂમાડો હતો.
હિઝેનને સમજાયું કે મૅરી પહેલેથી સાચી હતી.
બંનેએ સાથે મળીને પૃથ્વીનો પહેલો સાચો નકશો બનાવ્યો, દરિયાઈ તળ સહિતનો.
પૃથ્વીની આત્મકથા વાંચવા માણસજાત છેવટે તૈયાર થઈ.


9.2.20

કૉસ્મોસ _૨૧

પૃથ્વી પરથી નાશ પામેલી દુનિયા _૧

આપણું ઘર.
પૃથ્વી.
આજથી ૩૫૦૦ કરોડ વર્ષ પહેલાં, જ્યારે પૃથ્વીની ઉંમર ૪૦ લાખ વર્ષ થયેલી ત્યારે પૃથ્વી સાવ જ જુદી હતી.
એ સમયની પૃથ્વીને વિમાનમાંથી જોઈએ તો એકપણ ખંડ ઓળખી શકીએ નહીં.
વધુ દૂરથી જોઈએ તો પૃથ્વીનું સ્થાન પણ નક્કી કરી શકીએ નહીં.
તેની જગ્યા નક્કી કરવામાં તારા પણ ઉપયોગી નહીં નીવડે.
નક્ષત્રો પણ તે સમયે જુદા હોવાના.
હજી તો ડાયનોસોર આવવાને ૧૦૦૦ કરોડ વર્ષની વાર છે.
પૃથ્વી પર નથી કોઈ પક્ષી કે પુષ્પ.
હવા પણ સાવ જુદી છે.
પૃથ્વી પર ના ભૂતો, ના ભવિષ્યતિ એટલો ઑક્સિજન હતો ત્યારે. પ્રચુર માત્રામાં.
તેને કારણે જીવજંતુઓ વિશાળકાય બની ગયેલા. અત્યારે છે તેના કરતાં ઘણા ઘણા મોટા.
કેવી રીતે? જીવજંતુઓને તો ફેફસાં નથી હોતાં.
જીવનપોષક પ્રાણ વાયુ તેમના શરીરના ખુલ્લા રંધ્રો મારફતે તેમનામાં પ્રવેશીને નલીકાઓના માળખા વડે શરીરમાં વહન પામતો.
જો જંતુ ઘણો મોટો હોય તો તે નળીઓનો બહારનો ભાગ મોટાભાગનો પ્રાણવાયુ શોષી લેતો, અંદરના અંગોમાં વાયુ પહોંચે તે પહેલાં.
પરંતુ, કાર્બનીફિરસ સમયે, વાતાવરણમાં હાલના કરતાં લગભગ બમણો ઑક્સિજન હતો.
એટલે, જીવજંતુઓ વિશાળકાય હોવા છતાં તેમને પુરતો ઑક્સિજન મળી રહેતો.
એટલે જ તે સમયે વાણિયો (ડ્રેગન ફ્લાઈ) ગરૂડ જેટલા મોટા હતા અને કાનખજૂરા જેવા બહુપાદ મગર જેવડા હતા.

પણ, તે સમયે એટલો બધો ઑક્સિજન કેમ હતો?
જીવનનો એક નવો પ્રકાર એટલો પ્રાણવાયુ પેદા કરતો હતો.
એવું તે કયું જીવન જેણે પૃથ્વીના વાતાવરણમાં ખુબ મોટો ફેરફાર લાવી દીધો?

વૃક્ષ.
આકાશ આંબતા.
સૂર્ય પ્રકાશ મેળવવાની હરિફાઈમાં તે ગુરૂત્વાકર્ષણ ઉવેખીને ઊંચા થતા ગયા.
વૃક્ષો પહેલાં ઊંચામાં ઊંચું ઘાસ કમર જેટલી ઊંચાઈનું હતું.

પછી, એક જોરદાર બીના બની.

એક એવો વૃક્ષાણુ ઉત્ક્રાંત થયો જે મજબૂત અને લવચીક હતો. એક એવું તત્વ જે ઘણા બધા વજનને ખમી શકે અને સાથે સાથે તૂટ્યા વગર પવનમાં નમી શકે.

લીગ્નીન-ને કારણે વૃક્ષ બન્યા.

હવે જીવન ઉન્મુખ વિકસી શકવાનું હતું.

લીગ્નીનને કારણે એક નવી જ દિશા ખુલી.

જમીનથી ઘણે ઊંચે ત્રિપરિમાણીય માળખાનો સમુદાય ઊભો થયો.

પૃથ્વી વૃક્ષગ્રહ બની ગઈ.

પણ, લીગ્નીનની એક મર્યાદા હતી.
તેને પચાવવું અઘરું હતું.
કુદરતના શૈવ સમૂહ, ફૂગ, બૅક્ટેરિયા જ્યારે લીગ્નીનયુક્ત કશું પણ આરોગતા, તેમને ભયંકર અપચો થતો.
ઊધઈને ઉત્ક્રાંત થવાને હજી ૧૦૦ કરોડ વર્ષની વાર હતી.
તેવામાં, મરેલા વૃક્ષોનું શું કરવું?
લીગ્નીન સહિત તેમને પચાવતું જૈવિક રસાયણ ઉત્ક્રાંત કરતાં ફૂગ અને બૅક્ટેરિયાને અમુક લાખ વર્ષ થયા.
દરમ્યાન, વૃક્ષ ઉગતા રહ્યા, મરતા રહ્યા, જમીન પર પડી જઈને સદીઓ સુધી માટીમાં દટાતા રહ્યા.
છેવટે, પૃથ્વી પર લાખો કરોડો વૃક્ષોની કબરો બની.
આખી પૃથ્વી પર ચોમેર મૃત વૃક્ષો.
તેનાથી શું નુકસાન થવાનું હતું, ભલા?

નોવા સ્કોટીયાની ભેખડો એક જુદા પ્રકારનું કૅલેન્ડર છે.
તેમાં છે બીજી દુનિયાની વાતો, જે તે જગ્યાએ રચાઈ હતી.

આવો જોઈએ ૩૦૦ કરોડ વર્ષ જૂના વૃક્ષના મૌતનું મહોરું.

તેના મૂળ કાષ્ટ કોષોને એક પછી એક ખસેડીને, તેની જગ્યાએ ગોઠવાઈને કેટલાક ખનીજોએ તે વૃક્ષને એક બીબું બનાવી દીધું છે.

બીજા શબ્દોમાં, અશ્મિ.
તે વૃક્ષે તેના જૈવિક અણુઓ- કાર્બન અને પાણી- કેટલાય સમય પહેલાં વાતાવરણને સોંપી દીધા હતા.
રહ્યો માત્ર તેનો આકાર.
જ્યારે તે વૃક્ષ જીવંત હતું, તેણે સૂર્ય પ્રકાશની મદદથી પોતે શ્વસેલા કાર્બન ડાયોક્સાઈડ અને શોષેલા પાણીને ઊર્જા સમૃદ્ધ જૈવિક દ્રવ્યોમાં ફેરવ્યા હતા.
અપવ્યય તરીકે તેણે ઑક્સિજન મુક્ત કરેલો.
એ જ તો કરી રહ્યા છે વૃક્ષો અને વનસ્પતિઓ હજી સુધી.
જ્યારે વનસ્પતિ મૃત્યુ પામે, તે સડવા માંડે છે અને તેથી વળતી ચૂકવણી શરૂ થાય.
મૃત વનસ્પતિ-વૃક્ષના જૈવિક દ્રવ્યો ઑક્સિજન સાથે ભળીને વિઘટન પામે છે અને એમ પોતે શ્વસેલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં પાછો વાળે છે.
આમ, પૃથ્વીના વાતાવરણમાં રસાયણશાસ્ત્રના ચોપડે હિસાબ સરભર થાય છે.
પણ, જો વૃક્ષ સડતાં પહેલાં દટાઈ જાય તો બે બાબત બને : ૧) તેમનો કાર્બન અને તેમાં સચવાયેલી સૂર્ય ઊર્જા તેમની સાથે જ દટાઈ જાય. ૨) તેમણે મુક્ત કરેલો ઑક્સિજન હવામાં જ રહે.

૩૦૦૦ કરોડ વર્ષ પહેલાં બરાબર એવું જ થયું.

ઑક્સિજનનો ભંડાર વધી પડ્યો.
એટલે પેલાં જીવજંતુ એટલા બધા મોટા થયા.
અને પેલા દટાયેલા કાર્બનનું શું થયું?
તે સદીઓ સુધી ત્યાં જ દટાયેલો રહ્યો; પૃથ્વી પરના જીવનને પડેલા સૌથી ખતરનાક ફટકાને ઠેકાણે લગાવતા પહેલાં.

પૃથ્વી પર હજી પણ કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સમયયાત્રા કરીને પથ્થરોમાં લખાયેલા ઈતિહાસને વાંચી શકીએ.
નોવા સ્કોટીયાનો દરિયાકિનારો એવી જ એક જગ્યા છે.
અહીંના ખડકોનું દરેક સ્તર કોઈ પુસ્તકનું પાનું છે.
દરેક સ્તર કહે છે પૂરની વાત. એક પછી એક એમ રાખો વર્ષ સુધી આવતા રહેલા પૂરની વાત.
પૂર સાથે તણાઈ આવેલી ચીજોનું પડ દટાઈ ગયું અને તાપ તથા દબાણને કારણે પથ્થર બની ગયું.
પછી, જે બળોએ પર્વતો બનાવ્યા, તેમણે જ તે પથ્થરોને ઉપર ધકેલ્યા, દટાયેલા અશ્મિ સાથે.
સૌથી તાજા સ્તરની નીચે ક્રમશઃ જૂના સ્તર.
દરેક પાનું એકદમ ક્રમબદ્ધ.‌ કરોડો વર્ષ પહેલાં, આ સ્થળે ઘટેલી ઘટનાઓની તવારીખ સાચવીને બેઠેલું.
અહીં સચવાયેલો છે પુરાતન સમય.
અહીં ભરાતું પ્રત્યેક પગલું ૧૦૦૦કરોડ વર્ષનું છે, ૩૦૦૦ કરોડ વર્ષના ભૂતકાળમાંથી વર્તમાન તરફનું.

ત્યારે પર્મીયન ગાળો પૂરો થવાને આરે હતો. જેની સરખામણી પણ ના થઈ શકે તેવા જીવસંહારનો સમય.
જીવન વૃક્ષની તૂટેલી શાખાઓની તવારીખમાં પર્મીયન અંધારો ખૂણો છે, જાણે કે લુપ્ત પ્રજાતિ સંગ્રહાલય.
મૃત્યુના આધિપત્યનો એવો ગાળો ત્યારથી પચીસેક હજાર વર્ષ સુધી પૃથ્વી પર આવ્યો નથી.
અત્યારે જ્યાં સાઇબિરીયા છે ત્યાં ફાટેલા જ્વાળામુખી હજારો હજારો વર્ષ સુધી ધધકતા રહ્યા હતા.
તેના લાવાએ ચૉમેર રેલાઈને લગભગ દસેક લાખ ચોરસ માઈલ વિસ્તાર દાટી દીધો.
ઐતિહાસિક સમયમાં થયેલા જ્વાળામુખીના તાંડવ તો પેલી ધધક આગળ બચ્ચું લાગે.
જ્વાળામુખીની ફાટમાંથી ખુબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પણ ઠલવાયો.
તેને કારણે ગ્રીન હાઉસ વાયુઓએ વાતાવરણ વધુ હુંફાળું કરી દીધું.
અને અહીં અનુસંધાન થાય છે કાર્બોનીફોરસ સમય દરમ્યાન દટાયેલા જંગલોની વાતનું.
વચગાળાના સમયમાં પેલા દટાયેલા વૃક્ષ કોલસાનો વિપુલ ભંડાર બની ગયેલા. એટલે સાઇબિરીયા ખનીજ કોલસા બાબતે પૃથ્વીનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે.
લાવારસની ગરમીએ કોલસાને તપાવીને કઠણ કર્યો. તે સાથે જમીનમાંથી મીથેન અને સલ્ફર યુક્ત વાયુઓ છૂટા પડ્યા.
કોલસાના તે ધૂમાડામા‌ં ઝેરી વાયુઓ અને કિરણોત્સર્ગી તત્વો ઠસોઠસ હતા.
તેને કારણે પૃથ્વીની આબોહવા ભયંકર રીતે અસ્થિર થઈ અને વાતાવરણ પ્રદૂષિત થયું.
સલ્ફ્યુરીક ઍસિડના ધુમ્મસને કારણે સૂર્ય પ્રકાશ રોકાયો અને પૃથ્વી પર અંધારપટ છવાયો.
વૈશ્વિક તાપમાન ઠારણબિંદુથી ખૂબ નીચું ગયું.
જ્યારે-જ્યારે જ્વાળામુખી શાંત થતા ત્યારે ઍસિડીક ધુમ્મસ સપાટી પર આવી જતું.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધતો ગયો અને ગ્લોબલ વોર્મિંગનું કારણ બન્યો.
ઠંડાગાર વર્ષો પછી હજારો વર્ષોની ગરમીએ નબળા પડેલા વનસ્પતિ અને પ્રાણી જીવનને કચડી નાખ્યા.
આબોહવાના તીવ્ર બદલાવ સાથે અનુકૂલન સાધવા માટે તેમને તક-સમય જ ન હતો.
ગ્લોબલ વૉર્મિંગ ચાલું રહેતાં સપાટી પરનું અને ભૂગર્ભજળ ધીમે ધીમે ભેગાં થયાં. જેને કારણે દરિયાના તળના ઠંડાગાર ભાગનું તાપમાન ઊચકાયું.
મીથેનયુક્ત બરફ ઓગળવો શરૂ થયો.
એમ મુક્ત થયેલો મીથેન રસ્તો કરીને સપાટી પર પહોંચ્યો અને વાતાવરણમાં ભળ્યો.
કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ મીથેન ઘણો વધારે ઉષ્મા શોષક છે, એટલે આબોહવા વધુ ગરમ થઈ.
વળી, મીથેનને કારણે સ્ટ્રેટોફીયરનું ઓઝોન પડ પણ નાશ પામ્યું.
જીવલેણ પારજાંબલી કિરણો સામે જીવનનું 'સન સ્ક્રીન' પણ ખવાઈ ગયું.
દરિયાઓના આંતરિક પ્રવાહોનું તંત્ર ઠપ થઈ ગયું.
બંધીયાર પાણીમાં પ્રાણવાયુ ખૂટવા લાગ્યો. દરિયાનો મત્સ્ય સમૂહ લગભગ નાશ પામ્યો.
જીવનનો ફક્ત એક પ્રકાર આવા ક્રુર વાતાવરણમાં ફાલ્યો, જીવલેણ હાઈડ્રોજન સલ્ફાઈડને અપવ્યય તરીકે મુક્ત કરનારા બૅક્ટેરિયા.
વિનાશનો છેલ્લો હથોડો તેમણે માર્યો.
તે ઝેરી વાયુએ જમીન પરની રહી સહી સજીવસૃષ્ટિને લગભગ ખતમ કરી દીધી.
તે હતો મહા વિનાશ, ધી ગ્રેટ ડાઈંગ.
પૃથ્વી પર બચેલું જીવન ઉન્મુલનને આરે આવી પહોંચ્યું.
દસે નવના પ્રમાણમાં પ્રજાતિઓ નાશ પામી.

જીવનને ફરી માથું ઊંચકતાં ઘણા ઘણા વર્ષો લાગ્યા.





4.2.20

વાઘ આવ્યો રે વાઘ

સલામત રીતે ઝાડ પર ચઢી જઈને પહેલાં તો હમો.જ શ્વાસ ખાવા બેઠો. આ વખતે વાત જીવ પર આવી ગયેલી. હમો.જ માટે સાહસ નવી વાત ન હતી. દુનિયા જેને દુ:સાહસ કહે એવું ઘણું કરીને, તેનાં ગીતો ગાવા એ તેની પ્રચલિત પ્રવૃત્તિ રહી હતી. એમાં તે નામ પણ કમાયેલો. પણ, આ વખતે વાત વધી પડેલી. "વાઘ આવ્યો ભાઈ, વાઘ" વાર્તાનો વાઘ આવી ચઢેલો અને તેનાથી બચવા હમો.જે ગુફા છોડી ઝાડ પર ચઢી જવું પડેલું. આમ તો તે ધ્યાનાર્થે જંગલમાં ગયેલો. સુરક્ષા અને પ્રચાર સાધનો સહિત. પણ, પળવારમાં પલટાયેલા સંજોગોએ તેને આવી અણધારી સ્થિતિમાં લાવી મૂકેલો.

શ્વાસ હેઠો બેઠા પછી તેને તરસ લાગી. પણ, અહીં પાણી ક્યાં શોધવું? પાણી યાદ આવતાં તેનો શોષ વધી પડ્યો.  હમો.જનેે તત્ક્ષણ પોતાનો યોગાભ્યાસ યાદ આવ્યો. તે સાથે આંખ બંધ કરી તેણે તરસને ટાળી. "આમ કેટલો સમય જીવ બતાવતાં બેસી રહેવું પડશે!" એમ વિચારી તેણે યોગાભ્યાસના પાઠ અમલમાં મૂક્યા. વાઘ ખસી જાય એટલો સમય તો યોગબળે નીકળી જ જશે એમ તેને ખાતરી હતી. એ સાથે તેને ત્રણ વિચાર સમાંતર આવ્યા: ૧)વાહ! યોગાભ્યાસની તક મળી. ૨) યોગ કેટલા ઉપયોગી છે! ૩)આ ઘટના પરથી સરસ પ્રવચનકથા કરી શકાશે.

ત્રીજા વિચારે તેની આંખ ખોલાવી દીધી. હમો.જને મજા પડી ગઈ. તેણે જોયું કે વાઘ તો ટાંપીને જ બેઠો છે. "ભલે બેઠો. હમણાં ગોળીએ દેવાશે." એમ વિચારી તેણે પોતાની બેઠક ગોઠવવાનું ઠેરવ્યું. તે માટે તે આઘોપાછો થયો; વૃક્ષ પર નજર ફેરવી ત્યાં સામેની ડાળે તે દેખાયો.

હમો.જનું રોમેરોમ ભડકી ઉઠ્યું.

"આ અહીં? તેમાં ય મારી આ વેળાએ?" હમો.જને પોતાનો ભડકો વુધુ દઝાડવા લાગ્યો. પણ, તે યોગાભ્યાસી હતો.‌ તેણે શ્વાસની ગતિને ક્રમશઃ ધીમી કરી. એ સાથે તેને ખ્યાલ આવ્યો, "એમ પણ વિચારી શકાય કે 'તે મારા જેવી સ્થિતિમાં કેમ છે?' " તે વિચારે તેને ટાઢો પાડ્યો. એટલો શાંત કે તે પેલાને સ્મિત આપવા પ્રેરાયો. હમો.જને ખાતરી હતી કે સામેથી સ્મિત આવશે જ. "એ જ તેનું ટ્રેડમાર્ક ગામઠી, બોખું સ્મિત. કોણ જાણે ભારતી તેનામાં શું ભાળી ગઈ. બેવકુફ!" જેવા સામાન્ય વિચાર હમો.જના મનમાં દોડી આવ્યા.

સ્મિતની પ્રેરણા અને મળવા દોડતી નજરને તેણે ખાળી. પછી, સમયપસારપ્રવૃત્તિ તરીકે પેલા સાથે વાત કરવાનો વિચાર તેને સ્ફૂર્યો. એટલે તેણે સીધું જ પૂછ્યું, "તું, અહીં?"
"હા. કેમ નહીં?"
"એટલે કે. ઠીક છે. આ તો નવાઈ લાગી."
"સામાન્ય રીતે નવાઈ લાગે તેવું જ છે. હું તારી રાહ જોતો હતો."
"મારી રાહ?"
"હા. તારી રાહ."

હમો.જ. ચૂપ થઈ ગયો. "કહેવા શું માંગે છે એ? હું અહીં આવવાનો એ તેને ખબર હતી, એમ? એ હોય ત્યાં હું શું કામ જાઉં?" જેવા વિચાર ધસી આવતાં હમો.જ. પ્રાણાયામને શરણે ગયો.

આમ પણ, હમો.જના જીવનમાંથી મોહ.નની હાજરી ભૂંસવી અશક્ય હતી; હમો.જની ઈચ્છા વિરુદ્ધ. બેઉં ભારતીના આશક. કહો ને, પૂજારી! મોહ.નના ગામતરે ગયા પછી, બીજા સગાંએ તેને અવગણી, સ્વાર્થી થઈ લૂંટી પછી તક મળતાં હમો.જ. કૂદી પડેલો ભારતીને સાચવવા. તેણે ભારતીને સાચવી, જાળવી ય લીધી હતી. પણ, અવારનવાર ભારતીની આંખના ઊંડાણમાં, બે ધબકાર વચ્ચે તેને મોહ.નની આરત દેખાતી, સંભળાતી. શરૂઆતમાં તેને લાગેલું કે, "હોય! મધુર સ્મૃતિઓને ભૂંસાતાં વાર લાગે." એટલે તે ભારતીને એક-એકથી ચઢીયાતા મનોરંજન કાર્યક્રમોમાં મહાલવા લઈ જતો. ભારતીના મોકળા હાસ્ય અને સુખભર્યો ચહેરો જોઈ તે રાજી થતો. તે ભારતીને વધુ સુખી કરવાના વધુ મોટા ખ્વાબ જોતો અને એ પૂરા કરવા ભરચક મહેનત કરતો. પણ, ભારતીમાં વણાઈ ગયેલો મોહ.ન. ધોવાતો, ઓગળતો, ભૂંસાતો ન હતો.‌ હમો.જને લાગતું અને ખટકતું કે ભારતીના જનીનમાં મોહ.ન. રસાઈ ગયો છે.

થોડી સાતા વળતાં હમો.જે આંખ ખોલી, ખાસી મહેનત કરીને મોહ.ન તરફ જોઈ, વાત માંડી, "તને હતું કે હું અહીં આવવાનો, એમ?"
"બીજો કોઈ વિકલ્પ ક્યાં હતો?"
"તો, આ વાઘ, તારૂં કારનામું, કેમ?"
મોહ.ન. ખડખડાટ હસી પડ્યો. " ભારતીને સર્કસના ખેલમાં ડરાવી-ડરાવી વ્હાલ ઉઘરાવવા જતાં તું ય વાસ્તવિકતાનું ભાન ચૂકવા લાગ્યો છે."

હમો.જ. ક્ષણિક ભોંઠો પડ્યો. પણ, યોગબળે તેણે તુર્ત સ્વસ્થતા કેળવી લીધી. "તો વાઘ આવ્યો ક્યાંથી?"
"એ તો આવવાનો જ હતો, વહેલો કે મોડો."
"મેં પાકી વાડ બાંધી હતી."
"અને વાઘ?"
"વાઘ?"
"એ જ જેના નામે તું 'વાઘ આવ્યો.' કહીં ‌વાડ કરતો રહ્યો તે."
"એ તો ખેલ હતો."
"હે યોગી! યોગના ફળ ચાખે છે. ભૂલી ગયો કે ચમત્કાર પણ થાય."

ખીજ ચઢતાં હમો.જ ચૂપ થઈ ગયો. "આ ડોસો! દર વખતે મને વટી જાય છે." વળી તેણે પોતાના આત્મવિશ્વાસને સાબદો કર્યો. "મેં પણ પ્રેમ આપ્યો છે ભારતીને. ભારતી માટે ફના થવાની ખુમારી રાખી છે. મારા ઉપક્રમ, પરાક્રમ, બધું કોના માટે? ભારતી માટે સ્તો!"
હમો.જના વિચાર વાંચતો હોય તેવી સ્પષ્ટતા સાથે મોહ.ન. બોલ્યો, "એકદમ મરદનું ફાડિયું, કેમ? રક્ષક. પિતા. વાલી. કોને બચાવવા નીકળ્યો છે એ તો જો જરા? જેની સવારી સિંહ છે એને વાઘથી બચાવવા તું વાડ્યું બાંધે છે?"
હમો.જે દલીલ કરી, "ભારતીપણું ઢબૂરાઈ, વિસરાઈ ગયેલું, ખ્યાલ છે કાંઈ? મેં એને બેઠી કરી. તેનામાં નવો ઉત્સાહ પૂર્યો."
"તું ભારતીને ઓળખતો નથી, ભાઈબંધ."
"નખશીખ ઓળખું છું. એટલે જ આજે એ મારે પડખે છે. બાકી હતા ઘણા ઉમેદવાર."
"તારી પડખે કઈ ભારતી છે?"
"કઈ એટલે? એક તો છે."
"છે એક. પણ, તારી અને મારી ભારતી જુદી છે."
"મને ફર્ક નથી પડતો."
"બેશક! તારે પડખે હોય ત્યાં સુધી ના પડે તો ચાલે. પણ, અત્યારે તું વાઘથી બચવા ઝાડ પર ચઢ્યો છે. એ વૃક્ષ પર, જે ભારતી કરતાં ય જૂનું છે. એ વૃક્ષ, જેે સિંધુથી કાવેરી, બ્રહ્મપુત્રથી ગોમતીના જળ-જમીન-પ્રાણથી સિંચાયું છે. ધ્યાનથી જો તારી આસપાસ ફેલાયેલી શાખાઓને. જે ભારતીને તું ચાહે છે, તેનાં મૂળ તને કેટલીક શાખાઓમાં જડશે. પણ, ભારતી માત્ર એટલી નથી. જો, દેખાય તો, તેની બધી શાખાઓને."
"નકામી શાખાઓ કાપવી પડે, ભાઈબંધ."
"એમ હોઈ શકે. પણ, સંભાળજે, આ વટવૃક્ષ ક્યાંક બોન્સાઈ ના બને."
"હું એના રોગનો ઉપચાર કરી રહ્યો છું."
"અંગ કાપીને?"
"સડ્યું હોય એ કાપવું પડે, મિત્ર."

ત્યાં, "આની સાથે શું જીભાજોડી કરવી!" એમ હમો.જ અટકી પડ્યો. પણ, "હું ક્યાં મારા માટે જીવું છું? મારા જીવનનું ધ્યેય તો છે ભારતીની ગૌરવ પ્રતિષ્ઠા." એ ખ્યાલ સાથે ગળું ખંખેરી તેણે કહ્યું, "તને હસવું આવશે. પણ, તને ખબર નથી તારા પછી..."
હમો.જની વાત કાપી એ જ ટીખળી સ્મિત સાથે મોહ.ને કહ્યું, "તું દોસ્ત! સાચે જ વાસ્તવિકતામાંથી ખસી ગયો છે. જે વાઘ ન હતો, તેના આવવાના નગારા પીટ્યા. અને તને પાછું એમ છે કે ભારતીનું ગૌરવ, જે તારા મતે લૂંટાયેલું, હણાયેલું છે, તેને તારે પ્રસ્થાપિત કરવાનું છે."
"તો શું? ભારતીના ગૌરવ પર આક્રમણ નથી થયા શું?"
"ચોક્કસ થયેલા."
"તો?"
"તો?"
"તો તેનું ગૌરવ..."
"ઘૂંટાઈને ગાઢ થયું હતું. કેમ કે એવા હૂમલાઓને તો તે ઘોળીને પી ગયેલી."
"ઝેર પી ગયેલી, એમ કહે."
"તું મીરાંને ગાઈશ, નીલકંઠને પૂજીશ, પણ ભારતીને એ જ ગુણ માટે નબળી કહીશ, કેમ?"
"ભારતીએ ઘણું સહન કર્યું છે."
"એથી તો એ સહિષ્ણુ કહેવાઈ છે."
"હૂહ! 'નાઈટહૂડ' જેવો શરપાવ. યાદ છે ભક્તિ યુગ અને તેના કારણો? આઠમી સદીથી ઝઝૂમતી રહી છે. એટલે જ એણે મને વધાવ્યો. કેમકે, ભારતીને ભરોસો છે કે હું એ સદીઓ જૂના ઘામાં મલમ ભરીશ. દાનવોને અટકાવીએ નહીં તો દૈવત્વ ય નાશ પામે. તને પ્રિય ગીતા પણ ધર્માર્થે યુદ્ધનું આવાહ્ન કરે છે. "
"હા. યુદ્ધ તો એક રીતે હું પણ લડેલો. પણ, આપણી રીત જુદી પડે."
"તને ખબર છે, એમાંથી કેટલાક ખેલ છે. કરવા પડે."
"મારી સમજ કહે છે કે એની જરૂર નથી."
"હશે. પણ, એ ખેલ છે એમ હું સભાન છું."
"હોઈશ. અથવા છો. પણ, તે ખેલથી ભારતી શું શીખી ગઈ એ તને દેખાતું નથી. આવેગ, આવેશ, હિંસા, અસત્ય."
"તું શીખવીને ગયેલોને અગિયાર મહાવ્રત. ક્યાં ગયાં તે? બારમું પેલું સ્વચ્છતા. એ મારે ફરી કરવું પડ્યું. "
"કબુલ. મારો ઈરાદો શિક્ષણનો રહેલો ખરો. મને માણસજાતની સારપમાં શ્રદ્ધા હતી. તું તેની પશુતાને ચારો નાખે છે."
"દાનવતા સામેની લડાઈ છે. શસ્ત્રો તો તેજ જોઈશે જ."
"તને મારાં શસ્ત્ર ખબર છે. જેમને તેજ રાખવા હું મૃત્યુની ક્ષણ સુધી મથતો રહ્યો."
"ઍવરીથીંગ ઈઝ ફૅર ઈન..."
મોહ.ને ખડખડાટ હાસ્ય સાથે વાક્ય કાપી કહ્યું, "નૉટ ફૅર, માય ડિયર. ક્લિશે."

ચર્ચાની ટેવ ઓછી હોવાને કારણે હમો.જને પીછેહઠ કરવી પડતી હતી. "મોહ.નતો જીવનભર ચર્ચાઓ, મુલાકાતો કરતો રહ્યો. એટલે, હોય વાક્ચાતુર્ય."એમ વિચારવું હમો.જને ગમ્યું. જો કે, અહીં કોઈ રૅકોર્ડિંગની ભિતી ન હતી. વળી, ગામતરે ગયેલ મોહ.ન રેકોર્ડ જ ના થાય એમ પણ બને. "તો પછી, અહીં બોલાયેલા ડાયલોગ એક સારું પ્રવચન બની શકે." એટલે, તેણે વાત કરવાનું ચાલું રાખવાનું ઠેરવ્યું.
"તું પણ ઉતર્યો હતોને મેદાનમાં? ત્યારે શું તું એને બચાવવા, તેના ગૌરવને પુન:સ્થાપિત કરવા નહોંતો નીકળ્યો?
"ના." મોહ.ને કહ્યું. "હું તો મારા સત્યની શોધમાં નીકળેલો. ભારતીએ મને ટેકો કર્યો, મેં એને નહીં. ભારતીયતાએ મને જાળવ્યો, ઘડ્યો, માર્ગ બતાવ્યો."
"અને તેં યશ ખાટ્યો."
"એ ભારતીની ઉદારતા. તને પણ એણે સરતાજ બનાવ્યો ને!"
"તો પછી આ વાઘ?"
"ઓહ! તને મારા પર શંકા ગઈ તે તો જાણે સમજાય એવું હતું. પણ, ભારતી પર તને શંકા જાય છે?"
"ભોળી છે. તારા ગયા પછી એનો પનારો સ્વાર્થીઓ સાથે પડેલો. પોતાની ગાદી સાચવવા એમણે જે કરામતો કરી એમાં જ આવા વાઘ દોડતા થયા. પણ, મેં ય એમની કરોડ તોડવામાં કસર નથી રાખી, નથી રાખવાનો."
"તારી વાત સાવ કાઢી નાખવા જેવી નથી. છતાં, પશુતાના અભયારણ્યને વાડ કરાય, ટાંટીયા તોડવા એ હિંસક ઉપાય છે."
"હમણાં થોડી વાર પહેલાં જ તને વાડ સામે વાંધા હતા."
"મુદ્દાઓની ભેળસેળ ના કર, દોસ્ત! ભૂલ નહીં, મેં જીવતેજીવ સરહદો અંકાતી જોઈ છે."
"એ કૂદીને જાનવરો આવે છે. લોહી ચાખી ગયા છે."

મોહ.ન. ઉદાસ ચહેરે હમો.જને જોઈ રહ્યો. ભીના સ્વરે તેણે કહ્યું, "એટલે, તું જાનવર બનીશ?"
"ના. હું મશાલ પેટાવેલી રાખું છું. જાનવર આગથી આઘા રહે."
"તો ય આવા વાઘ વાર્તાઓમાંથી નીકળી તારી પાછળ પડે છે."
"એટલે જ કહું છું. કોઈ નજીકનાનું કારસ્તાન."
"સિઝર જ બ્રુટસનું મૂળ છે."
"દરેક રોમને સિઝર હોય છે."
"અને સૅનેટ. વિરોધ પક્ષ પણ. તું ભારતીના એ ભાગને સાભળતો હોત તો એ જ અંબા વાઘને પાછો વાળત."
"એ ભૂલી કેમ જાય છે કે દીલ ફાડીને ચાહી છે મેં એને."
"તું યાર, ક્લિશે ભાષા ના બોલ. મારી આગળ તો ખાસ. ખેર, તારા પ્રેમ પર, લાગણી પર મને રતીભાર શંકા નથી. મિત્ર, તું ભારતીને પ્રેમ કરે છે. પણ, એ ભારતી તો તારી કલ્પનાની નાયિકા છે.  જાગ.‌ 'યોગ'ને 'યોગા' ના બનાવ. તેના સાત પગથિયાં પૂરાં ચાલ. તો તને દેખાશે કે ભારતી શું છે. તને સમજાશે કે તારા-મારા જેવા ફકિર-મહાત્માઓના તપની એ મોહતાજ નથી. "
"મારા વગર..."
"એને સંતોની, ભક્તોની, વીરોની ખોટ પડવાની હતી, એમ માને છે તું?" એમ કહીં મોહ.ન જરા અટક્યો. પછી હસતાં હસતાં ઉમેર્યું, "હા, 'તારા વગર'. તારી એ માન્યતા હું ચૂકી ગયો. તારા નામને સાર્થક કરતો તું પ્રેમાંધ છો, ખુદના."
"તેને આત્મબળ કહેવાય."
"તારી રમૂજવૃત્તિ નબળી છે એમ છાપ હતી મને. અને જો તું ઉક્ત વિધાન ગંભીરતાથી કરી રહ્યો હોય તો, આત્મબળની વ્યાખ્યા તારા રાજમાં બદલાઈ ગઈ હશે એમ ધારું છું."
"હસી કાઢ. તારી મરજી. પણ, હું એકલો નથી, સદીઓથી સંતપ્ત એક સમુહના રઘવાટનું સામુહિક બળ છું."
"એ રઘવાટમાંથી તું આગ પેટાવે છે. હું સ્ટીમ એન્જિનનું વિચારતો."
"એ ધૂંધવાટે કેટલા ભોગ લીધા છે. એમાં એક તો તું જ. તે હોળીમાંથી હેમખેમ બહાર આવી હું જ તેને ઠારીશ."
"સંભાળજે. ઠારવા પાણી કે માટી સારાં. તું તો રોજ નવાં ઈંધણ સાથે નીકળ્યો છો."
"જેમ તને નીકળવું જરૂરી લાગ્યું હતું, એમ. ભારતી માટે.
"ભલા માણસ! પહેલાં તો તું એક વાતે સ્પષ્ટ થઈ જા કે હું મારી શોધમાં નીકળેલો અને મારી ભારતીયતાએ મને ટીપ્યો, ઘડ્યો, જાળવ્યો, તાર્યો."
"હું પણ તેને તેની અસલ ઓળખ અપાવવા જ મેદાને પડ્યો છું."
"તું દોસ્ત, આંજે છે એને, ક્રમિક મોટા પાયે કરાતા ખેલથી. એની દ્રષ્ટિને ઝાંખપ લાગી છે. ફક્ત શારીરિક તાકાત યાદ અપાવવાના તારા ચક્કરમાં એની ખરી શક્તિ વિસારે પડવામાં છે તારા પરાક્રમોથી."
"ના. એમ નથી. એને વિસારે પડેલી શક્તિઓનું ભાન થઈ રહ્યું છે. તારા પછી આ રીતે એ મારી સાથે જોડાઈ છે. ભાવથી."
"તો આ વાઘ?"
"તે તો હમણાં ઠાર દેવાશે."
"પણ એ તો વાર્તામાંથી કૂદ્યો છે."
"તપાસ કર. ક્યાંક તું અને હું કોઈ વાર્તામાંથી નથી આવતા ને!"
"તું તો હવે વાર્તા છો જ. મારી લખાઈ રહી છે."
"આપણી વાર્તાઓ ભેગી થઈ રહી છે."
"ભારતીની ભૂલને કારણે." એમ ટીસ હમો.જના મનમાં ઉઠી પણ તે બોલ્યો નહીં. છતાં, તેના મનમાં વિચાર સળવળ્યો, "આ મોહ.ન ક્યાંક મારું નબળું પ્રતિબિંબ તો નથીને!" પોતાના દેખાવ અંગે સભાન હમો.જ બરાડી ઉઠ્યો,"અશક્ય." કારણકે, તે ઘણા સમયથી અનુભવતો હતો; માત્ર મોહ.નજ નહીં, ભારતવર્ષના 'પુરુષ' માત્ર જાણે તેની ભીતર હતા અને કોઈ દાપુ માંગતા હતા.

એક કંપ સાથે ભારતીના પ્રધાન સેવકે આંખ ખોલી.‌ ગુફા બહાર સંત્રી પહેરા પર હતો.