16.2.20

કૉસ્મોસ _૨૨

પૃથ્વી પરથી ખોવાયેલી દુનિયા _૨

કેટલાક કરોડ વર્ષ સુધી પૃથ્વીને મૃતકોનો ગ્રહ કહેવી પડે તેવી સ્થિતિ રહી.
પેલા મહા વિનાશમાંથી જે કેટલીક પ્રજાતિઓ પોતાને બચાવી શકી, તેમાંથી એકના આપણે વંશજ છીએ.
આપણે આજે માણસ તરીકે જીવીએ છીએ કારણકે જીવનના સૌથી ખતરનાક-દગાબાજ કાળમાં તેઓ પોતાના જનીનને સહનશીલ બનવા સમજાવી શક્યા.


ટૅક્સાસ અને ન્યુ મેક્સિકો વચ્ચેથી પસાર થતી ૪૦૦ માઈલ લાંબી ગુઅડલ્યુપ પર્વતમાળાના એક ભાગને જોઈએ.
તે પર્વત જીવંત સજીવોથી બન્યો હતો.
મહા વિનાશ શરૂ થતાં પહેલાં, પર્મીયન ગાળાના શ્રેષ્ઠ સમયે અહીં જીવનની વસંત પાંગરેલી.
તે છે દુનિયાની સૌથી મોટી અશ્મિ કરાડ (ફોસીલ રીફ).
એક સમયે તે દરિયાની અંદરની તરફ હતી. લાખો વર્ષ સુધી તે કરાડ બનતી ગઈ, પાંગરતી ગઈ, સમૃદ્ધ થતી ગઈ; જે વાદળી (સ્પોન્જ), લીલ અને નરી આંખે ના દેખાય તેવા સંખ્યાબંધ પ્રાણીઓનું ઘર હતી.
જ્યારે તે સજીવો મૃત્યુ પામતા, તેઓ ડૂબીને તળીયે જતા અને દરિયાની ફાટમાં દટાતા.
કરોડો વર્ષ પછી, તેમના અવશેષો ખનીજ તેલ, ખનીજ વાયુ બન્યા.
કોઈ કાળે, તટપ્રદેશ ફસકીને દરિયાની ફાટની અંદર જતો રહ્યો અને પેલી જીવંત કરાડ ખતમ થઈ ગઈ.
ત્યારે, તે દરિયાઈ શહેર, જે મૃતકોનું બનેલું હતું, સપાટીથી લગભગ એકાદ માઈલ નીચે દટાયું.
પાછળથી, ટૅક્ટોનિક બળો તે કરાડના હાડપિંજરને દરિયાઈ સપાટીની ઉપર લઈ આવ્યા. જ્યાં તે સદીઓ સુધી પવન અને વરસાદની છીણી-હથોડી વડે ઘડાતું રહ્યું.

કલ્પના કરો, ૨૭૫૦ લાખ વર્ષ પહેલાં, જીવનથી ધબકતા, એક દરિયાઈ તટવર્તી હૂંફાળા વિસ્તાર તરીકે તે જગ્યા કેવી લાગતી હશે!

ત્યારે ઈંગ્લેન્ડ અને ઉત્તર આફ્રિકા શાખ પાડોશી હતા.
એટલાન્ટિક સમુદ્ર નામની કોઈ ચીજનું અસ્તિત્વ જ ન હતું.
તેને બદલે હતા નાના મોટા સરોવરો.
તે સરોવરો એક વિશાળ ખંડના ખંડ-ખંડ થવાની અને પૃથ્વી પરના જીવન પર મોટી ઘાત આવવાની નિશાની હતા.
લાખો વર્ષ પછી તે સરોવરો લાંબા અખાત બન્યા અને છેવટે વિસ્તરીને ઍટલેન્ટીક મહાસાગર બન્યા.
સપાટી પરના આ તીવ્ર-મોટા ફેરફાર હકીકતે પૃથ્વીના પેટાળમાં થઈ રહેલી ભયંકર ઉથલપાથલના જ લક્ષણો હતો.
પણ, આપણે તેમને જોવા પહોંચીએ તે પહેલાં વૈશ્વિક ઉથલપાથલના તે ચિહ્નો દરિયાના પેટાળમાં દટાઈ ગયા.
પૃથ્વી પરના હિંસક ભૂતકાળથી આપણે સાવ જ કપાઈ ગયા. આપણે બન્યા એક સ્મૃતિભંશ પ્રજાતિ કે જે જાણવા- શોધવા નીકળી હોય કે પોતે જાગી તે પહેલાં પોતાના ઘરમાં શું થયેલું?

ગોલ્ડન એઈજ ઑફ ઍક્સપ્લોરેશનના ૮૦ વર્ષના (૧૪૯૦-૧૫૭૦) સંશોધનોને આધારે અબ્રાહમ ઑર્ટેલિયસે ૧૫૭૦માં દુનિયાનો પહેલો વહેલો આધુનિક નકશો બનાવ્યો.

બીજા કેટલાક ચુનંદા લોકોની જેમ તેના ધ્યાનમાં પણ આવ્યું - પોતાની અદ્વુત રચનાને બે ડગલાં પાછળ ખસીને જોતાં- કે ઍટલાન્ટિકની બંને તરફના ખંડ એકબીજાને ચસોચસ બંધ બેસે છે; કોઈ એક કોયડાના બે ટૂકડાની જેમ.
ઑર્ટેલિયસે જ પાછળથી લખ્યું કે ઘણા બધા ધરતીકંપ અને પુરને કારણે અમેરિકા અને યુરોપ આફ્રિકાથી છૂટા પડ્યા.
પણ, કેટલીક સદીઓ સુધી ઑર્ટેલિયસનું અવલોકન એક અંત: સ્ફુરણા જ બની રહ્યું ;  છેક વીસમી સદીની શરૂઆતમાં જ્યાં સુધી એક જર્મન ખગોળ શાસ્ત્રી અને મીટરીઓલૉજીસ્ટે તે ધારણાની સત્યતા પુરવાર કરવા સાબિતીઓનો ખડકલો એકઠો ના કર્યો.
આલ્ફ્રેડ વૅગનર પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી પામેલ. પણ, વહેલાં ઘાયલ થઈ જતાં તેણે સૈન્ય અસ્પતાલમાં સારવાર લેવાની થઈ અને તે દરમ્યાન તેણે વૈજ્ઞાનિક સાહિત્ય ફેંદીને પૃથ્વીના ભૂતકાળનું પગેરું દબાવ્યું.
તે ઘટનાના વર્ષો પહેલાં, એક વિશિષ્ટ સંશોધન પત્ર વૅગનરને હાથ લાગેલો.
હંસરાજ(ફર્ન)ની એક લુપ્ત પ્રજાતિના અશ્મિ ઍટલાન્ટિકના બંને છેડે મળી આવ્યા છે તે બાબતની વૅગનરને બહું નવાઈ લાગેલી.
તેથી ય વધુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે સરખા પ્રકારના ડાયનોસોરના અશ્મિ પણ બંને ખંડોમાં મળી આવેલા.

૨૦મી સદીની શરૂઆતમાં ભૂસ્તર શાસ્ત્રીઓ એક કલ્પના સમજાવતા કે ખંડો વચ્ચે ક્યારેક જમીની પુલ હતો અને તે રીતે જીવન દરિયો વિંધી પેલે પાર પહોંચ્યું.
એવું માનવામાં આવતું કે જમીનનો એ સેતુ સમય જતાં ખવાઈ ગયો, ઘસાઈ, ધોવાઈ ગયો અને દરિયાની થપાટોથી નાશ પામ્યો.
પણ, એક સાબિતીએ વૅગનરને સ્પષ્ટ કરી દીધું કે તે સમયની પૃથ્વી વિશેની સ્વિકૃત માન્યતા સદંતર ખોટી હતી.
કોઈ પર્વત શૃંખલા દરિયો વિંધીને સામે ખંડે શું કામ પહોંચે? બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના ખડક સ્તરોમાં એકસરખી વિશિષ્ટ ભાત કઈ રીતે હોઈ શકે? ઉષ્ણકટિબંધીય છોડવા આર્કટિકના હેમાળામાં કયા સંજોગોમાં પાંગર્યા હોય? - વૅગનરે સારવ્યું કે આ બધા કોયડાનો એક જ તાર્કિક ઉકેલ છે : પૃથ્વીના બધા ખંડો કોઈક સમયે એક હતા, એક મહાખંડ તરીકે.
વૅગનરે તે મહાખંડને નામ આપ્યું પૅન્ગીઆ.

 "અને એમ વૅગનર તે સમયના વૈજ્ઞાનિક સમુદાયમાં હિરો બની ગયો."-એમ લાગ્યું હશે તમને.
ના.
મોટાભાગના ભૂસ્તર શાસ્ત્રીઓએ વૅગનરની પૂર્વધારણા -એક મહાખંડમાંથી ખંડો છૂટા પડવાની-ને હસી કાઢી.
વૅગનરની સાબિતીઓમાંથી પણ તેમણે પોતાના કાલ્પનિક જમીનપુલની ધારણાના બંધ બાંધ્યા.
તેમણે પ્રશ્ન ઉઠાવ્યો : સખત પથરીલા દરિયાઈ તળને ભેદીને ખંડ કેવી રીતે પસાર થઈ શકે?
વૅગનર સંતોષકારક જવાબ આપી ના શક્યો.
વૈજ્ઞાનિક સમારંભોમાં તે અસ્વિકૃત થયો, હાસ્યાસ્પદ ઠર્યો.
એમ છતાં, પોતાના વિચાર માટે વૅગનર ઝઝૂમતો રહ્યો; સાબિતીઓ એકત્ર કરવા જોખમી સંશોધન-સાહસ યાત્રાઓ કરતો રહ્યો.
આવી એક યાત્રાએથી પાછા ફરતી વખતે તે હિમવર્ષા સાથેના વાવાઝોડામાં ફસાયો.
તેની પચાસમી જન્મ તારીખના એક બે દિવસ પછી તે ગૂમ થઈ ગયો. એવું જાણ્યા વગર કે સમય જતાં પોતે સાચો પુરવાર થશે અને ઈતિહાસમાં એક મહાન ભૂસ્તર શાશ્ત્રી તરીકે ખ્યાતિ પામશે.
વૈજ્ઞાનિકોય છેવટે માણસો જ છે.
તેમને ય પૂર્વગ્રહો અને બ્લાઈન્ડ સ્પોટ્સ હોય છે.
વિજ્ઞાન એક એવી યાંત્રિક કાર્ય પદ્ધતિ છે જે તે ખોળી આપે છે.
મુશ્કેલી એ છે કે આપણે વિજ્ઞાનના મૂળભૂત મૂલ્યો પ્રત્યે હંમેશાં નિષ્ઠાવાન રહેતા નથી.
મૅરી થર્પથી વધારે કોણ સમજી શકે આ વાત!


૧૯૫૨માં મૅરી ભૂસ્તર શાસ્ત્ર વિભાગના સાથી સભ્યોની ઉપેક્ષા ખુબ ધીરજથી સહન કરતી હતી.
ભૂસ્તર શાસ્ત્ર અને વિજ્ઞાનમાં તેણે મેળવેલી ઉપાધીઓની સહકર્મીઓને મન કોઈ કિંમત ન હતી.
બ્રુસ હિઝેન, ઈઓવાની એક સ્નાતક કક્ષાની વિદ્યાર્થી સોનાર વડે દરિયાના તળનો નકશો બનાવવાની લાંબી સાહસયાત્રા પરથી તાજો પાછો ફરેલી.
થાકેલી હિઝેને પોતે એકત્ર કરેલ માહિતી જોતાં વિચાર્યું, "જોઈએ આમાંથી કશું નીપજે તો."
બ્રુસે મૅરીને બોલાવી.
અને બધું સ્પષ્ટ થઈ ગયું.
એટલાન્ટિકના તળિયે એક વિશાળ કરાડ ખીણ(રીફ્ટ વૅલી) પથરાયેલી હતી.
અત્યાર સુધી જે વાત બે છોકરીઓ વચ્ચેની ગપશપ હતી, તે હવે ગંભીર મુદ્દો બની ગઈ.
"તારે ઓછી મુશ્કેલીઓ છે તે વળી તું ખંડીય ભંગાણની વાત ઉપાડે છે! તું પણ વૅગનરની જેમ હાસ્યાસ્પદ ઠરવા માંગે છે કે?"
પણ, પીછેહઠ કરે તે મૅરી નહીં.
વર્ષો પછી જ્યારે મૅરી અને બ્રુસે દરિયાઈ તળના પોતે બનાવેલા નકશા ઉપર દરિયાઈ ધરતીકંપના ઍપીસેન્ટર્સનો નકશો મૂક્યો, ધરતીકંપ સાથે રીફ્ટ વૅલી ચસોચસ બેઠી.
સરકતા ખંડોની વૅગનરે ફોડેલી બંદૂકનો તે ધૂમાડો હતો.
હિઝેનને સમજાયું કે મૅરી પહેલેથી સાચી હતી.
બંનેએ સાથે મળીને પૃથ્વીનો પહેલો સાચો નકશો બનાવ્યો, દરિયાઈ તળ સહિતનો.
પૃથ્વીની આત્મકથા વાંચવા માણસજાત છેવટે તૈયાર થઈ.


No comments: