9.2.20

કૉસ્મોસ _૨૧

પૃથ્વી પરથી નાશ પામેલી દુનિયા _૧

આપણું ઘર.
પૃથ્વી.
આજથી ૩૫૦૦ કરોડ વર્ષ પહેલાં, જ્યારે પૃથ્વીની ઉંમર ૪૦ લાખ વર્ષ થયેલી ત્યારે પૃથ્વી સાવ જ જુદી હતી.
એ સમયની પૃથ્વીને વિમાનમાંથી જોઈએ તો એકપણ ખંડ ઓળખી શકીએ નહીં.
વધુ દૂરથી જોઈએ તો પૃથ્વીનું સ્થાન પણ નક્કી કરી શકીએ નહીં.
તેની જગ્યા નક્કી કરવામાં તારા પણ ઉપયોગી નહીં નીવડે.
નક્ષત્રો પણ તે સમયે જુદા હોવાના.
હજી તો ડાયનોસોર આવવાને ૧૦૦૦ કરોડ વર્ષની વાર છે.
પૃથ્વી પર નથી કોઈ પક્ષી કે પુષ્પ.
હવા પણ સાવ જુદી છે.
પૃથ્વી પર ના ભૂતો, ના ભવિષ્યતિ એટલો ઑક્સિજન હતો ત્યારે. પ્રચુર માત્રામાં.
તેને કારણે જીવજંતુઓ વિશાળકાય બની ગયેલા. અત્યારે છે તેના કરતાં ઘણા ઘણા મોટા.
કેવી રીતે? જીવજંતુઓને તો ફેફસાં નથી હોતાં.
જીવનપોષક પ્રાણ વાયુ તેમના શરીરના ખુલ્લા રંધ્રો મારફતે તેમનામાં પ્રવેશીને નલીકાઓના માળખા વડે શરીરમાં વહન પામતો.
જો જંતુ ઘણો મોટો હોય તો તે નળીઓનો બહારનો ભાગ મોટાભાગનો પ્રાણવાયુ શોષી લેતો, અંદરના અંગોમાં વાયુ પહોંચે તે પહેલાં.
પરંતુ, કાર્બનીફિરસ સમયે, વાતાવરણમાં હાલના કરતાં લગભગ બમણો ઑક્સિજન હતો.
એટલે, જીવજંતુઓ વિશાળકાય હોવા છતાં તેમને પુરતો ઑક્સિજન મળી રહેતો.
એટલે જ તે સમયે વાણિયો (ડ્રેગન ફ્લાઈ) ગરૂડ જેટલા મોટા હતા અને કાનખજૂરા જેવા બહુપાદ મગર જેવડા હતા.

પણ, તે સમયે એટલો બધો ઑક્સિજન કેમ હતો?
જીવનનો એક નવો પ્રકાર એટલો પ્રાણવાયુ પેદા કરતો હતો.
એવું તે કયું જીવન જેણે પૃથ્વીના વાતાવરણમાં ખુબ મોટો ફેરફાર લાવી દીધો?

વૃક્ષ.
આકાશ આંબતા.
સૂર્ય પ્રકાશ મેળવવાની હરિફાઈમાં તે ગુરૂત્વાકર્ષણ ઉવેખીને ઊંચા થતા ગયા.
વૃક્ષો પહેલાં ઊંચામાં ઊંચું ઘાસ કમર જેટલી ઊંચાઈનું હતું.

પછી, એક જોરદાર બીના બની.

એક એવો વૃક્ષાણુ ઉત્ક્રાંત થયો જે મજબૂત અને લવચીક હતો. એક એવું તત્વ જે ઘણા બધા વજનને ખમી શકે અને સાથે સાથે તૂટ્યા વગર પવનમાં નમી શકે.

લીગ્નીન-ને કારણે વૃક્ષ બન્યા.

હવે જીવન ઉન્મુખ વિકસી શકવાનું હતું.

લીગ્નીનને કારણે એક નવી જ દિશા ખુલી.

જમીનથી ઘણે ઊંચે ત્રિપરિમાણીય માળખાનો સમુદાય ઊભો થયો.

પૃથ્વી વૃક્ષગ્રહ બની ગઈ.

પણ, લીગ્નીનની એક મર્યાદા હતી.
તેને પચાવવું અઘરું હતું.
કુદરતના શૈવ સમૂહ, ફૂગ, બૅક્ટેરિયા જ્યારે લીગ્નીનયુક્ત કશું પણ આરોગતા, તેમને ભયંકર અપચો થતો.
ઊધઈને ઉત્ક્રાંત થવાને હજી ૧૦૦ કરોડ વર્ષની વાર હતી.
તેવામાં, મરેલા વૃક્ષોનું શું કરવું?
લીગ્નીન સહિત તેમને પચાવતું જૈવિક રસાયણ ઉત્ક્રાંત કરતાં ફૂગ અને બૅક્ટેરિયાને અમુક લાખ વર્ષ થયા.
દરમ્યાન, વૃક્ષ ઉગતા રહ્યા, મરતા રહ્યા, જમીન પર પડી જઈને સદીઓ સુધી માટીમાં દટાતા રહ્યા.
છેવટે, પૃથ્વી પર લાખો કરોડો વૃક્ષોની કબરો બની.
આખી પૃથ્વી પર ચોમેર મૃત વૃક્ષો.
તેનાથી શું નુકસાન થવાનું હતું, ભલા?

નોવા સ્કોટીયાની ભેખડો એક જુદા પ્રકારનું કૅલેન્ડર છે.
તેમાં છે બીજી દુનિયાની વાતો, જે તે જગ્યાએ રચાઈ હતી.

આવો જોઈએ ૩૦૦ કરોડ વર્ષ જૂના વૃક્ષના મૌતનું મહોરું.

તેના મૂળ કાષ્ટ કોષોને એક પછી એક ખસેડીને, તેની જગ્યાએ ગોઠવાઈને કેટલાક ખનીજોએ તે વૃક્ષને એક બીબું બનાવી દીધું છે.

બીજા શબ્દોમાં, અશ્મિ.
તે વૃક્ષે તેના જૈવિક અણુઓ- કાર્બન અને પાણી- કેટલાય સમય પહેલાં વાતાવરણને સોંપી દીધા હતા.
રહ્યો માત્ર તેનો આકાર.
જ્યારે તે વૃક્ષ જીવંત હતું, તેણે સૂર્ય પ્રકાશની મદદથી પોતે શ્વસેલા કાર્બન ડાયોક્સાઈડ અને શોષેલા પાણીને ઊર્જા સમૃદ્ધ જૈવિક દ્રવ્યોમાં ફેરવ્યા હતા.
અપવ્યય તરીકે તેણે ઑક્સિજન મુક્ત કરેલો.
એ જ તો કરી રહ્યા છે વૃક્ષો અને વનસ્પતિઓ હજી સુધી.
જ્યારે વનસ્પતિ મૃત્યુ પામે, તે સડવા માંડે છે અને તેથી વળતી ચૂકવણી શરૂ થાય.
મૃત વનસ્પતિ-વૃક્ષના જૈવિક દ્રવ્યો ઑક્સિજન સાથે ભળીને વિઘટન પામે છે અને એમ પોતે શ્વસેલો કાર્બન ડાયોક્સાઈડ હવામાં પાછો વાળે છે.
આમ, પૃથ્વીના વાતાવરણમાં રસાયણશાસ્ત્રના ચોપડે હિસાબ સરભર થાય છે.
પણ, જો વૃક્ષ સડતાં પહેલાં દટાઈ જાય તો બે બાબત બને : ૧) તેમનો કાર્બન અને તેમાં સચવાયેલી સૂર્ય ઊર્જા તેમની સાથે જ દટાઈ જાય. ૨) તેમણે મુક્ત કરેલો ઑક્સિજન હવામાં જ રહે.

૩૦૦૦ કરોડ વર્ષ પહેલાં બરાબર એવું જ થયું.

ઑક્સિજનનો ભંડાર વધી પડ્યો.
એટલે પેલાં જીવજંતુ એટલા બધા મોટા થયા.
અને પેલા દટાયેલા કાર્બનનું શું થયું?
તે સદીઓ સુધી ત્યાં જ દટાયેલો રહ્યો; પૃથ્વી પરના જીવનને પડેલા સૌથી ખતરનાક ફટકાને ઠેકાણે લગાવતા પહેલાં.

પૃથ્વી પર હજી પણ કેટલીક એવી જગ્યાઓ છે, જ્યાં આપણે સમયયાત્રા કરીને પથ્થરોમાં લખાયેલા ઈતિહાસને વાંચી શકીએ.
નોવા સ્કોટીયાનો દરિયાકિનારો એવી જ એક જગ્યા છે.
અહીંના ખડકોનું દરેક સ્તર કોઈ પુસ્તકનું પાનું છે.
દરેક સ્તર કહે છે પૂરની વાત. એક પછી એક એમ રાખો વર્ષ સુધી આવતા રહેલા પૂરની વાત.
પૂર સાથે તણાઈ આવેલી ચીજોનું પડ દટાઈ ગયું અને તાપ તથા દબાણને કારણે પથ્થર બની ગયું.
પછી, જે બળોએ પર્વતો બનાવ્યા, તેમણે જ તે પથ્થરોને ઉપર ધકેલ્યા, દટાયેલા અશ્મિ સાથે.
સૌથી તાજા સ્તરની નીચે ક્રમશઃ જૂના સ્તર.
દરેક પાનું એકદમ ક્રમબદ્ધ.‌ કરોડો વર્ષ પહેલાં, આ સ્થળે ઘટેલી ઘટનાઓની તવારીખ સાચવીને બેઠેલું.
અહીં સચવાયેલો છે પુરાતન સમય.
અહીં ભરાતું પ્રત્યેક પગલું ૧૦૦૦કરોડ વર્ષનું છે, ૩૦૦૦ કરોડ વર્ષના ભૂતકાળમાંથી વર્તમાન તરફનું.

ત્યારે પર્મીયન ગાળો પૂરો થવાને આરે હતો. જેની સરખામણી પણ ના થઈ શકે તેવા જીવસંહારનો સમય.
જીવન વૃક્ષની તૂટેલી શાખાઓની તવારીખમાં પર્મીયન અંધારો ખૂણો છે, જાણે કે લુપ્ત પ્રજાતિ સંગ્રહાલય.
મૃત્યુના આધિપત્યનો એવો ગાળો ત્યારથી પચીસેક હજાર વર્ષ સુધી પૃથ્વી પર આવ્યો નથી.
અત્યારે જ્યાં સાઇબિરીયા છે ત્યાં ફાટેલા જ્વાળામુખી હજારો હજારો વર્ષ સુધી ધધકતા રહ્યા હતા.
તેના લાવાએ ચૉમેર રેલાઈને લગભગ દસેક લાખ ચોરસ માઈલ વિસ્તાર દાટી દીધો.
ઐતિહાસિક સમયમાં થયેલા જ્વાળામુખીના તાંડવ તો પેલી ધધક આગળ બચ્ચું લાગે.
જ્વાળામુખીની ફાટમાંથી ખુબ મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પણ ઠલવાયો.
તેને કારણે ગ્રીન હાઉસ વાયુઓએ વાતાવરણ વધુ હુંફાળું કરી દીધું.
અને અહીં અનુસંધાન થાય છે કાર્બોનીફોરસ સમય દરમ્યાન દટાયેલા જંગલોની વાતનું.
વચગાળાના સમયમાં પેલા દટાયેલા વૃક્ષ કોલસાનો વિપુલ ભંડાર બની ગયેલા. એટલે સાઇબિરીયા ખનીજ કોલસા બાબતે પૃથ્વીનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે.
લાવારસની ગરમીએ કોલસાને તપાવીને કઠણ કર્યો. તે સાથે જમીનમાંથી મીથેન અને સલ્ફર યુક્ત વાયુઓ છૂટા પડ્યા.
કોલસાના તે ધૂમાડામા‌ં ઝેરી વાયુઓ અને કિરણોત્સર્ગી તત્વો ઠસોઠસ હતા.
તેને કારણે પૃથ્વીની આબોહવા ભયંકર રીતે અસ્થિર થઈ અને વાતાવરણ પ્રદૂષિત થયું.
સલ્ફ્યુરીક ઍસિડના ધુમ્મસને કારણે સૂર્ય પ્રકાશ રોકાયો અને પૃથ્વી પર અંધારપટ છવાયો.
વૈશ્વિક તાપમાન ઠારણબિંદુથી ખૂબ નીચું ગયું.
જ્યારે-જ્યારે જ્વાળામુખી શાંત થતા ત્યારે ઍસિડીક ધુમ્મસ સપાટી પર આવી જતું.
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વધતો ગયો અને ગ્લોબલ વોર્મિંગનું કારણ બન્યો.
ઠંડાગાર વર્ષો પછી હજારો વર્ષોની ગરમીએ નબળા પડેલા વનસ્પતિ અને પ્રાણી જીવનને કચડી નાખ્યા.
આબોહવાના તીવ્ર બદલાવ સાથે અનુકૂલન સાધવા માટે તેમને તક-સમય જ ન હતો.
ગ્લોબલ વૉર્મિંગ ચાલું રહેતાં સપાટી પરનું અને ભૂગર્ભજળ ધીમે ધીમે ભેગાં થયાં. જેને કારણે દરિયાના તળના ઠંડાગાર ભાગનું તાપમાન ઊચકાયું.
મીથેનયુક્ત બરફ ઓગળવો શરૂ થયો.
એમ મુક્ત થયેલો મીથેન રસ્તો કરીને સપાટી પર પહોંચ્યો અને વાતાવરણમાં ભળ્યો.
કાર્બન ડાયોક્સાઈડ કરતાં પણ મીથેન ઘણો વધારે ઉષ્મા શોષક છે, એટલે આબોહવા વધુ ગરમ થઈ.
વળી, મીથેનને કારણે સ્ટ્રેટોફીયરનું ઓઝોન પડ પણ નાશ પામ્યું.
જીવલેણ પારજાંબલી કિરણો સામે જીવનનું 'સન સ્ક્રીન' પણ ખવાઈ ગયું.
દરિયાઓના આંતરિક પ્રવાહોનું તંત્ર ઠપ થઈ ગયું.
બંધીયાર પાણીમાં પ્રાણવાયુ ખૂટવા લાગ્યો. દરિયાનો મત્સ્ય સમૂહ લગભગ નાશ પામ્યો.
જીવનનો ફક્ત એક પ્રકાર આવા ક્રુર વાતાવરણમાં ફાલ્યો, જીવલેણ હાઈડ્રોજન સલ્ફાઈડને અપવ્યય તરીકે મુક્ત કરનારા બૅક્ટેરિયા.
વિનાશનો છેલ્લો હથોડો તેમણે માર્યો.
તે ઝેરી વાયુએ જમીન પરની રહી સહી સજીવસૃષ્ટિને લગભગ ખતમ કરી દીધી.
તે હતો મહા વિનાશ, ધી ગ્રેટ ડાઈંગ.
પૃથ્વી પર બચેલું જીવન ઉન્મુલનને આરે આવી પહોંચ્યું.
દસે નવના પ્રમાણમાં પ્રજાતિઓ નાશ પામી.

જીવનને ફરી માથું ઊંચકતાં ઘણા ઘણા વર્ષો લાગ્યા.





No comments: