21.2.21

૪. ૩ (૧૫) : વાવીલોવ (૨૦૨૦)

 રશિયન શિયાળામાં તાજા લીલા વટાણા? સાચે જ?

"ઉઘાડા પગે રખડતા ટ્રોફીમ લીસેન્કો જો કહે તો સાચું હોય."

ના કોઈ વિશ્વ વિદ્યાલય કે પ્રયોગ શાળા, ના શતાવરી જેવા પ્રાચીન ખાદ્ય પદાર્થની શોધમાં વિદેશ યાત્રાઓ. ટ્રોફીમ સંશોધન કરતો રશિયન ખેતરોમાં, ખેડૂતની જેમ. અને તેના કારણે જાન્યુઆરીમાં રશિયનોને લીલા વટાણા મળવાના હતા.

એક તરફ જૉસેફ સ્તાલિન પોતાના રાજકીય વિરોધીઓની પદ્ધતિસર કતલ કરી રહેલો, બીજી તરફ તે રશિયન ખેતીને ભારે ફટકા મારી રહેલો, આધુનિક બનાવવા; જેનું પરિણામ ભયાવહ આવ્યું. વધારે સમૃદ્ધ ખેડૂતો કે જેઓ કુલાક નામે ઓળખાતા, સ્તાલિને તેમને એક વર્ગમાં ઢાળી દીધા. લગભગ પચાસથી સો લાખ લોકો ભૂખભરાનો ભોગ બન્યા.

ટ્રોફીમ લીસેન્કોએ તે દુઃખદ ઘટનાને એક તક બનાવી. વાવીલોવના જ્ઞાન અને પ્રસિદ્ધિ લીસેન્કોને અકળાવતાં અને કોઈ સાપની જેમ તે તાકી રહેલો. છેવટે, તેની ઈર્ષ્યાનું ઝેર સંહારનું કારણ બનવાનું હતું.

મધ્ય એશિયા પહોંચેલો વાવીલોવ ગાર્ડન ઑફ ઈડન શોધતો હતો, કારણકે પહેલાં વહેલાં સફરજન ત્યાં થયેલાં. દરેક બીજ જ્યાં પહેલાં વહેલાં પાંગર્યું તે સ્થળની શોધમાં વાવીલોવ આખી દુનિયામાં રખડતો હતો. દરેક બીજના નમૂના એકઠાં કરી તેમને સંભાળપૂર્વક સાચવી લેવા. વર્ષો પછી તે જ્યારે વતન પાછો ફર્યો ત્યારે રશિયા બદલાઈ ગયેલું. તે ભયંકર દુષ્કાળમાં સપડાયેલું હતું. ક્રાંતિ પ્રેરિત આશાવાદ હતાશા અને નિરાશામાં પલટાઈ ગયેલો.

ત્યારના લેનીનગાર્ડ શહેરમાં વાવીલોવે સ્થાપેલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ ઈન્ડસ્ટ્રી પાસે જનીનીક માહિતીનો દુનિયાનો સૌથી મોટો જથ્થો હતો. તેના સાથીદારો પ્રત્યેક બીજને તારવીને તેનું વર્ગીકરણ કરી રહેલા. પ્રત્યેક ભૂખ્યો રશિયન તેમની જવાબદારી હોય એવી ખંતથી તેઓ કામ કરી રહેલાં.

લીસેન્કો સ્તાલિન પાસે પહોંચ્યો. " કૉમેરેડ, દેશની સુરક્ષા બારામાં અગત્યની વાત મારે તમને કહેવી છે. વૈજ્ઞાનિકો જૂઠ ફેલાવી રહ્યા છે. ડાર્વિન, મૅન્ડેલ, વાવીલોવ, બધા. તેઓ કહે છે કે જિરાફની ડોક એટલા માટે લાંબી નથી કે તે ઊંચા વૃક્ષના પાંદડા ખાઈ શકે. તેમનું કહેવું છે કે કોઈ કાલ્પનિક, અદ્રશ્ય તત્ત્વ જેને તેમણે જનીન નામ આપ્યું છે, તેમાં તેવા જ અજાણ્યા કારણોથી એવા ફેરફાર આવે છે કે જે જિરાફને પોતાની ડોક લાંબી કરવા પ્રેરે છે."

"કાલ્પનિક બાબતોમાં હું માનતો નથી." સ્તાલિને કહ્યું.

"વાવીલોવ જ્યારે સુવેનિયર શોધવા દુનિયામાં ફરી રહેલો ત્યારે રશિયા માને જેની જરૂર છે તેવો રસ્તો શોધી કાઢ્યો છે. આકરા શિયાળામાં પાકે તેવાં ઘઉંની જાત.  પણ, તેને અમલમાં મૂકવા મને છૂટો હાથ મળવો જોઈએ, કોઈ જૂનવાણી જિનેટીક્સની દખલ વગર."

સ્તાલિન તેની વાતમાં કેમ આવી ગયો? કેમકે, તે તેવી વાત માની લેવાની ઉતાવળમાં હતો.

લીસેન્કો એક નકામી ઠેરવી દેવાયેલ- ૧૯મી સદીના નેચરાલીસ્ટ જીન-બાપ્ટિસ્ટ લેમાર્કની સંકલ્પના પર દાવ માંડીને બેઠેલો. તે માનતો કે સજીવે મેળવેલા લક્ષણો, જેમકે જિરાફની ડોક, તે પછીની પેઢીને વારસામાં મળે જ છે.

તે એ સમજવામાં થાપ ખાઈ ગયો કે કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ અને જરાક લાંબી થયેલી ડોકવાળા જિરાફની પેઢીના સાતત્યપૂર્ણ ઊંચા જન્મ દરને પરિણામે વર્તમાનના જિરાફને જે છે તેવી ડોક મળી છે.

જનીનોના આકસ્મિક સંકરણ કે ફેરબદલને કારણે જિરાફમાં લાંબી ડોકની સંભાવના ઊભી થઈ, જેણે તેવા જિરાફને જીવનદોડમાં સફળતા આપી; નહીં કે ડોક ખેંચવાની મનોશારીરિક કસરતોએ. આ બાબત ચાર્લ્સ ડાર્વિનની ક્રાંતિકારી કોઠાસૂઝ હતી. : કુદરતી પસંદગી દ્વારા ઉત્ક્રાંતિ

લીસેન્કોએ સ્તાલિનના કાન ભર્યા કે ભૂખમરા મૂક્તિના સદી જૂના રશિયન ખ્વાબને તે સાચું પાડશે. તે વખતે વળી સ્તાલિનની પકડ તે કારણથી જ ઢીલી પડી રહેલી.

લીસેન્કો ઘઉંના બીજને ટાઢા હિમ પાણીમાં પલાળી રાખતો- વર્નલાઈઝેશન, એમ માનીને કે તે બીજમાંથી ઉગનારા છોડ બરફ સામે ઝીંક ઝીલી લેશે. તેણે એવો ખોટો દાવો પણ કર્યો - નવા છોડ રશિયન શિયાળા સામે ટકી જશે. તે માટે સંકરણની સમય ખાનારી માથાકૂટ જરૂરી નથી.

લીસેન્કોના તરંગ અને પ્રયોગ વચ્ચે એક જ અડચણ હતી- વાવીલોવ અને જિનેટીક્સ પ્રત્યેનો તેનો જડસુ લગાવ.

દુઃખદ વાત તો એ હતી કે જ્યારે લીસેન્કો સ્તાલિનને ઊઠાં ભણાવતો હતો ત્યારે વાવીલોવ અને તેના સાથીદારો ઊંચાઈ પર થનારા ઘઉંની પ્રજાતિનું સંકરણ કરી રહેલા, જેમનામાં રશિયન ખેત પેદાશ વધારવાની શક્યતા હતી.

વાવીલોવને એંધાણ વર્તાઈ ગયેલાં. સ્તાલિનના ગુસ્સાનો ભોગ બનનાર લાંબુ જીવતો નહીં. વાવીલોવે તેના સાથીદારોને કહ્યું, " ત્રણ દિવસ પહેલાં સિક્રેટ પોલીસ યેવગ્ને અને લીઓનીડ વિશે પુછતી હતી. ત્યારથી તેમના કોઈ ખબર નથી. લીસેન્કો બધા આરોપ આપણા માથે મારવા તૈયાર બેઠો છે. ગમે તે થાય, તમારું કામ ચાલુ રાખો અને તે બને એટલી ઝડપથી કરો. આપણે માઈકલ ફેરાડે જેવા મહેનતું અને બધા તારણોની બરાબર નોંધ રાખનારા બનવું પડશે. હું ગાયબ થઈ જાઉં તો બીજા કોઈકે મારી જગ્યાએ આવી જવાનું. એક જ બાબત મહત્વની છે- વિજ્ઞાન યોગ્ય રીતે ખપમાં લેવું. દુકાળ દૂર કરવાનો તે એક માત્ર રસ્તો છે. કૉમરેડ, તેઓ મારી, તમારી, બધાની ધરપકડ કરશે. માટે બને એટલી ત્વરાથી કામ કરીએ."

યુક્રેન પર સ્તાલિને લાદેલી સામૂહિક ખેતી માનવ ઈતિહાસનું કલંકિત પ્રકરણ છે.

તે દુકાળ એટલો ભયંકર અને વ્યાપક હતો કે તેને વર્ષ કે જગ્યાના નામને બદલે ખાસ નામ મળ્યું - હોલોડોમોર, ભૂખમરાથી થયેલ સામૂહિક નિકંદન.

કૂલક ખેડૂતોને ખેતરોમાંથી તગેડી ફૅક્ટરીઓમાં કામે લગાડી દેવાનો સ્તાલિનનો ઉત્સાહ નરસંહારની રસમ બની ગયો.

વાવીલોવ અને તેનું જીનેટિક્સ આ બધાના વિરોધમાં હતું.

વૈશ્વિક વૈજ્ઞાનિક સંસ્થાનો વાવીલોવ અને તેના વિચારોના પ્રસંશકો હતા. સ્તાલિને વાવીલોવ માટે દેશ બહાર જવા પર પ્રતિબંધ કરે તો તેઓ આંતરરાષ્ટ્રીય જિનેટીક્સ કૉન્ગ્રેસ મોસ્કોમાં કરવા તૈયાર હતા. સ્તાલિન જાણતો હતો કે વાવીલોવથી છૂટકારો સરળ નથી.

તો, સૌ પહેલાં તેને બેઆબરૂ કરો. પછી તેની સાથે ચાહો તે કરો.

વા: પાલક અને વટાણાના પ્રોટીન પરથી તેમને જુદા પાડનાર તત્ત્વો આપણા બાયોકૅમિસ્ટ શોધી શક્યા નથી.

લી : તે તો કોઈ પણ વ્યક્તિ માત્ર ચાખીને જુદા પાડી આપે.

વા : કૉમરેડ, આપણે તેમને રાસાયણિક રીતે અલગ તારવી શક્યા નથી.

લી : પણ, જે વસ્તુ જીભ વડે પારખી શકાય તેને રાસાયણિક રીતે પારખવાની જરૂર જ શું છે?

લીસેન્કો અને તેના જેવા વિજ્ઞાનના વિરોધીઓ ભવિષ્ય માટે સોવિયેત ખેતી કાયદા નક્કી કરવામાં અગ્રેસર બન્યા.

લી : તો કોમરેડ, બર્ફીલા પાણીમાં પલાળી રાખેલા બીજ આપણા દેશના શિયાળા સામે ટકી જઈને અનાજના કોઠાર ભરી દેશે.

વા : ચકાસી જોયું ખરું? ક્યાં છે પ્રયોગના તારણો?

લી : કાં તો અમારા આયોજનમાં જોડાઓ કાં તો...

વા : વિજ્ઞાન વિષયક જૂઠાણું હું નહીં ચલાવી લઉં, ભલે ગમે તે થાય.

             ---

"કૉમરેડ વાવીલોવ, સોવિયેત સંઘ વિરુદ્ધ વિદેશી જાસૂસ હોવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે."


અંક ૧૪: https://interact-6aya.blogspot.com/2021/02/blog-post_14.html

No comments: