13.12.20

(લેખાંક પ) ૨.૧ : જીવનક્ષમ પ્રદેશ તરીકેના સરકતા આશિષ

બીજી દુનિયાઓએ અવકાશના ઊંડાણ માપવા મોકલી હોય તેવી સ્પેશ શિપ આપણી આકાશગંગામાં હોઈ શકે છે. તે કદાચ એક પછી એક તારા મંડળો તરફ જઈ રહી હોય; જીવન જ્યાં સ્થાયી થયું હોય તેવી દુનિયાઓની શોધમાં. તેમને પણ અંદાજ ના હોય તેવા જીવનના ગુણધર્મોનો નજીકથી અભ્યાસ કરવા.

૪૦૦ કરોડ વર્ષ પહેલાં, તેની બાલ્યાવસ્થામાં પૃથ્વી ખાસ આશાસ્પદ જણાતી ન હતી.

તે વખતે શુક્ર પર મહાસાગરો, જમીન અને કદાચ, જીવન હતાં. શુક્ર પાસે પાંગરવાની, જીવનક્ષમ પ્રદેશ બનવાની તક હતો. કોઈ પણ દુનિયા માટે, પોતાના તારા સાથે એવા સંબંધનો ગાળો જ્યારે ના તો તે અતિશય ગરમ હોય, ના ઝાઝો ટાઢો.‌ દુનિયાના અસ્તિત્વનો એવો સમય જ્યારે તે જીવનને જણી શકે, જીરવી શકે. 

પણ, જીવનક્ષમ પ્રદેશ હોવાના આશિષ સરકતી ચીજ છે અને કોઈ પણ દુનિયા માટે તે કાયમી નથી. 

આપણે આપણા તારાના જીવનક્ષમ પ્રદેશમાં વસીએ છીએ અને તે પ્રદેશ ત્રણ ફૂટ પ્રતિ વર્ષના દરે વિસ્તરી રહ્યો છે. પૃથ્વીના જીવનક્ષમ સમયનો ૭૦% ભાગ વીતી ચૂક્યો છે. જોકે, ચિંતાનું કોઈ કારણ નથી, પૃથ્વી બહાર વસવાટનું આયોજન કરવા આપણી પાસે હજી હજારો લાખો વર્ષ છે.

સૂર્યના આશિષ આપણા માથેથી ઉઠી જશે પછી, ધરતી જીવન બાગ નહીં રહે ત્યારે આપણે ક્યાં જઈશું? દૂધ ગંગાના દરિયાના સૂદૂર ટાપુઓ તરફ આપણી પ્રજાતિએ પ્રયાણ આદર્યું હશે?

પરિવર્તનથી બચવાની કોઈ જગ્યા બ્રહ્માંડમાં નથી. કેટલાક હજાર લાખ વર્ષ પછી સંતાવા માટે કોઈ સલામત સ્થળ નહીં હોય. એક દિવસ આ બધું, કુદરતના કાનૂન મુજબ જીવન-મૃત્યુ અને પુનઃજન્મના અંતહીન ચક્રને શરણે થશે.

આ બ્રહ્માંડ સુંદર વસ્તુઓ ઉત્ક્રાંત કરે છે, પછી તેમને તોડી ટુકડા કરે છે અને તે ટુકડાઓમાંથી જ કશુક નવું સર્જે છે.

બ્રહ્માંડની કોઈપણ દુનિયાની કોઈપણ પ્રજાતિએ જો લાંબુ ટકી જવું હોય તો સામૂહિક પરિવહન કરવા કામ લાગે તેવા આંતર ગ્રહીય અને છેવટે આંતર તારાકીય ઈજનેરી વિકલ્પો વિકસાવવા રહ્યા. 

આ વાતની આપણને કંઈ રીતે ખબર પડી?

બ્રહ્માંડ વિશે આપણે થોડું ઘણું જે કાંઈ જાણીએ છીએ, તેમાં આપણને ભવિષ્યની ઝલક જોવા મળે છે. 

આપણી સભ્યતા માટે માણસ જાતે આપમેળે ઉભા કરેલા જોખમ, ક્લાઇમેટ ચેન્જની વાત હું નથી કરી રહ્યો, તે તો ટૂંકાગાળાની વાત છે. જો આપણે હજારો,લાખો, કરોડો વર્ષ ટકવું હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઊંડેલવાનું બંધ કરવું પડશે, અત્યારે જ. માણસજાતને બેનિફિટ ઓફ ડાઉટ આપીને લાંબાં ગાળાની વાત કરવા હું જઈ રહ્યો છું.

સૂર્ય વયવૃદ્ધ થઈ રહ્યો છે; આપણી જેમ. એક દિવસ તેના ગર્ભમાંનું હાઇડ્રોજન ઇંધણ ખૂટી પડશે.

500- 600 કરોડ વર્ષ પછી, જ્યાં હાઈડ્રોજન ફ્યુઝન થાય છે તે પટ્ટો બહારની તરફ વિસ્તરશે. તે સાથે જ્યાં થર્મોન્યુકિલયર પ્રક્રિયાઓ થાય છે તે કોચલુંય મોટું થશે- તાપમાન સો લાખ ડિગ્રી જેટલું નીચું જાય ત્યાં સુધી. સૂર્ય યલો ડ્વાર્ફ- પિળીયા વામનમાંથી રેડ જાયન્ટ બનશે.


શુક્ર અને પૃથ્વીને જકડી રાખતું તેનું ગુરુત્વાકર્ષણ નબળું પડશે. તેથી, તે બે ગ્રહ થોડાક સમય માટે સલામત અંતરે સરકશે. લાલમટોળ થયેલો, ફૂલેલો વિરાટ સૂર્ય બુધને આવરી લેશે, ગળી જશે. જીવનક્ષમ પ્રદેશના આશિષ વધુને વધુ ઝડપે દૂર સરકતા જશે. 

તે પછી, ફૂલેલા સુર્યના તીવ્ર પ્રકાશ અને ગરમી ગુરુ સુધી પહોંચશે. ગુરુ ફરતેના એમોનિયાના વાદળો અને પાણી તેનામાંથી છટકીને વરાળ સ્વરૂપે અવકાશમાં ફંગોળાઈ જશે. અને પહેલીવાર, ગુરુનું દેખાવડું બાહ્ય વાતાવરણ ખસી જતાં તેની નીચેની ફૂવડ સપાટી દેખા દેશે.

ગુરુના ઠંડાગાર ચંદ્રોમાંના કોઈ એક પર આપણે ઘર બનાવી શકીશું?

અગાઉ કરતા હજારો ગણા તિવ્ર સૂર્યપ્રકાશને કારણે યુરોપા અને કેલિસ્ટો(ગુરુના ચંદ્ર) પરના બરફના ગાઢા સ્તર ઓગળશે અને તેમની નીચેના દરિયા વહેતા થશે. તેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાણીની વરાળ છૂટી થશે, જે ગ્રીનહાઉસ ઈફેક્ટના ચક્રને ગતિમાં લાવશે. ગૅનમીડ (એક ચંદ્ર) -નું એક વખતનું પાતળું વાતાવરણ ગાઢ અને ઘેરું થશે. જો ત્યાં કોઈ પણ સ્વરૂપે જીવન ધબકતું હશે તો તેના ફૂલવા-ફાલવાની, ઉત્ક્રાંત થવાની તે તબક્કે નવી તક ઊભી થશે. ગૅનમીડ તે જીવોની ધરતીમા બનશે.

 આ તો અમસ્તું, કેમકે આપણે નવું ઘર સૂર્યથી સલામત અંતરે ઈચ્છીએ છીએ.


સૌર ઉત્ક્રાંતિ રોકાવાની નથી, જો કે, નવું ઘર શોધવા આપણી પાસે હજારો લાખો વર્ષ છે. બ્રહ્માંડમાં દુનિયા વસાવવાની જગ્યા શોધવા માટે ઘણો બધો સમય છે આપણી પાસે.

શનિના શા હાલ કર્યા હશે પેલા લાલમટોળ રાક્ષસી સૂર્યે? ઓહ! તેની સુંદરતા, તેની સુંદર વિંટીઓ લૂંટાઈ જશે. અને તેના ગ્રહ ટાઈટનનું વાતાવરણ પણ છીનવાઈ જશે. 

અરે! આપણે તો શક્ય દુનિયાની સંભાવનાઓના છેડે આવી ગયા. અહીં છે નૅપ્ચ્યુન, જેનું નામ રોમન દેવતા પરથી પાડવામાં આવ્યું છે. ગ્રીક તેને જ પોસેઈડોન- દરિયાના દેવ નામે ઓળખતા હતા.  

નેપ્ચ્યુનના ચંદ્ર ટ્રીટોન પરના દરિયાનું કોઈએ નામ પાડ્યું નથી- કારણકે સૂર્ય લાલમટોળ રાક્ષસ બને તે પછી તે ઠરેલા ચાંદા પરના ઍમોનિયા અને પાણીનાં પડ ઓગળશે. ટ્રીટોન પર એક દિવસ ૧૪૪ કલાકનો હશે. અને શિયાળો ભયંકર કાતિલ તથા પચાસ વર્ષ જેટલો લાંબો.

(આપણા પછીની પેઢીઓ નવાં જોડકણાં સાંભળશે.)

છતાં, કેટલાક કરોડ વર્ષ પછી ટ્રીટોન ઘર વસાવવાનું સારું સ્થળ જણાય છે. આપણે જોઈએ તે બધું હશે ત્યારે ત્યાં; વાતાવરણ અને પાણીના દરિયા જે જીવન જન્માવનારા બંધારણીય રસાયણો છે. 

ઠીક છે, ટ્રીટોન પર ઠંડી હશે પણ જાન્યુઆરીમાં ન્યુયોર્કમાં હોય છે તેથી ખરાબ નહીં હોય. (તમે આખું વર્ષ સ્કીઈંગ કરી શકશો.)

પણ, એક દિવસ સૂર્યની બધી ઊર્જા ખલાસ થઈ જશે અને જીવનક્ષમ પ્રદેશ તરીકેના આશિષ છેક અહીં ટ્રીટોન પરથી પણ ઊઠી જશે. 

જ્યારે સૂર્યનો રેડ જાયન્ટ કાળ સમેટાઈ જશે, તેના બધાં આવરણ ખસી જશે અને દેખાશે વ્હાઈટ ડ્વાર્ફ. એવો તારો, જેનામાં તેના બચેલાં સંતાનોને હૂંફ આપવા જેટલી ઊર્જા હજી બચી હોય.

તો, જો આપણે અમુક હજાર લાખ વર્ષ પછી પણ ઘર જોઈતું હોય તો આપણે સૂર્ય મંડળની સીમા પાર યાત્રા કરવી રહી; આપણે આંતર તારકીય અવકાશના અસીમ ઊંડા દરિયામાં જહાજ લાગરવું રહ્યું.


ભાગ ૪: https://interact-6aya.blogspot.com/2020/12/blog-post.html








6.12.20

૧.૪. સિતારા સુધીની સીડી

કુદરતના કાયદા પુસ્તકમાં બે પુરાતન રાજ્યો વચ્ચે સંધિની અને સંધિ તોડનારાઓની દ્રષ્ટાંત કથા નોધાયેલી છે. 

ઘણા સમય પહેલાંની વાત છે. તે વખતે બે રાજ્ય હતા.
તેમની વચ્ચે એવી સુમજૂતિ થઈ, જે તે બંનેને તેમની કલ્પના બહારની સમૃદ્ધિ આપવાની હતી.
આ સમજૂતિ લગભગ ૧૦૦૦ લાખ વર્ષ સુધી ટકી. અને પછી તેમાંના એક રાજ્યમાં જુદા પ્રકારનો જીવ ઉત્ક્રાંત થયો. તેના સંતાનોએ સમૃદ્ધિ લૂંટી અને સમજૂતિ તોડી.
તેમની ઉદ્ધતાઈમાં તેઓ બીજા રાજ્ય માટે જ નહીં, પોતાના રાજ્ય માટે પણ જીવનું જોખમ બની બેઠા. 

આ નિતીકથા સાચી છે.
પૃથ્વી પરના અડધા ડઝન સમુદાયમાંના બે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વચ્ચેની આ વાત છે.
લીલા હોવું સહેલું નથી. તમે એક જગ્યાએ ચોંટેલા હોં ત્યારે પ્રજનન એક પડકાર છે. મિલન શક્ય નથી બનતું. તમે બસ ત્યાં જ બેસી રહો અને તમારા બીજ હવાને સોંપી દો. પવન ફૂંકાવાની રાહ જુઓ. નસીબદાર હો તો તમારી પરાગ રજ બીજી વનસ્પતિના પ્રજનન અંગ સુધી પહોંચે. 
'લાગ્યું તો તીર' પ્રકારનો આ નસીબનો ખેલ વનસ્પતિ સૃષ્ટિ અમુક હજાર લાખ વર્ષ સુધી કરતી રહી; કામદેવ રૂપી જીવજંતુ ઉત્ક્રાંત થયાં ત્યાં સુધી.
જીવનના ઈતિહાસમાં આ અનુકુલન સહ ઉત્ક્રાંત લગ્નોમાં પરિણમ્યું.
કોઈ પુષ્પની પ્રોટીન સભર પરાગ રજનો રસ પીવા કોઈ જંતુ તેની મુલાકાત લે. અજાણતાં જ કેટલીક પરાગરજ તેના શરીર પર ચોંટી જાય. શરીર પર ચોંટેલી પુષ્પની પરાગરજ સહિત‌ તે જંતુ બીજા પુષ્પની મુલાકાત લે. અનુકૂળ હોય તો બીજું પુષ્પ ફળે, તેના પ્ર-જનનની તક ઊભી થાય.
જીવજંતુ અને પુષ્પો તેમ બંને તરફ આ એક લાભકારક ભાગીદારી હતી; જેને કારણે ખુશ કરી દેનાર ઔત્ક્રાંતિક ફેરફારોની હારમાળા રચાઈ.
નવો છોડ સર્જાયો જેણે પરાગ રજની સાથે સાથે ગળ્યો રસ પણ પેદા કરવો શરૂ કર્યો. હવે પેલાં જંતુ ફક્ત પ્રોટીન યુક્ત ખોરાક માટે જ નહીં, મીઠાઈ માટે પણ આવતા થયા. જંતુઓ ભરાવદાર બન્યા, તેમના ગોળ મટોળ શરીર પર સુંવાળી રુવાટી આવી અને તેમના પગમાં નાનકડા ખિસ્સા બન્યા; જેમાં વધારે માત્રામાં પરાગ રજ ભરાતી થઈ.
અને આવી માખીઓ.
તેઓ તો વળી પ્રાણીસૃષ્ટિની એક ખાસ પ્રજાતિ માટે વિશેષ લાભકારક બની.
આપણા માટે.
માખીઓ અને તેમના જેવા પરાગ વાહકોના આપણે ઋણી છીએ, આપણા જીવનના ટકી જવા માટે અત્યંત જરૂરી હોય તેવી બાબતે. આપણો ત્રીજો કોળિયો, પછી ભલે ને આપણે ઉભયાહારી હોઈએ, તેઓના કારણે જ શક્ય છે.
દુનિયાની 35% ખેતી તેમના સહકાર પર આધાર રાખે છે.

વનસ્પતિનો ખોરાક છે તારાનો પ્રકાશ, અને આપણ પ્રાણીઓનો ખોરાક છે વનસ્પતિ. વનસ્પતિ ફક્ત ઉપલબ્ધ ભોજનનો સંખ્યાત્મક વધારો કરે છે એટલું જ નથી; આપણું ભોજન જેના પર આધારિત છે તેવી જૈવ વિવિધતા પણ તેમને કારણે છે.

પણ, આપણે તેમને ખતમ કરવા પર ઉતરી આવ્યા છીએ.
મને લાગે છે કે તમે સમજી ગયા હશો કે આ કઈ દિશામાં જઈ રહ્યું છે.
ખેતીની શોધનો આશીર્વાદ અને શ્રાપ આપણને લઈ આવ્યા છે લુપ્ત પ્રાણીસંગ્રહાલયના દરવાજે : પૃથ્વીના ઇતિહાસના સામૂહિક નિકંદનોમાં નાશ પામેલા તમામ સજીવની યાદગીરી. 
જીવન વૃક્ષની તૂટેલી ડાળખીઓની પ્રતિમા અહીં છે.

પૃથ્વીના ઈતિહાસમાં પાંચ વાર ભયંકર ભૌગોલિક અને અવકાશીય ઘટનાઓએ જીવનના નિકંદનની સ્થિતિ ઊભી કરેલી.
છઠ્ઠી સ્થિતિ તે બધાથી જુદી છે.
કોસ્મોસની આ અગાઉની સિરીઝમાં લુપ્ત પ્રાણીસંગ્રહાલયના એક ઓરડાને આપણે નામ નહોતું આપ્યું. કારણકે તે વખતે 'આપણે કોઈ સામૂહિક નિકંદનની નજીક છીએ.' એવા તારણ બાબતે વૈજ્ઞાનિક સમુદાય સહમત નહોતો. તે સહમતિ સધાઈ ગઈ છે. પેલા ઓરડાને નામ મળ્યું છે -આપણું નામ.
ધ ઍન્થ્રોપોસીન.
ગ્રીક શબ્દો 'ઍન્થ્રોપો' એટલે 'માણસ' અને 'સીન' એટલે 'તાજેતરનું'.

આપણે ભટકતું જીવન જીવતા હતા ત્યારે આપણી જ પ્રજાતિના અમુક સમુદાયનું નિકંદન કાઢી નાખેલું -જેમાં આપણા પિતરાઈ નિઍન્ડરથીસ પણ સામેલ છે.
એવું તે શું છે આપણી પ્રજાતિમાં કે આપણે જ્યાં જઈએ, મૃત્યુ લઈ આવીએ છીએ?

થોડીક વાત ભવિષ્યની કરીએ.
અમુક દસકા જેટલા દૂરના ભવિષ્યમાં પ્રોજેક્ટ સ્ટારશૉટ હેઠળ 1000 સ્પેસ ક્રાફ્ટ પૃથ્વી પરથી ડિપાર્ટ થશે.

આપણે ઇતિહાસ નોંધવો શરૂ કર્યો ત્યારથી એન્ડિઝ પર્વતમાળાની પશ્ચિમે આવેલા અતકામા રણમાં વરસાદ પડ્યો નથી. તે સૂકું ભઠ્ઠ છે. તેથી, ત્યાંનું આકાશ એકદમ ચોખ્ખું છે.

પાણી છોડી જમીન પર પગ મૂકનાર પહેલા વહેલા  જીવની નોંધ રાખનાર કોઈ નહતું. પહેલા પક્ષીએ આકાશમાં ઉડાન લીધી ત્યારે રિપોર્ટ લખવાવાળુ કોઈ ન હતું. પણ, આ આપણે એક એવી છલાંગ લગાવવાના છીએ, જેની નોંધ શક્ય તમામ રીતે લેવાશે. આખી દુનિયા જોઈ રહી છે.
પ્રકાશથી ચાલનારા આંતર તારકીય જહાજો, જે આપણા સંવેદનોને ત્યાં પહોંચાડશે.

તેમના માળખાનું વજન માંડ એકાદ ગ્રામ છે અને તેમનું કદ વટાણાના દાણા કરતા મોટું નથી. છતાં, નાસાના વૉયેજરમાં હતા તેટલા સરંજામ, અરે, તેથી પણ વધારે સાધનસામગ્રીથી તે સજ્જ છે.
બહુ સ્તરિય લેઝર્સમાંથી પહેલા કિરણનો ધક્કો લાગતાં જ આ સ્પેસ ક્રાફ્ટ શૂન્યથી પ્રકાશની ઝડપના 20% જેટલી ગતિ ફક્ત મિનીટોમાં પકડી લેશે.
આ નેનો સ્પેસ ક્રાફ્ટમાં બીજા તારાઓની દુનિયાઓનું ઝીણવટભર્યું અવલોકન કરી, ત્યાંની વૈજ્ઞાનિક વિગતો અને દ્રશ્યો પૃથ્વી પર પાછા મોકલવાની બધી જ સગવડ છે.

અવકાશ મોટાભાગે ખાલી છે. પણ તેમાં એવા સૂક્ષ્મ રજકણ છે, જે લગભગ પ્રકાશની ગતિએ જઈ રહેલા નેનો ક્રાફ્ટ સાથે અથડાય તો નેનો ક્રાફ્ટ ભાંગી પડે.
આપણે આટલા બધા સ્પેસ ક્રાફ્ટ સામટા મોકલવાનું એક કારણ તે પણ છે.
વૉયેજર-વન 61155 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ જઈ રહ્યું છે. પૃથ્વી છોડ્યે તેને ૪૦ વર્ષ કરતાં વધુ સમય થયો. આમ તો તે ઝડપી છે, પણ પ્રકાશની ઝડપનો તો વીસમો ભાગ.

પ્રોક્સિમા સેન્ચ્યુરી ચાર પ્રકાશ વર્ષ દૂર છે. વન-વે યાત્રા કરતાં ૨૦ વર્ષ થાય. પ્રોક્સિમા સેન્ચ્યુરી ફરતે પરિભ્રમણ કરતો એક ગ્રહ છે, જે વસવાટને લાયક વિસ્તારમાં આવે છે અને જ્યાં જીવન હોવાની સંભાવના આપણને લાગે છે.

આપણા રોબોટિક જાસુસો આ દુનિયાઓની માહિતિ મોકલશે. તેમના સંદેશા પ્રકાશની ઝડપે રેડિયો તરંગો મારફતે આપણા સુધી આવશે. તેમને આપણા સુધી પહોંચતા ચાર વર્ષ લાગશે. 20 વર્ષ ત્યાં પહોંચવાના, ૪ વર્ષ પાછા આવવાના. ૨૪ વર્ષની રાઉન્ડ ટ્રીપ.

તમારામાંથી કેટલાક કુદરતના પુસ્તકમાં જોડાનારા નવા પાના ત્યારે વાંચશે, લખશે અને તે પછીના ભવિષ્યની માણસ જાતની યાત્રાઓની રૂપરેખા તૈયાર કરશે.
પૃથ્વી, મહાસાગર કે આકાશની સીમા લાઘીંને.

૩: https://interact-6aya.blogspot.com/2020/11/blog-post_29.html