11.9.16

મોનોલોગ

સાવ ખોટી વાત!
ના,વાત ખોટી નથી. તને મારા વર્તનમાં એ વણાયેલી દેખાતી નથી એમ કહે.
સારું, એમ કહું કે, 'તું ખોટી છો' તો તારાથી સહન થશે?
સહનની વાત હાલ પૂરતી બાજુ પર રાખી કહું તો હું ખોટી હોઈ શકું,પણ એ મારો ઈરાદો નથી.
તું ઝૂઠ્ઠી છો.
બિલકુલ નહીં. હા, તું મને ડરપોક કહી શકે.
ડરપોક અને તું?
કેમ?
તારાથી ભલભલા ફફડે છે ને તું ડરપોક ? તારી આક્રમકતા વિશે તું અજાણ જણાય છે.
ના. હું જાણું છું કે હું આક્રમક છું અને ડરામણી પણ. એટલે હું ડરપોક નથી એમ કરતાં ડરપોક છું એમ સાબિત થાય. ન્યુટનની ગતિનો નિયમ પ્રમાણે.
હશે,તેનાથી પેલી વાત સાચી સાબિત નથી થતી.
તું એ વાતમાંથી મને, મારી છાપને ભૂસીને જુએ તો પણ ?
પણ, મેં એ વાત તારી પાસેથી તો જાણી.
હા,એ ખરું. પણ, એ વાત,વાક્યના શબ્દને તું છુટા પાડી દે અને શબ્દકોશમાં તેના અર્થ તપાસ. શું એ પછી પણ તે વાત ખોટી છે તેમ કહીશ?
શબ્દકોશમાં તો શબ્દના ઘણા અર્થ મળે, એકબીજાને આવરતી અર્ધપારદર્શક અર્થછાયાઓ મળે ને પરસ્પર વિરોધી ભાસતા અર્થો ય મળે.
છતાં, વાત-વાક્યના દરેક શબ્દના અર્થ શબ્દકોશમાં જો. તારી પસંદગીના અર્થથી શરૂઆત કર. દરેક શબ્દનો સમાનાર્થ એમ મૂક કે જેથી સાર્થક પદ, વાક્ય બને. ઉપરની વાતના આવા શક્ય તેટલા અર્થો શબ્દકોશનો ઉપયોગ કરીને લખ અને પછી કહે કે તે વાત ખોટી છે.
ઠીક. ... તું એમ કહે છે કે વાતમાંથી કર્તા કાઢી નાખું અને માત્ર ભાવ પકડુ?
તે સરસ પકડ્યું. હું એમ પણ કહેવા માંગું છું કે કર્તાને સ્થાને તું તને મુકીને પણ જો.
... કોઈ બાવો કે રાજકારણી કે લેખક કે વક્તા આવી વાતોથી લોકોને છેતરે તો પણ તું તારું આ મંતવ્ય પકડી રાખે ?
હા અને ના. ઈરાદાપૂર્વક બોલાયેલ-લખાયેલ વાત ગમે તેટલી સારી હોય તો ય એ ખોટું છે : એ કાર્ય ખોટું છે. વાત, વાતનો અર્થ ખોટા નથી.
લાગે છે આ બાબત એ લોકો અંદરખાને સમજે છે અને એટલે આવું બક્યા કરે છે.
કદાચ. સત્તા, કોઈ પણ પ્રકારની, નાની કે મોટી, સત્તા માટે ઈચ્છુક લોકો આ સત્ય સમજતા હોઈ પણ શકે. એ લોકોમાં લોકલાગણી અને લોકભાવના પારખવાની ગજબ આવડત હોય છે.
શાણા !
હા, એવું જ. એ લોકો આપણા કરતાં વધુ હકારાત્મક પણ હોય છે એમ મને લાગે છે. તેમને જાણે કે ખાતરી હોય છે કે કેટલાક માણસો કોઈ પણ સંજોગોમાં ભલાઈના કામ કરવાના.
એટલે ?
જો, તું એક સારી વાતને ખોટી કહેતી હતી કેમકે તેમાં તને કાર્ય કે વર્તનની નક્કરતા ના દેખાઈ. એમ છતાં, તું જ રાતે સુતા પહેલાં એવું કાંઈક કરવાની જેને સારું કે ભલું કહી શકાય. તું અત્યારે પણ સારપ અને ભલાઈના ઈરાદાથી વાત કરી રહી છો. ઈરાદો ય જવા દે, તું વગર વિચાર્યે આવું જ કરે. બસ, એ સત્તાપ્રેમીઓને આ વાતની ખબર છે.
આ બાબત સારી લાગે છે પણ, તેઓ પોતે જે કરે છે તે ખોટું છે અને એ ચલાવી લેવું મને ગમતું નથી.
શું નથી ગમતું ?
હંમ... શબ્દોનો દુરુપયોગ, લોકોની છેતરામણી, જુઠ.
ના ગમાડવા ઉપરાંત બીજું કઈ કરવા ધારે છે ?
વિરોધ !
તને યાદ દેવડાવું કે તું શબ્દોના ખેલાડીઓ સામે શબ્દોથી વિરોધ કરવાની વાત...
ભલે.પણ, એ કરવું મને જરૂરી લાગે છે.
બિલકુલ. હું તો માત્ર તને હકિકતનું ભાન કરાવું છું.
હંમ...
તને યાદ દેવડાવું કે જુઠાણાં સત્ય તરીકે ચાલી ગયાના ઐતિહાસિક દાખલા ય છે.
હા. પણ, જય સત્યનો થાય છે.
સાચે જ ?
તો વળી ? મોડો થાય પણ સત્યનો જ જય થાય.
તું વ્યાખ્યાઓ બોલે છે, તારી અનુભૂતિ નહીં. તેને જુઠ કહેવાય કે નહીં ?
...હું અજાણતાં બોલી.
તો ? તારી વાત મારે સાચી માનવી એમ ?
સત્ય એટલે શું?
તું કહે !
Conviction?
કદાચ !
જો એમ હોય તો તો પેલા સત્તાખોરોના સત્યનો ય જય થાય.
એમનું સત્ય શું ?
... સત્ય તરીકે પ્રચલિત વિધાનો બોલતા રહેવા. અથવા કેટલાક નરવા શબ્દો જેમ કે 'પ્રેમ', 'સહકાર' વગેરે વાપરી નવાં જુઠ ઘડી કાઢવાં. અને એ બધા વડે લોકોને ભોળવી સત્તા મેળવવી, ટકાવવી,વધારવી.
એમ જોતાં તો જુઠનો જય થયો જણાય છે. કેમકે, તે લોકો પાસે સત્તા 'છે'.
પણ, તેઓ એ વાપરેલા શબ્દો...
તટસ્થ હતા, નિર્જીવ યંત્ર જેવા.
તો શું કઈ પણ બોલવું, લખવું એ ખેલ છે માત્ર?
અને જેઓ પોતાની અનુભૂતિ કે દર્શન વ્યક્ત કરવા તેનો ઉપયોગ કરે તેમને માટે...?
અભિવ્યક્તિ !
અને તેનું માધ્યમ, બંન્ને.
આ તો કળાના દરેક માધ્યમને લાગુ પડે.
દરેક અભિવ્યક્તિ કળા જ તો છે !
અને બધે જુઠનો અવકાશ અને ક્યારેક જય પણ છે.
જુઠ એટલે?
કોઈ નૃત્યાંગી બરાબર નૃત્ય ના કરે, ચિત્રકાર બરાબર ના ચિતરે?
બરાબર એટલે ?
નિયમ પ્રમાણે.
પણ, ફેડરર બે પગ વચ્ચેથી ટેનિસના દડાને ફટકારે એ નિયમભંગ કહેવાય કે નહીં?
નિયમ પ્રમાણે નહીં, ઈરાદાની નેકીથી કરે તે કામ બરાબર. નિયમો તો તુટતા,બનતા રહે છે.
બરાબર. અને નેક ઈરાદો એટલે ?
એટલે, પોતાની આવડત મુજબ, કોઈને છેતર્યા વગર.
લેખક-વક્તા એમની આવડતથી જ લખે-બોલે છે જે તને હમણાં જૂઠ લાગતું હતું.
પણ એમનો ઈરાદો છેતરવાનો હતો ને!
એટલે ઈરાદો સત્ય-જૂઠ નક્કી કરે, એમ?
હા.
એટલેકે વાતની સચ્ચાઈ કે જુઠતા તેના બોલનાર/લખનાર પર આધારિત છે.
હા!
એટલેકે કર્તા પર.
હા.
તો સાચ-જૂઠ નક્કી કરવામાં વાચક/શ્રોતા, ભાવકની ભૂમિકા અવગણી શકાય ?
ના!
એટલે કે સત્ય...
વ્યક્તિનિષ્ઠ છે. તો...?
સત્યની સનાતનતા, જયનું શું , એમ ને ?
હંમ.
અને સારપ, ભલાઈ ?
સત્તાખોરોને ય એના પર ભરોસો છે.
એકદમ! અને સનાતન સત્યોની લોકઅસર પર પણ.
એટલે કે જૂઠ જીતે છે પણ સત્ય-સારપના ઓઠે.
બીલકુલ ! તો, જીતનું લક્ષ્ય તાકનાર કોણ ?
જુઠ.
અને હાર-જીતના દાયરા બહાર, માત્ર હોવા માટે હોય તે શું ?
વાહ! સત્ય,સારપ,ભલાઈ.
એટલે...?
સત્ય-સારપને હાર-જીતથી ફેર પડતો નથી.
એટલે કે તે અકારણ હોય છે.
એટલે કે સનાતન !
તો સત્યની જીત કરાવવા મથવાની જરૂર ખરી?
એ મથામણ કરવા કારણની જરૂર ખરી ?
સાચી વાત છે !
૩૦/૫/૧૬ 

No comments: